લૂક ૭:૧-૫૦

  • લશ્કરી અધિકારીની શ્રદ્ધા (૧-૧૦)

  • નાઈનની વિધવાના દીકરાને ઈસુ સજીવન કરે છે (૧૧-૧૭)

  • બાપ્તિસ્મા આપનાર યોહાનની પ્રશંસા કરાઈ (૧૮-૩૦)

  • કહેવું ન માનનારી પેઢી દોષિત ગણાઈ (૩૧-૩૫)

  • પાપી સ્ત્રીને માફી અપાઈ (૩૬-૫૦)

    • દેવાદારોનું ઉદાહરણ (૪૧-૪૩)

 લોકોને જે કહેવાનું હતું એ પૂરું કર્યા પછી, ઈસુ કાપરનાહુમમાં આવ્યા. ૨  હવે, એક લશ્કરી અધિકારીનો ચાકર જે તેને વહાલો હતો, તે બહુ બીમાર પડ્યો અને મરવાની અણી પર હતો. ૩  જ્યારે લશ્કરી અધિકારીએ ઈસુ વિશે સાંભળ્યું, ત્યારે તેણે તેમને બોલાવવા અને ચાકરને સાજો કરવા યહુદી વડીલોને તેમની પાસે મોકલ્યા. ૪  તેઓ ઈસુ પાસે આવ્યા અને ઘણી વિનંતી કરીને કહેવા લાગ્યા: “તમે તેને મદદ કરો એ માટે તે લાયક છે, ૫  કેમ કે તે આપણી પ્રજા પર પ્રેમ રાખે છે અને તેણે પોતે અમારા માટે સભાસ્થાન બંધાવ્યું છે.” ૬  તેથી, ઈસુ તેઓની સાથે ગયા. પણ, તે ઘરથી બહુ દૂર ન હતા ત્યારે લશ્કરી અધિકારીએ પોતાના મિત્રોને તેમને કહેવા મોકલ્યા: “સાહેબ, તકલીફ ન લેશો; તમે મારા ઘરે આવો એને હું લાયક નથી. ૭  એ જ કારણને લીધે, તમારી પાસે આવવા મેં પોતાને લાયક ન ગણ્યો. પણ, તમે બસ કહી દો અને મારો ચાકર સાજો થશે. ૮  કારણ કે હું પણ કોઈના હાથ નીચે કામ કરું છું અને મારા હાથ નીચે પણ સૈનિકો છે; એમાંના એકને હું કહું, ‘જા!’ અને તે જાય છે, બીજાને કહું, ‘આવ!’ અને તે આવે છે, મારા દાસને કહું કે, ‘આમ કર!’ અને તે એમ કરે છે.” ૯  ઈસુએ આ બધું સાંભળ્યું ત્યારે, લશ્કરી અધિકારીને લીધે તેમને ખૂબ નવાઈ લાગી અને તેમણે પોતાની પાછળ આવતા ટોળા તરફ ફરીને કહ્યું: “હું તમને કહું છું, ઇઝરાયેલમાં પણ મેં આટલી શ્રદ્ધા જોઈ નથી.” ૧૦  અને જેઓને મોકલવામાં આવ્યા હતા, તેઓ ઘરે પાછા આવ્યા ત્યારે તેઓએ ચાકરને સાજો થયેલો જોયો. ૧૧  એ પછી, તે તરત નાઈન નામના શહેરમાં ગયા; તેમના શિષ્યો અને ઘણા લોકો તેમની સાથે ચાલતા હતા. ૧૨  શહેરના દરવાજા નજીક તે આવ્યા ત્યારે, જુઓ! ગુજરી ગયેલા એક માણસને લોકો લઈ જતા હતા, જે તેની માનો એકનો એક દીકરો હતો. તે વિધવા હતી. એ શહેરના ઘણા લોકો પણ તેની સાથે હતા. ૧૩  પ્રભુની નજર તેના પર પડી ત્યારે, તેમનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું અને તેમણે તેને કહ્યું: “રડીશ નહિ.” ૧૪  એમ કહીને તે નનામી* પાસે આવીને એને અડક્યા અને નનામી ઊંચકનારાઓ ઊભા રહ્યા. પછી, તેમણે કહ્યું: “જુવાન, હું તને કહું છું, ઊભો થા!” ૧૫  એટલે, મરણ પામેલો માણસ બેઠો થયો અને બોલવા લાગ્યો અને ઈસુએ તેને તેની માને સોંપ્યો. ૧૬  હવે, બધા લોકો પર ભય છવાઈ ગયો અને તેઓ ઈશ્વરને મહિમા આપતા કહેવા લાગ્યા: “મોટો પ્રબોધક