લૂક ૨૩:૧-૫૬

  • ઈસુ પીલાત અને હેરોદ આગળ (૧-૨૫)

  • ઈસુ અને બે ગુનેગારો ખીલાથી વધસ્તંભે જડાયા (૨૬-૪૩)

    • “તું મારી સાથે જીવનના બાગમાં હોઈશ” (૪૩)

  • ઈસુનું મરણ (૪૪-૪૯)

  • ઈસુની દફનવિધિ (૫૦-૫૬)

૨૩  એટલે, બધા જ લોકો ઊઠ્યા અને ઈસુને પીલાત પાસે લઈ ગયા. ૨  પછી, તેઓ તેમના પર આરોપ મૂકતા કહેવા લાગ્યા: “અમને ખબર પડી છે કે આ માણસ અમારી પ્રજાને ઉશ્કેરે છે, સમ્રાટને કર આપવાની મના કરે છે અને કહે છે કે તે પોતે ખ્રિસ્ત છે, રાજા છે.” ૩  હવે, પીલાતે તેમને સવાલ કર્યો: “શું તું યહુદીઓનો રાજા છે?” જવાબમાં તેમણે કહ્યું: “તમે પોતે એ કહો છો.” ૪  ત્યાર બાદ પીલાતે મુખ્ય યાજકો અને ટોળાને કહ્યું: “આ માણસમાં મને કોઈ ગુનો દેખાતો નથી.” ૫  પરંતુ, તેઓ વધારે ભાર દઈને કહેવા લાગ્યા: “આખા યહુદિયામાં, ગાલીલથી લઈને અહીં સુધી, લોકોને તે પોતાના શિક્ષણથી ઉશ્કેરે છે.” ૬  એ સાંભળીને પીલાતે પૂછ્યું કે તે ગાલીલના છે કે કેમ. ૭  તે હેરોદની સત્તા નીચેના પ્રદેશથી છે એની ખાતરી કર્યા પછી, તેણે તેમને હેરોદ પાસે મોકલ્યા, જે પણ એ દિવસોમાં યરૂશાલેમમાં હતો. ૮  હેરોદે ઈસુને જોયા ત્યારે તે ઘણો ખુશ થયો. તે લાંબા સમયથી ઈસુને જોવા માંગતો હતો, કારણ કે તેણે તેમના વિશે ઘણું સાંભળ્યું હતું અને તે કોઈ ચમત્કાર કરે એવી આશા રાખતો હતો. ૯  તેથી, તે તેમને ઘણા સવાલો પૂછવા લાગ્યો, પણ તેમણે કોઈ જવાબ ન આપ્યો. ૧૦  છતાં, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ વારંવાર ઊભા થઈને તેમના પર ગુસ્સે ભરાઈને આરોપ મૂકતા હતા. ૧૧  પછી, હેરોદે પોતાના સૈનિકો સાથે મળીને તેમનો તિરસ્કાર કર્યો અને ભપકાદાર કપડાં પહેરાવીને તેમની મજાક ઉડાવી અને પછી પીલાત પાસે પાછા મોકલી આપ્યા. ૧૨  એ જ દિવસે પીલાત અને હેરોદ એકબીજાના મિત્રો બન્યા, કેમ કે એ પહેલાં તેઓ વચ્ચે દુશ્મની હતી. ૧૩  એ પછી પીલાતે મુખ્ય યાજકો, શાસકો અને લોકોને ભેગા કર્યા ૧૪  અને તેઓને કહ્યું: “આ માણસ લોકોને બળવો કરવા ઉશ્કેરે છે એવું કહીને તમે તેને મારી પાસે લાવ્યા. હવે જુઓ! મેં તમારી સામે તેની પૂછપરછ કરી, પણ તમે આ માણસ પર જે આરોપ લગાવો છો એની કોઈ સાબિતી મને મળતી નથી. ૧૫  હકીકતમાં, હેરોદને પણ નહિ, કેમ કે તેણે અમારી પાસે તેને પાછો મોકલી આપ્યો અને જુઓ! તેણે એવું કંઈ નથી કર્યું, જેના લીધે તેને મારી નાખવામાં આવે. ૧૬  તેથી, હું તેને શિક્ષા કરીશ અને છોડી દઈશ.” ૧૭  * ૧૮  પરંતુ, આખું ટોળું બૂમો પાડીને કહેવા લાગ્યું: “આ માણસને મારી નાખો* અને બારાબાસને અમારા માટે છોડી દો!” ૧૯  (બારાબાસને શહેરમાં થયેલા બળવા અને હત્યા માટે કેદખાનામાં નાખવામાં આવ્યો હતો.) ૨૦  પીલાતે ફરી તેઓ સાથે વાત કરી, કારણ કે તે ઈસુને છોડી દેવા માંગતો હતો. ૨૧  પછી, તેઓ બૂમાબૂમ કરતા કહેવા લાગ્યા: “તેને વધસ્તંભે ચડાવો! તેને વધસ્તંભે ચડાવો!”