લૂક ૧૭:૧-૩૭
૧૭ પછી, ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: “લોકો ઠોકર તો ખાશે, એ ટાળી શકાય એમ નથી. છતાં પણ, જેના દ્વારા એ થાય છે તેને અફસોસ!
૨ આ બાળકો જેવાં એકને તે ઠોકર ખવડાવે એના કરતાં, તેના ગળામાં ઘંટીનો પથ્થર બાંધીને તેને દરિયામાં નાખી દેવામાં આવે તો, એ તેના માટે સારું કહેવાશે.
૩ પોતાના પર ધ્યાન આપો. જો તારો ભાઈ તારી વિરુદ્ધ પાપ કરે, તો તેને ઠપકો આપ અને જો તે પસ્તાવો કરે, તો તેને માફી આપ.
૪ અરે, જો દિવસમાં તે સાત વાર તારી વિરુદ્ધ પાપ કરે અને સાત વાર તારી પાસે પાછો આવીને કહે, ‘હું પસ્તાવો કરું છું,’ તો તારે તેને માફ કરવો.”
૫ હવે, પ્રેરિતોએ પ્રભુને કહ્યું: “અમારી શ્રદ્ધા વધારો.”
૬ પછી, પ્રભુએ કહ્યું: “જો તમારામાં રાઈના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે શેતૂરના ઝાડને કહો, ‘ઉખેડાઈ જા અને દરિયામાં રોપાઈ જા!’ તો એ તમારું માનશે.
૭ “તમારામાંથી એવો કોણ છે, જેનો ચાકર ખેડતો હોય કે ઘેટાં-બકરાં સાચવતો હોય અને તે ખેતરમાંથી પાછો આવે ત્યારે કહેશે, ‘જલદી અહીંયા આવ અને મેજ પર જમવા બેસ’?
૮ એના બદલે, તે ચાકરને કહેશે, ‘કપડાં બદલ, મારા માટે સાંજના ભોજનની તૈયારી કર અને હું ખાઈ-પી ન લઉં ત્યાં સુધી મારી સેવા કર અને પછી તું ખાજે-પીજે.’
૯ ચાકરે પોતાને સોંપાયેલું કામ કર્યું હોવાથી, શું માલિક તેનો આભાર માનશે? ના.
૧૦ એવી જ રીતે, તમને સોંપાયેલું બધું કામ પૂરું કરો ત્યારે કહો: ‘અમે નકામા ચાકરો છીએ. અમારે જે કરવું જોઈએ, એ જ અમે કર્યું છે.’”
૧૧ તે યરૂશાલેમ જઈ રહ્યા હતા ત્યારે, સમરૂન અને ગાલીલની વચ્ચેથી પસાર થયા.
૧૨ તે એક ગામમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે, રક્તપિત્ત થયેલા દસ માણસો તેમને સામે મળ્યા, પણ તેઓ દૂર ઊભા રહ્યા.
૧૩ અને તેઓએ ઊંચા અવાજે કહ્યું: “ઈસુ, ગુરુજી, અમારા પર દયા કરો!”
૧૪ તેમણે તેઓને જોયા ત્યારે તેઓને કહ્યું: “જાઓ અને યાજકોની પાસે જઈને પોતાને બતાવો.” તેઓ જઈ રહ્યા હતા ત્યારે તેઓ શુદ્ધ થયા.
૧૫ તેઓમાંથી એકે પોતાને સાજો થયેલો જોયો ત્યારે, મોટા અવાજે ઈશ્વરને મહિમા આપતો પાછો ફર્યો.
૧૬ તે ઈસુના પગ આગળ ઊંધા મોઢે પડીને આભાર માનવા લાગ્યો. વળી, તે એક સમરૂની હતો.
૧૭ જવાબમાં ઈસુએ કહ્યું: “શું દસેદસને શુદ્ધ કરવામાં આવ્યા ન હતા? તો પછી, બાકીના નવ ક્યાં છે?
૧૮ ઈશ્વરને મહિમા આપવા બીજી પ્રજાના આ માણસ સિવાય બીજો કોઈ પાછો ન ફર્યો?”
