માર્ક ૩:૧-૩૫

  • સુકાયેલા હાથવાળો માણસ સાજો કરાયો (૧-૬)

  • સરોવર કિનારે મોટું ટોળું (૭-૧૨)

  • ૧૨ પ્રેરિતો (૧૩-૧૯)

  • પવિત્ર શક્તિ વિરુદ્ધ બોલવું (૨૦-૩૦)

  • ઈસુના મા અને ભાઈઓ (૩૧-૩૫)

 ઈસુ ફરીથી એક વાર સભાસ્થાનમાં ગયા અને ત્યાં એક માણસ હતો, જેનો હાથ સુકાઈ ગયો હતો.* ૨  ફરોશીઓ તેમના પર નજર રાખી રહ્યા હતા કે તે સાબ્બાથે માણસને સાજો કરે છે કે નહિ, જેથી તેમના પર આરોપ મૂકી શકે. ૩  ઈસુએ સુકાયેલા* હાથવાળા માણસને કહ્યું: “ઊઠ અને અહીં વચ્ચે આવ.” ૪  પછી, તેમણે તેઓને કહ્યું: “નિયમ પ્રમાણે સાબ્બાથે શું કરવું યોગ્ય છે, સારું કે ખરાબ? જીવન* બચાવવું કે મારી નાખવું?” પણ તેઓ ચૂપ રહ્યા. ૫  ઈસુએ તેઓ પર ગુસ્સે થઈને નજર નાખી અને તેઓનાં હૃદય કઠણ હોવાથી તે ઘણા દુઃખી થયા; તેમણે તે માણસને કહ્યું: “તારો હાથ લાંબો કર.” એટલે, તેણે હાથ લાંબો કર્યો અને તેનો હાથ સાજો થઈ ગયો. ૬  તેથી, ફરોશીઓ બહાર ગયા અને તરત જ હેરોદીઓ* સાથે મળીને ઈસુને મારી નાખવાનું કાવતરું ઘડવા લાગ્યા. ૭  પણ, ઈસુ પોતાના શિષ્યો સાથે ત્યાંથી નીકળીને સરોવર તરફ ગયા અને ગાલીલ તથા યહુદિયામાંથી ઘણા બધા લોકો તેમની પાછળ ગયા. ૮  એટલું જ નહિ, ઈસુનાં અનેક કામો વિશે સાંભળીને યરૂશાલેમથી, અદુમથી, યરદન પારથી તથા તૂર અને સિદોનથી મોટી સંખ્યામાં લોકો તેમની પાસે આવ્યા. ૯  પોતે ટોળાના ધસારાથી દબાઈ ન જાય, એ માટે તેમણે એક નાની હોડી તેમના માટે તૈયાર રાખવા પોતાના શિષ્યોને જણાવ્યું. ૧૦  તેમણે ઘણાને સાજા કર્યા હોવાથી, જેઓને ગંભીર બીમારી હતી તેઓ બધા તેમને અડકવા તેમના પર પડાપડી કરતા હતા. ૧૧  એટલે સુધી કે દુષ્ટ દૂત* વળગેલા માણસો તેમને જોતા ત્યારે, તેમના પગ આગળ પડીને પોકારી ઊઠતા: “તું ઈશ્વરનો દીકરો છે.” ૧૨  પણ, તેમણે ઘણી વાર તેઓને સખત ચેતવણી આપી કે પોતાના વિશે વાત ન ફેલાવે. ૧૩  તે પહાડ પર ચઢ્યા અને પોતાના શિષ્યોમાંથી કેટલાકને તેમણે બોલાવ્યા અને તેઓ તેમની પાસે ગયા. ૧૪  તેમણે ૧૨ને પસંદ કર્યા,* જેઓને પ્રેરિતો* નામ પણ આપ્યું; તેઓ તેમની સાથે રહ્યા અને તેમણે તેઓને પ્રચાર કરવા મોકલ્યા ૧૫  અને તેઓને દુષ્ટ દૂતો કાઢવાનો અધિકાર પણ આપ્યો. ૧૬  જે ૧૨ને તેમણે પસંદ કર્યા હતા* તેઓ આ હતા: સિમોન, જેને તેમણે પીતર નામ પણ આપ્યું, ૧૭  ઝબદીનો દીકરો યાકૂબ અને યાકૂબનો ભાઈ યોહાન (તેમણે તેઓને બોઅનેરગેસ નામ પણ આપ્યું, જેનો અર્થ થાય, “ગર્જનાના દીકરાઓ”), ૧૮  