* ૨૨  ત્રીજી વાર તેણે તેઓને કહ્યું: “શા માટે? આ માણસે શું ગુનો કર્યો છે? મને તેનામાં મરણની સજાને લાયક કંઈ પણ જોવા મળ્યું નથી; તેથી, હું તેને શિક્ષા કરીશ અને છોડી દઈશ.” ૨૩  એ સાંભળીને તેઓ વધુ ઊંચા અવાજે જોરશોરથી માંગણી કરવા લાગ્યા કે તેમને મારી નાખવામાં આવે* અને તેઓ ફાવ્યા. ૨૪  આખરે, પીલાતે નક્કી કર્યું કે તેઓની માંગણી પૂરી થાય. ૨૫  જે માણસને બળવો અને હત્યા કરવાને લીધે કેદખાનામાં નાખવામાં આવ્યો હતો, એની તેઓ માંગ કરતા હતા અને તેણે તેને છોડી દીધો; પણ, ઈસુને લોકોની મરજી પ્રમાણે કરવા તેઓના હાથમાં સોંપી દીધા. ૨૬  હવે, તેઓ તેમને લઈ જતા હતા ત્યારે, કુરેની શહેરનો એક સિમોન જે સીમમાંથી આવતો હતો, તેને તેઓએ પકડ્યો અને તેના પર વધસ્તંભ મૂક્યો, જેથી એ ઊંચકીને ઈસુની પાછળ ચાલે. ૨૭  લોકોનું મોટું ટોળું તેમની પાછળ પાછળ આવતું હતું, જેમાં સ્ત્રીઓ પણ હતી; તેઓ તેમના માટે શોકમાં છાતી કૂટીને વિલાપ કર્યા કરતી હતી. ૨૮  ઈસુ સ્ત્રીઓ તરફ ફર્યા અને કહ્યું: “યરૂશાલેમની દીકરીઓ, મારા માટે રડવાનું બંધ કરો. એના બદલે, તમારા માટે અને તમારાં બાળકો માટે રડો; ૨૯  કેમ કે જુઓ! એવા દિવસો આવે છે જ્યારે લોકો કહેશે, ‘ધન્ય છે વાંઝણી સ્ત્રીઓને, જેઓએ જન્મ આપ્યો નથી અને જેઓએ ધવડાવ્યું નથી!’ ૩૦  ત્યારે તેઓ પહાડોને કહેવા લાગશે, ‘અમારા પર પડો!’ અને ટેકરાઓને કહેશે, ‘અમને ઢાંકી દો!’ ૩૧  ઝાડ લીલું છે ત્યારે તેઓ આવું કરે છે તો, એ સુકાઈ જશે ત્યારે શું કરશે?” ૩૨  બીજા બે માણસો જેઓ ગુનેગારો હતા, તેઓને પણ તેમની સાથે મારી નાખવા લઈ જવાતા હતા. ૩૩  અને તેઓ ખોપરી નામની જગ્યા પાસે પહોંચ્યા ત્યારે, ત્યાં તેઓએ તેમને ગુનેગારો સાથે ખીલા ઠોકીને વધસ્તંભે જડ્યા, એકને તેમની જમણી બાજુ અને બીજાને તેમની ડાબી બાજુ. ૩૪  પરંતુ, ઈસુ કહેતા હતા: “હે પિતા, તેઓને માફ કરો, કેમ કે તેઓ જાણતા નથી કે પોતે શું કરે છે.” વધુમાં, તેઓએ તેમનાં કપડાં વહેંચી લેવા ચિઠ્ઠીઓ નાખી. ૩૫  અને લોકો ઊભા ઊભા જોતા હતા. પણ, અધિકારીઓ મહેણાં મારીને કહેતા હતા: “તેણે બીજાઓને બચાવ્યા; જો તે ઈશ્વરનો ખ્રિસ્ત, પસંદ કરેલો હોય તો તે પોતાને બચાવી લે.” ૩૬  અરે, સૈનિકોએ પણ તેમની મશ્કરી કરી, પાસે આવીને ખાટો દ્રાક્ષદારૂ આપ્યો ૩૭  અને કહ્યું: “જો તું યહુદીઓનો રાજા હોય તો પોતાને બચાવ.” ૩૮  તેમના વધસ્તંભ ઉપર તકતી પણ લગાડેલી હતી: “આ યહુદીઓનો રાજા છે.” ૩૯  પછી, ત્યાં લટકાવવામાં આવેલા ગુનેગારોમાંથી એક તેમને મહેણાં મારતા કહેવા લાગ્યો: “તું તો ખ્રિસ્ત છે ને? તો