૧ કોરીંથીઓ ૧૪:૧-૪૦

  • ભવિષ્યવાણીના અને બીજી ભાષાઓના દાન (૧-૨૫)

  • વ્યવસ્થિત ખ્રિસ્તી સભાઓ (૨૬-૪૦)

    • મંડળમાં સ્ત્રીનું સ્થાન (૩૪, ૩૫)

૧૪  એકબીજા પર પ્રેમ રાખવા બનતું બધું કરો. ઈશ્વર પાસેથી દાન મેળવવા સખત પ્રયત્ન કરો,* ખાસ કરીને ભવિષ્યવાણીનું દાન. ૨  જે વ્યક્તિ બીજી ભાષા બોલે છે, તે લોકો સાથે નહિ, ઈશ્વર સાથે બોલે છે. તે ઈશ્વરની શક્તિથી પવિત્ર રહસ્યો બોલે છે, પણ કોઈ એ સમજતું નથી. ૩  જોકે, જે ભવિષ્યવાણી કરે છે તે પોતાની વાણીથી લોકોને દૃઢ કરે છે, ઉત્તેજન આપે છે અને દિલાસો આપે છે. ૪  જે બીજી ભાષા બોલે છે તે પોતાને દૃઢ કરે છે, પણ જે ભવિષ્યવાણી કરે છે તે મંડળને દૃઢ કરે છે. ૫  હવે, હું ચાહું છું કે તમે બધા બીજી ભાષાઓ બોલો, પણ તમે ભવિષ્યવાણી કરો એ મને વધારે ગમશે. સાચે જ, બીજી ભાષાઓ બોલવા કરતાં ભવિષ્યવાણીઓ કરવી વધારે સારું. કેમ કે જો બીજી ભાષા બોલનાર ભાષાંતર* ન કરે, તો મંડળ દૃઢ થશે નહિ. ૬  પરંતુ ભાઈઓ, આ સમયે જો હું તમારી પાસે આવીને બીજી ભાષાઓ બોલું, પણ ઈશ્વરનો સંદેશો પ્રગટ ન કરું કે જ્ઞાન ન આપું કે ભવિષ્યવાણી ન કરું કે ન શીખવું, તો શું મારાથી તમને કોઈ ફાયદો થશે? ૭  એવું જ સંગીતના સૂર કાઢનારી નિર્જીવ વસ્તુઓનું છે, ભલે પછી એ વાંસળી હોય કે વીણા. તેઓના સંગીતમાં કોઈ ફરક નહિ હોય તો, કેવી રીતે ખબર પડશે કે વાંસળી કે વીણા પર કયો સૂર વાગે છે? ૮  જો રણશિંગડામાંથી અજાણ્યો અવાજ નીકળે, તો યુદ્ધ માટે કોણ તૈયાર થશે? ૯  એ જ રીતે, જો તમે સહેલાઈથી સમજાય નહિ એવી વાણી બીજી ભાષામાં બોલો, તો જે કહેવામાં આવે છે એ કોઈ વ્યક્તિ કઈ રીતે સમજશે? એનાથી તો, તમે હવામાં વાતો કરનારા ગણાશો. ૧૦  દુનિયામાં ભાષાઓ તો અનેક છે અને એમાંની એકેય અર્થ વગરની નથી. ૧૧  પરંતુ, જો કોઈએ કહેલી વાતનો અર્થ મને ન સમજાય, તો હું બોલનાર માટે પરદેશી બનીશ અને બોલનાર મારા માટે પરદેશી બનશે. ૧૨  તમારા વિશે પણ એવું જ છે; તમે ઈશ્વરની શક્તિથી મળનારાં દાનોની ઝંખના રાખતા હોવાથી, મંડળને દૃઢ કરે એવાં દાનોથી ભરપૂર થવાનો પ્રયત્ન કરો. ૧૩  તેથી, જે બીજી ભાષા બોલે છે તેણે પ્રાર્થના કરવી કે પોતે એનું ભાષાંતર* પણ કરી શકે. ૧૪  