લૂક ૧૨:૧-૫૯
-
ફરોશીઓનું ખમીર (૧-૩)
-
ઈશ્વરનો ડર રાખો, માણસોનો નહિ (૪-૭)
-
ખ્રિસ્ત સાથે એકતામાં હોવાનો સ્વીકાર કરવો (૮-૧૨)
-
મૂર્ખ ધનવાન માણસનું ઉદાહરણ (૧૩-૨૧)
-
ચિંતા કરવાનું બંધ કરો (૨૨-૩૪)
-
નાની ટોળી (૩૨)
-
-
તૈયાર રહેવું (૩૫-૪૦)
-
વિશ્વાસુ ચાકર અને અવિશ્વાસુ ચાકર (૪૧-૪૮)
-
શાંતિ નહિ, પણ ભાગલા (૪૯-૫૩)
-
સમય પારખવો જોઈએ (૫૪-૫૬)
-
સુલેહ-શાંતિ કરવી (૫૭-૫૯)
૧૨ એ સમયે હજારો લોકોનું એટલું મોટું ટોળું ભેગું થયું હતું કે તેઓ એકબીજા પર પડાપડી કરતા હતા ત્યારે, ઈસુ પહેલા પોતાના શિષ્યોને કહેવા લાગ્યા: “ફરોશીઓના ખમીરથી,* એટલે કે ઢોંગથી સાવચેત રહો.
૨ પરંતુ, એવું કંઈ જ સાવચેતીથી છુપાવેલું નથી, જે જાહેર કરવામાં નહિ આવે અને એવું કંઈ જ ખાનગી નથી, જે ઉઘાડું પાડવામાં નહિ આવે.
૩ એટલે, જે તમે અંધારામાં કહો છો એ અજવાળામાં સંભળાશે અને જે તમે ઘરના અંદરના ઓરડાઓમાં ધીમેથી કહો છો, એ છાપરે ચઢીને જાહેર કરવામાં આવશે.
૪ વધુમાં, મારા મિત્રો, હું તમને કહું છું, જેઓ તમને મારી નાખી શકે છે અને પછી વધારે કંઈ કરી નથી શકતા, તેઓથી ડરશો નહિ.
૫ પણ, હું તમને કહું કે કોનાથી ડરવું જોઈએ: મારી નાખ્યા પછી, ગેહેન્નામાં* નાખી દેવાનો જેમની પાસે અધિકાર છે, તેમનાથી ડરો. હા, હું તમને જણાવું છું કે તેમનાથી ડરો.
૬ શું પાંચ ચકલીઓ બે પૈસે* વેચાતી નથી? છતાં, એમાંની એકને પણ ઈશ્વર ભૂલી જતા નથી.*
૭ પરંતુ, તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે. બીશો નહિ, ઘણી ચકલીઓ કરતાં તમે વધારે મૂલ્યવાન છો.
૮ “હું તમને કહું છું, લોકો આગળ જે કોઈ મારો સ્વીકાર કરે છે, તેનો સ્વીકાર માણસનો દીકરો પણ ઈશ્વરના દૂતો આગળ કરશે.
૯ પણ, લોકો આગળ જે કોઈ મારો નકાર કરે છે, તેનો ઈશ્વરના દૂતો આગળ નકાર કરવામાં આવશે.
૧૦ અને જે કોઈ માણસના દીકરાની વિરુદ્ધ કંઈ બોલશે તેને માફ કરવામાં આવશે, પણ જે કોઈ પવિત્ર શક્તિ વિરુદ્ધ નિંદા કરશે, તેને માફ કરવામાં નહિ આવે.
૧૧ જ્યારે તેઓ તમને લોક-અદાલતો,* સરકારી અધિકારીઓ અને સત્તાવાળાઓની સામે લાવે, ત્યારે ચિંતા ન કરશો કે પોતાનો બચાવ કઈ રીતે કરશો અથવા તમે શું કહેશો;
૧૨ કેમ કે તમારે શું કહેવું એ પવિત્ર શક્તિ તમને એ જ ઘડીએ શીખવશે.”
૧૩ પછી, ટોળામાંથી કોઈએ તેમને કહ્યું: “ગુરુજી, મારા ભાઈને કહો કે મારી સાથે વારસો વહેંચે.”
