લૂક ૯:૧-૬૨
-
બાર શિષ્યોને પ્રચાર વિશે સૂચના (૧-૬)
-
ઈસુને લીધે હેરોદની મૂંઝવણ (૭-૯)
-
૫,૦૦૦ને ઈસુ જમાડે છે (૧૦-૧૭)
-
પીતર ખ્રિસ્ત વિશે જણાવે છે (૧૮-૨૦)
-
ઈસુના મરણ વિશે ભવિષ્યવાણી (૨૧, ૨૨)
-
ખરો શિષ્ય (૨૩-૨૭)
-
ઈસુનું રૂપાંતર (૨૮-૩૬)
-
દુષ્ટ દૂત વળગેલા છોકરાને સાજો કરાયો (૩૭-૪૩ક)
-
ઈસુના મરણની ફરીથી ભવિષ્યવાણી (૪૩ખ-૪૫)
-
સૌથી મોટું કોણ એ વિશે શિષ્યોની દલીલ (૪૬-૪૮)
-
જે આપણી વિરુદ્ધ નથી, તે આપણી સાથે છે (૪૯, ૫૦)
-
સમરૂની ગામ ઈસુને નકારે છે (૫૧-૫૬)
-
ઈસુની પાછળ કઈ રીતે ચાલવું (૫૭-૬૨)
૯ પછી, તેમણે બાર શિષ્યોને ભેગા કર્યા અને તેઓને સર્વ દુષ્ટ દૂતો કાઢવાની અને બીમારીઓ મટાડવાની શક્તિ તથા અધિકાર આપ્યા.
૨ તેમણે તેઓને ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરવા અને સાજા કરવા મોકલ્યા;
૩ અને તેમણે તેઓને કહ્યું: “મુસાફરી માટે કંઈ ન લો, લાકડી નહિ કે ખોરાકની થેલી નહિ, રોટલી નહિ કે પૈસા* નહિ તેમજ બે કપડાં* પણ નહિ.
૪ પરંતુ, જ્યાં તમે કોઈ ઘરમાં જાઓ, ત્યાં રહો અને શહેરમાંથી નીકળતા સુધી ત્યાં જ રહો.
૫ અને જ્યાં પણ લોકો તમારો સ્વીકાર ન કરે, ત્યાં એ શહેરમાંથી નીકળતી વખતે, તેઓની વિરુદ્ધ સાક્ષી માટે તમારા પગની ધૂળ ખંખેરી નાખો.”*
૬ એ પછી, તેઓ બહાર નીકળીને આખા વિસ્તારમાં ગામેગામ બધે જ ખુશખબર જાહેર કરતા અને રોગ મટાડતા ગયા.
૭ હવે, જે બન્યું હતું એ બધું જિલ્લા અધિકારી* હેરોદે* સાંભળ્યું અને તે ઘણી મૂંઝવણમાં મુકાયો, કેમ કે અમુક કહેતા હતા કે યોહાનને મરણમાંથી ઉઠાડવામાં આવ્યો છે;
૮ પણ, બીજાઓ કહેતા હતા કે એલિયા પ્રગટ થયા છે; વળી, કેટલાક કહેતા હતા કે પ્રાચીન સમયના પ્રબોધકોમાંના એક ઊઠ્યા છે.
૯ હેરોદે કહ્યું: “મેં યોહાનનું માથું કાપી નંખાવ્યું હતું. તો પછી, જેના વિશે હું આવી વાતો સાંભળું છું એ છે કોણ?” તેથી, તે તેમને જોવા માંગતો હતો.
૧૦ પ્રેરિતો પાછા આવ્યા ત્યારે, તેઓએ જે બધું કર્યું હતું એ ઈસુને જણાવ્યું. ત્યારે તે તેઓને પોતાની સાથે લઈને બેથસૈદા નામના શહેરમાં ગયા, જેથી તેઓ સાથે એકાંતમાં રહી શકે.
૧૧ પરંતુ, લોકો એ જાણી ગયા અને તેમની પાછળ ગયા. તેમણે પ્રેમથી તેઓનો આવકાર કર્યો તથા ઈશ્વરના રાજ્ય વિશે તેઓને કહેવા લાગ્યા અને જેઓને જરૂર હતી તેઓને સાજા કર્યા.
