યોહાન ૧૨:૧-૫૦
૧૨ પાસ્ખાનો તહેવાર શરૂ થાય એના છ દિવસ પહેલાં, ઈસુ બેથનિયા આવ્યા; ત્યાં લાજરસ રહેતો હતો, જેને ઈસુએ મરણમાંથી સજીવન કર્યો હતો.
૨ એટલે, તેઓએ ઈસુ માટે સાંજની મિજબાની ગોઠવી અને માર્થા તેઓને પીરસતી હતી. તેમની સાથે ભોજન કરવા બેઠેલા* લોકોમાં લાજરસ પણ હતો.
૩ પછી, મરિયમ આશરે ૩૦૦ ગ્રામ* સુગંધી તેલ, અસલ જટામાંસીનું* ઘણું કીમતી તેલ લાવી; તેણે ઈસુના પગ પર તેલ રેડ્યું અને પોતાના વાળથી તેમના પગ લૂછ્યા. આખું ઘર સુગંધી તેલની સુવાસથી મહેકી ઊઠ્યું.
૪ પરંતુ, ઈસુના શિષ્યોમાંનો એક, યહુદા ઇસ્કારિયોત, જે તેમને દગો દેવાનો હતો, તેણે કહ્યું:
૫ “આ સુગંધી તેલ ૩૦૦ દીનારમાં વેચીને એ પૈસા ગરીબોને કેમ ન આપ્યા?”
૬ જોકે, તેને ગરીબો માટે ચિંતા હતી એટલે નહિ, પણ તે ચોર હતો એટલે તેણે એમ કહ્યું; તે પૈસાની પેટી રાખતો હતો અને એમાંથી પૈસા ચોરી લેતો હતો.
૭ પછી, ઈસુએ મરિયમ વિશે કહ્યું: “તેને રહેવા દો, જેથી મારા દફનની તૈયારી માટે તે આ રિવાજ પાળે.
૮ કેમ કે ગરીબો તો કાયમ તમારી સાથે હશે, પણ હું કાયમ તમારી સાથે નહિ હોઉં.”
૯ એ દરમિયાન, યહુદીઓના મોટા ટોળાને ખબર પડી કે ઈસુ ત્યાં છે; અને ઈસુને લીધે જ નહિ, લાજરસને જોવા પણ તેઓ આવ્યા, જેને ઈસુએ મરણમાંથી સજીવન કર્યો હતો.
૧૦ હવે, મુખ્ય યાજકોએ લાજરસને પણ મારી નાખવાનું કાવતરું ઘડ્યું;
૧૧ કેમ કે તેના લીધે ઘણા યહુદીઓ ત્યાં જતા હતા અને ઈસુમાં શ્રદ્ધા મૂકતા હતા.
૧૨ બીજા દિવસે, તહેવારમાં આવેલા મોટા ટોળાએ સાંભળ્યું કે ઈસુ યરૂશાલેમ આવી રહ્યા છે.
૧૩ એટલે, તેઓએ ખજૂરીની ડાળીઓ લીધી અને તેમને સામે મળવા ગયા. તેઓ પોકારવા લાગ્યા: “અમારી પ્રાર્થના છે, તેમનું તારણ હો! ઇઝરાયેલના રાજા, જે યહોવાના* નામમાં આવે છે તે આશીર્વાદિત છે!”
૧૪ ઈસુને ગધેડાનું બચ્ચું મળ્યું અને તે એના પર બેઠા, જેમ લખેલું છે:
૧૫ “હે સિયોનની દીકરી,* ગભરાઈશ નહિ. જો! ગધેડાના બચ્ચા પર બેસીને તારો રાજા આવે છે.”
૧૬ એ સમયે તેમના શિષ્યોને આ વાતોની સમજણ પડી નહિ; પણ, ઈસુને મહિમાવાન કરવામાં આવ્યા ત્યારે, તેઓને યાદ આવ્યું કે આ વાતો તેમના વિશે લખાઈ હતી અને લોકોએ તેમને માટે એવું જ કર્યું હતું.
૧૭ જ્યારે ઈસુએ લાજરસને કબરમાંથી બહાર બોલાવ્યો અને તેને મરણમાંથી જીવતો કર્યો, ત્યારે જે લોકો તેમની સાથે હતા, તેઓ એની સાક્ષી આપી રહ્યા હતા.
