૨ કોરીંથીઓ ૪:૧-૧૮

  • ખુશખબરનો પ્રકાશ (૧-૬)

    • શ્રદ્ધા ન રાખનારા લોકોના મન આંધળા કરાયા છે ()

  • માટીનાં વાસણોમાં ખજાનો (૭-૧૮)

 એટલે, ઈશ્વરે અમારા પર દયા બતાવીને અમને સેવા સોંપી છે; એ કારણે અમે હિંમત હારતા નથી. ૨  અમે શરમજનક અને છૂપાં કામો છોડી દીધાં છે; કપટથી ચાલતા નથી કે ઈશ્વરના શિક્ષણમાં ભેળસેળ કરતા નથી; પણ, સત્ય જાહેર કરીને અમે ઈશ્વર આગળ દરેક મનુષ્ય* માટે સારો દાખલો બેસાડીએ છીએ. ૩  ખરું જોતાં, અમે જે ખુશખબર જાહેર કરીએ છીએ એના પર જો પડદો પડેલો હોય, તો એ નાશ થનારા માટે છે. ૪  આ દુનિયાના* દેવે શ્રદ્ધા ન રાખનારા લોકોના મન આંધળા કર્યા છે, જેથી ખ્રિસ્ત, જેમનામાં ઈશ્વર જેવા ગુણો છે, તેમના વિશેની ભવ્ય ખુશખબરનો પ્રકાશ તેઓ પર ન પડે. ૫  કેમ કે અમે પોતાના વિશે નહિ, પણ ઈસુ ખ્રિસ્ત જે પ્રભુ છે, તેમના વિશે પ્રચાર કરીએ છીએ અને અમે એ પણ કહીએ છીએ કે ઈસુના લીધે અમે તમારા સેવકો છીએ. ૬  એ તો ઈશ્વર છે, જેમણે આમ કહ્યું હતું: “અંધકારમાંથી પ્રકાશ થાઓ.” તેમણે ખ્રિસ્તના ચહેરા દ્વારા પોતાના ભવ્ય જ્ઞાનનો પ્રકાશ આપણા હૃદયો પર પાડીને એને પ્રકાશિત કર્યા છે. ૭  પણ, અમારી પાસે આ ખજાનો માટીનાં વાસણોમાં* છે, જેથી દેખાય આવે કે અમને મળેલી શક્તિ માણસની શક્તિ કરતાં ઘણી ચઢિયાતી છે. એ શક્તિ અમારી પાસેથી નહિ, પણ ઈશ્વર પાસેથી આવે છે. ૮  અમે ચારે બાજુ મુશ્કેલીઓથી ઘેરાયેલા છીએ, છતાં ફસાઈ ગયા નથી; અમે મૂંઝવણમાં છીએ, છતાં બધા રસ્તા બંધ થઈ ગયા નથી;* ૯  અમારી સતાવણી થાય છે, પણ ત્યજી દેવાયા નથી; અમને પાડી નાખવામાં આવે છે, પણ અમે નાશ પામેલા નથી. ૧૦  ઈસુની જેમ અમે પણ હંમેશાં મોતનો સામનો કરીએ છીએ, જેનાથી લોકોને ખબર પડે છે કે અમે ઈસુની જેમ સહન કરીએ છીએ. ૧૧  અમે જીવીએ છીએ પણ અમારું જીવન હંમેશાં ખતરામાં હોય છે, કારણ કે અમે ઈસુના પગલે ચાલીએ છીએ. આમ, અમે લોકોને બતાવીએ છીએ કે અમે ઈસુની જેમ સહન કરીએ છીએ. ૧૨  તેથી, ભલે અમે મોતનો સામનો કરીએ છીએ, પણ એનાથી તમને જીવન મળે છે. ૧૩  હવે, આમ લખેલું છે કે, “મને શ્રદ્ધા છે, એટલે હું બોલ્યો.” અમે પણ બતાવીએ છીએ કે અમને એવી જ શ્રદ્ધા છે, એટલે અમે બોલીએ છીએ; ૧૪  અમે જાણીએ છીએ કે જેમણે ઈસુને મરણમાંથી જીવતા કર્યા, તે અમને પણ ઈસુ સાથે ઉઠાડશે અને તમારી સાથે અમને પણ રજૂ કરશે. ૧૫  કેમ કે આ બધું તો તમારા માટે છે, જેથી ઈશ્વરની અપાર કૃપા વધતી ને વધતી જાય; જ્યારે વધુ ને વધુ લોકો ઈશ્વરનો આભાર માનીને તેમને મહિમા આપે છે, ત્યારે ઈશ્વરની કૃપા વધતી જાય છે. ૧૬  તેથી, આપણે હિંમત હારતા નથી. ભલે આપણું શરીર નાશ પામતું જાય છે, પણ આપણું દિલ* રોજ રોજ મજબૂત થતું જાય છે. ૧૭  કેમ કે ભલે સતાવણી* અમુક ક્ષણ પૂરતી અને હળવી હોય, એ અમારા માટે ગૌરવ લાવે છે; એ ગૌરવ વધતું ને વધતું જાય છે અને કાયમ ટકી રહે છે. ૧૮  આપણે પોતાની આંખ જે દૃશ્ય છે એના પર નહિ, પણ જે અદૃશ્ય છે એના પર રાખીએ છીએ. કેમ કે જે દૃશ્ય છે એ તો ઘડી બે ઘડીનું છે, પણ જે અદૃશ્ય છે એ હંમેશાં ટકનારું છે.

ફૂટનોટ

મૂળ અર્થ, “મનુષ્યના અંતઃકરણ.”
અથવા, “આ યુગના.” શબ્દસૂચિ જુઓ.
અથવા, “માટીની બરણીઓમાં.”
અથવા કદાચ, “નિરાશ થયા નથી.”
આમાં વ્યક્તિના સ્વભાવ અને ઈશ્વર માટેના ભક્તિભાવનો સમાવેશ થાય છે.
અથવા, “કસોટી.”