કેમ કે જો હું બીજી ભાષામાં પ્રાર્થના કરું તો એ ઈશ્વરની શક્તિથી મને મળેલા દાન દ્વારા પ્રાર્થના કરું છું, પણ મારું મન એ સમજી શકતું નથી. ૧૫  તો પછી, શું કરવું? હું ઈશ્વરની શક્તિના દાનથી પ્રાર્થના કરીશ અને જેનો અર્થ હું સમજતો હોઉં એવી પ્રાર્થના પણ કરીશ. હું ઈશ્વરની શક્તિના દાનથી સ્તુતિ-ગીત ગાઈશ અને જેનો અર્થ હું સમજતો હોઉં એવું સ્તુતિ-ગીત પણ ગાઈશ. ૧૬  નહિતર, જો તમે ઈશ્વરની શક્તિના દાનથી સ્તુતિ કરો અને તમારામાંનો સામાન્ય માણસ તમારી વાત ન સમજે, તો તમારી આભારસ્તુતિમાં તે કઈ રીતે “આમેન” કહેશે? ૧૭  ખરું કે તમે સારી રીતે આભારસ્તુતિ કરો છો, પણ એનાથી એ માણસનું ઘડતર થતું નથી. ૧૮  હું ઈશ્વરનો આભારી છું કે હું તમારા બધા કરતાં વધારે ભાષાઓ બોલું છું. ૧૯  તોપણ, બીજી ભાષામાં દસ હજાર શબ્દો બોલવાને બદલે, સમજાય એવા* પાંચ શબ્દો મંડળમાં બોલવાનું હું વધારે પસંદ કરીશ, જેથી હું બીજાઓને શીખવી શકું.* ૨૦  ભાઈઓ, તમે સમજણમાં બાળકો જેવાં ન બનો, પણ દુષ્ટતામાં બાળકો બનો; અને તમે સમજણમાં પરિપક્વ બનો. ૨૧  નિયમશાસ્ત્રમાં આમ લખેલું છે: “યહોવા* કહે છે કે, ‘આ લોકો સાથે હું પરદેશીઓની ભાષાઓમાં અને અજાણ્યા લોકોની બોલીઓમાં બોલીશ; તોપણ, તેઓ મારું સાંભળશે નહિ.’” ૨૨  તેથી, ભાષાઓ શ્રદ્ધા રાખનારા માટે નહિ, પણ શ્રદ્ધા ન રાખનારા માટે નિશાની છે, જ્યારે કે ભવિષ્યવાણી શ્રદ્ધા ન રાખનારા માટે નહિ, પણ શ્રદ્ધા રાખનારા માટે નિશાની છે. ૨૩  એટલે, જો આખું મંડળ એક જગ્યાએ ભેગું થાય અને બધા બીજી ભાષાઓ બોલવા લાગે, પણ કોઈ સામાન્ય લોકો અથવા શ્રદ્ધા ન રાખનારા ત્યાં આવે, તો શું તેઓ એમ નહિ કહે કે તમારું તો ચસકી ગયું છે? ૨૪  પરંતુ, જો તમે બધા ભવિષ્યવાણી કરતા હો અને શ્રદ્ધા ન રાખનાર અથવા સામાન્ય વ્યક્તિ ત્યાં આવે, તો તમારા બધાની વાતોથી તેને સુધારો કરવા અને પોતાની બારીકાઈથી પરખ કરવા પ્રેરણા મળશે. ૨૫  પછી, તેના મનમાં છુપાયેલી વાત ખુલ્લી થશે; એટલે, તે જમીન સુધી માથું નમાવીને ઈશ્વરની ભક્તિ કરશે અને કહેશે: “ઈશ્વર સાચે જ તમારી વચ્ચે છે.” ૨૬  તો પછી ભાઈઓ, શું થવું જોઈએ? તમે ભેગા મળો છો ત્યારે, કોઈ સ્તુતિ-ગીત ગાય છે, કોઈ શીખવે