લૂક ૨૨:૧-૭૧

  • ઈસુને મારી નાખવાનું યાજકોનું કાવતરું (૧-૬)

  • છેલ્લા પાસ્ખાની તૈયારીઓ (૭-૧૩)

  • પ્રભુના સાંજના ભોજનની શરૂઆત (૧૪-૨૦)

  • “મને દગો દેનાર મારી સાથે મેજ પર છે” (૨૧-૨૩)

  • સૌથી મોટું કોણ એ વિશે ચર્ચા (૨૪-૨૭)

  • રાજ્ય માટે ઈસુનો કરાર (૨૮-૩૦)

  • પીતરના નકાર વિશે ભવિષ્યવાણી (૩૧-૩૪)

  • તૈયાર રહેવાની જરૂર; બે તલવારો (૩૫-૩૮)

  • જૈતૂન પહાડ પર ઈસુની પ્રાર્થના (૩૯-૪૬)

  • ઈસુની ધરપકડ (૪૭-૫૩)

  • પીતર ઈસુનો નકાર કરે છે (૫૪-૬૨)

  • ઈસુની મજાક ઉડાવવામાં આવી (૬૩-૬૫)

  • યહુદી ન્યાયસભા આગળ (૬૬-૭૧)

૨૨  હવે, બેખમીર રોટલીનો* તહેવાર જેને પાસ્ખાનો તહેવાર કહેવામાં આવે છે, એ પાસે આવી રહ્યો હતો. ૨  મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ ઈસુને મારી નાખવાની સૌથી સારી રીત શોધતા હતા, કારણ કે તેઓ લોકોથી ડરતા હતા. ૩  પછી, બારમાંનો એક યહુદા જે ઇસ્કારિયોત કહેવાતો હતો, તેના દિલ પર શેતાને કાબૂ જમાવ્યો; ૪  તે ગયો અને તેમને કઈ રીતે દગો આપીને તેઓના હાથમાં સોંપી દેવા, એ વિશે મુખ્ય યાજકો તથા મંદિરના રક્ષકોના અધિકારીઓ સાથે વાત કરી. ૫  એનાથી તેઓ ઘણા ખુશ થયા અને તેને ચાંદીના સિક્કા આપવાનું નક્કી કર્યું. ૬  એટલે, તે સહમત થયો અને ટોળું આસપાસ ન હોય ત્યારે, તેમને દગાથી તેઓને સોંપી દેવાની સારી તક શોધવા લાગ્યો. ૭  હવે, બેખમીર રોટલીના તહેવારનો પહેલો દિવસ આવી પહોંચ્યો, જ્યારે પાસ્ખાનું બલિદાન ચઢાવવાનું હતું; ૮  તેથી, ઈસુએ પીતર અને યોહાનને આમ કહીને મોકલ્યા: “જાઓ અને આપણા માટે પાસ્ખાનું ભોજન લેવાની તૈયારી કરો.” ૯  તેઓએ તેમને પૂછ્યું: “તમે શું ચાહો છો, અમે ક્યાં એની તૈયારી કરીએ?” ૧૦  તેમણે તેઓને કહ્યું: “જુઓ! તમે શહેરમાં જશો ત્યારે, પાણીનું માટલું લઈને જતો એક માણસ તમને મળશે. તે જે ઘરમાં જાય એમાં તેની પાછળ પાછળ જજો. ૧૧  અને એ ઘરના માલિકને કહેજો, ‘તને ઉપદેશક કહે છે: “મહેમાનનો ઓરડો ક્યાં છે, જ્યાં હું મારા શિષ્યો સાથે પાસ્ખાનું ભોજન લઈ શકું?”’ ૧૨  એ માણસ તમને ઉપરના માળે સરસામાન સાથેનો એક મોટો ઓરડો બતાવશે. ત્યાં એની તૈયારી કરો.” ૧૩  એટલે, તેઓ ગયા અને ઈસુએ તેઓને કહ્યું હતું એવું જ મળ્યું અને તેઓએ પાસ્ખા માટે તૈયારી કરી. ૧૪  તેથી, જ્યારે સમય થયો ત્યારે તે પ્રેરિતો સાથે મેજને અઢેલીને બેઠા. ૧૫  અને તેમણે તેઓને કહ્યું: “હું દુઃખ સહન કરું એ પહેલાં, આ પાસ્ખાનું ભોજન તમારી સાથે ખાવાની મારી ઘણી ઝંખના હતી; ૧૬  કેમ કે હું તમને જણાવું છું, ઈશ્વરના