લૂક ૨:૧-૫૨

  • ઈસુનો જન્મ (૧-૭)

  • ઘેટાંપાળકોને દૂતો દેખાયા (૮-૨૦)

  • સુન્‍નત અને શુદ્ધ થવાનો સમય (૨૧-૨૪)

  • શિમયોન ખ્રિસ્તને જુએ છે (૨૫-૩૫)

  • હાન્‍ના બાળક વિશે જણાવે છે (૩૬-૩૮)

  • નાઝરેથ પાછા ફરવું (૩૯, ૪૦)

  • બાર વર્ષના ઈસુ મંદિરમાં (૪૧-૫૨)

 હવે, એ દિવસોમાં સમ્રાટ* ઑગસ્તસે પૃથ્વી પરના બધા લોકો માટે નોંધણી કરાવવાનો હુકમ બહાર પાડ્યો; ૨  (કુરીનિયસ સિરિયાનો રાજ્યપાલ હતો ત્યારે, આ પહેલી નોંધણી કરવામાં આવી.) ૩  અને બધા લોકો નોંધણી કરાવવા પોતપોતાના જન્મ-સ્થળે ગયા. ૪  યુસફ પણ ગાલીલના નાઝરેથ શહેરમાંથી નીકળીને યહુદિયામાં આવેલા દાઊદના શહેર ગયો, જે બેથલેહેમ કહેવાય છે, કેમ કે તે દાઊદના કુટુંબ અને વંશનો હતો. ૫  તે નોંધણી કરાવવા મરિયમ સાથે ગયો, જેની સાથે તેના લગ્‍ન થઈ ચૂક્યા હતા; અને તેને જલદી જ બાળક થવાનું હતું. ૬  તેઓ ત્યાં હતા ત્યારે, બાળકને જન્મ આપવાનો તેનો સમય આવી પહોંચ્યો. ૭  તેણે પોતાના પ્રથમ પુત્રને જન્મ આપ્યો અને તેને કપડાંમાં વીંટાળ્યો અને ગભાણમાં સુવડાવ્યો, કેમ કે ધર્મશાળામાં તેઓ માટે જગ્યા ન હતી. ૮  વળી, એ જ પ્રદેશમાં ઘેટાંપાળકો ખેતરમાં રહેતા હતા અને આખી રાત પોતપોતાનાં ટોળાંની સંભાળ રાખતા હતા. ૯  અચાનક યહોવાનો* દૂત તેઓની સામે ઊભો રહ્યો અને યહોવાના* ગૌરવનું તેજ તેઓની આસપાસ પ્રકાશી ઊઠ્યું અને તેઓ ઘણા ગભરાઈ ગયા. ૧૦  પણ, દૂતે તેઓને કહ્યું: “ગભરાશો નહિ, જુઓ! હું તમને એવી ખુશખબર જણાવું છું, જેનાથી બધા લોકોને ઘણો આનંદ થશે, ૧૧  કેમ કે આજે તમારા માટે દાઊદના શહેરમાં ઉદ્ધાર કરનાર જન્મ્યા છે, જે પ્રભુ અને ખ્રિસ્ત* છે. ૧૨  અને તમારા માટે આ નિશાની છે: તમે એક નાના બાળકને કપડાંમાં વીંટાળેલું અને ગભાણમાં મૂકેલું જોશો.” ૧૩  અચાનક બીજા દૂતોનું મોટું ટોળું આવીને એ દૂત સાથે ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યું અને કહેવા લાગ્યું: ૧૪  “સ્વર્ગમાં ઈશ્વરનો મહિમા થાઓ અને પૃથ્વી પર ઈશ્વરની કૃપા પામેલા લોકોને* શાંતિ થાઓ!” ૧૫  તેથી, દૂતો તેઓ પાસેથી સ્વર્ગમાં પાછા જતા રહ્યા ત્યારે, ઘેટાંપાળકો એકબીજાને કહેવા લાગ્યા: “ચાલો, જલદી બેથલેહેમ જઈએ અને યહોવાના* જણાવ્યા પ્રમાણે ત્યાં શું બન્યું એ આપણે જોઈએ.” ૧૬  તેઓ તરત જ ગયા અને તેઓએ મરિયમ તેમજ યુસફને જોયા અને નાના બાળકને ગભાણમાં મૂકેલું જોયું. ૧૭  જ્યારે ઘેટાંપાળકોએ એ જોયું, ત્યારે દૂતે તેઓને આ બાળક વિશે જે કહ્યું હતું એ જણાવ્યું. ૧૮  અને ઘેટાંપાળકોએ જણાવેલી વાત જેઓએ સાંભળી, તેઓ બધા દંગ રહી ગયા. ૧૯  પણ, મરિયમ આ બધી વાતો મનમાં રાખીને એનો શું અર્થ થાય, એ વિશે વિચાર કરવા લાગી. ૨૦  ઘેટાંપાળકોને જે કહેવામાં આવ્યું હતું, એ જ પ્રમાણે તેઓએ બધું સાંભળ્યું અને જોયું; એટલે, તેઓ ઈશ્વરને મહિમા આપતા અને તેમની સ્તુતિ કરતા પાછા ફર્યા. ૨૧  આઠ દિવસ પછી, જ્યારે બાળકની સુન્‍નત કરવાનો સમય આવ્યો, ત્યારે તેનું નામ ઈસુ રાખવામાં આવ્યું, જે નામ તેનો ગર્ભ રહ્યો એ પહેલાં દૂતે આપ્યું હતું. ૨૨  તેમ જ, મુસાના નિયમશાસ્ત્ર* પ્રમાણે તેઓને શુદ્ધ કરવાનો સમય આવ્યો ત્યારે, તેઓ તેને યહોવાની* સામે રજૂ કરવા યરૂશાલેમ લાવ્યા, ૨૩  જેમ યહોવાના* નિયમશાસ્ત્રમાં લખેલું છે: “દરેક પ્રથમ જન્મેલો* છોકરો યહોવા* માટે પવિત્ર કહેવાય.” ૨૪  અને તેઓએ યહોવાના* નિયમશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે અર્પણ ચઢાવ્યું: “તમારે હોલાની જોડ કે કબૂતરનાં બે બચ્ચાં ચઢાવવાં.” ૨૫  અને જુઓ! યરૂશાલેમમાં શિમયોન નામનો માણસ હતો, જે નેક અને ઈશ્વરભક્ત હતો; ઇઝરાયેલને ઈશ્વર દિલાસો આપે, એ સમયની તે રાહ જોતો હતો અને પવિત્ર શક્તિ તેના પર હતી. ૨૬  વધુમાં, ઈશ્વરે પવિત્ર શક્તિ દ્વારા તેને જણાવ્યું હતું કે યહોવાના* ખ્રિસ્તને જોયા પહેલાં તે મરણ નહિ પામે. ૨૭  પવિત્ર શક્તિથી દોરવાઈને શિમયોન હવે મંદિરમાં આવ્યો; અને નિયમશાસ્ત્ર પ્રમાણે જે કરવાનું હતું, એ માટે બાળક ઈસુને લઈને તેનાં માબાપ પણ ત્યાં આવ્યાં; ૨૮  તેણે બાળકને પોતાની ગોદમાં લીધું અને ઈશ્વરની સ્તુતિ કરી અને કહ્યું: ૨૯  “હે વિશ્વના માલિક, તમે કહ્યું હતું તેમ, હવે તમારો દાસ શાંતિથી મરણ પામી શકશે; ૩૦  કેમ કે મારી આંખોએ જોયું છે કે તમે કઈ રીતે ઉદ્ધાર કરશો. ૩૧  સર્વ લોકો જુએ એ રીતે તમે આ પ્રગટ કર્યું છે; ૩૨  એ એવો પ્રકાશ છે, જે પ્રજાઓની આંખો ઉપરથી અંધકારનો પડદો હટાવે છે અને તમારા ઇઝરાયેલી લોકો માટે ગૌરવ બને છે.” ૩૩  શિમયોને બાળક વિશે જે કહ્યું એ સાંભળીને તેનાં માતાપિતા નવાઈ પામ્યાં. ૩૪  વળી, શિમયોને તેઓને આશીર્વાદ આપ્યા અને બાળકની મા મરિયમને કહ્યું: “જો, ઈશ્વરે આ બાળકને મોકલ્યું છે અને એના લીધે ઇઝરાયેલમાં ઘણા પડશે અને બીજા ઊભા થશે. ઈશ્વર તેની સાથે છે એવી નિશાની જોવા છતાં ઘણા તેની વિરુદ્ધ બોલશે, ૩૫  જેથી ઘણાના મનના વિચારો ખુલ્લા પાડી શકાય. (એ તો જાણે લાંબી તલવારે તને આરપાર વીંધી નાખી હોય, એવું થશે.)” ૩૬  હવે, ત્યાં