પોતાને અને અમને પણ બચાવ!” ૪૦  જવાબમાં બીજાએ તેને ધમકાવતા કહ્યું: “તું તેના જેવી જ શિક્ષા ભોગવી રહ્યો છે, તોપણ તને ઈશ્વરનો જરાય ડર નથી? ૪૧  અને આપણી સજા વાજબી છે, કેમ કે આપણે જે કર્યું એનાં ફળ ભોગવીએ છીએ; પણ આ માણસે કંઈ ખોટું કર્યું નથી.” ૪૨  પછી, તેણે કહ્યું: “ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે, મને યાદ કરજો.” ૪૩  અને તેમણે તેને જણાવ્યું: “સાચે જ હું તને આજે કહું છું, તું મારી સાથે જીવનના બાગમાં* હોઈશ.” ૪૪  હવે, બપોરના બારેક વાગ્યા* હતા, તોપણ આખા દેશમાં અંધારું છવાઈ ગયું, જે બપોરના ત્રણેક વાગ્યા* સુધી રહ્યું, ૪૫  કેમ કે સૂર્યનો પ્રકાશ આવતો બંધ થઈ ગયો; ત્યાર બાદ મંદિરનો પડદો વચ્ચેથી ફાટી ગયો. ૪૬  અને ઈસુએ મોટા અવાજે બૂમ પાડી: “હે પિતા, હું મારું જીવન* તમારા હાથમાં સોંપું છું.” આમ કહ્યા પછી તે મરણ પામ્યા.* ૪૭  જે બન્યું એ જોઈને લશ્કરી અધિકારી ઈશ્વરને મહિમા આપતા કહેવા લાગ્યો: “ખરેખર, આ માણસ નેક હતો.” ૪૮  ત્યાં ભેગા થયેલા સર્વ લોકોએ જે બન્યું હતું એ જોયું ત્યારે, તેઓ છાતી કૂટતા ઘરે પાછા ફર્યા. ૪૯  અને તેમને ઓળખનારા બધા દૂર ઊભા હતા. ઉપરાંત, ગાલીલથી તેમની સાથે આવેલી સ્ત્રીઓ પણ ત્યાં હતી અને તેઓએ આ બધું જોયું. ૫૦  અને જુઓ! યુસફ નામનો માણસ જે ધર્મસભાનો* એક સભ્ય હતો, તે ભલો અને નેક હતો. ૫૧  (આ માણસે ધર્મસભાનાં કાવતરાં અને કામોમાં સંમતિ આપી ન હતી.) તે યહુદિયાના અરિમથાઈ શહેરનો હતો અને તે ઈશ્વરના રાજ્યની રાહ જોતો હતો. ૫૨  આ માણસ પીલાત પાસે ગયો અને ઈસુનું શબ માંગ્યું. ૫૩  તેણે એને નીચે ઉતાર્યું અને બારીક શણના કાપડમાં વીંટાળ્યું અને ખડકમાં ખોદેલી કબરમાં મૂક્યું, જ્યાં કદી કોઈ શબ મૂકવામાં આવ્યું ન હતું. ૫૪  હવે, એ સાબ્બાથની તૈયારીનો દિવસ* હતો અને સાબ્બાથ શરૂ થવાનો હતો. ૫૫  પરંતુ, જે સ્ત્રીઓ તેમની સાથે ગાલીલથી આવી હતી તેઓ પણ સાથે ગઈ અને કબર જોઈ અને તેમનું શબ કઈ રીતે મૂકવામાં આવ્યું હતું એ જોયું; ૫૬  અને તેઓ સુગંધી દ્રવ્યો* અને સુગંધી તેલ તૈયાર કરવા પાછી ગઈ. જોકે, નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓએ સાબ્બાથના દિવસે આરામ કર્યો.

ફૂટનોટ

માથ ૧૭:૨૧ની ફૂટનોટ જુઓ.
મૂળ અર્થ, “આને લઈ જાઓ.”
અથવા, “તેને વધસ્તંભે મારી નાખો! તેને વધસ્તંભે મારી નાખો!”
અથવા, “વધસ્તંભે મારી નાખવામાં આવે.”
અથવા, “ઈશ્વરના બાગમાં.”
મૂળ અર્થ, “આશરે છઠ્ઠા કલાકે [સૂર્યોદય પછી].”
મૂળ અર્થ, “નવમા કલાકે [સૂર્યોદય પછી].”
શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.
અથવા, “તેમણે છેલ્લો શ્વાસ લીધો.”
અથવા, “યહુદી ન્યાયસભાનો.”
એટલે કે, શુક્રવાર.
શબ્દસૂચિ જુઓ.