૧૯ પછી, તેમણે તેને કહ્યું: “ઊભો થા અને તારા માર્ગે જા; તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે.”
૨૦ જ્યારે ફરોશીઓએ પૂછ્યું કે ઈશ્વરનું રાજ્ય ક્યારે આવે છે, ત્યારે તેઓને જવાબ આપતા તેમણે કહ્યું: “ઈશ્વરનું રાજ્ય સાફ જોઈ શકાય એવી અજોડ રીતે આવતું નથી;
૨૧ તેમ જ, લોકો નહિ કહે કે ‘જુઓ, એ અહીં છે!’ અથવા ‘એ ત્યાં છે!’ કેમ કે જુઓ! ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે છે.”*
૨૨ પછી, તેમણે શિષ્યોને કહ્યું: “એવા દિવસો આવશે કે જ્યારે તમે માણસના દીકરાનો એક દિવસ જોવા ચાહશો, પણ તમે એ જોશો નહિ.
૨૩ અને લોકો તમને કહેશે, ‘ત્યાં જુઓ!’ અથવા ‘અહીં જુઓ!’ ત્યારે બહાર જતા નહિ કે તેઓની પાછળ દોડતા નહિ;
૨૪ કેમ કે જેમ વીજળી આકાશના એક છેડાથી બીજા છેડા સુધી ચમકે છે, તેમ માણસનો દીકરો તેના દિવસે હશે.
૨૫ જોકે, પહેલા તેણે ઘણી સતાવણીઓમાંથી પસાર થવું પડશે અને આ પેઢી દ્વારા તેનો નકાર કરાશે.
૨૬ વધુમાં, જેવું નુહના દિવસોમાં થયું, તેવું માણસના દીકરાના દિવસોમાં પણ થશે:
૨૭ નુહ વહાણની* અંદર ગયા એ દિવસ સુધી, લોકો ખાતા હતા, પીતા હતા, માણસો પરણતા હતા, સ્ત્રીઓને પરણાવતા હતા અને જળપ્રલય આવ્યો અને એ બધાનો નાશ કર્યો.
૨૮ એવું જ લોતના દિવસોમાં પણ થયું: તેઓ ખાતા હતા, પીતા હતા, વેચાતું લેતા હતા, વેચતા હતા, રોપતા હતા અને બાંધતા હતા.
૨૯ પરંતુ, જે દિવસે લોત સદોમથી બહાર નીકળ્યા ત્યારે, આગ અને ગંધક આકાશમાંથી વરસ્યા અને એ બધાનો નાશ કર્યો.
૩૦ માણસના દીકરાને પ્રગટ કરવામાં આવશે, એ દિવસે એવું જ થશે.
૩૧ “એ દિવસે જે માણસ ધાબા પર હોય પણ તેનો સામાન ઘરમાં હોય તો, એને લેવા નીચે ન ઊતરવું. એવી જ રીતે, જે માણસ ખેતરમાં હોય તેણે વસ્તુઓ લેવા પાછા ન જવું.
૩૨ લોતની પત્નીને યાદ રાખો.
૩૩ જે કોઈ પોતાનું જીવન* બચાવવા પ્રયત્ન કરે છે તે એને ગુમાવશે, પણ જે કોઈ એને ગુમાવે છે તે એને બચાવશે.
૩૪ હું તમને જણાવું છું, એ રાતે બે જણ એક પલંગ પર હશે; એક લેવાશે, પણ બીજો પડતો મુકાશે.
૩૫ બે સ્ત્રીઓ એક જ ઘંટીએ દળતી હશે; એક લેવાશે, પણ બીજી પડતી મુકાશે.”
૩૬ *—
૩૭ તેથી, જવાબમાં તેઓએ તેમને કહ્યું: “પ્રભુ, એ ક્યાં થશે?” તેમણે તેઓને કહ્યું: “જ્યાં મડદું હોય છે, ત્યાં ગરુડો* ભેગા થવાના જ.”