૧૨ ત્યાર બાદ, દિવસ ઢળવા લાગ્યો. એટલે, બાર પ્રેરિતોએ તેમની પાસે આવીને કહ્યું: “ટોળાને વિદાય આપો, જેથી તેઓ આસપાસનાં ગામોમાં અને સીમમાં જાય અને રહેવાની જગ્યા તથા ખોરાક શોધી શકે, કેમ કે અહીં આપણે ઉજ્જડ જગ્યાએ છીએ.”
૧૩ પણ, તેમણે તેઓને કહ્યું: “તમે તેઓને કંઈક ખાવાનું આપો.” તેઓએ કહ્યું: “અમારી પાસે પાંચ રોટલી અને બે માછલી વગર કંઈ નથી, સિવાય કે અમે જઈને આ સર્વ લોકો માટે ખોરાક ખરીદી લાવીએ.”
૧૪ હકીકતમાં, ત્યાં આશરે ૫,૦૦૦ પુરુષો હતા. પણ, તેમણે પોતાના શિષ્યોને કહ્યું: “આશરે પચાસ-પચાસના સમૂહમાં તેઓને બેસાડો.”
૧૫ તેથી, તેઓએ એમ કર્યું અને એ બધાને બેસાડ્યા.
૧૬ પછી, પાંચ રોટલી અને બે માછલી લઈને તેમણે આકાશ તરફ જોઈને આશીર્વાદ માંગ્યો. ત્યાર બાદ, એ તોડીને શિષ્યોને આપવા લાગ્યા, જેથી તેઓ ટોળાને વહેંચે.
૧૭ આમ, તેઓ બધાએ ધરાઈને ખાધું અને તેઓએ વધેલા ટુકડાની ૧૨ ટોપલીઓ ભરી.
૧૮ પછીથી, જ્યારે ઈસુ એકલા પ્રાર્થના કરતા હતા, ત્યારે શિષ્યો તેમની પાસે આવ્યા અને તેમણે તેઓને પૂછ્યું: “હું કોણ છું, એ વિશે લોકો શું કહે છે?”
૧૯ જવાબમાં તેઓએ કહ્યું: “કેટલાક કહે છે, યોહાન બાપ્તિસ્મા આપનાર, પણ બીજાઓ કહે છે એલિયા; વળી, કેટલાક કહે છે કે પ્રાચીન સમયના પ્રબોધકોમાંના એક ઊઠ્યા છે.”
૨૦ પછી, તેમણે તેઓને કહ્યું: “પણ તમે શું કહો છો, હું કોણ છું?” પીતરે જવાબ આપ્યો: “ઈશ્વરે મોકલેલા ખ્રિસ્ત.”
૨૧ એ પછી, તેમણે તેઓને કડક શબ્દોમાં સૂચના આપી કે આ વાત કોઈને જણાવે નહિ;
૨૨ તેમણે આમ પણ કહ્યું: “માણસના દીકરાએ ઘણી સતાવણી સહેવી પડશે; વડીલો, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તેનો નકાર કરશે અને તેને મારી નાખવામાં આવશે અને ત્રીજા દિવસે ઉઠાડવામાં આવશે.”
૨૩ પછી, તે બધાને કહેવા લાગ્યા: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તે પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરે અને દરરોજ પોતાનો વધસ્તંભ* ઊંચકીને મારી પાછળ ચાલતો રહે.
૨૪ કેમ કે જે કોઈ પોતાનું જીવન* બચાવવા ચાહે છે તે એને ગુમાવશે, પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન* ગુમાવે છે તે એને બચાવશે.
૨૫ સાચે જ, જો કોઈ માણસ આખી દુનિયા મેળવે પણ પોતાનું જીવન ગુમાવે અથવા એને નુકસાન થાય, તો એનાથી તેને શો લાભ?
૨૬ કેમ કે જો કોઈ મારે લીધે અને મારી વાતોને લીધે શરમાય છે, તો માણસનો દીકરો જ્યારે પોતાના અને પિતાના અને પવિત્ર દૂતોના મહિમામાં આવશે, ત્યારે તેના લીધે શરમાશે.
૨૭ હું તમને સાચે જ કહું છું કે અહીં ઊભેલામાંથી અમુક એવા છે, જેઓ ઈશ્વરનું રાજ્ય નહિ જુએ ત્યાં સુધી મરણ નહિ પામે.”
૨૮ આ શબ્દો કહ્યા એના આશરે આઠ દિવસ પછી, પીતર, યોહાન અને યાકૂબને લઈને તે પ્રાર્થના કરવા પહાડ પર ચઢ્યા.
