લૂક ૫:૧-૩૯

  • ચમત્કારથી માછલીઓ પકડાઈ; પ્રથમ શિષ્યો (૧-૧૧)

  • રક્તપિત્તિયો માણસ સાજો કરાયો (૧૨-૧૬)

  • ઈસુ લકવો થયેલાને સાજો કરે છે (૧૭-૨૬)

  • ઈસુ લેવીને બોલાવે છે (૨૭-૩૨)

  • ઉપવાસ વિશે સવાલ (૩૩-૩૯)

 ઈસુ એક વાર ગન્‍નેસરેતના સરોવર* નજીક ઈશ્વરનો સંદેશો જણાવી રહ્યા હતા. લોકો તેમને સાંભળતા હતા અને તેમના પર પડાપડી કરતા હતા. ૨  ઈસુએ સરોવરના કિનારે બે હોડીઓ જોઈ અને માછીમારો એમાંથી ઊતરીને પોતાની જાળો ધોતા હતા. ૩  ઈસુ એક હોડીમાં ચઢી ગયા, જે સિમોનની હતી; તેમણે તેને હોડી કિનારેથી થોડે દૂર લઈ જવા કહ્યું. પછી, તે હોડીમાં બેઠા અને ટોળાંને શીખવવા લાગ્યા. ૪  શીખવી રહ્યા પછી તેમણે સિમોનને કહ્યું: “ઊંડા પાણીમાં લઈ જાઓ અને ત્યાં માછલીઓ પકડવા તમારી જાળ નાખો.” ૫  પણ, જવાબમાં સિમોને કહ્યું: “ઉપદેશક, આખી રાત અમે સખત મહેનત કરી અને કંઈ જ પકડાયું નહિ; પણ તમે કહો છો, એટલે હું જાળ નાખીશ.” ૬  અને તેઓએ એમ કર્યું ત્યારે પુષ્કળ માછલીઓ પકડી,* એટલી બધી કે તેઓની જાળો ફાટવા લાગી. ૭  તેથી, તેઓએ બીજી હોડીમાંના પોતાના સાથીઓને મદદે આવવા ઇશારો કર્યો અને તેઓ આવ્યા અને બંને હોડીઓ એટલી ભરી કે એ ડૂબવા લાગી. ૮  એ જોઈને સિમોન પીતરે ઘૂંટણે પડીને ઈસુને કહ્યું: “પ્રભુ, મારી પાસેથી જાઓ, કેમ કે હું પાપી માણસ છું.” ૯  તેઓએ ઘણી માછલીઓ પકડી હતી, એટલે નવાઈને લીધે પીતર અને તેની સાથેના બધાના હોશકોશ ઊડી ગયા હતા; ૧૦  ઝબદીના દીકરાઓ યાકૂબ અને યોહાન, જે સિમોનના ભાગીદારો હતા, તેઓ બંનેને પણ એવું જ લાગ્યું. પણ, ઈસુએ સિમોનને કહ્યું: “ગભરાઈશ નહિ. હવેથી તું માણસોને ભેગા કરીશ.” ૧૧  તેથી, તેઓ હોડીઓ કિનારે પાછી લાવ્યા અને બધું છોડીને તેમની પાછળ ગયા. ૧૨  બીજા એક સમયે, તે એક શહેરમાં હતા અને જુઓ, આખા શરીરે રક્તપિત્ત થયેલો એક માણસ! તેણે ઈસુને જોયા ત્યારે, તે ઊંધા મોઢે પડીને આજીજી કરવા લાગ્યો: “ઓ પ્રભુ, જો તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો.” ૧૩  એટલે, તે પોતાનો હાથ લંબાવીને તેને અડક્યા અને કહ્યું: “હું ચાહું છું! તું શુદ્ધ થા.” તરત જ, તેનો રક્તપિત્ત જતો રહ્યો. ૧૪  પછી, તેમણે આજ્ઞા કરી કે કોઈને કંઈ કહેતો નહિ અને જણાવ્યું: “પણ, જા અને યાજક પાસે જઈને પોતાને બતાવ; અને તું શુદ્ધ થયો હોવાથી, મુસાના જણાવ્યા પ્રમાણે અર્પણ ચઢાવ, જેથી તેઓને પુરાવો મળે.” ૧૫  તોપણ, તેમના વિશે વાતો ફેલાતી ગઈ અને ટોળેટોળાં તેમને સાંભળવાં અને પોતાની બીમારીઓ મટાડવાં આવ્યાં. ૧૬  તેમ છતાં, તે વારંવાર એકાંત જગ્યાએ જઈને પ્રાર્થના કરતા. ૧૭  એક દિવસ તે શીખવી રહ્યા હતા ત્યારે, ફરોશીઓ અને નિયમશાસ્ત્રના શિક્ષકો ત્યાં બેઠા હતા, જે ગાલીલ તથા યહુદિયાના દરેક ગામમાંથી અને યરૂશાલેમમાંથી આવ્યા હતા; અને લોકોને સાજા કરવા યહોવાની* શક્તિ ઈસુ પર હતી. ૧૮  અને જુઓ! લકવો થયેલા એક માણસને લોકો પથારીમાં લાવ્યા; અને તેઓ તેને ઈસુ પાસે અંદર લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ૧૯  ટોળાંને લીધે તેઓને અંદર જવાની જગ્યા ન મળી, એટલે તેઓ છાપરા પર ચડ્યા અને