૧૪ તેમણે તેને કહ્યું: “તમારા બે પર મને કોણે ન્યાયાધીશ કે પંચ ઠરાવ્યો?”
૧૫ પછી, તેમણે તેઓને કહ્યું: “તમારી આંખો ખુલ્લી રાખો અને દરેક પ્રકારના લોભથી* સાવધાન રહો, કેમ કે ભલે વ્યક્તિ પાસે ઘણું હોય, તોપણ તેની મિલકતથી તેને જીવન મળતું નથી.”
૧૬ એમ જણાવીને તેમણે તેઓને એક ઉદાહરણ આપ્યું: “એક ધનવાન માણસની જમીનમાંથી ઘણી ઊપજ થઈ.
૧૭ તેથી, તે મનમાં વિચારવા લાગ્યો: ‘હવે હું શું કરું, કેમ કે મારી પાસે અનાજ ભરવા કોઈ જગ્યા નથી?’
૧૮ પછી, તેણે કહ્યું: ‘હું આમ કરીશ: હું મારા કોઠારો તોડી નાખીશ અને એનાથી મોટા બંધાવીશ અને ત્યાં હું મારું બધું અનાજ અને મારી વસ્તુઓ ભેગા કરીશ;
૧૯ અને હું પોતાને* કહીશ: “ઘણાં વર્ષો માટે તારી* પાસે ઘણી સારી વસ્તુઓ ભેગી કરેલી છે; આરામ કર, ખા, પી અને મજા કર.”’
૨૦ પરંતુ, ઈશ્વરે તેને કહ્યું, ‘ઓ મૂર્ખ, આજે રાત્રે તેઓ તારી પાસેથી તારું જીવન માંગે છે. તો પછી, તેં જે વસ્તુઓ ભેગી કરી છે એ કોની થશે?’
૨૧ એટલે, જે પોતાના માટે ધનદોલત ભેગી કરે છે, પણ ઈશ્વરની નજરમાં ધનવાન નથી, તે પેલા માણસ જેવો છે.”
૨૨ ત્યાર બાદ, તેમણે પોતાના શિષ્યોને કહ્યું: “એટલે હું તમને જણાવું છું, તમારા જીવનની ચિંતા કરવાનું બંધ કરો કે તમે શું ખાશો અથવા તમારા શરીરની ચિંતા કરવાનું બંધ કરો કે તમે શું પહેરશો.
૨૩ કેમ કે ખોરાક કરતાં જીવન અને કપડાં કરતાં શરીર વધારે કીમતી છે.
૨૪ કાગડાઓનો વિચાર કરો: તેઓ બી વાવતા નથી અને લણતા નથી; તેઓ પાસે વખાર કે કોઠાર હોતા નથી; છતાં, ઈશ્વર તેઓને ખાવાનું આપે છે. શું પક્ષીઓ કરતાં તમે વધારે મૂલ્યવાન નથી?
૨૫ તમારામાંથી ચિંતા કરીને કોણ પોતાના જીવનને એક હાથભર* લંબાવી શકે એમ છે?
૨૬ તેથી, જો તમે આટલી નાની બાબત કરી નથી શકતા, તો શા માટે બાકીની બાબતો વિશે ચિંતા કરો છો?
૨૭ ફૂલો કઈ રીતે ઊગે છે એનો વિચાર કરો: તેઓ નથી મજૂરી કરતા કે નથી કાંતતાં; તોપણ, હું તમને કહું છું કે સુલેમાને પણ પોતાની જાહોજલાલીમાં એ ફૂલોમાંના એકના જેવાં સુંદર કપડાં પહેર્યાં નહિ હોય.
૨૮ હવે, ખેતરનાં ફૂલછોડ જે આજે છે અને કાલે આગમાં નંખાય છે, એને ઈશ્વર આટલી સુંદર રીતે સજાવે છે; તો પછી, હે ઓછી શ્રદ્ધાવાળાઓ, તે તમને એથીયે વધારે સારાં કપડાં પહેરાવશે એમાં શી શંકા!
