લૂક ૨૦:૧-૪૭
૨૦ એક દિવસે ઈસુ મંદિરમાં લોકોને શીખવી રહ્યા હતા અને ખુશખબર જાહેર કરી રહ્યા હતા ત્યારે, વડીલો સાથે મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ આવ્યા
૨ અને કહ્યું: “અમને જણાવ કે તું આ બધાં કામો કયા અધિકારથી કરે છે? અથવા તને આ અધિકાર કોણે આપ્યો?”
૩ તેમણે તેઓને જવાબ આપ્યો: “હું પણ તમને એક સવાલ પૂછીશ અને તમે મને જણાવજો:
૪ યોહાનનું બાપ્તિસ્મા ઈશ્વર* તરફથી હતું કે માણસો તરફથી?”
૫ ત્યારે તેઓ આમ કહેતા અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા: “જો આપણે કહીએ, ‘ઈશ્વર તરફથી’ તો તે કહેશે, ‘તમે કેમ તેનું માન્યું નહિ?’
૬ પણ, જો આપણે કહીએ, ‘માણસો તરફથી’ તો બધા લોકો આપણને પથ્થરે મારશે, કેમ કે તેઓને ખાતરી છે કે યોહાન પ્રબોધક હતો.”
૭ એટલે, તેઓએ જવાબ આપ્યો કે તેઓને ખબર નથી કે યોહાનને એ અધિકાર ક્યાંથી મળ્યો હતો.
૮ ઈસુએ તેઓને કહ્યું: “હું પણ તમને નથી જણાવતો કે હું કયા અધિકારથી આ કામો કરું છું.”
૯ પછી, તે લોકોને આ ઉદાહરણ કહેવા લાગ્યા: “એક માણસે દ્રાક્ષાવાડી કરી અને ખેડૂતોને ભાગે આપી અને તે લાંબા સમય માટે પરદેશ ગયો.
૧૦ કાપણીની મોસમ આવી ત્યારે તેણે એક ચાકરને ખેડૂતો પાસે મોકલ્યો, જેથી તેઓ તેને દ્રાક્ષાવાડીની થોડી પેદાશ આપે. પરંતુ, ખેડૂતોએ તેને માર્યો અને તેને ખાલી હાથે પાછો મોકલી દીધો.
૧૧ પણ, ફરીથી તેણે બીજા એક ચાકરને મોકલ્યો. તેઓએ તેને પણ માર્યો અને અપમાન કર્યું* અને ખાલી હાથે પાછો મોકલી દીધો.
૧૨ તોપણ, તેણે ત્રીજાને મોકલ્યો; એને પણ તેઓએ ઘાયલ કરીને બહાર ફેંકી દીધો.
૧૩ ત્યારે દ્રાક્ષાવાડીના માલિકે કહ્યું, ‘હું શું કરું? હું મારા વહાલા દીકરાને મોકલીશ. કદાચ તેઓ તેનું માન રાખે.’
૧૪ અને તેણે પોતાના દીકરાને મોકલ્યો. જ્યારે ખેડૂતોની નજર તેના પર પડી, ત્યારે તેઓ એકબીજાને કહેવા લાગ્યા, ‘આ તો વારસદાર છે. ચાલો, એને મારી નાખીએ, જેથી આપણને વારસો મળી શકે.’
૧૫ તેથી, તેઓ તેને દ્રાક્ષાવાડીની બહાર ઘસડી ગયા અને તેને મારી નાખ્યો. તો હવે દ્રાક્ષાવાડીનો માલિક તેઓનું શું કરશે?
૧૬ તે આવશે અને આ ખેડૂતોને મારી નાખશે અને દ્રાક્ષાવાડી બીજાઓને સોંપશે.”
આ સાંભળીને લોકોએ કહ્યું: “એવું કદી ન થાઓ!”
