લૂક ૧૦:૧-૪૨

  • ઈસુ ૭૦ને મોકલે છે (૧-૧૨)

  • પસ્તાવો ન કરનારાં શહેરોને હાય હાય (૧૩-૧૬)

  • ૭૦ પાછા ફરે છે (૧૭-૨૦)

  • નમ્ર પર કૃપા કરવાને લીધે, ઈસુ પિતાની સ્તુતિ કરે છે (૨૧-૨૪)

  • ભલા સમરૂનીનું ઉદાહરણ (૨૫-૩૭)

  • માર્થા અને મરિયમની મુલાકાતે ઈસુ (૩૮-૪૨)

૧૦  એ બનાવો પછી, પ્રભુએ બીજા ૭૦ને પસંદ કર્યા અને તે જે જે શહેર અને જગ્યાએ જવાના હતા, ત્યાં પોતાની આગળ બબ્બેને મોકલ્યા. ૨  અને તેમણે તેઓને કહ્યું: “સાચે જ, ફસલ તો ઘણી છે પણ મજૂરો થોડા છે. એ માટે, ફસલના માલિકને વિનંતી કરો કે કાપણી માટે વધારે મજૂરો મોકલે. ૩  તમે જાઓ. જુઓ, હું તમને વરૂઓની વચ્ચે ઘેટાં જેવાં મોકલું છું. ૪  પૈસાની થેલી કે ખોરાકની ઝોળી ન લો અથવા ચંપલ ન લો અને રસ્તા પર કોઈને સલામ કરશો નહિ.* ૫  જે કોઈ ઘરમાં તમે જાઓ ત્યાં પહેલા કહો: ‘આ ઘરને શાંતિ થાઓ.’ ૬  જો કોઈ શાંતિપ્રિય માણસ ત્યાં હશે, તો તમારી શાંતિ તેના પર રહેશે. પણ, જો નહિ હોય તો એ તમારી પાસે પાછી આવશે. ૭  એ ઘરમાં રહો. તેઓ જે આપે એ ખાઓ-પીઓ, કેમ કે મજૂર તેની મજૂરી મેળવવા માટે લાયક છે. રહેવા માટે એક ઘરથી બીજા ઘરે જશો નહિ. ૮  “વધુમાં, જે કોઈ શહેરમાં તમે જાઓ અને તેઓ તમારો આવકાર કરે ત્યારે, તમારી આગળ જે મૂકે એ ખાઓ; ૯  અને ત્યાંના બીમાર લોકોને સાજા કરો અને તેઓને જણાવો: ‘ઈશ્વરનું રાજ્ય તમારી નજીક આવ્યું છે.’ ૧૦  પરંતુ, જે કોઈ શહેરમાં તમે જાઓ અને તેઓ તમારો આવકાર ન કરે તો, એના મુખ્ય રસ્તાઓ પર જાઓ અને કહો: ૧૧  ‘તમારા શહેરની જે ધૂળ અમારા પગને લાગી હતી, એ પણ અમે તમારી વિરુદ્ધ ખંખેરી નાખીએ છીએ. તેમ છતાં, એ ધ્યાનમાં રાખો કે ઈશ્વરનું રાજ્ય નજીક આવ્યું છે.’ ૧૨  હું તમને જણાવું છું કે એ દિવસે એ શહેર કરતાં સદોમની દશા વધારે સારી હશે. ૧૩  “ઓ ખોરાઝીન, તને હાય હાય! ઓ બેથસૈદા, તને હાય હાય! કેમ કે તમારામાં થયેલાં શક્તિશાળી કાર્યો તૂર અને સિદોનમાં* થયાં હોત તો, તેઓએ ઘણા સમય પહેલાં તાટ ઓઢીને અને રાખમાં બેસીને પસ્તાવો કર્યો હોત. ૧૪  એટલે, ન્યાયના દિવસે તમારા કરતાં તૂર અને સિદોનની દશા વધારે સારી હશે. ૧૫  ઓ કાપરનાહુમ, શું તું એમ માને છે કે તને આકાશ સુધી ઊંચું કરાશે? તું તો નીચે કબરમાં* જશે! ૧૬  “જે કોઈ તમારું સાંભળે છે, તે મારું પણ સાંભળે છે અને જે કોઈ તમારો નકાર કરે છે, તે મારો પણ નકાર કરે છે. વધુમાં, જે કોઈ મારો