૧ કોરીંથીઓ ૨:૧-૧૬

  • કોરીંથમાં પાઊલ પ્રચાર કરે છે (૧-૫)

  • ઈશ્વરનું ચઢિયાતું ડહાપણ (૬-૧૦)

  • ઈશ્વરની શક્તિથી દોરવાયેલો માણસ અને દુનિયાના વિચારો પ્રમાણે જીવનાર માણસ (૧૧-૧૬)

 તેથી ભાઈઓ, હું તમારી પાસે આવ્યો ત્યારે, ભણેલા-ગણેલાની ભાષામાં કે ડહાપણથી ઈશ્વરનું પવિત્ર રહસ્ય જણાવ્યું ન હતું. ૨  કેમ કે મેં નક્કી કર્યું હતું કે, ફક્ત ઈસુ ખ્રિસ્ત પર અને તેમને વધસ્તંભે મારી નાખવામાં આવ્યા એના પર જ તમારું ધ્યાન દોરું. ૩  હું તમારી પાસે કમજોર હાલતમાં, ડર અને ઘણી કંપારી સાથે આવ્યો; ૪  મેં તમને ડહાપણની વાતોથી આકર્ષવાની કોશિશ કરી ન હતી, પણ મારી વાત અને મારો પ્રચાર તો પવિત્ર શક્તિ અને સામર્થ્યની સાબિતી આપતા હતા, ૫  જેથી તમારી શ્રદ્ધા મનુષ્યના ડહાપણ પર નહિ, પણ ઈશ્વરના સામર્થ્ય પર હોય. ૬  આપણે હવે પરિપક્વ* હોય એવા લોકોમાં ડહાપણની વાતો કરીએ છીએ, પણ આ દુનિયાના* ડહાપણની કે આ દુનિયાના નાશ પામનારા શાસકોના ડહાપણની વાતો કરતા નથી. ૭  પરંતુ, આપણે પવિત્ર રહસ્યની વાત કરીએ છીએ, જે ઈશ્વરનું સંતાડેલું ડહાપણ છે. આ દુનિયાની* શરૂઆત થઈ એના પહેલાં, ઈશ્વરે એ ડહાપણ પ્રમાણે વર્તવાનું નક્કી કર્યું હતું, જેથી આપણને મહિમા મળે. ૮  આ દુનિયાના* કોઈ પણ શાસકો એ ડહાપણ જાણી શક્યા નહિ. જો તેઓએ એ જાણ્યું હોત, તો તેઓએ મહિમાવંત પ્રભુને મારી નાખ્યા* ન હોત. ૯  પરંતુ, જેમ લખેલું છે: “જેઓ ઈશ્વરને ચાહે છે, તેઓ માટે ઈશ્વરે જે તૈયાર કર્યું છે, એને કોઈ આંખે જોયું નથી અને કોઈ કાને સાંભળ્યું નથી, કે પછી માણસના દિલમાં એનો કોઈ વિચાર આવ્યો નથી.” ૧૦  પણ, ઈશ્વરે પોતાની પવિત્ર શક્તિ દ્વારા આપણને એ જણાવ્યું છે, કારણ કે તેમની શક્તિ બધી વાતોની, અરે, ઈશ્વર વિશેની ઊંડી વાતોની પણ શોધ કરે છે. ૧૧  કોઈ માણસ જાણતો નથી કે બીજા માણસના દિલના વિચારો શું છે. ફક્ત માણસ પોતે જ જાણે છે કે પોતાના દિલમાં* શું છે. એ જ રીતે, ઈશ્વરની શક્તિ સિવાય બીજું કોઈ ઈશ્વરના વિચારો જાણતું નથી. ૧૨  હવે, આપણને દુનિયાનું વલણ* નહિ, પણ ઈશ્વર પાસેથી શક્તિ મળી છે, જેથી ઈશ્વરે ઉદાર રીતે આપણને જે આપ્યું છે, એ બધું આપણે જાણી શકીએ. ૧૩  આપણે માણસોના ડહાપણથી શીખેલા શબ્દોથી નહિ, પણ ઈશ્વરની શક્તિથી શીખેલા શબ્દોથી આ વાતો કરીએ છીએ. આ રીતે, આપણે ઈશ્વર વિશેની વાતો ઈશ્વરની શક્તિએ જણાવેલા શબ્દોથી સમજાવીએ છીએ. ૧૪  પરંતુ, દુનિયાના વિચારો પ્રમાણે જીવનાર માણસ ઈશ્વરની શક્તિ દ્વારા આવતી વાતોનો સ્વીકાર કરતો નથી, કેમ કે એ તેના માટે મૂર્ખતા છે; અને એ વાતોને તે સમજી શકતો નથી, કેમ કે પવિત્ર શક્તિની મદદથી જ એ પારખી શકાય છે. ૧૫  જોકે, ઈશ્વરની શક્તિથી દોરવાયેલો માણસ બધું પારખે છે, પણ એ માણસની પરખ બીજો કોઈ માણસ કરી શકતો નથી. ૧૬  પવિત્ર લખાણો કહે છે: “યહોવાનું* મન કોણ જાણી શક્યું છે કે કોઈ તેમને સલાહ આપે?” પણ, આપણી પાસે તો ખ્રિસ્ત ઈસુનું મન છે.

ફૂટનોટ

અથવા, “અનુભવી અને સમજુ.”
અથવા, “આ યુગના.” શબ્દસૂચિ જુઓ.
અથવા, “આ યુગોની.” શબ્દસૂચિ જુઓ.
અથવા, “આ યુગના.” શબ્દસૂચિ જુઓ.
અથવા, “વધસ્તંભે મારી નાખ્યા.”
શબ્દસૂચિમાં “નેફમા” જુઓ.
શબ્દસૂચિમાં “નેફમા” જુઓ.
શબ્દસૂચિ જુઓ.