૨૯ તે પ્રાર્થના કરતા હતા ત્યારે, તેમના ચહેરાનો દેખાવ બદલાઈ ગયો અને તેમનાં કપડાં સફેદ થઈને ચળકવાં લાગ્યાં.
૩૦ અને જુઓ! બે માણસો તેમની સાથે વાત કરતા હતા; તેઓ મુસા અને એલિયા હતા.
૩૧ તેઓ મહિમાવાન દેખાતા હતા અને ઈસુની વિદાય વિશે વાત કરવા લાગ્યા, જે યરૂશાલેમથી થવાની નક્કી હતી.
૩૨ હવે, પીતર અને તેની સાથેના બીજા ભરઊંઘમાં હતા; પણ, તેઓ પૂરેપૂરા જાગી ગયા ત્યારે, તેઓએ ઈસુનો મહિમા જોયો અને તેમની સાથે ઊભેલા બે માણસોને જોયા.
૩૩ તેઓ તેમનાથી છૂટા પડતા હતા ત્યારે, પીતરે ઈસુને કહ્યું: “શિક્ષક, આપણે અહીં રહીએ એ સારું છે. એટલે, અમને ત્રણ તંબુ ઊભા કરવા દો, એક તમારા માટે, એક મુસા માટે અને એક એલિયા માટે.” તે શું બોલતો હતો એની તેને ખબર ન હતી.
૩૪ પરંતુ, આ વાતો તે બોલતો હતો ત્યારે, એક વાદળ ઘેરાયું અને તેઓ પર છવાઈ ગયું. તેઓ વાદળથી ઘેરાવા લાગ્યા ત્યારે તેઓ ગભરાયા.
૩૫ પછી, વાદળમાંથી અવાજ આવ્યો: “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે. તેનું સાંભળો.”
૩૬ અવાજ સંભળાયો ત્યારે, ઈસુ એકલા જ નજરે પડ્યા. પણ, તેઓ ચૂપ રહ્યા અને તેઓએ જે જોયું, એના વિશે એ દિવસોમાં કોઈને કંઈ જણાવ્યું નહિ.
૩૭ પછીના દિવસે, તેઓ જ્યારે પહાડ પરથી નીચે ઊતર્યા, ત્યારે મોટું ટોળું તેમની પાસે આવ્યું.
૩૮ અને જુઓ! ટોળામાંથી એક માણસે મોટા અવાજે કહ્યું: “ગુરુજી, હું તમને આજીજી કરું છું કે મારા દીકરા તરફ જુઓ, કેમ કે તે મારો એકનો એક દીકરો છે;
૩૯ અને જુઓ, ખરાબ દૂત તેને વળગે છે અને અચાનક તે ચીસ પાડી ઊઠે છે અને તેને મરડી નાખે છે; તેના મોઢે ફીણ વળે છે અને એ તેને ઈજા પહોંચાડે છે તથા ભાગ્યે જ તેને છોડે છે.
૪૦ એને કાઢવા મેં તમારા શિષ્યોને કાલાવાલા કર્યા, પણ તેઓ કાઢી ન શક્યા.”
૪૧ જવાબમાં ઈસુએ કહ્યું: “ઓ શ્રદ્ધા વગરની આડી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ અને તમને સહન કરીશ? તારા દીકરાને અહીં લાવ.”
૪૨ પણ હજુ તે પાસે આવી રહ્યો હતો, એવામાં ખરાબ દૂતે તેને જમીન પર પછાડ્યો અને સખત રીતે મરડી નાખ્યો. જોકે, ઈસુએ ખરાબ દૂતને ધમકાવ્યો અને છોકરાને સાજો કર્યો અને તેના પિતાને પાછો સોંપ્યો.
૪૩ અને ઈશ્વરના મહાન પરાક્રમથી તેઓ બધા દંગ રહી ગયા.
તે જે કામો કરી રહ્યા હતા એ બધાને લીધે તેઓ સર્વ નવાઈ પામતા હતા એવામાં, તેમણે પોતાના શિષ્યોને કહ્યું:
૪૪ “આ વાત ધ્યાનથી સાંભળો અને યાદ રાખો, કેમ કે માણસના દીકરાને દગો કરીને લોકોના હાથમાં સોંપવામાં આવશે.”
૪૫ પણ તે જે કહી રહ્યા હતા, એ તેઓ સમજતા ન હતા. હકીકતમાં, એ તેઓથી છુપાવેલું હતું, જેથી તેઓ એ સમજી શકે નહિ અને આ વાત વિશે તેમને સવાલ પૂછતા તેઓ ગભરાતા હતા.
