લૂક ૩:૧-૩૮

  • યોહાનના કામની શરૂઆત (૧, ૨)

  • બાપ્તિસ્મા વિશે યોહાનનો પ્રચાર (૩-૨૦)

  • ઈસુનું બાપ્તિસ્મા (૨૧, ૨૨)

  • ઈસુ ખ્રિસ્તની વંશાવળી (૨૩-૩૮)

 સમ્રાટ તિબેરિયસના શાસનના ૧૫મા વર્ષે પોંતિયુસ પીલાત યહુદિયાનો રાજ્યપાલ હતો; હેરોદ* ગાલીલનો જિલ્લા અધિકારી* હતો અને તેનો ભાઈ ફિલિપ યટૂરિયા અને ત્રાખોનિતિયાનો જિલ્લા અધિકારી હતો; અને લુસાનિયાસ અબિલેનીનો જિલ્લા અધિકારી હતો; ૨  તેમ જ, અન્‍નાસ અને કાયાફાસ મુખ્ય યાજક હતા; એ દિવસોમાં ઝખાર્યાના દીકરા યોહાન પાસે ઈશ્વરનો સંદેશો વેરાન પ્રદેશમાં આવ્યો. ૩  એટલે, તે યરદનના આસપાસના સર્વ પ્રદેશમાં જઈને પસ્તાવાની નિશાની તરીકે લોકોને બાપ્તિસ્મા લેવાનો પ્રચાર કરવા લાગ્યો, જેથી તેઓનાં પાપોની માફી મળે. ૪  પ્રબોધક યશાયાના પુસ્તકમાં લખ્યું છે, એવું જ તેણે કર્યું: “કોઈ વેરાન પ્રદેશમાં પોકારી રહ્યું છે: ‘યહોવાનો* માર્ગ તૈયાર કરો! તેમના રસ્તા સીધા કરો. ૫  દરેક ખીણ ભરવામાં આવે અને દરેક પહાડ તથા ટેકરો સપાટ કરવામાં આવે અને વાંકાચૂકા રસ્તાઓને સીધા કરવામાં આવે તેમજ ખાડા-ટેકરાવાળી જગ્યાઓને સરખી કરવામાં આવે ૬  અને સર્વ લોકો ઈશ્વર દ્વારા ઉદ્ધાર થતો જોશે.’”* ૭  તેથી, તેની પાસે બાપ્તિસ્મા લેવા આવતાં ટોળાંને તે કહેવા લાગ્યો: “ઓ સાપના વંશજો, આવનાર કોપથી નાસવા માટે તમને કોણે ચેતવ્યા? ૮  એ માટે તમારાં કાર્યોથી બતાવો કે તમે પસ્તાવો કર્યો છે અને એમ ન વિચારો કે, ‘અમારા પિતા તો ઈબ્રાહીમ છે,’ કારણ કે હું તમને કહું છું કે ઈશ્વર આ પથ્થરોમાંથી ઈબ્રાહીમને માટે સંતાનો ઉત્પન્‍ન કરી શકે છે. ૯  સાચે જ, વૃક્ષોનાં મૂળ પર કુહાડો મુકાઈ ચૂક્યો છે. એટલે, દરેક વૃક્ષ જે સારાં ફળ આપતું નથી, એ કાપી નાખવામાં આવશે અને આગમાં નંખાશે.” ૧૦  અને ટોળાં તેને પૂછતાં હતાં: “તો પછી, અમારે શું કરવું જોઈએ?” ૧૧  જવાબમાં તેણે તેઓને કહ્યું: “જે માણસ પાસે બે કપડાં* હોય, તેણે જેની પાસે કંઈ ન હોય તેને આપવું અને જેની પાસે કંઈ ખાવાનું હોય તેણે પણ એમ જ કરવું.” ૧૨  અરે, કર ઉઘરાવનારા* પણ બાપ્તિસ્મા લેવા આવ્યા અને તેઓએ તેને પૂછ્યું: “ઉપદેશક, અમારે શું કરવું જોઈએ?” ૧૩  તેણે તેઓને કહ્યું: “જેટલો કર લેવાનો હોય એનાથી જરાય વધારે ન માંગો.”* ૧૪  તેમ જ, સૈનિકો તેને પૂછતા હતા: “અમારે શું કરવું જોઈએ?” અને તેણે તેઓને કહ્યું: “કોઈને હેરાન ન કરો* કે કોઈના પર ખોટા આરોપ ન મૂકો, પણ તમને જે રોજી-રોટી* મળે છે એનાથી સંતોષ પામો.” ૧૫  હવે, લોકો ખ્રિસ્તની રાહ જોતા હોવાથી, યોહાન વિશે મનમાં વિચારતા હતા કે, “શું તે ખ્રિસ્ત હશે?” ૧૬  તેઓ બધાને જવાબ આપતા યોહાને કહ્યું: “હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું, પણ જે આવનાર છે તેમની પાસે મારા કરતાં વધારે અધિકાર છે. હું તેમના જોડાની દોરી છોડવા પણ યોગ્ય નથી. તે તમને પવિત્ર શક્તિથી અને અગ્‍નિથી બાપ્તિસ્મા આપશે. ૧૭  પોતાની ખળીને* એકદમ સાફ કરવા તેમના હાથમાં સૂપડું* છે; અને તે ઘઉંને કોઠારમાં ભરશે, પણ ફોતરાંને