લૂક ૪:૧-૪૪

  • ઈસુનું પરીક્ષણ કરતો શેતાન (૧-૧૩)

  • ઈસુ ગાલીલમાં પ્રચાર શરૂ કરે છે (૧૪, ૧૫)

  • ઈસુનો નાઝરેથમાં નકાર (૧૬-૩૦)

  • કાપરનાહુમના સભાસ્થાનમાં (૩૧-૩૭)

  • સિમોનની સાસુ અને બીજા લોકો સાજા કરાયા (૩૮-૪૧)

  • ટોળું ઈસુને એકાંત જગ્યાએ શોધી કાઢે છે (૪૨-૪૪)

 પછી, ઈસુ પવિત્ર શક્તિથી ભરપૂર થઈને યરદનથી પાછા ફર્યા અને પવિત્ર શક્તિએ તેમને વેરાન પ્રદેશમાં એકથી બીજી જગ્યાએ દોર્યા; ૨  ત્યાં તે ૪૦ દિવસ હતા અને શેતાને* તેમનું પરીક્ષણ કર્યું. એ દિવસોમાં તેમણે કંઈ ખાધું ન હતું; એટલે, એ દિવસો પૂરા થયા ત્યારે તેમને ભૂખ લાગી. ૩  એ માટે શેતાને તેમને કહ્યું: “જો તું ઈશ્વરનો દીકરો હોય, તો આ પથ્થરને કહે કે રોટલી બની જાય.” ૪  પણ, ઈસુએ તેને જવાબ આપ્યો: “એમ લખેલું છે કે, ‘માણસ ફક્ત રોટલીથી જીવતો નથી.’” ૫  એટલે, તે તેમને ઊંચી જગ્યાએ લઈ ગયો અને એક પળમાં પૃથ્વીનાં બધાં રાજ્યો બતાવ્યાં. ૬  પછી, શેતાને તેમને કહ્યું: “હું તને આ બધો અધિકાર અને એનો મહિમા આપી દઈશ, કેમ કે આ બધાં રાજ્યો મને સોંપવામાં આવ્યાં છે અને હું ચાહું તેને એ આપી શકું છું. ૭  એટલે, જો તું એક વાર મારી ભક્તિ કરે તો આ બધું તારું થશે.” ૮  જવાબમાં ઈસુએ તેને કહ્યું: “એમ લખેલું છે કે, ‘તું ફક્ત તારા ઈશ્વર યહોવાની* ભક્તિ કર અને તેમના એકલાની જ તું પવિત્ર સેવા કર.’” ૯  પછી, તે તેમને યરૂશાલેમ દોરી ગયો અને મંદિરની દીવાલની ટોચ* ઉપર ઊભા રાખ્યા અને તેમને કહ્યું: “જો તું ઈશ્વરનો દીકરો હોય તો અહીંથી નીચે પડતું મૂક, ૧૦  કેમ કે લખેલું છે: ‘તે પોતાના દૂતોને તારા માટે હુકમ કરશે કે તારું રક્ષણ કરે’ ૧૧  અને ‘તેઓ તને પોતાના હાથોમાં ઝીલી લેશે, જેથી તારો પગ પથ્થર સાથે અફળાય નહિ.’” ૧૨  ઈસુએ તેને જવાબ આપ્યો: “એમ કહેલું છે કે, ‘તું તારા ઈશ્વર યહોવાની* કસોટી ન કર.’” ૧૩  અને શેતાન બધી કસોટી કરી રહ્યો ત્યારે, ફરી તક મળે ત્યાં સુધી તેમની પાસેથી ચાલ્યો ગયો. ૧૪  હવે, ઈસુ ગાલીલ પાછા આવ્યા અને ઈશ્વરની પવિત્ર શક્તિ તેમના પર હતી. આસપાસના આખા પ્રદેશમાં તેમના વિશે સારી વાતો ફેલાઈ ગઈ. ૧૫  તેમ જ, એ લોકોનાં સભાસ્થાનોમાં તે શીખવવા લાગ્યા અને બધા તેમને માન આપતા હતા. ૧૬  પછી તે નાઝરેથ ગયા, જ્યાં તેમનો ઉછેર થયો