૪૬ પછી, તેઓમાં વાદવિવાદ ઊભો થયો કે તેઓમાં સૌથી મોટું કોણ.
૪૭ તેઓના દિલમાં શું છે એ જાણીને, ઈસુએ એક બાળકને પોતાની બાજુમાં ઊભું રાખ્યું
૪૮ અને તેઓને કહ્યું: “જે કોઈ મારા નામને લીધે આ બાળકનો સ્વીકાર કરે છે, તે મારો સ્વીકાર કરે છે અને જે કોઈ મારો સ્વીકાર કરે છે, તે મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે. તમારામાં જે કોઈ પોતાને સૌથી નાનો ગણે છે, તે મોટો છે.”
૪૯ પછી, યોહાને કહ્યું: “ગુરુજી, એક માણસને તમારા નામે દુષ્ટ દૂતોને કાઢતા અમે જોયો અને અમે તેને રોકવાનો પ્રયત્ન કર્યો, કેમ કે તે આપણામાંનો એક નથી.”
૫૦ પરંતુ, ઈસુએ તેને કહ્યું: “તેને રોકવાનો પ્રયત્ન કરતા નહિ, કેમ કે જે તમારી વિરુદ્ધ નથી તે તમારી સાથે છે.”
૫૧ હવે, તેમના સ્વર્ગમાં જવાના દિવસો પાસે આવ્યા* હોવાથી, તેમણે યરૂશાલેમ જવા મનમાં ગાંઠ વાળી.
૫૨ તેથી, તેમણે પોતાની આગળ સંદેશવાહકો મોકલ્યા. તેઓ ગયા અને સમરૂનીઓના એક ગામમાં પ્રવેશ કર્યો, જેથી તેમના માટે તૈયારીઓ કરે.
૫૩ પણ, તેઓએ ઈસુનો આવકાર ન કર્યો, કેમ કે તેમણે યરૂશાલેમ જવાનો પાકો નિર્ણય લીધો હતો.
૫૪ યાકૂબ અને યોહાને આ જોયું ત્યારે તેઓએ કહ્યું: “પ્રભુ, શું તમે ચાહો છો કે અમે કહીએ કે આકાશથી આગ વરસે અને તેઓનો નાશ કરે?”
૫૫ પણ, તે તેઓની તરફ ફર્યા અને તેઓને ધમકાવ્યા.
૫૬ તેથી, તેઓ બીજે ગામ ગયા.
૫૭ હવે, તેઓ માર્ગ પર ચાલતા હતા ત્યારે કોઈકે તેમને કહ્યું: “તમે જ્યાં જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.”
૫૮ પણ, ઈસુએ તેને કહ્યું: “શિયાળને બખોલ હોય છે અને આકાશનાં પક્ષીઓને માળા હોય છે, જ્યારે કે માણસના દીકરાને માથું ટેકવવાની પણ જગ્યા નથી.”
૫૯ પછી, તેમણે બીજાને કહ્યું: “મારો શિષ્ય થા.” એ માણસે કહ્યું: “પ્રભુ, પહેલા મને રજા આપો કે હું જાઉં અને મારા પિતાને દફનાવી આવું.”
૬૦ પરંતુ, તેમણે તેને કહ્યું: “મરેલાઓને દફનાવવાનું મરેલાઓ ઉપર છોડી દે. પણ, તું જા અને ઈશ્વરના રાજ્ય વિશે બધી બાજુ જણાવ.”
૬૧ અને બીજા એકે પણ કહ્યું: “પ્રભુ, હું તમારી પાછળ આવીશ, પણ પહેલા મારા ઘરના બધાને આવજો કહી આવવાની મને રજા આપો.”
૬૨ ઈસુએ તેને કહ્યું: “જે માણસ હળ પર હાથ મૂકે અને પાછળ જુએ, તે ઈશ્વરના રાજ્ય માટે જરાય યોગ્ય નથી.”
ફૂટનોટ
^ મૂળ અર્થ, “ચાંદી.”
^ અથવા, “વધારાનું કપડું.”
^ મૂળ અર્થ, “પ્રાંતના ચોથા ભાગનો રાજ્યપાલ.”
^ એટલે કે, હેરોદ અંતિપાસ. શબ્દસૂચિ જુઓ.
^ શબ્દસૂચિ જુઓ.
^ શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.
^ શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.
^ મૂળ અર્થ, “પૂરા થવા આવ્યા.”