લૂક ૬:૧-૪૯

  • ઈસુ, ‘સાબ્બાથના પ્રભુ’ (૧-૫)

  • સુકાયેલા હાથવાળો માણસ સાજો કરાયો (૬-૧૧)

  • ૧૨ પ્રેરિતો (૧૨-૧૬)

  • ઈસુ શીખવે છે અને સાજા કરે છે (૧૭-૧૯)

  • સુખ અને અફસોસ (૨૦-૨૬)

  • દુશ્મનોને પ્રેમ (૨૭-૩૬)

  • ન્યાય કરવાનું બંધ કરો (૩૭-૪૨)

  • એનાં ફળથી ઓળખાશે (૪૩-૪૫)

  • સારી રીતે બાંધેલું ઘર; મજબૂત પાયા વગરનું ઘર (૪૬-૪૯)

 હવે, સાબ્બાથના દિવસે ઈસુ અનાજનાં ખેતરોમાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમના શિષ્યો કણસલાં તોડીને, હાથથી મસળીને ખાતા હતા. ૨  એ જોઈને અમુક ફરોશીઓએ કહ્યું: “સાબ્બાથના દિવસે નિયમ પ્રમાણે જે કરવું ન જોઈએ, એ તમે કેમ કરો છો?” ૩  પણ, ઈસુએ તેઓને જવાબ આપતા કહ્યું: “શું તમે કદી નથી વાંચ્યું કે દાઊદ અને તેમના માણસો ભૂખ્યા હતા ત્યારે તેમણે શું કર્યું? ૪  તે ઈશ્વરના ઘરમાં ગયા અને અર્પણ કરેલી રોટલી તેમને આપવામાં આવી; એ તેમણે ખાધી અને તેમની સાથેના માણસોને પણ આપી, જે રોટલી નિયમ પ્રમાણે બીજું કોઈ નહિ, પણ ફક્ત યાજકો જ ખાઈ શકતા હતા.” ૫  પછી, તેમણે તેઓને કહ્યું: “માણસનો દીકરો સાબ્બાથના દિવસનો પ્રભુ છે.” ૬  બીજા એક સાબ્બાથના દિવસે તે સભાસ્થાનમાં ગયા અને શીખવવા લાગ્યા. ત્યાં એક માણસ હતો, જેનો જમણો હાથ સુકાઈ ગયો હતો.* ૭  હવે, શાસ્ત્રીઓ અને ફરોશીઓ એ જોવા તેમના પર ચાંપતી નજર રાખી રહ્યા હતા કે તે સાબ્બાથના દિવસે કોઈને સાજો કરે છે કે નહિ, જેથી તેમના પર કોઈ રીતે આરોપ મૂકી શકે. ૮  જોકે, તે તેઓના વિચારો જાણતા હોવાથી, તેમણે સુકાયેલા* હાથવાળા માણસને કહ્યું: “ઊઠ અને વચ્ચે ઊભો રહે.” તેથી, તે ઊઠીને વચ્ચે ઊભો રહ્યો. ૯  પછી, ઈસુએ તેઓને કહ્યું: “હું તમને પૂછું છું, નિયમ પ્રમાણે સાબ્બાથે શું કરવું યોગ્ય છે, સારું કે ખરાબ? જીવન બચાવવું કે મારી નાખવું?” ૧૦  ચારે બાજુ બધા પર નજર કરીને તે માણસને તેમણે કહ્યું: “તારો હાથ લાંબો કર.” તેણે હાથ લાંબો કર્યો અને તેનો હાથ સાજો થયો. ૧૧  પરંતુ, તેઓ ગુસ્સાથી ભડકી ઊઠ્યા અને ઈસુનું શું કરવું, એ વિશે અંદરોઅંદર વાત કરવા લાગ્યા. ૧૨  એ દિવસો દરમિયાન, ઈસુ પ્રાર્થના કરવા પહાડ પર ગયા અને તેમણે આખી રાત ઈશ્વરને પ્રાર્થના કરી. ૧૩  અને દિવસ થયો ત્યારે તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવ્યા અને તેઓમાંથી ૧૨ને પસંદ કર્યા, જેઓને તેમણે પ્રેરિતો* નામ પણ આપ્યું: ૧૪  સિમોન જેને તે પીતર પણ કહેતા, તેનો ભાઈ આંદ્રિયા, યાકૂબ, યોહાન, ફિલિપ, બર્થોલ્મી, ૧૫  માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન જેને “ઉત્સાહી” કહેતા, ૧૬  યાકૂબનો દીકરો યહુદા અને યહુદા ઇસ્કારિયોત જે દગાખોર બન્યો. ૧૭  પછી, તે તેઓની સાથે નીચે આવ્યા અને સપાટ જગ્યા પર ઊભા રહ્યા; ત્યાં તેમના શિષ્યોનું મોટું