છે, કોઈ ઈશ્વરનો સંદેશો પ્રગટ કરે છે, કોઈ બીજી ભાષામાં બોલે છે અને કોઈ ભાષાંતર કરીને સમજાવે છે. એ બધું એકબીજાને ઉત્તેજન આપવા થવું જોઈએ. ૨૭  અને જો અમુક લોકો બીજી ભાષા બોલે તો વધારેમાં વધારે બે અથવા ત્રણ લોકો જ બોલે; તેઓ વારાફરતી બોલે અને કોઈ એનું ભાષાંતર* કરે. ૨૮  પરંતુ, મંડળમાં જો ભાષાંતર કરનાર* કોઈ ન હોય, તો બીજી ભાષા બોલનારે ચૂપ રહેવું અને તેણે પોતાના મનમાં ઈશ્વરની સાથે વાત કરવી. ૨૯  બે અથવા ત્રણ પ્રબોધકો બોલે અને બીજા લોકો એનો અર્થ સમજે. ૩૦  પરંતુ, ત્યાં બેઠેલા બીજા કોઈને ઈશ્વરનો સંદેશો પ્રગટ થાય, તો જે બોલી રહ્યો છે તેણે ચૂપ થઈ જવું. ૩૧  તમે બધા વારાફરતી ભવિષ્યવાણી કરો, જેથી બધા શીખી શકે અને બધાને ઉત્તેજન મળે. ૩૨  અને ઈશ્વરની શક્તિ દ્વારા પ્રબોધકોને મળેલું ભવિષ્યવાણી કરવાનું દાન તેઓએ કાબૂમાં રાખવું જોઈએ. ૩૩  કેમ કે ઈશ્વર અવ્યવસ્થાના નહિ, પણ શાંતિના ઈશ્વર છે. જેમ પવિત્ર જનોનાં બધાં મંડળોમાં થાય છે, ૩૪  તેમ સ્ત્રીઓએ મંડળોમાં ચૂપ રહેવું, કેમ કે તેઓને બોલવાની છૂટ નથી. એના બદલે, જેમ નિયમશાસ્ત્ર પણ કહે છે, તેમ તેઓએ આધીન રહેવું. ૩૫  જો તેઓને કંઈ જાણવું હોય, તો ઘરે પતિને પૂછવું, કેમ કે સ્ત્રીનું મંડળમાં બોલવું શરમજનક કહેવાય. ૩૬  શું ઈશ્વરનો સંદેશો તમારા દ્વારા આવ્યો છે? શું એ ફક્ત તમને જ મળ્યો છે? ૩૭  જો કોઈને લાગે કે પોતે પ્રબોધક છે અથવા તેને ઈશ્વરની શક્તિનું દાન મળ્યું છે, તો તે એ પણ સ્વીકારે કે હું જે લખું છું એ પ્રભુની આજ્ઞા છે. ૩૮  પરંતુ, જો કોઈ આ વાતોનો સ્વીકાર કરતો નથી, તો ઈશ્વર પણ તેનો સ્વીકાર કરશે નહિ.* ૩૯  એટલે મારા ભાઈઓ, ભવિષ્યવાણીનું દાન મેળવવાનો પ્રયત્ન કરતા રહો, પણ બીજી ભાષાઓ બોલવાની કોઈને મના કરશો નહિ. ૪૦  પરંતુ, બધું જ શોભતી રીતે અને વ્યવસ્થિત રીતે* થવું જોઈએ.

ફૂટનોટ

અથવા, “ઉત્સાહથી મંડ્યા રહો.”
અથવા, “અનુવાદ.”
અથવા, “અનુવાદ.”
અથવા, “મારી સમજણ પ્રમાણે.”
અથવા, “મૌખિક રીતે શીખવી શકું.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “અનુવાદ.”
અથવા, “અનુવાદક.”
અથવા કદાચ, “જો કોઈ અજાણ છે, તો તે અજાણ જ રહેશે.”
અથવા, “ગોઠવણ પ્રમાણે.”