૧ કોરીંથીઓ ૮:૧-૧૩

  • મૂર્તિઓને ચઢાવેલા ખોરાક વિશે (૧-૧૩)

    • આપણા માટે તો એક જ ઈશ્વર (૫, ૬)

 હવે, મૂર્તિઓને ચઢાવેલા ખોરાક વિશે હું જણાવું છું: આપણા બધા પાસે જ્ઞાન છે એ આપણે જાણીએ છીએ. જ્ઞાન ફૂલાઈ જાય છે, પણ પ્રેમ ઉત્તેજન આપે છે. ૨  જો કોઈ વિચારે કે તે કંઈક જાણે છે, તો તેણે જે જાણવું જોઈએ એ હજુ તે જાણતો નથી. ૩  પરંતુ, જો કોઈ ઈશ્વરને પ્રેમ કરે છે, તો તેને ઈશ્વર ઓળખે છે. ૪  હવે, મૂર્તિઓને ચઢાવેલો ખોરાક ખાવા વિશે વાત કરીએ. આપણે જાણીએ છીએ કે મૂર્તિ કંઈ જ નથી અને ફક્ત એક જ ઈશ્વર છે. ૫  સ્વર્ગમાં કે ધરતી પર કહેવાતા દેવો ઘણા છે અને એવા ઘણા “દેવો” તથા ઘણા “પ્રભુઓ” છે પણ ખરાં, ૬  પણ આપણા માટે તો એક જ ઈશ્વર છે. તે આપણા પિતા છે, જેમની પાસેથી બધું આવે છે અને આપણે તેમના માટે છીએ; અને એક જ પ્રભુ છે, ઈસુ ખ્રિસ્ત. તેમના દ્વારા બધું છે અને તેમના દ્વારા આપણે છીએ. ૭  જોકે, બધા પાસે આવું જ્ઞાન નથી. પણ, અમુક લોકો પહેલાં મૂર્તિઓને ભજતા હતા. એટલે, તેઓ ખોરાક ખાય છે ત્યારે એ મૂર્તિને અર્પણ કરેલો ખોરાક હોય એવું તેઓને લાગે છે; અને તેઓનું અંતઃકરણ કમજોર હોવાથી ભ્રષ્ટ થઈ જાય છે. ૮  પરંતુ, ખોરાક આપણને ઈશ્વરની નજીક લાવી શકતો નથી. જો આપણે ન ખાઈએ તો કંઈ ગુમાવતા નથી અને ખાઈએ તો કંઈ મેળવતા નથી. ૯  પરંતુ, સાવચેત રહો કે પસંદગી કરવાનો તમારો હક કદાચ એવા લોકો માટે ઠોકર ખવડાવનાર પથ્થર ન બને, જેઓ કમજોર છે. ૧૦  જો કમજોર અંતઃકરણવાળી કોઈ વ્યક્તિ તારા જેવા જ્ઞાનીને મૂર્તિના મંદિરમાં ભોજન લેતા જુએ, તો શું મૂર્તિઓને ચઢાવેલો ખોરાક ખાવાનું તેને ઉત્તેજન નહિ મળે? ૧૧  આમ, એક કમજોર ભાઈ તારા જ્ઞાનને લીધે નાશ પામે છે, જે ભાઈ માટે ખ્રિસ્ત મરણ પામ્યા. ૧૨  આવી રીતે તમે જ્યારે તમારા ભાઈઓ વિરુદ્ધ પાપ કરો છો અને તેઓના કમજોર અંતઃકરણને હાનિ પહોંચાડો છો, ત્યારે તમે ખ્રિસ્ત વિરુદ્ધ પાપ કરો છો. ૧૩  એટલે, જો ખોરાક મારા ભાઈને ઠોકર ખવડાવતો હોય, તો તેને ઠોકર ન લાગે એ માટે હું ફરી ક્યારેય માંસ નહિ ખાઉં.

ફૂટનોટ