૧૭ પણ, તેમણે સીધું તેઓની સામે જોયું અને કહ્યું: “તો પછી, આ શાસ્ત્રવચનનો અર્થ શું થાય: ‘બાંધકામ કરનારાઓએ જે પથ્થર નકામો ગણ્યો, એ જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો’?
૧૮ આ પથ્થર પર જે કોઈ પડશે, તેના ટુકડેટુકડા થઈ જશે. અને જેના પર એ પથ્થર પડશે, તેનો ભૂક્કો કરી નાખશે.”
૧૯ ત્યારે શાસ્ત્રીઓ અને મુખ્ય યાજકો તેમને એ જ ઘડીએ પકડવા ઇચ્છતા હતા, કેમ કે તેઓને ખબર પડી કે ઈસુએ તેઓને ધ્યાનમાં રાખીને આ ઉદાહરણ કહ્યું છે, પણ તેઓ લોકોથી ગભરાતા હતા.
૨૦ તેઓએ તેમના પર નજર રાખી અને પછી તેમને શાસક અને રાજ્યપાલની સત્તાને સોંપવા માટે માણસો મોકલ્યા, જેઓને પૈસા આપીને તેઓએ ખાનગીમાં રોક્યા હતા, જેથી તેઓ ધાર્મિક હોવાનો ઢોંગ કરીને ઈસુને તેમની જ વાતોમાં ફસાવી શકે.
૨૧ અને તેઓએ તેમને આમ કહેતા પૂછ્યું: “શિક્ષક, અમે જાણીએ છીએ કે તમે સત્ય બોલો છો તથા શીખવો છો અને કોઈ ભેદભાવ રાખતા નથી, પણ તમે સત્યતાથી ઈશ્વરનો માર્ગ શીખવો છો:
૨૨ શું સમ્રાટને કર* આપવો યોગ્ય છે કે નહિ?”
૨૩ પરંતુ, તેમણે તેઓની ચાલાકી પારખી લીધી અને તેઓને કહ્યું:
૨૪ “મને દીનાર બતાવો. એના પર કોનું ચિત્ર અને કોના નામની છાપ છે?” તેઓએ કહ્યું: “સમ્રાટનાં.”
૨૫ તેમણે તેઓને કહ્યું: “તો પછી, જે સમ્રાટનું છે એ સમ્રાટને, પણ જે ઈશ્વરનું છે એ ઈશ્વરને પાછું આપો.”
૨૬ હવે, તેઓ લોકો આગળ તેમને વાતોમાં ફસાવી શક્યા નહિ, પણ તેમના જવાબથી અચંબો પામીને તેઓ ચૂપ થઈ ગયા.
૨૭ જોકે, સાદુકીઓ જેઓ માનતા ન હતા કે મરણ પામેલા લોકોને જીવતા કરાશે, તેઓમાંના અમુક આવ્યા અને ઈસુને પૂછ્યું:
૨૮ “ઉપદેશક, મુસાએ આપણને લખ્યું છે, ‘જો કોઈનો ભાઈ મરી જાય અને પાછળ પત્ની મૂકી જાય પણ તેને બાળક ન હોય, તો તેનો ભાઈ તેની પત્ની સાથે પરણે અને પોતાના ભાઈ માટે વંશજ પેદા કરે.’
૨૯ હવે, સાત ભાઈઓ હતા. પહેલાએ પત્ની કરી પણ બાળક વગર ગુજરી ગયો.
૩૦ બીજા ભાઈનું પણ એવું જ થયું
૩૧ અને ત્રીજા ભાઈએ તેની સાથે લગ્ન કર્યા. એવી જ રીતે, સાતેય ભાઈઓનું થયું; તેઓ મરણ પામ્યા અને એકેયને બાળકો થયાં ન હતાં.
૩૨ છેવટે, એ સ્ત્રી પણ મરણ પામી.
૩૩ જો એમ હોય તો મરણમાંથી લોકોને જીવતા કરવામાં આવશે ત્યારે, તે કોની પત્ની કહેવાશે? કેમ કે સાતેય ભાઈઓએ તેને પત્ની બનાવી હતી.”
