યોહાન ૧:૧-૫૧
૧ સૃષ્ટિ ઉત્પન્ન કરવામાં આવી એ પહેલાં, શરૂઆતમાં શબ્દ* હતો અને શબ્દ ઈશ્વર સાથે હતો અને શબ્દ ઈશ્વર જેવો હતો.
૨ તે શરૂઆતમાં ઈશ્વરની સાથે હતો.
૩ બધું જ તેના દ્વારા ઉત્પન્ન કરવામાં આવ્યું અને તેના વગર કંઈ પણ ઉત્પન્ન કરવામાં આવ્યું નહિ.
૪ તેના દ્વારા જે કંઈ ઉત્પન્ન થયું, એ જીવન હતું; અને તેનું જીવન મનુષ્ય માટે પ્રકાશ હતું.
૫ અને અંધકારમાં એ પ્રકાશ ઝળહળી રહ્યો છે, પણ અંધકાર એને હોલવી શકતો નથી.
૬ ઈશ્વરે એક માણસને મોકલ્યો હતો, જેનું નામ યોહાન હતું.
૭ આ માણસ એક સાક્ષી તરીકે આવ્યો, જેથી પ્રકાશ વિશે તે સાક્ષી આપે અને બધા પ્રકારના લોકો તેના દ્વારા ભરોસો મૂકે.
૮ તે પોતે એ પ્રકાશ ન હતો, પણ પ્રકાશ વિશે તેણે સાક્ષી આપવાની હતી.
૯ દરેક પ્રકારના માણસને અજવાળું આપનાર સાચો પ્રકાશ તો આવવાની તૈયારીમાં હતો.
૧૦ શબ્દ દુનિયામાં હતો અને દુનિયા તેના દ્વારા ઉત્પન્ન થઈ, પણ દુનિયા તેને ઓળખતી ન હતી.
૧૧ તે પોતાના ઘરે આવ્યો, પણ તેના પોતાના લોકોએ તેનો સ્વીકાર કર્યો નહિ.
૧૨ જોકે, તેનો સ્વીકાર કરનારા બધાને તેણે ઈશ્વરનાં બાળકો બનવાનો અધિકાર આપ્યો, કારણ કે તેઓ તેના નામમાં શ્રદ્ધા રાખતા હતા.
૧૩ અને તેઓએ માબાપની કે પોતાની* કે માણસની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરની ઇચ્છાથી જન્મ લીધો હતો.
૧૪ આમ, શબ્દ મનુષ્ય બન્યા અને આપણી વચ્ચે રહ્યા અને આપણે તેમનું ગૌરવ જોયું, એવું ગૌરવ જે પિતા પોતાના એકના એક દીકરાને* જ આપે છે; તે ઈશ્વરની કૃપાથી* અને સત્યથી ભરપૂર હતા.
૧૫ (યોહાને તેમના વિશે સાક્ષી આપી, હા, તે પોકારી ઊઠ્યો: “આ એ જ છે જેમના વિશે મેં કહ્યું હતું, ‘મારા પછી આવનાર મારી આગળ નીકળી ગયા છે, કારણ કે મારા પહેલાંથી તે જીવે છે.’”)
૧૬ તે અપાર કૃપા અને સત્યથી ભરપૂર હતા, એટલે આપણે બધા તેમની પાસેથી પુષ્કળ અપાર કૃપા મેળવીએ છીએ.
૧૭ મુસા દ્વારા નિયમશાસ્ત્ર* આપવામાં આવ્યું હતું, પણ ઈસુ ખ્રિસ્ત* દ્વારા અપાર કૃપા અને સત્ય આપવામાં આવ્યાં.
૧૮ કોઈ માણસે ઈશ્વરને કદી પણ જોયા નથી; એકના એક દીકરા, જે ઈશ્વર જેવા છે અને જે પિતાની બાજુમાં છે,* તેમણે ઈશ્વર વિશે સમજણ આપી છે.
૧૯ યરૂશાલેમથી યહુદીઓએ યાજકો અને લેવીઓને મોકલીને જ્યારે યોહાનને પૂછાવ્યું, “તું કોણ છે?” ત્યારે યોહાને આ સાક્ષી આપી.
૨૦ તેણે જવાબ આપવાની ના પાડી નહિ, પણ કબૂલ કર્યું કે, “હું ખ્રિસ્ત નથી.”
૨૧ અને તેઓએ તેને પૂછ્યું: “તો પછી, શું તું એલિયા છે?” તેણે જવાબ આપ્યો: “હું તે નથી.” “શું તું પ્રબોધક* છે?” અને તેણે જવાબ આપ્યો: “ના!”
