લૂક ૮:૧-૫૬

  • ઈસુને સાથ આપતી સ્ત્રીઓ (૧-૩)

  • વાવનારનું ઉદાહરણ (૪-૮)

  • ઈસુએ કેમ ઉદાહરણો વાપર્યાં (૯, ૧૦)

  • વાવનારના ઉદાહરણની સમજણ (૧૧-૧૫)

  • દીવાને ઢાંકવો નહિ (૧૬-૧૮)

  • ઈસુની મા અને ભાઈઓ (૧૯-૨૧)

  • ઈસુ તોફાન શાંત પાડે છે (૨૨-૨૫)

  • દુષ્ટ દૂતોને ઈસુ ભૂંડોમાં મોકલે છે (૨૬-૩૯)

  • યાઐરસની દીકરી; એક સ્ત્રી ઈસુના ઝભ્ભાને અડકે છે (૪૦-૫૬)

 થોડા સમય પછી, ઈસુ શહેરેશહેર અને ગામેગામ જઈને ઈશ્વરના રાજ્યની ખુશખબરનો પ્રચાર કરવા અને જાહેર કરવા લાગ્યા. અને બાર શિષ્યો તેમની સાથે હતા; ૨  તેમ જ, અમુક સ્ત્રીઓ પણ તેમની સાથે હતી, જેઓમાંથી દુષ્ટ દૂતો કાઢવામાં આવ્યા હતા અને બીમારીઓ મટાડવામાં આવી હતી; જેમ કે, મરિયમ જે માગદાલેણ નામથી ઓળખાતી હતી, તેનામાંથી સાત દુષ્ટ દૂતો કાઢવામાં આવ્યા હતા; ૩  હેરોદના ઘરના કારભારી ખૂઝાની પત્ની યોહાન્‍ના, સુસાન્‍ના અને બીજી ઘણી સ્ત્રીઓ, જેઓ પોતાની સંપત્તિમાંથી તેઓની સેવા કરતી હતી. ૪  હવે, તેમની પાસે શહેરેશહેરથી આવતા લોકોની સાથે મોટું ટોળું ભેગું થયું ત્યારે, તે ઉદાહરણ આપીને વાત કરવા લાગ્યા: ૫  “બી વાવનાર તેનાં બી વાવવા માટે બહાર ગયો. તે વાવતો હતો ત્યારે, એમાંનાં અમુક બી રસ્તાને કિનારે પડ્યાં અને પગ નીચે કચડાઈ ગયાં અને આકાશનાં પક્ષીઓ એ ખાઈ ગયાં. ૬  અમુક બી ખડક પર પડ્યાં અને ઊગ્યાં પછી એ સુકાઈ ગયાં, કેમ કે જમીનમાં ભેજ ન હતો. ૭  બીજાં કાંટામાં પડ્યાં અને એની સાથે ઊગી નીકળેલી કાંટાળી ઝાડીએ એને દાબી દીધાં. ૮  પણ, બીજાં સારી જમીન પર પડ્યાં અને ઊગ્યાં પછી એને સો ગણાં વધારે ફળ આવ્યાં.” આ વાતો કહી રહ્યા પછી, તેમણે ઊંચે અવાજે કહ્યું: “હું જે કહું છું એ કાન દઈને સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો.” ૯  પરંતુ, તેમના શિષ્યોએ તેમને પૂછ્યું કે આ ઉદાહરણનો અર્થ શું થાય. ૧૦  તેમણે કહ્યું: “ઈશ્વરના રાજ્યનાં પવિત્ર રહસ્યોની સમજણ તમને આપવામાં આવી છે, પણ બીજાઓ માટે એ ઉદાહરણોમાં છે; એ માટે કે તેઓ જુએ છે પણ જાણે જોતા નથી, તેઓ સાંભળે છે પણ અર્થ સમજતા નથી. ૧૧  હવે, ઉદાહરણનો અર્થ આ છે: બી ઈશ્વરનો સંદેશો છે. ૧૨  રસ્તાને કિનારે પડેલાં બી એવા લોકો છે જેઓ સાંભળે છે અને પછી શેતાન* આવીને તેઓના હૃદયમાંથી સંદેશો લઈ જાય છે, જેથી તેઓ એ સ્વીકારે નહિ અને તારણ પામે નહિ. ૧૩  જે બી ખડક પર પડ્યાં એ એવા લોકો છે જેઓ સંદેશો સાંભળે છે ત્યારે આનંદથી સ્વીકારે છે, પણ એનાં મૂળ નથી. તેઓ થોડી વાર માને તો છે, પણ કસોટીના સમયે પડી જાય છે. ૧૪  જે બી કાંટાઓમાં પડ્યાં એ એવા લોકો છે કે જેઓ સાંભળે છે, પણ જીવનની ચિંતાઓ, ધનદોલત અને મોજશોખને લીધે તેઓનું ધ્યાન ફંટાઈ જાય છે અને તેઓ સાવ દબાઈ જાય છે અને એનાં ફળ કદી પાકતાં નથી. ૧૫  જે બી સારી જમીન પર પડ્યાં એ એવા લોકો છે, જેઓ ઘણા સારા હૃદયથી સંદેશો સાંભળે છે, એને વળગી રહે છે અને ધીરજ રાખીને ફળ આપે છે. ૧૬  “દીવો સળગાવીને કોઈ એને વાસણથી ઢાંકતું નથી અથવા ખાટલા નીચે મૂકતું નથી, પણ એને દીવી પર મૂકે છે, જેથી જેઓ ઘરમાં આવે તેઓને અજવાળું મળી શકે. ૧૭  કેમ કે એવું કંઈ જ સંતાડેલું નથી જે ખુલ્લું પાડવામાં નહિ આવે, તેમજ સાવચેતીથી છુપાવેલું હોય એવું કંઈ જ નથી, જેની ક્યારેય જાણ નહિ થાય અને કદી ઉઘાડું પાડવામાં નહિ આવે. ૧૮  તેથી, તમે ધ્યાનથી સાંભળો, કારણ કે જેની પાસે છે તેને વધારે આપવામાં આવશે, પણ જેની પાસે નથી અને ધારે છે કે તેની પાસે છે, એ પણ તેની પાસેથી લઈ લેવાશે.” ૧૯  હવે, ઈસુની મા અને ભાઈઓ તેમને મળવા આવ્યા, પણ ટોળાને લીધે તેઓ તેમના સુધી પહોંચી ન શક્યા. ૨૦  તેથી, તેમને જણાવવામાં આવ્યું: “તમારી મા અને તમારા ભાઈઓ તમને મળવા બહાર ઊભા છે.” ૨૧  તેમણે જવાબ આપતા તેઓને કહ્યું: “મારી મા અને મારા ભાઈઓ આ છે, જેઓ ઈશ્વરનો સંદેશો સાંભળે છે અને એ પાળે છે.” ૨૨  એક દિવસ ઈસુ અને તેમના શિષ્યો હોડીમાં બેઠા અને તેમણે તેઓને કહ્યું: “ચાલો, સરોવરની સામે પાર જઈએ.” તેથી, તેઓ હોડી લઈને નીકળ્યા. ૨૩  પરંતુ, તેઓ હોડીમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમને ઊંઘ આવી ગઈ. એવામાં સરોવરમાં પવનનું ભારે તોફાન ઊઠ્યું અને તેઓની હોડી પાણીથી ભરાવા લાગી અને તેઓ જોખમમાં આવી પડ્યા. ૨૪  તેથી, તેઓ તેમની પાસે ગયા અને તેમને ઉઠાડીને કહ્યું: “ગુરુજી, ગુરુજી, આપણે ડૂબવાની તૈયારીમાં છીએ!” એ સાંભળીને તે ઊઠ્યા અને પવનને તથા ઊછળતાં મોજાંને ધમકાવ્યાં અને તોફાન સમી ગયું અને શાંતિ છવાઈ ગઈ. ૨૫  પછી, તેમણે તેઓને પૂછ્યું: “તમારી શ્રદ્ધા ક્યાં છે?” પણ, તેઓ ગભરાયેલા અને નવાઈ પામેલા એકબીજાને કહેવા લાગ્યા: “આ ખરેખર કોણ છે? તે પવન અને પાણીને હુકમ કરે છે અને એ તેમનું કહેવું માને છે.” ૨૬  પછી, તેઓ ગાલીલની સામે પાર આવેલા ગેરસાનીઓના પ્રદેશને કિનારે આવી પહોંચ્યા. ૨૭  ઈસુ હોડીમાંથી ઊતર્યા ત્યારે, નજીકના શહેરમાંથી દુષ્ટ દૂત વળગેલો એક માણસ તેમની સામે આવ્યો. ઘણા વખતથી તેણે કપડાં