રાજ્યમાં એને લગતી બધી બાબતો પૂરી નહિ થાય ત્યાં સુધી હું એ ફરી ખાવાનો નથી.” ૧૭  પછી, પ્યાલો લઈને તેમણે ઈશ્વરનો આભાર માન્યો અને કહ્યું: “તમે આ લો અને એક પછી એક એમાંથી પીઓ, ૧૮  કેમ કે હું તમને જણાવું છું, ઈશ્વરનું રાજ્ય આવે ત્યાં સુધી, હું હવે ફરી દ્રાક્ષદારૂ પીવાનો નથી.” ૧૯  તેમ જ, તેમણે રોટલી લીધી, ઈશ્વરનો આભાર માન્યો, એ તોડી અને તેઓને આપતા આમ કહ્યું: “આ મારા શરીરને રજૂ કરે છે, જે તમારા માટે આપવામાં આવશે. મારી યાદમાં આ કરતા રહો.” ૨૦  વળી, તેઓએ સાંજનું ભોજન લીધા પછી તેમણે પ્યાલો લઈને એવું જ કરતા કહ્યું: “આ પ્યાલો મારા લોહીના આધારે થયેલા નવા કરારને રજૂ કરે છે, જે તમારા માટે વહેવડાવવામાં આવશે. ૨૧  “પણ જુઓ! મને દગો દેનાર મારી સાથે મેજ પર છે. ૨૨  ખરું કે ભાખવામાં આવ્યું છે એ પ્રમાણે માણસનો દીકરો પોતાના માર્ગે જાય છે; પણ, જે માણસ તેને દગો દે છે તેને અફસોસ!” ૨૩  તેથી, તેઓ એકબીજા સાથે ચર્ચા કરવા લાગ્યા કે તેઓમાંથી ખરેખર કોણ એવું કરવાનું છે. ૨૪  જોકે, તેઓ વચ્ચે ગરમાગરમ ચર્ચા પણ ઊભી થઈ કે તેઓમાં કોણ સૌથી મોટું ગણાય. ૨૫  પરંતુ, તેમણે તેઓને કહ્યું: “દુનિયાના રાજાઓ પ્રજાઓ પર હુકમ ચલાવે છે અને પ્રજાઓ પર જેઓને અધિકાર છે, તેઓ દાતા કહેવાય છે. ૨૬  તેમ છતાં, તમારે એવા ન થવું. પણ, તમારામાં જે કોઈ સૌથી મોટો હોય, તે સૌથી નાના જેવો બને અને જે આગેવાની લેતો હોય, તે સેવક જેવો બને. ૨૭  કેમ કે મોટું કોણ, જમવા બેસનાર* કે પીરસનાર?* શું જમવા બેસનાર* નહિ? પણ, હું તમારી વચ્ચે પીરસનારના* જેવો છું. ૨૮  “તેમ છતાં, મારી કસોટીઓમાં જેઓ મને વળગી રહ્યા, એ તો તમે છો; ૨૯  અને હું તમારી સાથે રાજ્યનો કરાર કરું છું, જેમ મારા પિતાએ મારી સાથે રાજ્યનો કરાર કર્યો છે, ૩૦  જેથી મારા રાજ્યમાં તમે મારી મેજ પરથી ખાય-પી શકો અને રાજ્યાસનો પર બેસીને ઇઝરાયેલનાં ૧૨ કુળોનો ન્યાય કરી શકો. ૩૧  “સિમોન, સિમોન, જો! શેતાને તમને બધાને ઘઉંની જેમ ચાળવાની માંગ કરી છે. ૩૨  પરંતુ, મેં તારા માટે વિનંતી કરી છે કે તારી શ્રદ્ધા ખૂટે નહિ; અને તું, હા, તું પસ્તાવો કરીને એક વાર પાછો ફરે ત્યારે, તારા ભાઈઓને દૃઢ કરજે.” ૩૩  પછી, તેણે તેમને કહ્યું: “પ્રભુ, હું તમારી સાથે કેદમાં જવા અને મરવા પણ તૈયાર છું.” ૩૪  પરંતુ, તેમણે કહ્યું: “પીતર, હું તને જણાવું છું, તું ત્રણ વાર મને ઓળખવાનો નકાર નહિ કરે ત્યાં સુધી, આજે કૂકડો બોલશે નહિ.” ૩૫  તેમણે તેઓને આમ પણ કહ્યું: “જ્યારે મેં તમને પૈસાની તથા ખોરાકની થેલી તથા ચંપલ વગર મોકલ્યા, ત્યારે તમને શું કશાની ખોટ પડી હતી?” તેઓએ કહ્યું: “ના!” ૩૬  ત્યાર બાદ, તેમણે તેઓને કહ્યું: “પણ, હવે જેની પાસે પૈસાની થેલી હોય તે એને લઈ લે, એવી જ રીતે ખોરાકની થેલી લે અને જેની પાસે તલવાર ન હોય, તે પોતાનો ઝભ્ભો વેચીને એ ખરીદે. ૩૭  કેમ કે હું તમને જણાવું છું, જે કંઈ લખવામાં આવ્યું છે એ મારામાં પૂરું થવું જોઈએ, એટલે કે ‘તેને દુષ્ટો સાથે ગણવામાં આવ્યો.’ એ મારા વિશે પૂરું થઈ રહ્યું છે.” ૩૮  પછી, તેઓએ કહ્યું: “પ્રભુ, જુઓ! આ રહી બે તલવાર.” તેમણે તેઓને કહ્યું: “એ પૂરતી છે.” ૩૯  પછી, ત્યાંથી નીકળીને તે પોતાની રીત પ્રમાણે જૈતૂન પહાડ પર ગયા અને શિષ્યો પણ તેમની પાછળ ગયા. ૪૦  એક જગ્યા પર આવીને તેમણે તેઓને કહ્યું: “પ્રાર્થના કરતા રહો, જેથી તમે કસોટીમાં આવી ન પડો.” ૪૧  અને પથ્થર ફેંકાય તેટલે દૂર તે ગયા અને ઘૂંટણ ટેકવીને પ્રાર્થના કરવા લાગ્યા ૪૨  અને કહ્યું: “પિતા, જો તમે ચાહતા હો તો આ પ્યાલો* મારાથી દૂર કરો. તેમ છતાં, મારી ઇચ્છા નહિ પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.” ૪૩  ત્યારે સ્વર્ગમાંથી એક દૂત તેમની પાસે આવ્યો અને તેમને હિંમત આપી. ૪૪  પરંતુ, ભારે પીડા અનુભવવાને લીધે તે કાલાવાલા કરીને પ્રાર્થના કરતા રહ્યા; અને લોહીનાં ટીપાં જેવો તેમનો પરસેવો જમીન પર ટપકવા લાગ્યો. ૪૫  તે પ્રાર્થના કરીને ઊભા થયા અને શિષ્યો પાસે ગયા ત્યારે, શોકને લીધે તેઓને ઊંઘતા જોયા. ૪૬  તેમણે તેઓને કહ્યું: “તમે કેમ ઊંઘો છો? ઊઠો અને પ્રાર્થના કરતા રહો, જેથી તમે કસોટીમાં આવી ન પડો.” ૪૭  હજુ તો તે બોલી રહ્યા હતા એટલામાં, જુઓ! ટોળું આવ્યું અને યહુદા નામનો એક માણસ જે બારમાંનો એક હતો, તે તેઓને દોરી લાવ્યો અને તે ઈસુને ચુંબન કરવા આગળ આવ્યો. ૪૮  પરંતુ, ઈસુએ તેને કહ્યું: “યહુદા, શું તું ચુંબન કરીને માણસના દીકરાને દગો દે છે?” ૪૯  જેઓ તેમની આસપાસ હતા તેઓએ જોયું કે શું બનવાનું છે ત્યારે, તેઓએ કહ્યું: “પ્રભુ, શું અમે તલવાર ચલાવીએ?” ૫૦  અરે, તેઓમાંના એકે તો પ્રમુખ યાજકના ચાકર પર ઘા કરીને તેનો જમણો કાન ઉડાવી દીધો. ૫૧  પણ, જવાબમાં ઈસુએ કહ્યું: “બસ, બહુ થયું.” અને તે તેના કાનને અડક્યા અને તેને સાજો કર્યો. ૫૨  પછી, ઈસુએ મુખ્ય યાજકો તથા મંદિરના રક્ષકોના અધિકારીઓ તથા વડીલો, જેઓ તેમને પકડવા આવ્યા હતા, તેઓને કહ્યું: “લુટારા સામે આવતા હો, એમ શું તમે તલવારો અને લાઠીઓ લઈને આવ્યા છો? ૫૩  રોજ હું મંદિરમાં તમારી સાથે હતો ત્યારે, તમે મને પકડ્યો નહિ. પરંતુ, આ તમારો