હતો અને તેમની રીત પ્રમાણે સાબ્બાથના દિવસે* સભાસ્થાનમાં આવ્યા અને તે વાંચવા ઊભા થયા. ૧૭  તેથી, તેમને પ્રબોધક યશાયાનો વીંટો* આપવામાં આવ્યો અને તેમણે વીંટો ખોલ્યો અને આમ લખેલું શોધી કાઢ્યું: ૧૮  “યહોવાની* શક્તિ મારા પર છે, કેમ કે ગરીબોને ખુશખબર જાહેર કરવા તેમણે મને અભિષિક્ત કર્યો છે; કેદીઓને મુક્તિના સમાચાર આપવા, આંધળાઓને દૃષ્ટિ આપવા અને કચડાયેલાઓને છોડાવવા તેમણે મને મોકલ્યો છે; ૧૯  યહોવાની* કૃપા પામવાના સમયનો પ્રચાર કરવા પણ મને મોકલ્યો છે.” ૨૦  એ પછી, તેમણે વીંટો વાળીને સેવકને પાછો આપ્યો અને બેસી ગયા; સભાસ્થાનમાં સર્વ તેમને એકી નજરે જોઈ રહ્યા હતા. ૨૧  પછી, તે લોકોને કહેવા લાગ્યા: “આ શાસ્ત્રવચન જે તમે હમણાં સાંભળ્યું, એ આજે પૂરું થયું છે.” ૨૨  એ લોકો તેમના વિશે સારી સાક્ષી આપવા લાગ્યા અને દિલ જીતી લેતા તેમના શબ્દોથી નવાઈ પામીને કહેવા લાગ્યા: “શું આ યુસફનો દીકરો નથી?” ૨૩  એટલે, તેમણે તેઓને કહ્યું: “તમે આ કહેવત ચોક્કસ મારા પર લાગુ પાડશો: ‘વૈદ, પોતાને સાજો કર. કાપરનાહુમમાં જે બન્યું એ અમે સાંભળ્યું છે, એ બધું અહીંયા તારા વતનમાં પણ કર.’” ૨૪  એટલે તેમણે કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે કોઈ પણ પ્રબોધકને પોતાના વતનમાં સ્વીકારવામાં નથી આવતો. ૨૫  દાખલા તરીકે, હું તમને સાચું કહું છું કે, એલિયાના દિવસોમાં ઇઝરાયેલમાં ઘણી વિધવાઓ હતી; એ સમયે સાડા ત્રણ વર્ષ સુધી વરસાદ ન પડ્યો અને આખા દેશમાં ભારે દુકાળ પડ્યો. ૨૬  પરંતુ, એલિયાને તેઓમાંથી કોઈ સ્ત્રી પાસે નહિ, પણ સિદોન દેશના સારફતની વિધવા પાસે જ મોકલવામાં આવ્યા. ૨૭  તેમ જ, એલિશા પ્રબોધકના દિવસોમાં ઇઝરાયેલમાં ઘણા રક્તપિત્તિયા હતા, તોપણ તેઓમાંથી કોઈને નહિ, ફક્ત સિરિયાના નામાનને જ શુદ્ધ કરવામાં આવ્યો.”* ૨૮  હવે, સભાસ્થાનમાં જે સર્વએ આ સાંભળ્યું, તેઓનો ક્રોધ સળગી ઊઠ્યો; ૨૯  તેઓ ઊઠીને ઈસુને શહેરની બહાર ખેંચી ગયા અને જે પહાડ પર તેઓનું શહેર બંધાયેલું હતું એની ધાર પર લઈ ગયા, જેથી તેમને ત્યાંથી નીચે ફેંકી દઈ શકે. ૩૦  પણ, તે તેઓની વચ્ચેથી નીકળી ગયા અને પોતાના માર્ગે ચાલ્યા ગયા. ૩૧  ત્યાર બાદ તે ગાલીલના શહેર, કાપરનાહુમમાં ગયા અને લોકોને તે સાબ્બાથના દિવસે શીખવતા હતા; ૩૨  ઈસુની શીખવવાની રીત જોઈને લોકો દંગ થઈ ગયા, કેમ કે તે અધિકારથી બોલતા હતા. ૩૩  હવે, સભાસ્થાનમાં ખરાબ દૂત વળગેલો એક માણસ હતો; તેણે મોટેથી બૂમ પાડી: ૩૪  “ઓ નાઝરેથના ઈસુ, તારે ને અમારે શું લેવાદેવા? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? હું બરાબર જાણું છું કે તું કોણ છે, તું ઈશ્વરનો પવિત્ર સેવક છે.” ૩૫  પરંતુ, ઈસુએ તેને ધમકાવતા કહ્યું: “ચૂપ થા અને તેનામાંથી બહાર નીકળ.” એટલે, દુષ્ટ દૂત એ માણસને લોકોની વચ્ચે પાડીને, તેને નુકસાન પહોંચાડ્યા વગર તેનામાંથી નીકળી ગયો. ૩૬  એ જોઈને બધાની નવાઈનો પાર ન રહ્યો અને તેઓ એકબીજાને કહેવા લાગ્યા: “આ તો કેવી વાણી છે, કેમ કે તે દુષ્ટ દૂતોને અધિકાર અને સત્તાથી હુકમ કરે છે અને તેઓ બહાર નીકળે છે?” ૩૭  તેથી, તેમના વિશેની વાતો આસપાસના વિસ્તારોમાં ખૂણે-ખૂણે ફેલાતી ગઈ. ૩૮  સભાસ્થાનમાંથી નીકળ્યા પછી, તે સિમોનના ઘરમાં ગયા. હવે, સિમોનની સાસુને સખત તાવ હતો, એટલે તેને મદદ કરવા તેઓએ ઈસુને જણાવ્યું. ૩૯  તેથી, તેની પથારી પાસે જઈને તે ઊભા રહ્યા અને તેમણે તાવને ધમકાવ્યો ને તાવ ઊતરી ગયો. તરત જ, તે ઊભી થઈ અને તેઓની સેવા કરવા લાગી. ૪૦  સૂર્ય આથમી ગયો ત્યારે, લોકો તેઓનાં ઘરોમાંથી અનેક રોગોથી પીડાતા બીમારોને તેમની પાસે લાવ્યા. દરેક પર હાથ મૂકીને તેમણે તેઓને સાજા કર્યા. ૪૧  વળી, ઘણા લોકોમાંથી દુષ્ટ દૂતો નીકળી આવ્યા અને પોકારીને આમ કહેવા લાગ્યા: “તું ઈશ્વરનો દીકરો છે.” પણ, ઈસુ તેઓને ધમકાવીને બોલવા દેતા નહિ, કેમ કે તે ખ્રિસ્ત છે એવું તેઓ જાણતા હતા. ૪૨  જોકે, દિવસ ઊગ્યો ત્યારે તે ત્યાંથી નીકળ્યા અને એકાંત જગ્યાએ ગયા. પણ ટોળું તેમને શોધવા લાગ્યું* અને તે જ્યાં હતા ત્યાં આવી પહોંચ્યું અને તેઓએ તેમને પોતાની પાસેથી જતા અટકાવવાનો પ્રયત્ન કર્યો. ૪૩  પરંતુ, તેમણે તેઓને કહ્યું: “ઈશ્વરના રાજ્યની ખુશખબર મારે બીજાં શહેરોમાં પણ જણાવવી જોઈએ, કેમ કે એ માટે મને મોકલવામાં આવ્યો છે.” ૪૪  તેથી, તે યહુદિયાનાં સભાસ્થાનોમાં પ્રચાર કરતા ગયા.

ફૂટનોટ

શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “પાળી; સૌથી ઊંચી જગ્યા.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “સાજો કરવામાં આવ્યો.”
અથવા, “પીછો કરવા લાગ્યું.”