૨૨ એટલે, તેઓએ તેને પૂછ્યું: “તું છે કોણ? અમને કહે, જેથી અમને મોકલનારાઓને અમે જવાબ આપી શકીએ. તારે પોતાના વિશે શું કહેવું છે?”
૨૩ તેણે કહ્યું: “હું વેરાન પ્રદેશમાં પોકારનારનો અવાજ છું જે કહે છે, ‘યહોવાનો* માર્ગ સીધો કરો.’ જેમ પ્રબોધક યશાયાએ કહ્યું હતું.”
૨૪ હવે, જેઓ ત્યાં આવ્યા હતા, તેઓને ફરોશીઓએ મોકલ્યા હતા.
૨૫ તેઓએ તેને સવાલ પૂછ્યો: “તો પછી, જો તું ખ્રિસ્ત કે એલિયા કે પ્રબોધક નથી, તો તું કેમ બાપ્તિસ્મા આપે છે?”
૨૬ યોહાને તેઓને જવાબ આપ્યો: “હું પાણીથી બાપ્તિસ્મા આપું છું. તમારી વચ્ચે એક માણસ ઊભા છે, જેમને તમે ઓળખતા નથી;
૨૭ મારા પછી જે આવે છે, તેમના જોડાની દોરી છોડવા પણ હું યોગ્ય નથી.”
૨૮ આ બધું યરદન પાર બેથનિયામાં બન્યું, જ્યાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો.
૨૯ બીજા દિવસે તેણે ઈસુને પોતાની તરફ આવતા જોયા અને તેણે કહ્યું: “જુઓ, ઈશ્વરનું ઘેટું, જે દુનિયાનું પાપ દૂર કરે છે!
૩૦ આ એ જ છે જેમના વિશે મેં કહ્યું હતું: ‘મારા પછી એક માણસ આવે છે, જે મારી આગળ નીકળી ગયા છે, કારણ કે મારા પહેલાંથી તે જીવે છે.’
૩૧ ભલે હું તેમને ઓળખતો ન હતો, પણ તે ઇઝરાયેલ આગળ જાહેર થાય એ માટે હું પાણીથી બાપ્તિસ્મા આપતો આવ્યો છું.”
૩૨ યોહાને આમ કહીને પણ સાક્ષી આપી કે, “મેં આકાશમાંથી કબૂતર જેવા આકારમાં પવિત્ર શક્તિને ઊતરતી જોઈ અને એ તેમના પર રહી.
૩૩ હું પણ તેમને ઓળખતો ન હતો, પરંતુ, પાણીથી બાપ્તિસ્મા આપવા માટે મને મોકલનારે કહ્યું હતું: ‘તું જેના પર પવિત્ર શક્તિ ઊતરતી અને રહેતી જુએ, તે જ પવિત્ર શક્તિથી બાપ્તિસ્મા આપનાર છે.’
૩૪ મેં એ જોયું છે અને મેં એવી સાક્ષી આપી છે કે તે ઈશ્વરના દીકરા છે.”
૩૫ બીજા દિવસે ફરીથી યોહાન પોતાના બે શિષ્યો સાથે ઊભો હતો;
૩૬ અને ઈસુને ત્યાંથી પસાર થતા જોઈને તેણે કહ્યું: “જુઓ, ઈશ્વરનું ઘેટું!”
૩૭ તેની વાત સાંભળીને એ બે શિષ્યો ઈસુની પાછળ પાછળ ગયા.
૩૮ ઈસુએ ફરીને જોયું તો તેઓ પાછળ આવતા હતા, એટલે તેઓને પૂછ્યું: “તમે શું શોધો છો?” તેઓએ તેમને કહ્યું: “રાબ્બી (જેનો અર્થ થાય, “ગુરુજી”), તમે ક્યાં રહો છો?”
૩૯ તેમણે તેઓને કહ્યું: “તમે પોતે આવીને જુઓ.” એટલે, તેઓ ગયા અને જોયું કે તે ક્યાં રહે છે અને તેઓ એ દિવસે તેમની સાથે રોકાયા; ત્યારે સાંજના આશરે ચાર વાગ્યા* હતા.
૪૦ યોહાને જે કહ્યું એ સાંભળનારા અને ઈસુની પાછળ જનારા બે શિષ્યોમાંથી એક આંદ્રિયા હતો, જે સિમોન પીતરનો ભાઈ હતો.