ટોળું હતું અને આખા યહુદિયા અને યરૂશાલેમ તથા તૂર અને સિદોનના દરિયાઈ વિસ્તારમાંથી લોકોનાં ટોળેટોળાં તેમને સાંભળવા અને પોતાની બીમારીઓથી સાજા થવા આવ્યા હતાં. ૧૮  અરે, દુષ્ટ દૂતોથી હેરાન થતા લોકો પણ સાજા થયા. ૧૯  ટોળામાંનાં સર્વ તેમને અડવાનો પ્રયત્ન કરતા હતા, કેમ કે તેમનામાંથી શક્તિ નીકળીને તેઓ સર્વને સાજા કરતી હતી. ૨૦  પછી, તેમણે શિષ્યો તરફ નજર કરી અને કહેવા લાગ્યા: “ગરીબો, તમે સુખી છો, કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારું છે. ૨૧  “અત્યારે ભૂખ વેઠનારાઓ, તમે સુખી છો, કેમ કે તમે તૃપ્ત કરાશો. “અત્યારે રડનારાઓ, તમે સુખી છો, કેમ કે તમે હસશો. ૨૨  “જ્યારે માણસના દીકરાને લીધે લોકો તમારો ધિક્કાર કરે, તમને તેઓ વચ્ચેથી કાઢી મૂકે, નિંદા કરે અને દુષ્ટ ગણીને તમારું નામ બદનામ કરે,* ત્યારે તમે સુખી છો. ૨૩  તમે ખુશ થાઓ અને આનંદથી નાચી ઊઠો, કેમ કે જુઓ! સ્વર્ગમાં તમારા માટે મોટું ઇનામ રહેલું છે; તેઓના બાપદાદાઓ પણ પ્રબોધકોને એવું જ કરતા હતા. ૨૪  “પણ, ધનવાનો, તમને અફસોસ, કેમ કે તમે પૂરેપૂરું સુખ પામી ચૂક્યા છો. ૨૫  “અત્યારે તૃપ્ત થયેલાઓ, તમને અફસોસ, કેમ કે તમે ભૂખ્યા રહેશો. “અત્યારે હસનારાઓ, તમને અફસોસ, કેમ કે તમે શોક કરશો અને રડશો. ૨૬  “બધા લોકો તમારું સારું બોલે ત્યારે તમને અફસોસ, કેમ કે તેઓના બાપદાદાઓ જૂઠા પ્રબોધકોને એવું જ કરતા હતા. ૨૭  “પણ, તમે જેઓ સાંભળો છો, તેઓને હું કહું છું: તમારા દુશ્મનોને પ્રેમ કરતા રહો, જેઓ તમને ધિક્કારે છે તેઓનું સારું કરતા રહો; ૨૮  જેઓ તમને શાપ આપે છે તેઓને આશીર્વાદ આપતા રહો, તમારું અપમાન કરનારાઓ માટે પ્રાર્થના કરતા રહો. ૨૯  જે તમારા એક ગાલ પર તમાચો મારે, તેને બીજો ગાલ પણ ધરો; અને જે તમારો બહારનો ઝભ્ભો લઈ લે, તેને અંદરનો ઝભ્ભો લેતા પણ રોકશો નહિ. ૩૦  તમારી પાસે જે કોઈ માંગે તેને આપો અને જે તમારી વસ્તુઓ પડાવી લે, તેની પાસે એ પાછી ન માંગો. ૩૧  “વધુમાં, જેમ તમે ચાહો છો કે લોકો તમારી સાથે વર્તે, એમ તમે પણ તેઓની સાથે વર્તો. ૩૨  “જેઓ તમને પ્રેમ કરે છે તેઓને તમે પ્રેમ કરો તો, એમાં તમને શું લાભ? કેમ કે પાપીઓ પણ પોતાને પ્રેમ કરનારાઓને પ્રેમ કરે છે. ૩૩  અને જેઓ તમારું ભલું કરે છે તેઓનું તમે ભલું કરો તો, એમાં તમને શું લાભ? અરે, પાપીઓ પણ એમ જ કરે છે. ૩૪  તેમ જ, જેની પાસેથી પાછું મળી શકે તેને તમે ઉછીનું* આપો તો, એમાં તમને શું લાભ? અરે, પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે, જેથી પૂરેપૂરું પાછું મેળવી શકે. ૩૫  એના બદલે, તમારા દુશ્મનોને પ્રેમ કરતા રહો અને ભલું કરતા રહો અને કંઈ પણ પાછું મેળવવાની આશા વગર ઉછીનું આપતા રહો; અને તમારું ઇનામ મોટું હશે તથા તમે સર્વોચ્ચ ઈશ્વરના દીકરાઓ થશો, કેમ કે તે ઉપકાર ન માનનારાઓ અને દુષ્ટો પર દયા બતાવે છે. ૩૬  જેમ તમારા પિતા દયાળુ છે એમ તમે દયાળુ થાઓ. ૩૭  “વળી, ન્યાય કરવાનું બંધ કરો અને કોઈ પણ રીતે તમારો ન્યાય કરવામાં નહિ આવે, દોષિત ઠરાવવાનું બંધ કરો અને કોઈ પણ રીતે તમને દોષિત ઠરાવવામાં નહિ આવે. માફ કરતા રહો* અને તમને માફ કરવામાં આવશે.