આંદ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થદ્દી, સિમોન કનાની* ૧૯  અને યહુદા ઇસ્કારિયોત, જેણે પછીથી ઈસુને દગો દીધો. પછી, ઈસુ એક ઘરમાં ગયા. ૨૦  ફરી એક વાર ટોળું ભેગું થઈ ગયું, એથી તેઓ ખાઈ પણ ન શક્યા. ૨૧  પણ, જ્યારે તેમનાં સગાઓએ આ બધું સાંભળ્યું ત્યારે તેઓ તેમને પકડવા ગયા, કેમ કે તેઓએ કહ્યું કે, “તેનું મગજ ફરી ગયું છે.” ૨૨  ઉપરાંત, યરૂશાલેમથી આવેલા શાસ્ત્રીઓ કહેતા હતા: “તેનામાં બાલઝબૂલ* છે અને તે દુષ્ટ દૂતોના રાજાની મદદથી દુષ્ટ દૂતોને કાઢે છે.” ૨૩  તેથી, ઈસુએ તેઓને પોતાની પાસે બોલાવીને ઉદાહરણો આપતા કહ્યું: “શેતાન કઈ રીતે શેતાનને કાઢી શકે? ૨૪  જો કોઈ રાજ્યમાં અંદરોઅંદર ફૂટ પડે તો એ રાજ્ય ટકી શકતું નથી; ૨૫  અને જો કોઈ ઘરમાં અંદરોઅંદર ભાગલા પડે તો એ ઘર ટકી શકતું નથી. ૨૬  વધુમાં, જો શેતાન પોતાની સામે ઊભો થયો હોય અને તેનામાં ફૂટ પડી હોય, તો તે ટકી શકતો નથી, પણ તેનો અંત આવી જશે. ૨૭  હકીકતમાં, કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી બળવાન માણસને પહેલા બાંધી ન દે, ત્યાં સુધી તેના ઘરમાં જઈને તેની મિલકત લૂંટી શકતી નથી. એ પછી જ તે તેનું ઘર લૂંટી શકશે. ૨૮  હું તમને સાચે જ કહું છું કે માણસો ભલે ગમે એવું પાપ કરે કે ખરાબ બોલે, એ બધું માફ કરવામાં આવશે. ૨૯  પરંતુ, જે કોઈ પવિત્ર શક્તિ વિરુદ્ધ બોલશે તેને ક્યારેય માફ કરવામાં આવશે નહિ, પણ તે સર્વકાળ માટે એ પાપનો દોષિત ઠરશે.” ૩૦  ઈસુએ આમ કહ્યું, કારણ કે તેઓ કહેતા હતા: “તેનામાં દુષ્ટ દૂત છે.” ૩૧  હવે, ઈસુની મા અને તેમના ભાઈઓ આવ્યા અને તેઓ બહાર ઊભા રહ્યા; તેઓએ તેમને બોલાવવા એક માણસને અંદર મોકલ્યો. ૩૨  એ સમયે ઈસુની ફરતે ટોળું બેઠું હતું, એટલે તેઓએ તેમને કહ્યું: “જુઓ! તમારી મા અને તમારા ભાઈઓ બહાર તમને મળવા માગે છે.” ૩૩  પણ, તેમણે જવાબમાં તેઓને કહ્યું: “મારી મા અને મારા ભાઈઓ કોણ છે?” ૩૪  પછી, તેમણે પોતાની આસપાસ ગોળ ફરતે બેઠેલા લોકો ઉપર નજર ફેરવીને કહ્યું: “જુઓ, મારી મા અને મારા ભાઈઓ! ૩૫  જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે તે મારો ભાઈ અને બહેન અને મા છે.”

ફૂટનોટ

અથવા, “લકવો થયેલો હતો.”
અથવા, “લકવો મારી ગયેલા.”
શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “વૃંદ નીમ્યું.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “વૃંદ નીમ્યું હતું.”
અથવા, “ઉત્સાહી.”
શબ્દસૂચિ જુઓ.