નળિયાં ખસેડીને પથારી સાથે તે માણસને ઈસુ આગળ ઉતાર્યો. ૨૦  તેમણે તેઓની શ્રદ્ધા જોઈને કહ્યું: “તારાં પાપ માફ થયાં છે.” ૨૧  એટલે, શાસ્ત્રીઓ અને ફરોશીઓ મનમાં વિચારવા લાગ્યા અને અંદરોઅંદર કહેવા લાગ્યા: “આ તે કોણ છે, જે ઈશ્વરની નિંદા કરે છે? ઈશ્વર સિવાય બીજું કોણ પાપોની માફી આપી શકે?” ૨૨  પણ, ઈસુ તેઓના વિચારો જાણી ગયા અને જવાબમાં તેમણે કહ્યું: “તમે તમારા હૃદયોમાં શું વિચારો છો? ૨૩  શું કહેવું વધારે સહેલું છે, ‘તારાં પાપ માફ થયાં છે’ એ કે પછી ‘ઊભો થા અને ચાલ’? ૨૪  પણ, માણસના દીકરાને* પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે, એની તમને ખબર પડે એટલા માટે . . .” તેમણે લકવો થયેલા માણસને કહ્યું: “હું તને કહું છું, ઊભો થા, તારી પથારી ઉઠાવ અને તારા ઘરે જા.” ૨૫  એટલે, તે તેઓની આગળ ઊભો થયો, પોતાની પથારી ઉપાડી અને ઈશ્વરને મહિમા આપતો પોતાના ઘરે ગયો. ૨૬  ત્યારે બધા દંગ રહી ગયા અને ઈશ્વરને મહિમા આપવા લાગ્યા; તેઓ પર ડર છવાઈ ગયો અને તેઓએ કહ્યું: “આજે અમે અદ્‍ભુત બનાવ જોયો છે!” ૨૭  હવે, એ બધું બન્યા પછી ઈસુ ત્યાંથી નીકળ્યા અને લેવી નામના કર ઉઘરાવનારને, કર ભરવાની કચેરીમાં બેઠેલો જોયો. તેમણે તેને કહ્યું: “મારો શિષ્ય થા.” ૨૮  એટલે, તે ઊભો થયો અને બધું છોડીને તેમની પાછળ ચાલવા લાગ્યો. ૨૯  ત્યાર બાદ, લેવીએ તેમના માટે પોતાના ઘરે મોટી મિજબાની રાખી અને ત્યાં ઘણા કર ઉઘરાવનારા અને બીજાઓ તેમની સાથે જમવા બેઠા હતા.* ૩૦  એ જોઈને ફરોશીઓએ અને શાસ્ત્રીઓએ કચકચ કરી અને તેમના શિષ્યોને કહેવા લાગ્યા: “શા માટે તમે કર ઉઘરાવનારાઓ અને પાપીઓ સાથે ખાઓ-પીઓ છો?” ૩૧  તેઓને જવાબ આપતા ઈસુએ કહ્યું: “જેઓ સાજા છે તેઓને વૈદની જરૂર નથી, પણ માંદાને છે. ૩૨  હું નેક લોકોને નહિ, પણ પાપીઓને પસ્તાવો કરવાની અરજ કરવા આવ્યો છું.” ૩૩  અમુક લોકોએ આવીને તેમને પૂછ્યું: “યોહાનના શિષ્યો વારંવાર ઉપવાસ અને વિનંતીઓ કરે છે તેમજ ફરોશીઓના શિષ્યો પણ એમ કરે છે; પરંતુ, તમારા શિષ્યો તો ખાય-પીએ છે.” ૩૪  ઈસુએ તેઓને કહ્યું: “જ્યાં સુધી વરરાજા સાથે હોય, ત્યાં સુધી તમે તેના મિત્રોને ઉપવાસ કરાવી શકો ખરા? ૩૫  પણ, એવા દિવસો આવશે કે જ્યારે વરરાજા તેઓ પાસેથી લઈ લેવાશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે.” ૩૬  તેમણે તેઓને એક ઉદાહરણ પણ જણાવ્યું: “નવા કપડામાંથી થીંગડું કાપીને કોઈ જૂના કપડા પર મારતું નથી. જો તે એમ કરે, તો નવું થીંગડું ફાટી જશે અને નવા કપડામાંથી લીધેલું થીંગડું જૂના કપડા સાથે મેળ નહિ ખાય. ૩૭  તેમ જ, જૂની મશકોમાં* કોઈ નવો દ્રાક્ષદારૂ ભરતું નથી. જો તે એમ કરે, તો નવો દ્રાક્ષદારૂ મશકોને ફાડી નાખશે અને એ ઢોળાઈ જશે અને મશકો નાશ પામશે. ૩૮  પણ, નવો દ્રાક્ષદારૂ નવી મશકોમાં ભરવો જોઈએ. ૩૯  જૂનો દ્રાક્ષદારૂ પીધા પછી કોઈ નવો માંગશે નહિ, કેમ કે તે કહે છે: ‘જૂનો સારો છે.’”

ફૂટનોટ

એટલે કે, ગાલીલ સરોવર.
મૂળ અર્થ, “ઘેરી લેવું.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “મેજને અઢેલીને બેઠા હતા.”
પ્રાણીના ચામડામાંથી બનેલી થેલી.