પહેર્યાં ન હતાં અને તે ઘરમાં નહિ, પણ કબ્રસ્તાનમાં રહેતો હતો. ૨૮  ઈસુને જોઈને તેણે બૂમ પાડી અને તેમની આગળ ઘૂંટણે પડ્યો અને મોટા અવાજે કહેવા લાગ્યો: “હે ઈસુ, સર્વોચ્ચ ઈશ્વરના દીકરા, તારે અને મારે શું લેવાદેવા? હું તને આજીજી કરું છું કે મને પીડા આપીશ નહિ.” ૨૯  (કેમ કે દુષ્ટ દૂતને એ માણસમાંથી નીકળી જવાની તે આજ્ઞા કરતા હતા. એ દુષ્ટ દૂતે ઘણા પ્રસંગોએ તેને વશમાં કરી લીધો હતો* અને તેને સાંકળો અને બેડીઓથી વારંવાર બાંધવામાં આવતો અને એના પર ચોકી રાખવામાં આવતી; પરંતુ, તે બંધન તોડી નાખતો અને દુષ્ટ દૂત તેને વેરાન જગ્યાએ લઈ જતો.) ૩૦  ઈસુએ તેને પૂછ્યું: “તારું નામ શું છે?” તેણે કહ્યું: “સેના,”* કેમ કે તેનામાં ઘણા દુષ્ટ દૂતો હતા. ૩૧  તેઓ તેમને વારંવાર વિનંતી કરતા હતા કે તેઓને અનંત ઊંડાણમાં* જવાની આજ્ઞા ન કરે. ૩૨  હવે, ભૂંડોનું મોટું ટોળું ત્યાં પહાડ પર ચરતું હતું; એટલે, તેઓએ ઈસુને વિનંતી કરી કે તેઓને ભૂંડોમાં જવાની રજા આપે અને તેમણે તેઓને રજા આપી. ૩૩  ત્યારે દુષ્ટ દૂતો એ માણસમાંથી નીકળીને ભૂંડોમાં દાખલ થયા અને ટોળું ટેકરીની ધાર* પરથી સરોવરમાં ધસી પડ્યું અને ડૂબી મર્યું. ૩૪  પણ, જે થયું એ ભૂંડો ચરાવનારાઓએ જોયું ત્યારે, તેઓ ભાગી ગયા અને શહેરમાં તથા સીમમાં જઈને એ વિશે ખબર આપી. ૩૫  પછી, લોકો જે બન્યું હતું એ જોવા નીકળી આવ્યા. તેઓ ઈસુ પાસે આવ્યા અને જે માણસમાંથી દુષ્ટ દૂતો નીકળ્યા હતા, તેને કપડાં પહેરેલો અને શાંત ચિત્તે ઈસુના પગ પાસે બેઠેલો જોયો અને તેઓ ગભરાઈ ગયા. ૩૬  દુષ્ટ દૂતો વળગેલા માણસને કઈ રીતે સાજો કરવામાં આવ્યો હતો, એ જોનારાઓએ લોકોને જણાવ્યું. ૩૭  પછી, ગેરસાનીઓના આસપાસના વિસ્તારથી મોટી સંખ્યામાં આવેલા લોકોએ ઈસુને ત્યાંથી જતા રહેવા કહ્યું, કેમ કે તેઓ પર ઘણો ભય છવાઈ ગયો હતો. પછી, તે હોડીમાં બેસીને ત્યાંથી જવા લાગ્યા. ૩૮  પરંતુ, જે માણસમાંથી દુષ્ટ દૂતો કાઢવામાં આવ્યા હતા, તે ઈસુ સાથે રહેવા વારંવાર વિનંતી કરતો રહ્યો, પણ તેમણે તે માણસને પાછો મોકલી આપતા કહ્યું: ૩૯  “ઘરે પાછો જા અને ઈશ્વરે તારા માટે જે કર્યું એ જણાવતો રહેજે.” એટલે, તે પાછો ગયો અને ઈસુએ તેના માટે જે કર્યું હતું, એ વિશે આખા શહેરમાં જાહેર કરતો ગયો. ૪૦  ઈસુ ગાલીલ પાછા આવ્યા ત્યારે ટોળાએ તેમનો પ્રેમથી આવકાર કર્યો, કેમ કે તેઓ સર્વ તેમની રાહ જોતા હતા. ૪૧  અને જુઓ! યાઐરસ નામનો એક માણસ આવ્યો; એ માણસ સભાસ્થાનનો મુખ્ય અધિકારી હતો. તે ઈસુના