૧૮ એ ટોળું એટલે પણ તેમને સામે મળવા ગયું, કેમ કે તેઓએ સાંભળ્યું હતું કે તેમણે આ ચમત્કાર કર્યો હતો.
૧૯ એટલે, ફરોશીઓ એકબીજાને કહેવા લાગ્યા: “તમે જુઓ છો કે આપણું કંઈ ચાલતું નથી. જુઓ! આખી દુનિયા તેની પાછળ ગઈ છે.”
૨૦ હવે, તહેવારમાં ભક્તિ કરવા આવેલા લોકોમાં અમુક ગ્રીક પણ ત્યાં હતા.
૨૧ તેથી, તેઓએ ગાલીલના બેથસૈદા શહેરના ફિલિપ પાસે જઈને વિનંતી કરી: “સાહેબ, અમારે ઈસુને મળવું છે.”
૨૨ ફિલિપે આવીને આંદ્રિયાને જણાવ્યું. આંદ્રિયા અને ફિલિપે આવીને ઈસુને વાત કરી.
૨૩ પરંતુ, ઈસુએ તેઓને જવાબ આપ્યો: “માણસના દીકરાને મહિમા પામવાનો સમય આવી પહોંચ્યો છે.
૨૪ હું તમને સાચે જ કહું છું કે જ્યાં સુધી ઘઉંનો દાણો માટીમાં પડીને મરે નહિ, ત્યાં સુધી એ એક જ દાણો રહે છે; પણ, જો એ મરે તો ઘણા દાણા આપે છે.*
૨૫ જે કોઈ પોતાનું જીવન* વહાલું ગણે છે તે એને ગુમાવે છે, પણ જે કોઈ આ દુનિયામાં પોતાનું જીવન* ધિક્કારે છે, તે હંમેશ માટેનું જીવન મેળવવા એને સલામત રાખશે.
૨૬ જો કોઈ મારી સેવા કરવા ચાહે, તો તેણે મારી પાછળ ચાલવું અને જ્યાં હું છું, ત્યાં મારો સેવક પણ હશે. જો કોઈ મારી સેવા કરવા ચાહે, તો પિતા તેનો આદર કરશે.
૨૭ હવે, હું* બેચેન છું અને હું શું કહું? હે પિતા, મને આ ઘડીથી બચાવો. જોકે, એ માટે જ તો હું આ ઘડી સુધી આવ્યો છું.
૨૮ હે પિતા, તમારું નામ મહિમાવાન કરો.” પછી, આકાશમાંથી એક વાણી સંભળાઈ: “મેં એ મહિમાવાન કર્યું છે અને ફરીથી એને મહિમાવાન કરીશ.”
૨૯ ત્યાં ઊભેલા લોકોએ એ સાંભળ્યું અને કહેવા લાગ્યા કે એ તો ગર્જના થઈ. બીજા લોકોએ કહ્યું: “દૂતે તેમની સાથે વાત કરી.”
૩૦ ઈસુએ જવાબ આપ્યો: “આ વાણી મારા માટે નહિ, પણ તમારા માટે થઈ છે.
૩૧ હવે, આ દુનિયાનો ન્યાય કરવામાં આવે છે; આ દુનિયાના અધિકારીને હવે કાઢી મૂકવામાં આવશે.
૩૨ પણ, જ્યારે મને વધસ્તંભે જડશો ત્યારે હું દરેક પ્રકારના માણસોને મારી તરફ ખેંચીશ.”
૩૩ હકીકતમાં, આ રીતે તે જણાવતા હતા કે પોતે કેવી રીતે મરણ પામશે.
૩૪ પછી, ટોળાએ તેમને જવાબ આપ્યો: “અમે નિયમશાસ્ત્રમાંથી સાંભળ્યું છે કે ખ્રિસ્ત કાયમ રહેશે. તો પછી, તમે કેમ કહો છો કે માણસના દીકરાને વધસ્તંભે જડવામાં આવશે? કોણ છે આ માણસનો દીકરો?”
૩૫ તેથી, ઈસુએ તેઓને કહ્યું: “હજુ થોડી વાર સુધી પ્રકાશ તમારી વચ્ચે હશે. પ્રકાશ તમારી પાસે છે ત્યાં સુધી ચાલતા રહો, જેથી તમારા પર અંધકાર છવાઈ ન જાય; જે કોઈ અંધકારમાં ચાલે છે, તે જાણતો નથી કે તે ક્યાં જાય છે.