૪૧ તેણે પહેલા પોતાના ભાઈ સિમોનને શોધી કાઢ્યો અને તેને કહ્યું: “અમને મસીહ* મળ્યા છે!” (જેનો અર્થ થાય, “ખ્રિસ્ત.”)
૪૨ અને આંદ્રિયા તેને ઈસુ પાસે લઈ ગયો. ઈસુએ તેને જોયો ત્યારે કહ્યું: “તું યોહાનનો દીકરો સિમોન છે; તું કેફાસ કહેવાશે” (ગ્રીકમાં, “પીતર”).*
૪૩ બીજા દિવસે ઈસુ ગાલીલ જવા માંગતા હતા. તે ફિલિપને મળ્યા ત્યારે તેમણે તેને કહ્યું: “મારો શિષ્ય થા.”
૪૪ ફિલિપ બેથસૈદા શહેરનો હતો, આંદ્રિયા અને પીતર પણ ત્યાંના હતા.
૪૫ ફિલિપે નથાનિયેલને શોધી કાઢ્યો અને તેને કહ્યું: “મુસાના નિયમશાસ્ત્રમાં અને પ્રબોધકોનાં લખાણોમાં જેમના વિશે લખવામાં આવ્યું છે, તે અમને મળ્યા છે, એટલે કે નાઝરેથના ઈસુ, યુસફના દીકરા.”
૪૬ પરંતુ, નથાનિયેલે તેને કહ્યું: “શું નાઝરેથમાંથી કંઈ પણ સારું આવી શકે?” ફિલિપે તેને કહ્યું: “તું પોતે આવીને જો.”
૪૭ ઈસુએ નથાનિયેલને પોતાની તરફ આવતો જોયો અને તેના વિશે કહ્યું: “જુઓ, એક સાચો ઇઝરાયેલી, જેનામાં કંઈ કપટ નથી.”
૪૮ નથાનિયેલે તેમને પૂછ્યું: “તમે મને કેવી રીતે ઓળખો છો?” ઈસુએ તેને જવાબ આપ્યો: “ફિલિપે તને બોલાવ્યો એ પહેલાં, તું અંજીરના ઝાડ નીચે હતો ત્યારે મેં તને જોયો હતો.”
૪૯ નથાનિયેલ બોલી ઊઠ્યો: “ગુરુજી,* તમે ઈશ્વરના દીકરા છો, તમે ઇઝરાયેલના રાજા છો.”
૫૦ ઈસુએ તેને કહ્યું: “મેં તને અંજીરના ઝાડ નીચે જોયો હતો, એવું મેં કહ્યું એટલે તું મારામાં ભરોસો મૂકે છે? આના કરતાં ઘણાં મોટાં કામ તું જોશે.”
૫૧ ઈસુએ આગળ કહ્યું, “હું તમને બધાને સાચે જ કહું છું, તમે સ્વર્ગ ખૂલી ગયેલું અને ઈશ્વરના દૂતોને માણસના દીકરાની* પાસે ઊતરતા અને ચઢતા જોશો.”
ફૂટનોટ
^ ‘શબ્દ’ અહીંયા ઈસુ માટે ખિતાબ તરીકે વાપરવામાં આવ્યો છે. ઈસુ તેમના પૃથ્વી પરના સેવાકાર્ય પહેલાં, એ દરમિયાન અને એના પછી ઈશ્વરના મુખ્ય પ્રતિનિધિ હતા.—યોહ ૧:૧૪; પ્રક ૧૯:૧૩ સરખાવો.
^ મૂળ અર્થ, “શરીરની ઇચ્છા.”
^ અથવા, “એક માત્ર દીકરો જેનું સર્જન ઈશ્વરના હાથે થયું છે.”
^ અથવા, “અપાર કૃપાથી.”
^ શબ્દસૂચિ જુઓ.
^ શબ્દસૂચિ જુઓ.
^ અથવા, “જે પિતાની ગોદમાં છે.” અહીં તેમના પર ખાસ કૃપા હોવાની વાત થાય છે.
^ શબ્દસૂચિ જુઓ.
^ શબ્દસૂચિ જુઓ.
^ મૂળ અર્થ, “આશરે દસમા કલાકે [સૂર્યોદય પછી].”
^ શબ્દસૂચિ જુઓ.
^ અરામિક નામ કેફાસ અને ગ્રીક નામ પીતર, બંનેનો અર્થ થાય, “ખડક.”
^ હિબ્રૂમાં, રાબ્બી.
^ શબ્દસૂચિ જુઓ.