૧ કોરીંથીઓ ૧૧:૧-૩૪

  • “મારા પગલે ચાલનારા બનો” ()

  • શિરપણું અને માથું ઢાંકવું (૨-૧૬)

  • પ્રભુનું સાંજનું ભોજન ઊજવવું (૧૭-૩૪)

૧૧  હું ખ્રિસ્તને પગલે ચાલુ છું તેમ, તમે મારા પગલે ચાલનારા બનો. ૨  હું તમારા વખાણ કરું છું, કારણ કે બધી વાતોમાં તમે મને યાદ રાખો છો અને મેં જે શીખવ્યું હતું, એને તમે વળગી રહો છો. ૩  પરંતુ, હું તમને જણાવવા માંગું છું કે દરેક પુરુષનું શિર* ખ્રિસ્ત છે; અને સ્ત્રીનું શિર પુરુષ છે; અને ખ્રિસ્તનું શિર ઈશ્વર છે. ૪  જો કોઈ પુરુષ પોતાનું માથું ઢાંકીને પ્રાર્થના કે ભવિષ્યવાણી કરે, તો તે પોતાના શિરનું અપમાન કરે છે; ૫  પણ, જો કોઈ સ્ત્રી પોતાનું માથું ઢાંક્યા વગર પ્રાર્થના કે ભવિષ્યવાણી કરે તો, તે પોતાના શિરનું અપમાન કરે છે, કેમ કે એ તો માથું મૂંડાવેલી* સ્ત્રીના જેવી છે. ૬  જો કોઈ સ્ત્રી પોતાનું માથું ન ઢાંકે, તો તેણે પોતાના વાળ કપાવી નાખવા જોઈએ; પણ જો સ્ત્રીને પોતાના વાળ કપાવવાનું અથવા માથું મૂંડાવવાનું શરમજનક લાગતું હોય, તો તેણે પોતાનું માથું ઢાંકવું જોઈએ. ૭  પુરુષે પોતાનું માથું ઢાંકવું ન જોઈએ, કેમ કે ઈશ્વરે તેને પોતાના જેવો અને પોતાના મહિમા માટે બનાવ્યો છે. પણ, સ્ત્રી તો પુરુષનો મહિમા છે. ૮  કેમ કે સ્ત્રીમાંથી પુરુષ આવ્યો નથી, પણ પુરુષમાંથી સ્ત્રી આવી છે. ૯  વધુમાં, સ્ત્રી માટે પુરુષને બનાવવામાં આવ્યો ન હતો, પણ પુરુષ માટે સ્ત્રીને બનાવવામાં આવી હતી. ૧૦  એટલા માટે, સ્ત્રીએ આધીનતાની નિશાની તરીકે માથું ઢાંકવું જોઈએ અને દૂતોને લીધે પણ એમ કરવું જોઈએ. ૧૧  ઉપરાંત, પ્રભુના મંડળમાં પુરુષ વિના સ્ત્રી કંઈ નથી અને સ્ત્રી વિના પુરુષ કંઈ નથી. ૧૨  કેમ કે જેમ પુરુષમાંથી સ્ત્રી આવી છે, તેમ સ્ત્રી દ્વારા પુરુષ આવે છે; પણ ઈશ્વર પાસેથી બધું જ આવ્યું છે. ૧૩  તમે પોતે જ નક્કી કરો: સ્ત્રી પોતાનું માથું ઢાંક્યા વગર ઈશ્વરને પ્રાર્થના કરે, એ શું યોગ્ય કહેવાય? ૧૪  શું કુદરત પોતે તમને શીખવતી નથી કે લાંબા વાળ પુરુષ માટે શરમજનક કહેવાય? ૧૫  પણ, શું તમે નથી જાણતા કે સ્ત્રીના લાંબા વાળ તેને શોભારૂપ છે? કેમ કે તેના વાળ તેનું માથું ઢાંકવા માટે આપવામાં આવ્યા છે. ૧૬  પણ, બીજો રિવાજ પાળવા જો કોઈ માણસ દલીલ કરવા માંગે, તો તેને જણાવવું કે આપણામાં અથવા ઈશ્વરનાં મંડળોમાં બીજો કોઈ રિવાજ નથી. ૧૭  પણ, હવે આ શિખામણ આપતી વખતે હું તમારા વખાણ કરતો નથી, કારણ કે તમે ભેગા મળો છો ત્યારે લાભ કરતાં નુકસાન વધારે થાય છે. ૧૮  સૌથી પહેલા તો, મને સાંભળવા મળ્યું છે કે તમે મંડળમાં ભેગા મળો છો ત્યારે, તમારામાં ફાટફૂટ હોય છે; અને અમુક અંશે મને એ વાત સાચી લાગે છે. ૧૯  ચોક્કસ, તમારામાં