૩૪ ઈસુએ તેઓને કહ્યું: “આ દુનિયાના* લોકો પરણે છે અને પરણાવવામાં આવે છે,
૩૫ પણ જેઓને આવનાર દુનિયા મેળવવા અને મરણમાંથી જીવતા કરવા લાયક ગણવામાં આવ્યા છે, તેઓ પરણશે નહિ કે પરણાવવામાં આવશે નહિ.
૩૬ હકીકતમાં, તેઓ હવેથી મરશે નહિ, કેમ કે તેઓ દૂતો જેવા હશે અને તેઓને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા હોવાથી તેઓ ઈશ્વરનાં બાળકો બનશે.
૩૭ મરણ પામેલાઓને ઉઠાડવામાં આવે છે, એ વિશે મુસાએ પણ ઝાડવાના અહેવાલમાં જણાવ્યું હતું, જ્યાં તે યહોવાને* ‘ઈબ્રાહીમના ઈશ્વર અને ઇસહાકના ઈશ્વર અને યાકૂબના ઈશ્વર’ કહે છે.
૩૮ તે મરેલાઓના નહિ, પણ જીવતાઓના ઈશ્વર છે, કેમ કે તેમની નજરમાં* તેઓ બધા જીવે છે.”
૩૯ જવાબમાં અમુક શાસ્ત્રીઓએ કહ્યું: “શિક્ષક, તમે બરાબર કહ્યું.”
૪૦ અને એના પછી એક પણ સવાલ પૂછવાની તેઓમાં હિંમત ન હતી.
૪૧ વધુમાં, ઈસુએ તેઓને પૂછ્યું: “લોકો કેમ એવું કહે છે કે ખ્રિસ્ત દાઊદનો દીકરો છે?
૪૨ કેમ કે દાઊદ પોતે ગીતશાસ્ત્રના પુસ્તકમાં કહે છે, ‘યહોવાએ* મારા પ્રભુને કહ્યું: “હું તારા દુશ્મનોને તારા પગનું આસન કરું ત્યાં સુધી,
૪૩ મારે જમણે હાથે બેસ.”’
૪૪ તેથી, દાઊદ તેને પ્રભુ કહે છે; તો પછી, તે કઈ રીતે તેમનો દીકરો થાય?”
૪૫ પછી, બધા લોકો સાંભળી રહ્યા હતા એ સમયે તેમણે પોતાના શિષ્યોને કહ્યું:
૪૬ “શાસ્ત્રીઓથી સાવધ રહો; તેઓને લાંબા ઝભ્ભા પહેરીને ફરવાનું પસંદ છે. તેઓને બજારોમાં સલામો ઝીલવાનું અને સભાસ્થાનોમાં આગળની* બેઠકો અને સાંજના જમણવારોમાં મુખ્ય જગ્યાઓ ગમે છે
૪૭ અને તેઓ વિધવાઓનાં ઘર* પચાવી પાડે છે અને દેખાડો કરવા* લાંબી લાંબી પ્રાર્થનાઓ કરે છે. તેઓને સખત આકરી* સજા થશે.”
ફૂટનોટ
^ મૂળ અર્થ, “સ્વર્ગ.”
^ અથવા, “તિરસ્કાર કર્યો.”
^ દેખીતું છે કે અહીંયા દરેક વ્યક્તિ પર નંખાયેલા કરની વાત થાય છે.
^ અથવા, “આ યુગના.” શબ્દસૂચિ જુઓ.
^ શબ્દસૂચિ જુઓ.
^ અથવા, “તેમને મન.”
^ શબ્દસૂચિ જુઓ.
^ અથવા, “સૌથી સારી.”
^ અથવા, “મિલકત.”
^ અથવા, “ઢોંગ કરીને.”
^ અથવા, “ભારે.”