* ૩૮  આપતા રહો અને લોકો તમને આપશે. તેઓ ઉદારતાથી, દાબીને, હલાવીને અને ઊભરાય એટલું તમારા ખોળામાં આપશે, કેમ કે જે માપથી તમે માપી આપો છો, એ માપથી તેઓ તમને પણ પાછું માપી આપશે.” ૩૯  પછી, તેમણે તેઓને ઉદાહરણ પણ આપ્યું: “શું આંધળો માણસ આંધળા માણસને દોરી શકે? શું તેઓ બંને ખાડામાં નહિ પડે? ૪૦  વિદ્યાર્થી* પોતાના શિક્ષક કરતાં મોટો નથી, પણ જે કોઈને સારી રીતે શીખવવામાં આવે, તે તેના શિક્ષક જેવો થશે. ૪૧  તો પછી, તમે કેમ તમારા ભાઈની* આંખમાંનું તણખલું જુઓ છો, પણ તમારી પોતાની આંખમાંનો ભારોટિયો* જોતા નથી? ૪૨  તમે તમારા ભાઈને કેવી રીતે કહી શકો કે ‘ભાઈ, તારી આંખમાંથી મને તણખલું કાઢવા દે,’ જ્યારે કે તમારી આંખમાંનો ભારોટિયો તમે જોતા નથી? ઓ ઢોંગીઓ! પહેલા તમારી પોતાની આંખમાંથી ભારોટિયો કાઢો, પછી તમે સારી રીતે જોઈ શકશો કે તમારા ભાઈની આંખમાંથી તણખલું કઈ રીતે કાઢવું. ૪૩  “વળી, કોઈ પણ સારું ઝાડ સડેલું ફળ આપતું નથી અને કોઈ પણ સડેલું ઝાડ સારું ફળ આપતું નથી, ૪૪  કેમ કે દરેક ઝાડ તેનાં ફળથી ઓળખાય છે. દાખલા તરીકે, કાંટાના ઝાડ પરથી લોકો અંજીર ભેગાં કરતા નથી, તેમ જ ઝાંખરા પરથી દ્રાક્ષ તોડતા નથી. ૪૫  સારો માણસ તેના હૃદયના સારા ખજાનામાંથી સારું કાઢે છે, પણ ખરાબ માણસ તેના ખરાબ ખજાનામાંથી ખરાબ કાઢે છે, કેમ કે હૃદયમાં જે ભરેલું છે, એ જ તે બોલે છે. ૪૬  “તો પછી, શા માટે તમે મને ‘પ્રભુ, પ્રભુ,’ કહો છો, પણ હું કહું એ કરતા નથી? ૪૭  જે કોઈ મારી પાસે આવે છે અને મારા શબ્દો સાંભળે છે અને એમ કરે છે, તે કોના જેવો છે એ હું તમને કહું છું: ૪૮  તે એવા માણસ જેવો છે, જેણે ઘર બાંધવા ઊંડે સુધી ખોદીને ખડક પર પાયો નાખ્યો. એટલે જ્યારે પૂર આવ્યું અને નદીનું ધસમસતું પાણી એ ઘર સાથે અથડાવા લાગ્યું, ત્યારે ઘરને હલાવી ન શક્યું, કેમ કે તે સારી રીતે બંધાયેલું હતું. ૪૯  જ્યારે કે, જે સાંભળે છે પણ કંઈ કરતો નથી, તે એવા માણસ જેવો છે જેણે પાયો નાખ્યા વગર જમીન પર ઘર બાંધ્યું. નદીનું ધસમસતું પાણી એની સાથે અથડાવા લાગ્યું અને તરત જ તે પડી ગયું અને એના ભાંગીને ભૂક્કા થઈ ગયા.”

ફૂટનોટ

અથવા, “લકવો મારી ગયો હતો.”
અથવા, “લકવો મારી ગયેલા.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “કાઢી નાખે.”
એટલે કે, વગર વ્યાજે.
અથવા, “જતું કરતા રહો.”
અથવા, “જતું કરવામાં આવશે.”
અથવા, “શિષ્ય.”
આ સાથી ઈશ્વરભક્તને બતાવે છે.
છતને ટેકો આપતો લાકડાનો મોભ.