એવી આગમાં બાળી નાખશે જે કદી હોલવી ન શકાય.” ૧૮  યોહાને બીજી ઘણી શિખામણ પણ આપી અને લોકોને તે ખુશખબર જણાવતો રહ્યો. ૧૯  પણ, યોહાને જિલ્લા અધિકારી હેરોદને તેનાં બધાં દુષ્ટ કામોને લીધે અને તેના ભાઈની પત્ની હેરોદિયાને લીધે ઠપકો આપ્યો. ૨૦  એ કારણે હેરોદે હજી એક દુષ્ટ કામ કર્યું: તેણે યોહાનને કેદખાનામાં પૂરી દીધો. ૨૧  હવે, બધા લોકો બાપ્તિસ્મા પામી રહ્યા ત્યારે ઈસુ પણ બાપ્તિસ્મા પામ્યા. તે પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે, આકાશ ઊઘડી ગયું ૨૨  અને પવિત્ર શક્તિ કબૂતર જેવા આકારમાં તેમના પર ઊતરી આવી અને આકાશવાણી થઈ કે, “તું મારો વહાલો દીકરો છે; મેં તને પસંદ કર્યો છે.” ૨૩  ઈસુએ શીખવવાનું શરૂ કર્યું ત્યારે, તે લગભગ ૩૦ વર્ષના હતા; એમ માનવામાં આવતું કે,તે યુસફના દીકરા,જે હેલીનો દીકરો, ૨૪  જે મથ્થાતનો દીકરો,જે લેવીનો દીકરો,જે મલ્ખીનો દીકરો,જે યન્‍નાયનો દીકરો,જે યુસફનો દીકરો, ૨૫  જે મત્તિથ્યાનો દીકરો,જે આમોસનો દીકરો,જે નહૂમનો દીકરો,જે હેસ્લીનો દીકરો,જે નગ્ગયનો દીકરો, ૨૬  જે માહથનો દીકરો,જે મત્તિથ્યાનો દીકરો,જે શિમઈનો દીકરો,જે યોસેખનો દીકરો,જે યોદાનો દીકરો, ૨૭  જે યોહાનાનનો દીકરો,જે રેસાનો દીકરો,જે ઝરૂબ્બાબેલનો દીકરો,જે શઆલ્તીએલનો દીકરો,જે નેરીનો દીકરો, ૨૮  જે મલ્ખીનો દીકરો,જે અદ્દીનો દીકરો,જે કોસામનો દીકરો,જે અલ્માદામનો દીકરો,જે એરનો દીકરો, ૨૯  જે ઈસુનો દીકરો,જે એલીએઝરનો દીકરો,જે યોરીમનો દીકરો,જે મથ્થાતનો દીકરો,જે લેવીનો દીકરો, ૩૦  જે સિમઓનનો દીકરો,જે યહુદાનો દીકરો,જે યુસફનો દીકરો,જે યોનામનો દીકરો,જે એલ્યાકીમનો દીકરો, ૩૧  જે મલેયાનો દીકરો,જે મિન્‍નાનો દીકરો,જે મત્તાથાનો દીકરો,જે નાથાનનો દીકરો,જે દાઊદનો દીકરો, ૩૨  જે યિશાઈનો દીકરો,જે ઓબેદનો દીકરો,જે બોઆઝનો દીકરો,જે સલ્મોનનો દીકરો,જે નાહશોનનો દીકરો, ૩૩  જે અમિનાદાબનો દીકરો,જે અર્નીનો દીકરો,જે હેસ્રોનનો દીકરો,જે પેરેસનો દીકરો,જે યહુદાનો દીકરો, ૩૪  જે યાકૂબનો દીકરો,જે ઇસહાકનો દીકરો,જે ઈબ્રાહીમનો દીકરો,જે તેરાહનો દીકરો,જે નાહોરનો દીકરો, ૩૫  જે સરૂગનો દીકરો,જે રયૂનો દીકરો,જે પેલેગનો દીકરો,જે એબેરનો દીકરો,જે શેલાનો દીકરો, ૩૬  જે કાઈનાનનો દીકરો,જે આર્પાકશાદનો દીકરો,જે શેમનો દીકરો,જે નુહનો દીકરો,જે લામેખનો દીકરો, ૩૭  જે મથૂશેલાનો દીકરો,જે હનોખનો દીકરો,જે યારેદનો દીકરો,જે મહાલલેલનો દીકરો,જે કાઈનાનનો દીકરો, ૩૮  જે અનોશનો દીકરો,જે શેથનો દીકરો,જે આદમનો દીકરો,જે ઈશ્વરનો દીકરો હતો.

ફૂટનોટ

એટલે કે, હેરોદ અંતિપાસ. શબ્દસૂચિ જુઓ.
મૂળ અર્થ, “પ્રાંતના ચોથા ભાગનો રાજ્યપાલ.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “સર્વ લોકો જોશે કે ઈશ્વર કઈ રીતે ઉદ્ધાર કરશે.”
અથવા, “વધારાનું કપડું.”
કર ઉઘરાવનારાને લોકો માનની નજરે જોતા ન હતા.
અથવા, “ઉઘરાવો.”
અથવા, “ધાકધમકી ન આપો.”
અથવા, “પગાર.”
અનાજ છૂટું પાડવાની જગ્યા.
અનાજમાંથી ફોતરાં છૂટાં પાડવાનું પાવડા જેવું લાકડાનું સાધન.