આપણી વચ્ચે ઊભો કરાયો છે” અને “ઈશ્વરે પોતાના લોકો તરફ ધ્યાન આપ્યું છે.” ૧૭  તેમના વિશેના આ સમાચાર આખા યહુદિયા અને આસપાસના પ્રદેશમાં ફેલાઈ ગયા. ૧૮  હવે, યોહાનના શિષ્યોએ તેને આ બધી વાતો જણાવી. ૧૯  તેથી, યોહાને તેના બે શિષ્યોને બોલાવ્યા અને પ્રભુને પૂછવા મોકલ્યા: “જે આવનાર છે, તે તમે છો કે અમે બીજા કોઈની રાહ જોઈએ?” ૨૦  તેઓએ ઈસુ પાસે આવીને કહ્યું: “બાપ્તિસ્મા આપનાર યોહાને તમારી પાસે અમને એ પૂછવા મોકલ્યા છે કે, ‘જે આવનાર છે, તે તમે છો કે અમે બીજા કોઈની રાહ જોઈએ?’” ૨૧  એ વખતે, તેમણે ઘણા લોકોના રોગ અને મોટી મોટી બીમારીઓ મટાડી, દુષ્ટ દૂતોને કાઢ્યા અને અનેક આંધળા લોકોને દેખતા કર્યા. ૨૨  જવાબમાં ઈસુએ તેઓને કહ્યું: “જાઓ અને તમે જે જોયું અને સાંભળ્યું, એ યોહાનને જણાવો: આંધળા હવે જુએ છે, લંગડા ચાલે છે, રક્તપિત્તિયાને શુદ્ધ કરવામાં આવે છે, બહેરા સાંભળે છે, મરણ પામેલા પાછા ઉઠાડાય છે અને ગરીબોને ખુશખબર જણાવાય છે. ૨૩  જેણે મારા લીધે ઠોકર ખાધી નથી, તે સુખી છે.” ૨૪  યોહાનનો સંદેશો લાવનારાઓ જતા રહ્યા પછી, તે ટોળાંને યોહાન વિશે કહેવા લાગ્યા: “તમે ઉજ્જડ પ્રદેશમાં શું જોવા ગયા હતા? પવનથી ડોલતા બરુને? ૨૫  તો પછી, તમે શું જોવા ગયા હતા? શું રેશમી કપડાં* પહેરેલા માણસને? જેઓ ભપકાદાર કપડાં પહેરે છે અને એશઆરામથી જીવે છે, તેઓ તો મહેલોમાં રહે છે. ૨૬  તો પછી, તમે શું જોવા ગયા હતા? પ્રબોધકને? હા, હું તમને કહું છું, પ્રબોધકથી પણ મહાન છે તેને. ૨૭  આ એ જ છે, જેના વિશે લખવામાં આવ્યું છે: ‘જો, હું તારી આગળ મારો સંદેશવાહક મોકલું છું, જે તારી આગળ તારો રસ્તો તૈયાર કરશે!’ ૨૮  હું તમને કહું છું કે, સ્ત્રીઓથી જન્મેલા બધામાં યોહાનથી મહાન બીજું કોઈ નથી, પણ ઈશ્વરના રાજ્યમાં જે સૌથી નાનો છે, તે તેના કરતાં મહાન છે.” ૨૯  (બધા લોકોએ અને કર ઉઘરાવનારાઓએ જ્યારે એ સાંભળ્યું ત્યારે તેઓએ જાહેર કર્યું કે ઈશ્વર ન્યાયી છે, કેમ કે તેઓ યોહાનથી બાપ્તિસ્મા પામી ચૂક્યા હતા. ૩૦  પણ, ફરોશીઓ અને નિયમશાસ્ત્રના જાણકારોએ પોતાના માટે ઈશ્વરની જે સલાહ* હતી એનો નકાર કર્યો, કેમ કે તેઓ યોહાનથી બાપ્તિસ્મા પામ્યા ન હતા.) ૩૧  ઈસુએ આગળ જણાવ્યું: “એટલા માટે, આ પેઢીના લોકોને હું કોની સાથે સરખાવું અને તેઓ કોના જેવા છે? ૩૨  તેઓ બજારમાં બેઠેલાં બાળકો જેવા છે, જેઓ એકબીજાને બૂમ પાડીને કહે છે: ‘અમે તમારા માટે વાંસળી વગાડી પણ તમે નાચ્યા નહિ, અમે વિલાપ કર્યો પણ તમે છાતી કૂટી નહિ.’ ૩૩  એ જ રીતે, બાપ્તિસ્મા આપનાર યોહાન રોટલી ખાતો કે દ્રાક્ષદારૂ પીતો આવ્યો નથી, પણ તમે કહો છો: ‘તેને દુષ્ટ દૂત વળગ્યો છે.’ ૩૪  માણસનો દીકરો ખાતો-પીતો આવ્યો, પણ તમે કહો છો: ‘જુઓ! ખાઉધરો અને દારૂડિયો માણસ, કર ઉઘરાવનારાઓ અને પાપીઓનો મિત્ર!’ ૩૫  ખરેખર, ડહાપણ પોતાનાં કાર્યોથી ખરું સાબિત થાય છે.”* ૩૬  હવે, ફરોશીઓમાંનો એક ઈસુને જમવા આવવાની વારંવાર વિનંતી કરતો હતો. તેથી, એ ફરોશીના ઘરે તે ગયા અને મેજને અઢેલીને બેઠા. ૩૭  અને જુઓ! એ શહેરમાં પાપી તરીકે જાણીતી એક સ્ત્રી હતી. તેને ખબર પડી કે ફરોશીના ઘરે તે જમવા આવ્યા છે* અને તે સંગેમરમરની શીશીમાં સુગંધી તેલ લઈને આવી. ૩૮  તે તેમની પાછળ આવીને તેમના પગ પાસે ઘૂંટણે પડી અને રડતાં રડતાં પોતાનાં આંસુઓથી તેમના પગ પલાળવા લાગી; પછી, પોતાના માથાના વાળથી તેમના પગ લૂછીને એને ચુંબન કર્યું અને એના પર સુગંધી તેલ લગાડ્યું. ૩૯  એ જોઈને, જે ફરોશીએ તેમને બોલાવ્યા હતા તેણે મનમાં કહ્યું: “જો આ માણસ ખરેખર પ્રબોધક હોત, તો તે જાણતો હોત કે તેમને અડકનાર સ્ત્રી કોણ છે અને કેવી છે, એટલે કે તે પાપી છે.” ૪૦  પણ, તેના વિચાર જાણીને ઈસુએ તેને કહ્યું: “સિમોન, મારે તને કંઈક કહેવું છે.” તેણે કહ્યું: “ઉપદેશક, કહો!” ૪૧  “એક લેણદારને બે દેવાદાર હતા; એકનું ૫૦૦ દીનારનું* દેવું હતું અને બીજાનું ૫૦ દીનાર. ૪૨  તેઓ પાસે તેને ચૂકવવા કંઈ ન હતું, તેથી તેણે ઉદારતાથી તેઓ બંનેનું દેવું માફ કર્યું. એટલે, તેઓમાંથી કોણ તેને વધારે પ્રેમ કરશે?” ૪૩  જવાબમાં સિમોને કહ્યું: “મને લાગે છે કે, જેનું વધારે દેવું માફ થયું તે.” તેમણે તેને જણાવ્યું: “તેં ખરું કહ્યું.” ૪૪  એ પછી, તેમણે સ્ત્રી તરફ ફરીને સિમોનને કહ્યું: “તું આ સ્ત્રીને જુએ છે? હું તારા ઘરે આવ્યો ત્યારે પગ ધોવા તેં મને પાણી ન આપ્યું. પણ, આ સ્ત્રીએ તેનાં આંસુઓથી મારા પગ ધોયા અને પોતાના વાળથી એને લૂછ્યા. ૪૫  તેં મને આવકાર આપવા ચુંબન ન કર્યું, પણ હું આવ્યો ત્યારથી આ સ્ત્રીએ મારા પગને ચૂમવાનું બંધ કર્યું નથી. ૪૬  તેં મારા માથા પર તેલ ન લગાડ્યું, પણ આ સ્ત્રીએ મારા પગ પર સુગંધી તેલ લગાડ્યું છે. ૪૭  તેથી, હું તને કહું છું, ભલે તેનાં પાપ ઘણાં* છે છતાં એ માફ કરાયાં છે, કેમ કે તેણે વધારે પ્રેમ બતાવ્યો છે. પણ, જેનાં થોડાં પાપ માફ કરાયાં છે તે થોડો પ્રેમ બતાવે છે.” ૪૮  પછી, તેમણે એ સ્ત્રીને કહ્યું: “તારાં પાપ માફ કરાયાં છે.” ૪૯  જેઓ તેમની સાથે મેજ પર અઢેલીને બેઠા હતા, તેઓ અંદરોઅંદર વાત કરવા લાગ્યા: “આ માણસ કોણ છે, જે પાપ પણ માફ કરે છે?” ૫૦  પણ, તેમણે એ સ્ત્રીને કહ્યું: “તારી શ્રદ્ધાએ તને બચાવી છે; શાંતિથી જા.”

ફૂટનોટ

અથવા, “ઠાઠડી.”
અથવા, “મુલાયમ કપડાં.”
અથવા, “માર્ગદર્શન.”
અથવા, “વાજબી પુરવાર થાય છે.”
અથવા, “મેજને અઢેલીને બેઠા છે.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “મોટાં.”