યોહાન ૨૦:૧-૩૧

  • ખાલી કબર (૧-૧૦)

  • મરિયમ માગદાલેણને ઈસુ દેખાયા (૧૧-૧૮)

  • ઈસુ પોતાના શિષ્યોને દેખાયા (૧૯-૨૩)

  • થોમાની શંકા પણ પછી ભરોસો (૨૪-૨૯)

  • આ વીંટાનો હેતુ (૩૦, ૩૧)

૨૦  અઠવાડિયાનો પહેલો દિવસ હતો અને વહેલી સવારે હજુ તો અંધારું હતું ત્યારે, મરિયમ માગદાલેણ કબર પાસે આવી. તેણે જોયું તો કબરના મુખ પરથી પથ્થર હટાવી દેવામાં આવ્યો હતો. ૨  એટલે, તે દોડતી દોડતી સિમોન પીતર અને બીજા એક શિષ્ય પાસે આવી, જે ઈસુને વહાલો હતો; તેણે તેઓને કહ્યું: “તેઓ પ્રભુને કબરમાંથી લઈ ગયા છે અને અમને ખબર નથી કે તેઓએ તેમને ક્યાં મૂક્યા છે.” ૩  પછી, પીતર અને એ શિષ્ય કબરે જવા નીકળ્યા. ૪  બંને સાથે દોડવા લાગ્યા, પણ બીજો શિષ્ય પીતર કરતાં વધારે ઝડપથી દોડ્યો અને કબરે પહેલો પહોંચી ગયો. ૫  તેણે આગળ નમીને જોયું તો શણનાં કપડાં ત્યાં પડેલાં હતાં, પણ તે અંદર ગયો નહિ. ૬  પછી, તેની પાછળ સિમોન પીતર પણ આવ્યો અને તે કબરની અંદર ગયો. અને તેણે ત્યાં શણનાં કપડાં પડેલાં જોયાં. ૭  ઈસુના માથા પર વીંટાળેલું કપડું બીજાં કપડાં સાથે ત્યાં પડેલું ન હતું, પણ વાળીને એક બાજુ મૂકેલું હતું. ૮  પછી, જે શિષ્ય કબરે પહેલા પહોંચ્યો હતો, તે પણ અંદર ગયો; તેણે એ જોયું અને તેઓને જે કહેવામાં આવ્યું હતું, એના પર ભરોસો કર્યો. ૯  પણ, ઈસુ મરણમાંથી જીવતા થશે, એ શાસ્ત્રવચન તેઓ હજુ સમજતા ન હતા. ૧૦  તેથી, શિષ્યો પાછા પોતાના ઘરે ચાલ્યા ગયા. ૧૧  જોકે, મરિયમ હજુ કબરની બહાર ઊભી રહીને રડતી હતી. તે રડતાં રડતાં આગળ નમીને કબરની અંદર જોવા લાગી ૧૨  અને તેણે સફેદ કપડાંમાં બે દૂતોને જોયા; ઈસુનું શબ જે જગ્યાએ મૂક્યું હતું ત્યાં તેઓ બેઠા હતા, એક દૂત માથા તરફ અને એક દૂત પગ તરફ. ૧૩  તેઓએ તેને કહ્યું: “હે સ્ત્રી, તું કેમ રડે છે?” તેણે તેઓને કહ્યું: “તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને મને ખબર નથી કે તેઓએ તેમને ક્યાં મૂક્યા છે.” ૧૪  એમ કહીને તે પાછળ ફરી તો તેણે ઈસુને ઊભેલા જોયા. પણ, એ ઈસુ છે, એવો તેને ખ્યાલ ન આવ્યો. ૧૫  ઈસુએ તેને પૂછ્યું: “હે સ્ત્રી, તું કેમ રડે છે? તું કોને શોધે છે?” મરિયમને થયું કે તે માળી હશે, એટલે તેણે કહ્યું: “ભાઈ, જો તમે તેમને લઈ ગયા હો, તો મને કહો કે તમે તેમને ક્યાં મૂક્યા છે અને હું તેમને લઈ જઈશ.” ૧૬  ઈસુએ તેને કહ્યું: “મરિયમ!” તેણે પાછળ ફરીને હિબ્રૂમાં તેમને કહ્યું: “રાબ્બોની!” (જેનો અર્થ થાય, “ગુરુજી!”) ૧૭  