સમય છે અને અંધકારની સત્તા છે.” ૫૪  પછી, તેઓ તેમને પકડીને લઈ ગયા અને તેઓ તેમને પ્રમુખ યાજકના ઘરે લાવ્યા; પણ, પીતર થોડું અંતર રાખીને પાછળ પાછળ આવતો હતો. ૫૫  આંગણાની વચ્ચે તાપણું સળગાવીને લોકો ભેગા બેઠા ત્યારે, પીતર તેઓ સાથે બેઠો. ૫૬  પણ, તાપણાના પ્રકાશમાં બેઠેલા પીતરને એક દાસીએ ધ્યાનથી જોતા કહ્યું: “આ માણસ પણ તેની સાથે હતો.” ૫૭  પરંતુ, તેણે આમ કહીને નકાર કર્યો: “બહેન, હું તેને ઓળખતો નથી.” ૫૮  થોડીક વાર પછી, બીજા એક માણસે તેને જોયો અને કહ્યું: “તું પણ તેઓમાંનો એક છે.” પરંતુ, પીતરે કહ્યું: “ના ભાઈ, બિલકુલ નહિ.” ૫૯  અને એકાદ કલાક પસાર થઈ ગયા પછી, બીજો એક માણસ પૂરી ખાતરીથી કહેવા લાગ્યો: “ચોક્કસ, આ માણસ પણ તેની સાથે હતો, કેમ કે તે હકીકતમાં ગાલીલનો છે!” ૬૦  પરંતુ, પીતરે કહ્યું: “ભાઈ, તું શું કહે છે એ હું જાણતો નથી.” અને તે હજુ બોલી રહ્યો હતો એટલામાં, તરત જ કૂકડો બોલ્યો. ૬૧  એ વખતે પ્રભુએ ફરીને સીધું પીતરની સામે જોયું અને પ્રભુની વાત પીતરને યાદ આવી, જે તેમણે તેને કહી હતી: “આજે કૂકડો બોલે એ પહેલાં, તું મને ઓળખવાનો ત્રણ વાર નકાર કરીશ.” ૬૨  અને તે બહાર જઈને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. ૬૩  હવે, જે માણસો ઈસુની ચોકી કરતા હતા, તેઓ તેમની મશ્કરી કરવા અને મારવા લાગ્યા; ૬૪  અને તેમનો ચહેરો ઢાંકી દીધા પછી તેઓ પૂછતા હતા: “જો તું પ્રબોધક હોય, તો અમને જણાવ કે તને કોણે માર્યું?” ૬૫  અને તેઓએ તેમની વિરુદ્ધ નિંદા કરતી બીજી ઘણી વાતો કહી. ૬૬  અને દિવસ થયો ત્યારે, લોકોના વડીલોની સભા ભરાઈ, એટલે કે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ બંને ભેગા થયા અને તેઓ તેમને યહુદી ન્યાયસભામાં* લઈ ગયા અને કહ્યું: ૬૭  “જો તું ખ્રિસ્ત હોય તો અમને જણાવ.” પણ, તેમણે તેઓને કહ્યું: “ભલે હું તમને કહું, તોપણ તમે એ જરાય માનવાના નથી. ૬૮  તેમ જ, જો હું તમને સવાલ પૂછું, તો તમે જવાબ આપવાના નથી. ૬૯  છતાં પણ, હવેથી માણસનો દીકરો શક્તિશાળી ઈશ્વરના જમણે હાથે બેસશે.” ૭૦  આ સાંભળીને તેઓ બધાએ પૂછ્યું: “એટલે, શું તું ઈશ્વરનો દીકરો છે?” તેમણે તેઓને કહ્યું: “તમે પોતે કહો છો કે હું તે છું.” ૭૧  તેઓએ કહ્યું: “આપણે વધારે સાક્ષીની શી જરૂર? કેમ કે આપણે પોતે તેના જ મોઢેથી એ સાંભળ્યું છે.”

ફૂટનોટ

માથ ૨૬:૧૭ની ફૂટનોટ જુઓ.
અથવા, “મેજને અઢેલીને બેસનાર.”
અથવા, “સેવા કરનાર.”
અથવા, “મેજને અઢેલીને બેસનાર.”
અથવા, “સેવા કરનારના.”
માથ ૨૦:૨૨ની ફૂટનોટ જુઓ.
શબ્દસૂચિ જુઓ.