૧ કોરીંથીઓ ૧૦:૧-૩૩

  • ઇઝરાયેલના ઇતિહાસમાંથી ચેતવણીરૂપ દાખલા (૧-૧૩)

  • મૂર્તિપૂજા વિશે ચેતવણી (૧૪-૨૨)

    • યહોવાની મેજ, દુષ્ટ દૂતોની મેજ (૨૧)

  • આઝાદી અને બીજાઓનો વિચાર કરવો (૨૩-૩૩)

    • “બધું ઈશ્વરના મહિમા માટે કરો” (૩૧)

૧૦  હવે ભાઈઓ, હું ચાહું છું કે તમે આ જાણો: આપણા સર્વ બાપદાદાઓ વાદળ નીચે હતા અને તેઓ સમુદ્રમાંથી પસાર થયા હતા. ૨  તેઓ બધા મુસાની પાછળ ચાલીને વાદળ નીચે અને સમુદ્રમાં બાપ્તિસ્મા પામ્યા; ૩  અને બધાએ એકસરખો ખોરાક ખાધો, જે ઈશ્વરે આપ્યો હતો. ૪  બધાએ એકસરખું પાણી પીધું, જે ઈશ્વરે આપ્યું હતું, કેમ કે તેઓ પોતાની સાથે ચાલનાર ખડકમાંથી પાણી પીતા હતા અને એ ખડક ખ્રિસ્તને દર્શાવતો હતો. ૫  તેમ છતાં, ઈશ્વર તેઓમાંના મોટા ભાગના લોકોથી ખુશ ન હતા. એટલે, તેઓ વેરાન પ્રદેશમાં માર્યા ગયા. ૬  હવે, આ બધું આપણા માટે દાખલારૂપ છે, જેથી તેઓએ જેમ ખરાબ કામોની ઇચ્છા રાખી એમ આપણે ન રાખીએ. ૭  તેમ જ, તેઓમાંના અમુક મૂર્તિપૂજક બન્યા તેમ, આપણે ન બનીએ; જેમ લખ્યું છે: “લોકોએ ખાધું-પીધું અને પછી મોજમજા કરી.” ૮  વળી, આપણે વ્યભિચાર* ન કરીએ, જેમ તેઓમાંના અમુકે વ્યભિચાર* કર્યો અને એક જ દિવસમાં તેઓમાંથી ૨૩,૦૦૦ માર્યા ગયા. ૯  આપણે યહોવાની* કસોટી ન કરીએ, જેમ તેઓમાંના અમુકે કરી અને સર્પો દ્વારા માર્યા ગયા. ૧૦  અને કચકચ કરનારા ન બનીએ, જેમ તેઓમાંથી અમુકે કચકચ કરી અને વિનાશ કરનાર* દ્વારા નાશ પામ્યા. ૧૧  હવે, તેઓ સાથે બનેલા એ બનાવો દાખલારૂપ છે. એ બનાવો એ માટે લખવામાં આવ્યા કે આપણને, એટલે કે જેઓ દુનિયાના* અંતના સમયમાં જીવી રહ્યા છે, તેઓને ચેતવણી મળે. ૧૨  તેથી, જે માને છે કે પોતે સ્થિર ઊભો છે, તે સાવધ રહે કે પોતે પડે નહિ. ૧૩  તમારા પર જેવી કસોટીઓ આવે છે, એવી બધા મનુષ્યો પર પણ આવે છે. પરંતુ, ઈશ્વર ભરોસાપાત્ર છે અને તમે સહન કરી શકો, એનાથી વધારે કસોટી તે તમારા પર આવવા દેશે નહિ. પણ, તમારા પર કસોટી આવે ત્યારે, એમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ તે બતાવશે અને તમે સહન કરી શકો એ માટે મદદ કરશે. ૧૪  તેથી, મારા વહાલાઓ, મૂર્તિપૂજાથી દૂર રહો. ૧૫  હું સમજદાર માણસો સાથે વાત કરતો હોઉં એમ બોલું છું; હું જે કહું છું એ સાચું છે કે નહિ, એ તમે પોતે નક્કી કરો. ૧૬  આશીર્વાદના પ્યાલા પર પ્રાર્થના કરીને આપણે પીએ છીએ ત્યારે, શું આપણે ખ્રિસ્તના લોહીમાં સહભાગી નથી થતા? રોટલી તોડીને આપણે ખાઈએ છીએ ત્યારે, શું આપણે ખ્રિસ્તના શરીરમાં સહભાગી નથી થતા? ૧૭  રોટલી એક જ છે અને આપણે ઘણા હોવા છતાં એક શરીર છીએ, કેમ કે આપણે બધા એક જ રોટલીમાંથી ખાઈએ છીએ. ૧૮  ઇઝરાયેલી* લોકોનો વિચાર કરો: જેઓ અર્પણો ખાય છે, તેઓ શું વેદીના ભાગીદાર નથી? ૧૯  તો પછી, હું શું કહેવા માંગું છું? મૂર્તિને અર્પણ થયેલું કંઈક છે? અથવા મૂર્તિ કંઈક છે? ૨૦  ના, પણ હું કહેવા માંગું છું કે બીજી પ્રજાના લોકો ઈશ્વરને નહિ, પણ દુષ્ટ દૂતોને અર્પણ ચઢાવે છે; અને હું નથી ચાહતો કે તમે દુષ્ટ દૂતો સાથે ભાગીદાર બનો. ૨૧  તમે યહોવાના* પ્યાલામાંથી અને દુષ્ટ દૂતોના પ્યાલામાંથી, એમ બંનેમાંથી પી શકો નહિ; તમે “યહોવાની* મેજ” પરથી અને દુષ્ટ દૂતોની મેજ પરથી, એમ બંને પરથી ખાઈ શકો નહિ. ૨૨  અથવા ‘શું આપણે યહોવાને* ગુસ્સે થવા* ઉશ્કેરીએ છીએ’? શું આપણે તેમના કરતાં વધારે શક્તિશાળી છીએ? ૨૩  બધું જ કરવાની છૂટ છે, પણ બધું જ લાભ થાય એવું નથી. બધું જ કરવાની છૂટ છે, પણ બધું જ ઉત્તેજન આપનારું નથી. ૨૪  દરેકે પોતાનો જ નહિ, બીજાના ફાયદાનો પણ વિચાર કરવો જોઈએ. ૨૫  માંસની દુકાનમાં જે કંઈ વેચાતું હોય, એ તમારા અંતઃકરણને લીધે કંઈ પણ પૂછ્યા વગર ખાઓ. ૨૬  કેમ કે “પૃથ્વી અને એમાંનું બધું જ યહોવાનું* છે.” ૨૭  જો શ્રદ્ધા ન રાખનાર કોઈ તમને બોલાવે અને તમે જવા ચાહો, તો તમારી આગળ જે કંઈ મૂકવામાં આવે એ તમારા અંતઃકરણને લીધે કંઈ પણ પૂછ્યા વગર ખાઓ. ૨૮  પરંતુ, જો કોઈ તમને કહે કે, “આ ખોરાક મૂર્તિને ચઢાવેલો છે,” તો એવું કહેનારને લીધે અને અંતઃકરણને લીધે એ ન ખાઓ. ૨૯  હું તમારા નહિ, બીજાના અંતઃકરણ વિશે વાત કરું છું. બીજાના અંતઃકરણથી મારી આઝાદીનો ન્યાય કેમ થવો જોઈએ? ૩૦  જો હું આભાર માનીને ખાતો હોઉં, તો જેના માટે મેં આભાર માન્યો છે, એના માટે મારી નિંદા કેમ થાય છે? ૩૧  તેથી, તમે ખાઓ કે પીઓ કે બીજું જે કંઈ કરો, બધું ઈશ્વરના મહિમા માટે કરો. ૩૨  યહુદીઓ, ગ્રીકો અને ઈશ્વરના મંડળ માટે તમે ઠોકરરૂપ ન બનો. ૩૩  હું પણ બધા લોકોને સર્વ વાતે ખુશ કરવાનો પ્રયત્ન કરું છું. હું મારો પોતાનો જ સ્વાર્થ જોતો નથી, પણ ઘણા લોકોનો વિચાર કરું છું, જેથી તેઓનો ઉદ્ધાર થાય.

ફૂટનોટ

શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
કદાચ ઈશ્વરના દૂતની વાત થાય છે.
અથવા, “આ યુગોના.” શબ્દસૂચિ જુઓ.
મૂળ અર્થ, “જન્મજાત ઇઝરાયેલી.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ઈર્ષા કરવા.”
શબ્દસૂચિ જુઓ.