ઈસુએ તેને કહ્યું: “મને પકડી ન રાખ, કેમ કે હું હજુ પિતા પાસે ગયો નથી. પણ, મારા ભાઈઓ પાસે જા અને તેઓને કહે કે, ‘હું મારા પિતા અને તમારા પિતા, મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે જાઉં છું.’” ૧૮  એટલે, મરિયમ માગદાલેણ શિષ્યો પાસે આવી અને તેઓને ખબર આપી: “મેં પ્રભુને જોયા છે!” અને ઈસુએ તેને જે કહ્યું હતું, એ તેઓને જણાવ્યું. ૧૯  હવે, અઠવાડિયાના પહેલા દિવસની સાંજ ઢળી ચૂકી હતી. યહુદીઓની બીકને લીધે, શિષ્યો બારણાં બંધ કરીને ઘરમાં ભેગા થયા હતા. ઈસુ ત્યાં આવ્યા અને તેઓની વચ્ચે ઊભા રહીને કહ્યું: “તમને શાંતિ થાઓ.” ૨૦  આટલું કહીને તેમણે પોતાના હાથ અને પોતાનું પડખું તેઓને બતાવ્યા. શિષ્યો પ્રભુને જોઈને બહુ ખુશ થયા. ૨૧  ઈસુએ તેઓને ફરીથી કહ્યું: “તમને શાંતિ થાઓ. જેમ પિતાએ મને મોકલ્યો છે, તેમ હું પણ તમને મોકલું છું.” ૨૨  એમ કહીને તેમણે તેઓ પર ફૂંક મારી અને કહ્યું: “પવિત્ર શક્તિ મેળવો. ૨૩  જો તમે કોઈનાં પાપ માફ કરો, તો એ માફ કરાશે; જો તમે કોઈનાં પાપ માફ નહિ કરો, તો એ માફ નહિ કરાશે.” ૨૪  પણ, ઈસુ આવ્યા ત્યારે, બાર શિષ્યોમાંનો એક થોમા તેઓની સાથે ન હતો, જે જોડિયો કહેવાતો હતો. ૨૫  એટલે, બીજા શિષ્યો તેને કહેવા લાગ્યા: “અમે પ્રભુને જોયા છે!” પણ, તેણે તેઓને કહ્યું: “જ્યાં સુધી હું તેમના હાથમાં ખીલાના નિશાન ન જોઉં અને એમાં મારી આંગળી ન નાખું અને તેમના પડખામાં મારો હાથ ન નાખું, ત્યાં સુધી હું ભરોસો કરવાનો જ નથી.” ૨૬  હવે, આઠ દિવસ પછી, તેમના શિષ્યો ફરીથી ઘરની અંદર હતા અને થોમા તેઓની સાથે હતો. બારણાં બંધ હોવા છતાં, ઈસુ આવ્યા અને તેઓની વચ્ચે ઊભા રહીને તેમણે કહ્યું: “તમને શાંતિ થાઓ.” ૨૭  પછી, તેમણે થોમાને કહ્યું: “તારી આંગળી અહીં મૂક અને મારા હાથ જો; તારો હાથ મારા પડખામાં નાખ અને શંકા કરવાનું* બંધ કર, પણ ભરોસો કર.” ૨૮  જવાબમાં થોમાએ તેમને કહ્યું: “મારા પ્રભુ, મારા ઈશ્વર!” ૨૯  ઈસુએ તેને કહ્યું: “શું તેં મને જોયો એટલે તું ભરોસો કરે છે? જેઓ જોયા વગર ભરોસો કરે છે, તેઓ સુખી છે!” ૩૦  ઈસુએ શિષ્યો આગળ બીજા ઘણા ચમત્કારો પણ કર્યા હતા, જે આ વીંટામાં* લખેલા નથી. ૩૧  પરંતુ, જે લખવામાં આવ્યું એ એટલા માટે લખાયું, જેથી તમે શ્રદ્ધા મૂકો કે ઈસુ એ જ ખ્રિસ્ત છે, તે ઈશ્વરના દીકરા છે; અને આમ શ્રદ્ધા મૂકવાથી તેમના નામ દ્વારા તમને જીવન મળે.

ફૂટનોટ

મૂળ અર્થ, “અવિશ્વાસી બનવાનું.”
શબ્દસૂચિ જુઓ.