૨૯ તેથી, એ વિચારવાનું બંધ કરો કે તમે શું ખાશો, શું પીશો અને વધારે પડતી ચિંતા ન કરો;
૩૦ કેમ કે આ બધા પાછળ તો દુનિયાના લોકો દોડે છે, પણ તમારા પિતા જાણે છે કે તમને એની જરૂર છે.
૩૧ પરંતુ, તેમના રાજ્યને શોધતા રહો અને એ બધું તમને આપવામાં આવશે.
૩૨ “ઓ નાની ટોળી, બીશો નહિ, કેમ કે તમારા પિતાએ તમને રાજ્ય આપવાનું મંજૂર કર્યું છે.
૩૩ તમારી માલમિલકત વેચી નાખો અને દાનો આપો. પૈસાની એવી થેલીઓ બનાવો જે ઘસાય નહિ, એટલે કે સ્વર્ગમાં એવી ધનદોલત ભેગી કરો જે કદી ખૂટતી નથી, જ્યાં કોઈ ચોર પહોંચે નહિ અને કોઈ કીડા ખાય નહિ.
૩૪ કેમ કે જ્યાં તમારી ધનદોલત છે, ત્યાં જ તમારું દિલ પણ હશે.
૩૫ “તૈયાર રહો* અને તમારા દીવા સળગાવેલા રાખો
૩૬ અને તમે એવા ચાકરો જેવા થાઓ, જેઓ લગ્નમાંથી પોતાના માલિકના પાછા આવવાની રાહ જુએ છે, જેથી તે આવે અને દરવાજો ખખડાવે ત્યારે, તેઓ તરત તેના માટે ખોલી શકે.
૩૭ એ ચાકરોને ધન્ય છે, જેઓને માલિક આવીને રાહ જોતા જોશે! સાચે જ હું કહું છું, તે સેવા કરવા માટે તૈયાર થશે* અને તેઓને મેજ પર બેસાડશે અને આવીને તેઓની સેવા કરશે.
૩૮ જો તે બીજા પહોરે* આવે, અરે જો તે ત્રીજા પહોરે* આવે અને તેઓને તૈયાર જુએ, તો તેઓને ધન્ય છે!
૩૯ પણ, આ જાણો: જો ઘરમાલિકને ખબર હોત કે ચોર કઈ ઘડીએ આવવાનો છે, તો તેણે પોતાના ઘરમાં ચોરી થવા દીધી ન હોત.
૪૦ તમે પણ તૈયાર રહો, કારણ કે તમે ધારતા નથી એ ઘડીએ માણસનો દીકરો આવે છે.”
૪૧ પછી, પીતરે કહ્યું: “પ્રભુ, આ ઉદાહરણ તમે ફક્ત અમારા માટે કહો છો કે બધા માટે?”
૪૨ પ્રભુએ કહ્યું: “વિશ્વાસુ અને સમજુ* કારભારી* કોણ છે, જેને તેનો માલિક પોતાના ચાકરોના* જૂથ પર ઠરાવશે, જેથી તે તેઓને યોગ્ય સમયે પૂરતો ખોરાક આપતો રહે?
૪૩ એ ચાકરને ધન્ય છે, જેનો માલિક આવીને તેને એમ કરતો જુએ!
૪૪ હું તમને સાચે જ જણાવું છું, તે તેને પોતાની બધી માલમિલકત પર કારભારી ઠરાવશે.
૪૫ પણ, જો કદીયે એ ચાકર પોતાના મનમાં વિચારે કે ‘મારા માલિકને આવતા મોડું થાય છે’ અને દાસ-દાસીઓને મારવા લાગે તથા ખાવા-પીવા અને દારૂડિયો થવા લાગે,
૪૬ તો એ ચાકર ધારતો નથી એ દિવસે અને તે જાણતો નથી એ ઘડીએ તેનો માલિક આવી પહોંચશે; અને તે તેને કડકમાં કડક સજા કરશે અને વિશ્વાસુ નથી એવા લોકો જેવા તેના હાલ કરશે.
૪૭ પછી, જે ચાકર પોતાના માલિકની ઇચ્છા સમજતો હતો, છતાં તૈયાર ન રહ્યો અથવા તેના કહેવા પ્રમાણે ન કર્યું,* તેને ઘણા ફટકા મારવામાં આવશે.