નકાર કરે છે, તે મને મોકલનારનો પણ નકાર કરે છે.” ૧૭  પછી, ૭૦ શિષ્યો ખુશ થતાં થતાં પાછા આવ્યા અને કહ્યું: “પ્રભુ, તમારા નામથી દુષ્ટ દૂતો પણ અમને આધીન થયા.” ૧૮  ત્યારે તેમણે તેઓને કહ્યું: “હું જોઉં છું કે શેતાન વીજળીની જેમ સ્વર્ગમાંથી પડી ચૂક્યો છે. ૧૯  જુઓ! મેં તમને સર્પો અને વીંછીઓને પગ નીચે કચડી નાખવાનો અધિકાર આપ્યો છે તથા દુશ્મનની બધી તાકાત પર અધિકાર આપ્યો છે અને તમને કશાથી જરાય નુકસાન થશે નહિ. ૨૦  તેમ છતાં, દુષ્ટ દૂતો તમને આધીન કરવામાં આવ્યા છે એ માટે ખુશ ન થાઓ, પણ તમારા નામ સ્વર્ગમાં લખાયેલા છે, એ માટે ખુશ થાઓ.” ૨૧  એ જ ઘડીએ, તે પવિત્ર શક્તિથી આનંદિત થઈને બોલી ઊઠ્યા: “હે પિતા, સ્વર્ગ અને પૃથ્વીના પ્રભુ, હું બધા આગળ તમારી સ્તુતિ કરું છું, કેમ કે તમે આ વાતો શાણા અને જ્ઞાની લોકોથી સંતાડી રાખી છે અને નાનાં બાળકો જેવાં નમ્ર લોકોને પ્રગટ કરી છે. હા પિતા, કેમ કે એમ કરવું તમને પસંદ પડ્યું છે. ૨૨  મારા પિતાએ મને સર્વ બાબતો સોંપી છે; અને દીકરો કોણ છે, એ પિતા સિવાય કોઈ જાણતું નથી અને પિતા કોણ છે, એ દીકરા સિવાય અને દીકરો જેને પ્રગટ કરવા ચાહે તેના સિવાય કોઈ જાણતું નથી.” ૨૩  એમ કહીને તે શિષ્યો તરફ ફર્યા અને ખાનગીમાં તેઓને કહ્યું: “તમે જે જુઓ છો, એ જોનારા સુખી છે. ૨૪  હું તમને કહું છું: તમે જે જોઈ રહ્યા છો, એ જોવાની ઘણા પ્રબોધકો અને રાજાઓની ઇચ્છા હતી, પણ તેઓને એ જોવા ન મળ્યું; અને તમે જે સાંભળી રહ્યા છો એ સાંભળવાની તેઓની ઇચ્છા હતી, પણ તેઓને એ સાંભળવા ન મળ્યું.” ૨૫  હવે જુઓ! નિયમશાસ્ત્રનો એક પંડિત ઈસુની કસોટી કરવા ઊભો થયો અને પૂછ્યું: “ગુરુજી, હંમેશ માટેના જીવનનો વારસો મેળવવા મારે શું કરવું જોઈએ?” ૨૬  તેમણે તેને કહ્યું: “નિયમશાસ્ત્રમાં શું લખેલું છે? તને શું સમજણ પડી?” ૨૭  જવાબમાં તેણે કહ્યું: “‘તારા ઈશ્વર યહોવાને* તું તારા પૂરા હૃદયથી અને તારા પૂરા જીવથી* અને તારા પૂરા બળથી અને તારા પૂરા મનથી પ્રેમ કર’ તથા ‘તું પોતાના પર રાખે છે એવો પ્રેમ પડોશી* પર રાખ.’” ૨૮  તેમણે તેને જણાવ્યું: “તેં ખરું કહ્યું; એમ કરતો રહેજે અને તને જીવન મળશે.” ૨૯  પરંતુ, પોતાને ન્યાયી ઠરાવવા એ માણસે ઈસુને પૂછ્યું: “મારો પડોશી ખરેખર કોણ છે?” ૩૦  જવાબમાં ઈસુએ કહ્યું: “એક માણસ યરૂશાલેમથી નીચે ઊતરીને યરીખો જઈ રહ્યો હતો અને લુટારાઓનો શિકાર બન્યો; તેઓએ તેનાં કપડાં ઉતારી લીધાં, તેને માર માર્યો અને અધમૂઓ મૂકીને જતા રહ્યા. ૩૧  હવે એવું બન્યું કે એક યાજક એ રસ્તા પરથી જતો હતો, પણ જ્યારે તેણે એ માણસને જોયો ત્યારે તે સામેની બાજુથી ચાલ્યો ગયો. ૩૨  એવી જ રીતે, એક લેવી એ જગ્યાએ આવ્યો અને તેને જોયો ત્યારે, તે પણ સામેની બાજુથી ચાલ્યો ગયો. ૩૩  પણ, એ રસ્તા પરથી એક સમરૂની મુસાફરી કરી રહ્યો હતો અને ત્યાં આવી પહોંચ્યો અને તેને જોઈને તેનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું. ૩૪  એટલે, તે તેની પાસે ગયો અને તેના ઘા પર તેલ તથા દ્રાક્ષદારૂ રેડીને પાટા બાંધ્યા. પછી, પોતાના જાનવર પર તેને નાખ્યો અને ધર્મશાળામાં લઈ ગયો અને તેની સંભાળ રાખી. ૩૫  પછીના દિવસે, તેણે બે દીનાર કાઢીને ધર્મશાળાની દેખરેખ રાખનારને આપ્યા અને કહ્યું, ‘તેની સંભાળ રાખજે અને આના સિવાય જે કંઈ ખર્ચ તું કરે, એ હું પાછો આવીશ ત્યારે તને ભરી આપીશ.’ ૩૬  તને શું લાગે છે, પેલા લુટારાઓનો શિકાર બનેલા માણસનો પડોશી આ ત્રણમાંથી કોણ બન્યો?” ૩૭  તેણે કહ્યું: “જે તેની સાથે દયાથી વર્ત્યો તે.” પછી, ઈસુએ તેને કહ્યું: “જા અને તું પણ એમ કર.” ૩૮  હવે, તેઓ પોતાના માર્ગે જતા હતા ત્યારે તેઓએ એક ગામમાં પ્રવેશ કર્યો. અહીં માર્થા નામની એક સ્ત્રીએ પોતાના ઘરે તેમને મહેમાન તરીકે આવકાર આપ્યો. ૩૯  મરિયમ નામની તેની એક બહેન પણ હતી; તે પ્રભુના પગ પાસે બેસીને તેમની વાતો* સાંભળી રહી હતી. ૪૦  જ્યારે કે માર્થાનું ધ્યાન ઘણાં કામોમાં ફંટાઈ ગયું હતું. તેથી, તેણે ઈસુ પાસે આવીને કહ્યું: “પ્રભુ, તમને કંઈ પડી નથી કે મારી બહેને બધું કામ મારી એકલીના માથે નાખ્યું છે? તેને કહો કે આવીને મને મદદ કરે.” ૪૧  જવાબમાં પ્રભુએ તેને કહ્યું: “માર્થા, માર્થા, તું ઘણી વાતોની ચિંતા કરે છે અને હેરાન થાય છે. ૪૨  જોકે, આપણને ઘણી બાબતોની જરૂર નથી, કદાચ એક જ પૂરતી છે. મરિયમે પોતાના માટે સારો ભાગ* પસંદ કર્યો છે અને એ તેની પાસેથી લઈ લેવામાં આવશે નહિ.”

ફૂટનોટ

એમાં ચુંબનો, ભેટવું અને લાંબી વાતચીત જેવી સમય લેનારી શુભેચ્છાનો સમાવેશ થતો હોય શકે.
આ યહુદી શહેરો ન હતાં.
અથવા, “હાડેસ.” શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.
‘પડોશી’ માટેના મૂળ ગ્રીક શબ્દનો અર્થ ફક્ત બાજુમાં રહેનાર નહિ, કોઈ પણ વ્યક્તિ થઈ શકે.
મૂળ અર્થ, “તેમનો શબ્દ.”
અથવા, “સૌથી સારો ભાગ.”