લૂક ૧૪:૧-૩૫

  • સાબ્બાથે જલોદર થયેલો માણસ સાજો કરાયો (૧-૬)

  • નમ્ર મહેમાન બનો (૭-૧૧)

  • પાછું વાળી ન શકે તેઓને આમંત્રણ આપો (૧૨-૧૪)

  • બહાનાં કાઢતાં મહેમાનોનું ઉદાહરણ (૧૫-૨૪)

  • શિષ્ય બનવાની કિંમત (૨૫-૩૩)

  • મીઠું બેસ્વાદ બને છે (૩૪, ૩૫)

૧૪  બીજા એક પ્રસંગે, ઈસુ ફરોશીઓના આગેવાનોમાંના એકના ઘરે સાબ્બાથના દિવસે જમવા ગયા અને તેઓની નજર તેમના પર હતી. ૨  અને જુઓ! એક માણસ જેને જલોદરનો રોગ* હતો, તે તેમની સામે હતો. ૩  તેથી, ઈસુએ નિયમશાસ્ત્રના પંડિતો અને ફરોશીઓને પૂછ્યું: “સાબ્બાથના દિવસે સાજા કરવું નિયમ પ્રમાણે બરાબર છે કે નહિ?” ૪  પરંતુ, તેઓ ચૂપ રહ્યા. એટલે, તેમણે એ માણસ પર હાથ મૂક્યો, તેને સાજો કર્યો અને તેને મોકલી આપ્યો. ૫  પછી, તેમણે તેઓને કહ્યું: “તમારામાંથી એવો કોણ છે, જેનો દીકરો અથવા બળદ સાબ્બાથના દિવસે કૂવામાં પડી જાય તો, તે એને તરત બહાર ખેંચી નહિ કાઢે?” ૬  તેઓ આનો જવાબ આપી શક્યા નહિ. ૭  પછી, આમંત્રણ મળેલા લોકો જે રીતે પોતાના માટે મુખ્ય જગ્યા પસંદ કરી રહ્યા હતા, એ તેમણે જોયું ત્યારે તેઓને એક ઉદાહરણ જણાવ્યું. તેમણે તેઓને કહ્યું: ૮  “લગ્‍નની મિજબાની માટે તમને કોઈ આમંત્રણ આપે ત્યારે, મુખ્ય જગ્યા પર બેસશો નહિ. કદાચ તમારાથી વધારે મહત્ત્વની વ્યક્તિને પણ બોલાવવામાં આવી હોય. ૯  પછી, તમને બંનેને આમંત્રણ આપનાર આવશે અને તમને કહેશે, ‘આ માણસને તારી જગ્યા પર બેસવા દે.’ એટલે, તમારે શરમાઈને સૌથી નીચી જગ્યા લેવી પડશે. ૧૦  પરંતુ, જ્યારે કોઈ તમને આમંત્રણ આપે ત્યારે જાઓ અને સૌથી નીચી જગ્યા પર બેસો, જેથી જેણે તમને બોલાવ્યા હોય તે આવીને તમને કહેશે, ‘મિત્ર, ઊંચી જગ્યા પર બેસ.’ આમ, બધા સાથી મહેમાનો સામે તમને માન મળશે. ૧૧  જે કોઈ પોતાને ઊંચો કરશે, તે નીચો કરાશે અને જે કોઈ પોતાને નીચો કરશે, તે ઊંચો કરાશે.” ૧૨  ત્યાર બાદ જેણે ઈસુને આમંત્રણ આપ્યું હતું, તેને પણ તેમણે કહ્યું: “દિવસનું કે સાંજનું જમણ તું ગોઠવે ત્યારે, તારા મિત્રો અથવા તારા ભાઈઓ અથવા તારા સગાઓ અથવા તારા ધનવાન પડોશીઓને બોલાવીશ નહિ. કદાચ તેઓ પણ તને બોલાવે અને તને બદલો વાળી આપે. ૧૩  પરંતુ, જ્યારે તું મિજબાની ગોઠવે ત્યારે ગરીબ, લૂલાં-લંગડાં અને આંધળાઓને આમંત્રણ આપ; ૧૪  અને તને આનંદ થશે, કારણ કે તને પાછું વાળી આપવા તેઓ પાસે કંઈ નથી. ન્યાયીઓને મરણમાંથી જીવતા કરવામાં આવશે ત્યારે તને બદલો મળશે.” ૧૫  આ વાતો સાંભળીને સાથી મહેમાનોમાંના એકે કહ્યું: “ઈશ્વરના રાજ્યમાં જે જમશે* તેને ધન્ય છે.” ૧૬  ઈસુએ તેને કહ્યું: “એક માણસે સાંજનો ભોજન સમારંભ ગોઠવ્યો અને ઘણાને આમંત્રણ આપ્યું. ૧૭  સાંજના ભોજન સમયે, તેણે આમંત્રણ આપેલાઓને આમ કહેવા પોતાના ચાકરને મોકલ્યો: ‘ચાલો, કેમ કે હવે બધું તૈયાર છે.’ ૧૮  પણ, તેઓ બધા બહાનાં કાઢવાં લાગ્યાં. પહેલાએ તેને કહ્યું, ‘મેં ખેતર ખરીદ્યું છે અને મારે એ જઈને જોવાનું છે; મને માફ કર, હું આવી નહિ શકું.’ ૧૯  અને બીજાએ કહ્યું, ‘મેં પાંચ જોડી બળદ લીધા છે અને હું તેઓને તપાસવા જાઉં છું; મને માફ કર, હું આવી નહિ શકું.’ ૨૦  વળી, બીજા એકે કહ્યું, ‘મેં હમણાં જ લગ્‍ન કર્યા છે, એટલે હું આવી નથી શકતો.’ ૨૧  તેથી, ચાકર આવ્યો અને પોતાના માલિકને એ બધું જણાવ્યું. એટલે, ઘરનો માલિક ઘણો ગુસ્સે થયો અને ચાકરને કહ્યું, ‘શહેરના મુખ્ય રસ્તાઓ અને ગલીઓમાં જલદી જા અને ગરીબ તથા લૂલાં-લંગડાં તથા આંધળાઓને અહીં લઈ આવ.’ ૨૨  જ્યારે ચાકર પાછો આવ્યો ત્યારે તેણે કહ્યું, ‘માલિક, તમારા હુકમ પ્રમાણે કર્યું, છતાં પણ હજુ જગ્યા છે.’ ૨૩  તેથી, માલિકે ચાકરને કહ્યું, ‘રસ્તાઓ અને શેરીઓમાં જા અને તેઓને અહીં આવવા આગ્રહ કર, જેથી મારું ઘર ભરાય જાય. ૨૪  હું તને કહું છું, જેઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, તેઓમાંથી કોઈ પણ મારું સાંજનું ભોજન ચાખશે નહિ.’” ૨૫  હવે, લોકોનાં ટોળાં તેમની સાથે મુસાફરી કરી રહ્યાં હતાં અને તે તેઓની તરફ ફર્યા અને કહ્યું: ૨૬  “જો કોઈ મારી પાસે આવે અને પોતાના પિતાને અને માતાને અને પત્નીને અને બાળકોને અને ભાઈઓને અને બહેનોને, હા, પોતાને* પણ ધિક્કારે* નહિ, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. ૨૭  જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી. ૨૮  દાખલા તરીકે, તમારામાંથી એવો કોણ છે, જે બુરજ બાંધવા ચાહે પણ પહેલા બેસીને એનો ખર્ચ નહિ ગણે, જેથી તે જોઈ શકે કે એ પૂરો કરવા જેટલું તેની પાસે છે કે નહિ? ૨૯  નહિ તો તે કદાચ એનો પાયો નાખે, પણ એને પૂરો નહિ કરી શકે અને જોનારા બધા તેની મશ્કરી કરવા લાગે ૩૦  અને કહે: ‘આ માણસે બાંધવાનું તો શરૂ કર્યું, પણ પૂરું ન કરી શક્યો.’ ૩૧  અથવા એવો કયો રાજા છે, જે બીજા રાજા સામે લડાઈ કરવા જતાં પહેલાં, બેસીને સલાહ નહિ લે કે ૨૦,૦૦૦ સૈનિકો લઈને આવતા રાજા સામે શું તે ૧૦,૦૦૦ સૈનિકો સાથે ઊભો રહી શકશે? ૩૨  હકીકતમાં, જો તે એમ ન કરી શકતો હોય, તો બીજો રાજા હજુ દૂર હશે ત્યારે તે એલચીઓનું જૂથ મોકલશે અને સુલેહ કરવાનો પ્રયત્ન કરશે. ૩૩  એવી જ રીતે, ભૂલશો નહિ, તમારામાંથી જે કોઈ પણ પોતાની બધી સંપત્તિનો ત્યાગ કરતો નથી, તે મારો શિષ્ય બની શકતો નથી. ૩૪  “બેશક, મીઠું સારું છે. પણ જો મીઠું બેસ્વાદ થઈ જાય, તો શાનાથી એનો સ્વાદ પાછો લાવશો? ૩૫  એ જમીન કે ખાતરમાં નાખવા માટે કોઈ કામનું રહેતું નથી. લોકો એને ફેંકી દે છે. હું જે કહું છું એ કાન દઈને સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો.”

ફૂટનોટ

પાણી ભરાવાને લીધે શરીરમાં સોજા ચઢી જાય એવી એક બીમારી.
મૂળ અર્થ, “રોટલી ખાશે.”
શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.
અથવા, “ઓછા પ્રમાણમાં પ્રેમ કરે.”