૨ કોરીંથીઓ ૬:૧-૧૮

  • ઈશ્વરની કૃપાનો ફાયદો ન ઉઠાવો (૧, ૨)

  • પાઊલની સેવાનું વર્ણન (૩-૧૩)

  • અસમાન ઝૂંસરીથી ન બંધાઓ (૧૪-૧૮)

 ઈશ્વરની સાથે કામ કરનારા તરીકે, અમે તમને આ અરજ પણ કરીએ છીએ: ઈશ્વરની અપાર કૃપાનો સ્વીકાર કરીને એનો હેતુ ભૂલી ન જાઓ. ૨  કેમ કે ઈશ્વર કહે છે: “કૃપા* બતાવવાના સમયે મેં તારું સાંભળ્યું અને તારણના દિવસે મેં તને મદદ કરી.” જુઓ! ઈશ્વર કૃપા બતાવે એ સમય ખાસ કરીને અત્યારે જ છે. જુઓ! તારણનો દિવસ અત્યારે જ છે. ૩  અમે કોઈ પણ રીતે ઠોકર ખાવાનું કારણ આપતા નથી, જેથી અમારી સેવાનો કોઈ દોષ કાઢવામાં ન આવે. ૪  પરંતુ, અમે બધી રીતે બતાવી આપીએ છીએ કે અમે ઈશ્વરના સેવકો છીએ: ઘણું સહન કરીને, મુસીબતો વેઠીને, તંગી સહીને, તકલીફો ઉઠાવીને, ૫  માર ખાઈને, કેદમાં રહીને, હુલ્લડોનો સામનો કરીને, સખત મહેનત કરીને, ઉજાગરા કરીને, ભૂખ વેઠીને; ૬  શુદ્ધ જીવનથી, જ્ઞાનથી, ધીરજથી, દયાથી, પવિત્ર શક્તિથી, ઢોંગ વગરના પ્રેમથી, ૭  સત્ય વચનથી, ઈશ્વરના બળથી; જમણા હાથમાં* અને ડાબા હાથમાં* સત્યનાં હથિયારો દ્વારા, ૮  માન અને અપમાન દ્વારા, બદનામી અને વખાણ દ્વારા. અમને દગાખોર ગણવામાં આવ્યા, છતાં પણ અમે સચ્ચાઈથી વર્તીએ છીએ. ૯  અજાણ્યા જેવા ગણવામાં આવ્યા છતાં, અમે જાણીતા થયા છીએ; જાણે મોતના મોંમાં* છીએ છતાં, જુઓ! અમે જીવતા છીએ; સજા પામેલા* લોકો જેવા છીએ છતાં, અમે મરણને સોંપાયા નથી; ૧૦  અમે શોક કરનારા જેવા ગણાયા, પણ હંમેશાં ખુશ રહીએ છીએ; અમે ગરીબ જેવા ગણાયા, પણ ઘણાને ધનવાન બનાવીએ છીએ; અમારી પાસે કંઈ ન હોવા છતાં, અમારી પાસે બધું જ છે. ૧૧  ઓ કોરીંથના લોકો, અમે છૂટથી તમારી સાથે વાત કરી છે;* અને અમે અમારા દિલના દરવાજા ખુલ્લા મૂક્યા છે. ૧૨  તમારા માટે અમે દિલના દરવાજા બંધ કર્યા નથી,* પણ અમારા માટે તમે દિલના દરવાજા બંધ કરી દીધા છે. ૧૩  હું જાણે મારાં બાળકોને કહેતો હોઉં એમ કહું છું કે, તમે પણ તમારા દિલના દરવાજા ખોલી નાખો. ૧૪  શ્રદ્ધા ન રાખનારા સાથે અસમાન ઝૂંસરીથી ન બંધાઓ.* કેમ કે સત્ય અને અસત્ય વચ્ચે સોબત કેવી? અથવા અજવાળાને અંધારા સાથે શું લેવાદેવા? ૧૫  વધુમાં, ખ્રિસ્તને બલિયાલ* સાથે શું લાગેવળગે? અથવા શ્રદ્ધા રાખનાર અને શ્રદ્ધા ન રાખનાર વચ્ચે શું સરખાપણું? ૧૬  ઈશ્વરના મંદિરને મૂર્તિઓ સાથે શું સંબંધ? કેમ કે અમે જીવતા ઈશ્વરનું મંદિર છીએ, જેમ ઈશ્વરે કહ્યું છે: “હું તેઓ વચ્ચે રહીશ અને તેઓ વચ્ચે ચાલીશ. હું તેઓનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોકો થશે.” ૧૭  “‘એ માટે, તેઓ વચ્ચેથી બહાર નીકળી આવો અને પોતાને અલગ કરો,’ યહોવા* કહે છે, ‘અને અશુદ્ધ વસ્તુને અડકો નહિ’”; “‘અને હું તમારો સ્વીકાર કરીશ.’” ૧૮  “‘અને હું તમારો પિતા થઈશ અને તમે મારા દીકરા-દીકરીઓ થશો,’ એવું સર્વશક્તિમાન ઈશ્વર યહોવા* કહે છે.”

ફૂટનોટ

અથવા, “મંજૂરી; પ્રસન્‍નતા.”
કદાચ હુમલો કરવા.
કદાચ બચાવ કરવા.
અથવા, “મોતને લાયક ગણાયા.”
અથવા, “શિસ્ત પામેલા.”
અથવા, “મોં ખોલીને વાત કરી છે.”
અથવા, “સંકુચિત થયા નથી.”
અથવા, “જોડાઓ.”
હિબ્રૂ શબ્દ જેનો અર્થ થાય, “નકામો.” શેતાનને લાગુ પડે છે.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.