હાન્‍ના નામની પ્રબોધિકા હતી, જે આશેરના કુળના ફનુએલની દીકરી હતી. (એ સ્ત્રી વૃદ્ધ હતી અને લગ્‍ન પછી પોતાના પતિ સાથે સાત વર્ષ રહી; ૩૭  હવે તે ૮૪ વર્ષની વિધવા હતી.) તે કદી પણ મંદિરે જવાનું ચૂકતી નહિ, રાત-દિવસ ભક્તિ કરતી, ઉપવાસ રાખતી અને વિનંતીઓ કરતી. ૩૮  એ જ ઘડીએ, તે તેઓની પાસે આવીને ઈશ્વરનો આભાર માનવા લાગી અને જેઓ યરૂશાલેમના ઉદ્ધારની રાહ જોતા હતા, તેઓને એ બાળક વિશે કહેવા લાગી. ૩૯  યહોવાના* નિયમશાસ્ત્ર પ્રમાણે બધું કરી લીધા પછી, તેઓ ગાલીલમાં પોતાના શહેર નાઝરેથ પાછા ગયા. ૪૦  એ બાળક મોટું અને બળવાન થવા લાગ્યું; એ બુદ્ધિથી ભરપૂર થતું ગયું અને ઈશ્વરની કૃપા એના પર રહી. ૪૧  હવે, છોકરાનાં માતાપિતા દર વર્ષે પાસ્ખાના તહેવાર માટે યરૂશાલેમ જતાં હતાં. ૪૨  જ્યારે તે ૧૨ વર્ષનો હતો, ત્યારે રીત પ્રમાણે તેઓ તહેવારમાં ગયા. ૪૩  તહેવારના દિવસો પૂરા થયા અને તેઓ પાછા આવતાં હતાં ત્યારે, છોકરો ઈસુ યરૂશાલેમમાં રહ્યો અને તેનાં માતાપિતાને એનો ખ્યાલ ન આવ્યો. ૪૪  તેઓને લાગ્યું કે તે બીજાઓની સાથે મુસાફરી કરી રહ્યો છે. એક દિવસની સફર પછી, સગાઓ અને ઓળખીતાઓ વચ્ચે તેઓ તેને શોધવાં લાગ્યાં. ૪૫  પણ, તે મળ્યો નહિ એટલે તેઓ યરૂશાલેમ પાછાં આવ્યાં અને ચારે બાજુ તેને શોધવાં લાગ્યાં. ૪૬  આખરે, ત્રણ દિવસ પછી તેઓએ તેને મંદિરમાં શોધી કાઢ્યો; તે ધર્મગુરુઓની વચ્ચે બેઠેલો હતો, તેઓને સાંભળતો અને સવાલો પૂછતો હતો. ૪૭  પણ, તેની સમજણ અને તેના જવાબોને લીધે, તેને સાંભળનારા સર્વની નવાઈનો પાર ન રહ્યો. ૪૮  હવે, જ્યારે તેનાં માતાપિતાએ તેને જોયો, ત્યારે તેઓ દંગ રહી ગયાં અને તેની માએ તેને કહ્યું: “દીકરા, તેં અમારી સાથે આવું કેમ કર્યું? તારા પિતા અને હું ઘણા હેરાન-પરેશાન થઈને તને શોધતા હતા.” ૪૯  પણ, તેણે તેઓને કહ્યું: “તમે મને શા માટે શોધતા હતા? શું તમે જાણતા ન હતા કે હું મારા પિતાના ઘરમાં જ હોઈશ?” ૫૦  જોકે, તેઓ સમજ્યા નહિ કે તે તેઓને શું કહેવા માંગતો હતો. ૫૧  પછી, તે તેઓની સાથે ગયો અને નાઝરેથ પાછો ફર્યો અને તેઓને આધીન રહ્યો.* તેમ જ, તેની માએ એ બધી વાતો પોતાના દિલમાં સંઘરી રાખી. ૫૨  અને ઈસુની સમજણ વધતી ગઈ, તે મોટા થવા લાગ્યા અને તેમના પર ઈશ્વર તથા માણસોની કૃપા વધતી ગઈ.

ફૂટનોટ

મૂળ અર્થ, “કાઈસાર.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “તે સ્વીકારે છે એવા લોકોને.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “આજ્ઞાંકિત રહ્યો.”