પગે પડ્યો અને પોતાના ઘરે આવવા વિનંતી કરવા લાગ્યો, ૪૨  કેમ કે તેને બારેક વર્ષની એકની એક દીકરી હતી, જે મરવાની અણી પર હતી. ઈસુ જતા હતા ત્યારે, લોકો તેમના પર પડાપડી કરતા હતા. ૪૩  હવે એક સ્ત્રી હતી, જે ૧૨ વર્ષથી લોહીવાથી* પીડાતી હતી અને કોઈના ઇલાજથી તે સાજી થઈ શકતી ન હતી. ૪૪  તે પાછળથી આવી અને તેમના ઝભ્ભાની કોરને અડકી અને તરત જ તેનો લોહીવા બંધ થઈ ગયો. ૪૫  તેથી, ઈસુએ પૂછ્યું: “મને કોણ અડક્યું?” જ્યારે બધાએ ના પાડી ત્યારે પીતરે કહ્યું: “ગુરુજી, લોકો તમને ઘેરી વળ્યા છે અને તમારા પર પડાપડી કરે છે.” ૪૬  પરંતુ, ઈસુએ કહ્યું: “કોઈક મને અડક્યું, કેમ કે મને જાણ થઈ કે શક્તિ મારામાંથી નીકળી.” ૪૭  એ સ્ત્રીને ખબર પડી કે પોતાને જે થયું છે એ ઈસુ જાણી ગયા છે. એટલે, તે ધ્રૂજતી ધ્રૂજતી આવીને તેમની આગળ ઘૂંટણે પડી અને બધા લોકોની સામે જણાવ્યું કે શા માટે તે તેમને અડકી અને કઈ રીતે તે તરત સાજી થઈ. ૪૮  પણ, તેમણે તેને કહ્યું: “દીકરી, તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે; શાંતિથી જા.” ૪૯  તે હજુ બોલતા હતા એટલામાં સભાસ્થાનના પેલા અધિકારીના ઘરમાંથી એક માણસ આવીને કહેવા લાગ્યો: “તમારી દીકરી મરણ પામી છે; ગુરુજીને હવે તકલીફ ન આપશો.” ૫૦  એ સાંભળીને ઈસુએ તેને જવાબ આપ્યો: “ગભરાઈશ નહિ, માત્ર શ્રદ્ધા રાખ અને તેને બચાવવામાં આવશે.” ૫૧  તે ઘરે પહોંચ્યા ત્યારે તેમણે પીતર, યોહાન, યાકૂબ અને છોકરીનાં માતાપિતા સિવાય બીજા કોઈને પોતાની સાથે અંદર આવવા દીધા નહિ. ૫૨  પરંતુ, બધા લોકો તેના માટે રડતા અને શોકમાં છાતી કૂટતા હતા. તેથી, તેમણે કહ્યું: “રડવાનું બંધ કરો, કેમ કે તે મરી નથી ગઈ પણ ઊંઘે છે.” ૫૩  એ સાંભળીને તેઓ મશ્કરી કરતા તેમના પર હસવા લાગ્યા, કારણ કે તેઓને ખબર હતી કે તે મરી ગઈ છે. ૫૪  પણ, તેમણે તેનો હાથ પકડ્યો અને તેને કહ્યું: “દીકરી, ઊભી થા!” ૫૫  તે જીવતી થઈ* અને તરત ઊભી થઈ; અને તેમણે તેને કંઈક ખાવાનું આપવાની આજ્ઞા કરી. ૫૬  તેનાં માતાપિતાની ખુશીનો પાર ન રહ્યો, પણ ઈસુએ તેઓને આજ્ઞા કરી કે જે બન્યું એ કોઈને જણાવે નહિ.

ફૂટનોટ

શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.
અથવા કદાચ, “લાંબા સમયથી તેઓએ તેને વશમાં રાખ્યો હતો.”
માથ ૨૬:૫૩ની ફૂટનોટ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ભેખડ.”
સ્ત્રીઓને થતી લોહી વહેવાની બીમારી, જે લાંબા સમય સુધી ચાલે છે.
અથવા, “તેની જીવન-શક્તિ પાછી આવી.”