ભાગલા પણ પડશે, જેથી તમારામાંથી પસંદ થયેલાઓ કોણ છે એ પણ દેખાઈ આવે. ૨૦  તમે એક જગ્યાએ ભેગા થાઓ છો ત્યારે, પ્રભુનું સાંજનું ભોજન યોગ્ય રીતે ખાવું શક્ય બનતું નથી. ૨૧  કેમ કે એ ખાવાનો સમય આવે છે ત્યારે, તમારામાંના અમુક પહેલેથી પોતાનું સાંજનું ભોજન ખાઈ લે છે. એટલે, કોઈ ભૂખ્યો રહે છે, જ્યારે કે બીજો પીને છાકટો બને છે. ૨૨  ખાવા-પીવા માટે શું તમારાં ઘર નથી? અથવા શું તમે ઈશ્વરના મંડળને તુચ્છ ગણો છો અને જેઓ પાસે કંઈ નથી તેઓને શરમમાં નાખો છો? હું તમને શું કહું? શું હું તમારી પ્રશંસા કરું? આમાં હું તમારા વખાણ નથી કરતો. ૨૩  પ્રભુએ મને જે વાત જણાવી એ મેં તમને પણ શીખવી; એટલે કે, પ્રભુ ઈસુને દગો થવાનો હતો એ રાત્રે તેમણે રોટલી લીધી ૨૪  અને તેમણે આભાર માન્યો; પછી, એ તોડી અને કહ્યું: “આ મારા શરીરને રજૂ કરે છે, જે તમારા માટે છે. મારી યાદમાં આ કરતા રહો.” ૨૫  પાસ્ખાના ભોજન પછી, તેમણે પ્યાલો લઈને એવું જ કર્યું અને કહ્યું: “આ પ્યાલો મારા લોહીના આધારે થયેલા નવા કરારને રજૂ કરે છે. જ્યારે તમે એમાંથી પીઓ ત્યારે મારી યાદમાં આ કરતા રહો.” ૨૬  કેમ કે જ્યારે તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલામાંથી પીઓ છો, ત્યારે પ્રભુના આવતા સુધી તમે તેમનું મરણ જાહેર કરો છો. ૨૭  તેથી, જે કોઈ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાય છે અને તેમના પ્યાલામાંથી પીએ છે, તે પ્રભુના શરીર અને લોહી વિશે દોષિત ગણાશે. ૨૮  માણસે પ્રથમ તો ઝીણવટથી તપાસવું જોઈએ કે પોતે યોગ્ય છે કે નહિ. પછી જ તેણે રોટલી ખાવી અને પ્યાલામાંથી પીવું. ૨૯  શરીર શાને રજૂ કરે છે, એ સમજ્યા વગર જે કોઈ ખાય છે અને પીએ છે, તે પોતાના પર સજા લાવે છે. ૩૦  એટલા માટે, તમારામાંના ઘણા લોકો કમજોર અને બીમાર છે અને કેટલાક તો મોતની ઊંઘમાં સૂઈ ગયા છે.* ૩૧  પરંતુ, જો આપણે પારખીએ કે પોતે કોણ છીએ, તો આપણને દોષિત નહિ ઠરાવવામાં આવે. ૩૨  જોકે, આપણને દોષિત ઠરાવવામાં આવે છે ત્યારે, આપણને યહોવા* દ્વારા શિસ્ત* મળે છે, જેથી દુનિયાની સાથે આપણે સજાને પાત્ર ન ઠરીએ. ૩૩  એ માટે ભાઈઓ, તમે એ ભોજન માટે ભેગા થાઓ ત્યારે, તમે એકબીજાની રાહ જુઓ. ૩૪  જો કોઈ ભૂખ્યો હોય તો પોતાને ઘરે ખાય, જેથી તમે ભેગા મળો ત્યારે તમે દોષિત ન ઠરો. અને બાકીની વાતોનો હું ત્યાં આવીશ ત્યારે ઉકેલ લાવીશ.

ફૂટનોટ

એટલે કે, વડા.
એટલે કે, વ્યભિચારની સજા પામેલી.
અહીં મરણની વાત નથી થતી, પણ એ હકીકતની વાત થાય છે કે તેઓનો ઈશ્વર સાથેનો સંબંધ તૂટી ગયો છે.
શબ્દસૂચિ જુઓ.
મૂળ ભાષામાં વપરાયેલા શબ્દનો અર્થ આવો પણ થઈ શકે: શિક્ષા, તાલીમ, શિક્ષણ, સુધારો, શિખામણ, સજા, સલાહ.