૪૮ પરંતુ, જે ચાકર ન સમજ્યો અને છતાં ફટકા ખાવાલાયક કામો કર્યાં, તેને ઓછા ફટકા પડશે. હકીકતમાં, જે દરેકને વધારે આપવામાં આવ્યું છે, તેની પાસેથી વધારે માંગવામાં આવશે અને જેને વધારે જવાબદારી સોંપવામાં આવી છે, તેની પાસેથી પુષ્કળ માંગવામાં આવશે.
૪૯ “હું પૃથ્વી પર આગ લગાડવા આવ્યો છું, પણ એ પહેલેથી લગાડી દેવામાં આવી હોય તો મને બીજું શું જોઈએ?
૫૦ સાચે જ, એક બાપ્તિસ્મા છે જે મારે લેવાનું છે અને એ પૂરું ન થાય ત્યાં સુધી, મારું મન ભારે પીડા અનુભવે છે!
૫૧ શું તમને લાગે છે કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું? ના, પણ હું તમને જણાવું છું કે, હું ભાગલા પાડવા આવ્યો છું.
૫૨ કેમ કે હવેથી, એક ઘરના પાંચ લોકોમાં ભાગલા પડશે, બેની વિરુદ્ધ ત્રણ અને ત્રણની વિરુદ્ધ બે.
૫૩ તેઓમાં ભાગલા પડશે, દીકરા વિરુદ્ધ પિતા, પિતા વિરુદ્ધ દીકરો, દીકરી વિરુદ્ધ મા, મા વિરુદ્ધ દીકરી, વહુ વિરુદ્ધ સાસુ અને સાસુ વિરુદ્ધ વહુ થશે.”
૫૪ પછી, તેમણે લોકોને પણ કહ્યું: “તમે પશ્ચિમમાં વાદળ ચઢતું જુઓ ત્યારે તરત કહો છો, ‘ભારે પવનથી ઝાપટું પડશે’ અને એમ થાય છે.
૫૫ અને તમે દક્ષિણથી પવન વાતો જુઓ ત્યારે, કહો છો કે ‘લૂ વાશે’ અને એમ થાય છે.
૫૬ ઢોંગીઓ, હવામાન કેવું હશે એ તમે પારખી જાણો છો, પણ કેમ તમે આ ખાસ સમયને પારખવાનું જાણતા નથી?
૫૭ તમે તમારા માટે કેમ નક્કી નથી કરતા કે ખરું શું છે?
૫૮ દાખલા તરીકે, તમારી વિરુદ્ધ ફરિયાદ કરનારની સાથે તમે અધિકારી પાસે જતા હો ત્યારે, માર્ગમાં જ તેની સાથે સુલેહ-શાંતિ કરી લો, જેથી એવું ન થાય કે તે તમને ન્યાયાધીશને સોંપી દે અને ન્યાયાધીશ તમને અમલદારને સોંપી દે અને અમલદાર તમને કેદખાનામાં નાખે.
૫૯ હું તમને જણાવું છું, જ્યાં સુધી તમે પાઈએ પાઈ* ચૂકવી ન દો, ત્યાં સુધી તમે ચોક્કસ ત્યાંથી નીકળી નહિ શકો.”
ફૂટનોટ
^ શબ્દસૂચિ જુઓ.
^ શબ્દસૂચિ જુઓ.
^ અથવા, “નજર બહાર રહેતી નથી.”
^ અથવા, “સભાસ્થાનો.”
^ અથવા, “લાલચથી.”
^ શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.
^ શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.
^ ૪૪.૫ સે.મી. (૧૭.૫ ઇંચ).
^ અથવા, “કમર કસો.”
^ અથવા, “કમર કસશે.”
^ રાતના આશરે નવ વાગ્યાથી મધરાત સુધી.
^ મધરાતથી સવારના આશરે ત્રણ વાગ્યા સુધી.
^ અથવા, “શાણો.”
^ અથવા, “ઘરની દેખરેખ રાખનાર.”
^ અથવા, “ઘરના દાસોના.”
^ અથવા, “તેની ઇચ્છા પ્રમાણે ન કર્યું.”
^ મૂળ અર્થ, “છેલ્લો લેપ્ટન.” શબ્દસૂચિમાં “લેપ્ટન” જુઓ.