૩૬ જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે, ત્યાં સુધી પ્રકાશમાં શ્રદ્ધા રાખો, જેથી તમે પ્રકાશના દીકરાઓ બનો.”
ઈસુ આ વાતો કહીને ચાલ્યા ગયા અને તેઓથી સંતાઈ ગયા.
૩૭ તેમણે તેઓની આગળ આટલા બધા ચમત્કારો કર્યા હતા, તેમ છતાં તેઓ તેમનામાં શ્રદ્ધા મૂકતા ન હતા.
૩૮ એ માટે કે પ્રબોધક યશાયાના આ શબ્દો પૂરા થાય: “હે યહોવા,* અમારી પાસેથી સાંભળેલી વાતો પર* કોણે શ્રદ્ધા મૂકી છે? અને યહોવાના* હાથની તાકાત કોની આગળ જાહેર કરવામાં આવી છે?”
૩૯ યશાયા આગળ જણાવે છે કે તેઓએ કેમ શ્રદ્ધા મૂકી નહિ:
૪૦ “તેમણે તેઓની આંખો આંધળી કરી દીધી છે અને તેઓના હૃદય કઠણ કરી દીધા છે, જેથી એવું ન થાય કે તેઓ પોતાની આંખોથી જુએ, હૃદયથી સમજે અને પાછા ફરે અને હું તેઓને સાજા કરું.”
૪૧ યશાયાએ આમ કહ્યું, કારણ કે તેમણે ખ્રિસ્તનો મહિમા જોયો હતો અને તેમણે તેમના વિશે જણાવ્યું હતું.
૪૨ તેમ છતાં, અધિકારીઓમાંથી ઘણાએ ઈસુ પર શ્રદ્ધા મૂકી. પણ, ફરોશીઓને કારણે તેઓએ તેમનો સ્વીકાર કર્યો નહિ, જેથી તેઓને સભાસ્થાનમાંથી કાઢી મૂકવામાં ન આવે;*
૪૩ કેમ કે તેઓને ઈશ્વર તરફથી મળતા માન કરતાં માણસ તરફથી મળતું માન વધારે વહાલું હતું.
૪૪ જોકે, ઈસુએ પોકારીને કહ્યું: “જે કોઈ મારા પર શ્રદ્ધા રાખે છે, તે ફક્ત મારા પર જ નહિ, મને મોકલનાર પર પણ શ્રદ્ધા રાખે છે;
૪૫ અને જે કોઈ મને જુએ છે તે મને મોકલનારને પણ જુએ છે.
૪૬ આ દુનિયામાં હું પ્રકાશ તરીકે આવ્યો છું, જેથી જે કોઈ મારામાં શ્રદ્ધા મૂકે છે તે અંધકારમાં ન રહે.
૪૭ પરંતુ, જો કોઈ મારી વાતો સાંભળે છે પણ એ પાળતો નથી, તો હું તેનો ન્યાય કરતો નથી; કેમ કે હું દુનિયાનો ન્યાય કરવા નહિ, પણ દુનિયાનો ઉદ્ધાર કરવા આવ્યો છું.
૪૮ જે કોઈ મારો સ્વીકાર કરતો નથી અને મારી વાતો પાળતો નથી, તેનો ન્યાય કરનાર એક છે. મેં કહેલી વાતો છેલ્લા દિવસે તેનો ન્યાય કરશે.
૪૯ કેમ કે હું મારી પોતાની રીતે બોલ્યો નથી, પણ મને મોકલનાર પિતાએ મને આજ્ઞા આપી છે કે મારે શું કહેવું અને શું બોલવું.
૫૦ હું જાણું છું કે તેમની આજ્ઞા હંમેશ માટેનું જીવન છે. એટલે, હું જે કંઈ બોલું છું, એ પિતાએ જણાવ્યું છે એ જ રીતે બોલું છું.”
ફૂટનોટ
^ અથવા, “મેજને અઢેલીને બેઠેલા.”
^ એટલે કે, રોમન સમયનું એક શેર (૧૧.૫ ઔં.).
^ માર્ક ૧૪:૩ની ફૂટનોટ જુઓ.
^ શબ્દસૂચિ જુઓ.
^ અથવા, “મબલખ પાક આપે છે.”
^ શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.
^ શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.
^ શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.
^ શબ્દસૂચિ જુઓ.
^ અથવા, “અમારા અહેવાલમાં.”
^ શબ્દસૂચિ જુઓ.