૧ કોરીંથીઓ ૧૩:૧-૧૩

  • પ્રેમ, સૌથી સારો માર્ગ (૧-૧૩)

૧૩  જો હું માણસોની કે સ્વર્ગદૂતોની ભાષા બોલું પણ મારામાં પ્રેમ ન હોય, તો હું રણકાર કરનાર ઘંટ અથવા ઝમકાર કરનાર મંજીરા જેવો બન્યો છું. ૨  જો મારી પાસે ભવિષ્યવાણી કરવાનું દાન હોય અને બધાં પવિત્ર રહસ્યો તથા બધું જ્ઞાન સમજતો હોઉં અને જો પર્વતો ખસેડી શકું* એટલી મારામાં શ્રદ્ધા હોય પણ પ્રેમ ન હોય, તો હું કંઈ જ નથી.* ૩  અને જો હું લોકોને જમાડવા* મારી બધી માલમિલકત આપી દઉં અને જો મારો જીવ પણ આપી દઉં, જેથી હું અભિમાન કરી શકું, પણ મારામાં પ્રેમ ન હોય તો મને જરાય લાભ નથી. ૪  પ્રેમ ધીરજ રાખે છે* અને દયાળુ છે. પ્રેમ ઈર્ષા કરતો નથી. એ બડાઈ મારતો નથી, ફૂલાઈ જતો નથી; ૫  પ્રેમ અયોગ્ય રીતે વર્તતો નથી,* પોતાનો જ લાભ જોતો નથી, ઉશ્કેરાઈ જતો નથી; કોઈએ દુઃખ પહોંચાડ્યું હોય તો એનો હિસાબ રાખતો નથી. ૬  એ અન્યાયમાં ખુશ થતો નથી, પણ સત્યમાં ખુશ થાય છે. ૭  એ બધું સહન કરે છે, બધામાં ભરોસો રાખે છે,* બધાની આશા રાખે છે, કશામાં હિંમત હારતો નથી. ૮  પ્રેમ કાયમ ટકી રહે છે.* પરંતુ, જો ભવિષ્ય ભાખવાનું દાન હોય, તો એ રહેશે નહિ; જો બીજી ભાષાઓ* બોલવાનું દાન હોય, તો એનો અંત આવશે; જો જ્ઞાન હોય, તો એ જતું રહેશે. ૯  કેમ કે આપણું જ્ઞાન અધૂરું છે અને આપણે પૂરી ભવિષ્યવાણી કરતા નથી. ૧૦  જ્યારે આપણને સંપૂર્ણ જ્ઞાન મળશે અને આપણે પૂરી રીતે ભવિષ્ય ભાખી શકીશું, ત્યારે અધૂરું જ્ઞાન અને અધૂરી ભવિષ્યવાણીઓનો અંત આવશે. ૧૧  હું બાળક હતો ત્યારે, હું બાળકની જેમ બોલતો, બાળકની જેમ વિચારતો, બાળકની જેમ સમજતો; પણ, હવે મોટા થયા પછી મેં બાળકની જેમ વર્તવાનું છોડી દીધું છે. ૧૨  કેમ કે હમણાં આપણે અરીસામાં* ઝાંખું ઝાંખું* જોઈએ છીએ, પણ પછીથી જાણે આપણે નજરોનજર જોતા હોઈએ એમ સ્પષ્ટ જોઈશું. અત્યારે હું ઈશ્વર વિશે બધું* જાણતો નથી, પણ જેમ તે મને પૂરેપૂરી રીતે જાણે છે તેમ હું ભાવિમાં તેમના વિશે પૂરેપૂરું જાણીશ. ૧૩  હવે શ્રદ્ધા, આશા અને પ્રેમ આ ત્રણે ટકી રહે છે. પણ, એ બધામાં પ્રેમ સૌથી ઉત્તમ છે.

ફૂટનોટ

અથવા, “એક જગ્યાથી બીજી જગ્યાએ મૂકી શકું.”
અથવા, “નકામો છું.”
અથવા, “સંભાળ રાખવા.”
અથવા, “સહનશીલ છે.”
અથવા, “તોછડાઈથી વર્તતો નથી.”
અથવા, “માને છે.”
અથવા, “કદી નિષ્ફળ જતો નથી.”
અથવા, “બોલીઓ.”
જૂના જમાનામાં લોકો ધાતુના અરીસા વાપરતા હતા.
અથવા, “ધૂંધળું.”
અથવા, “સંપૂર્ણ રીતે.”