ઉત્પત્તિ ૨૬:૧-૩૫

  • ગેરારમાં ઇસહાક અને રિબકા (૧-૧૧)

    • ઈશ્વરે ઇસહાકને વચન પૂરું કરવાની ખાતરી આપી (૩-૫)

  • કૂવા માટે ઝઘડો (૧૨-૨૫)

  • ઇસહાકનો અબીમેલેખ સાથે કરાર (૨૬-૩૩)

  • એસાવની બે હિત્તી પત્નીઓ (૩૪, ૩૫)

૨૬  ઇબ્રાહિમના સમયમાં પડ્યો હતો એવો જ ભારે દુકાળ આ દેશમાં પડ્યો.+ એટલે ઇસહાક ગેરારમાં પલિસ્તીઓના રાજા અબીમેલેખ પાસે ગયો. ૨  યહોવાએ ઇસહાક આગળ પ્રગટ થઈને કહ્યું: “ઇજિપ્ત જતો નહિ. જે દેશ હું તને બતાવું ત્યાં રહેજે. ૩  તું આ દેશમાં હમણાં પરદેશી તરીકે રહે.+ હું હંમેશાં તારી સાથે રહીશ અને તને આશીર્વાદ આપીશ. હું તને અને તારા વંશજને આ આખો વિસ્તાર આપીશ.+ તારા પિતા ઇબ્રાહિમ આગળ ખાધેલા આ સમ હું જરૂર પૂરા કરીશ:+ ૪  ‘હું તારા વંશજની સંખ્યા આકાશના તારા જેટલી વધારીશ.+ હું તારા વંશજને આ આખો વિસ્તાર આપીશ.+ તારા વંશજથી પૃથ્વીની બધી પ્રજાઓ આશીર્વાદ મેળવશે.’*+ ૫  એ સમ હું ચોક્કસ પૂરા કરીશ, કેમ કે ઇબ્રાહિમે મારી વાત સાંભળી હતી અને મારા કહ્યા પ્રમાણે કર્યું હતું. તેણે મારી આજ્ઞાઓ, મારા કાયદા-કાનૂન અને મારા નિયમો પણ પાળ્યાં હતાં.”+ ૬  એટલે ઇસહાક ગેરારમાં રહ્યો.+ ૭  રિબકા ખૂબ જ સુંદર હતી.+ એટલે એ દેશના માણસો ઇસહાકને તેની પત્ની વિશે પૂછતા ત્યારે, તે આમ કહેતા ડરતો કે, “તે મારી પત્ની છે.” તેને થતું, “રિબકાને લીધે અહીંના લોકો મને મારી નાખશે.” એટલે તે કહેતો, “તે મારી બહેન છે.”+ ૮  એક દિવસ પલિસ્તીઓના રાજા અબીમેલેખે બારીમાંથી બહાર જોયું તો, ઇસહાક પોતાની પત્ની રિબકાને વહાલ* કરી રહ્યો હતો.+ ૯  અબીમેલેખે તરત જ ઇસહાકને બોલાવીને કહ્યું: “એ તો તારી પત્ની છે! તો પછી તેં કેમ કહ્યું કે તે તારી બહેન છે?” ઇસહાકે કહ્યું: “મને ડર હતો કે તેના લીધે હું માર્યો જઈશ, એટલે મેં એમ કહ્યું.”+ ૧૦  અબીમેલેખે કહ્યું: “અમારી સાથે તેં આ શું કર્યું?+ તને ખબર છે, મારા લોકોમાંથી કોઈ તારી પત્ની સાથે ખોટું કરી બેઠું હોત, તારા લીધે અમને પાપનો દોષ લાગ્યો હોત!”+ ૧૧  પછી અબીમેલેખે બધા લોકોને હુકમ કર્યો: “જે કોઈ આ માણસને અને તેની પત્નીને અડકશે, તે ચોક્કસ માર્યો જશે!” ૧૨  ઇસહાકે એ દેશમાં વાવણી કરી. એ જ વર્ષે તેણે જે વાવ્યું હતું એનું ૧૦૦ ગણું લણ્યું, કેમ કે યહોવા તેને આશીર્વાદ આપતા હતા.+ ૧૩  ઇસહાકની માલ-મિલકત વધતી ને વધતી ગઈ અને તે ખૂબ ધનવાન થયો. ૧૪  તે પુષ્કળ ઘેટાં, ઢોરઢાંક અને દાસ-દાસીઓનો માલિક બન્યો.+ એટલે પલિસ્તીઓ તેની અદેખાઈ કરવા લાગ્યા. ૧૫  પછી પલિસ્તીઓએ એ કૂવા માટીથી પૂરી દીધા, જે તેના પિતા ઇબ્રાહિમે ખોદાવ્યા હતા.+ ૧૬  અબીમેલેખે ઇસહાકને કહ્યું: “તું અમારી પાસેથી દૂર જતો રહે, કેમ કે તું અમારા કરતાં ઘણો બળવાન થયો છે.” ૧૭  તેથી ઇસહાક ત્યાંથી નીકળી ગયો. તેણે ગેરારની ખીણમાં તંબુ નાખ્યો+ અને ત્યાં રહેવા લાગ્યો. ૧૮  ઇસહાકે પોતાના પિતાના સમયમાં ખોદાયેલા કૂવાઓ ફરીથી ખોદી કાઢ્યા. કેમ કે ઇબ્રાહિમના મરણ પછી એ કૂવાઓ પલિસ્તીઓએ પૂરી દીધા હતા.+ તેના પિતાએ કૂવાઓનાં જે નામ પાડ્યાં હતાં, એ જ નામ તેણે પાડ્યાં.+ ૧૯  ઇસહાકના ચાકરો ગેરારની ખીણમાં એક કૂવો ખોદતા હતા ત્યારે, જમીનની અંદર વહેતું ચોખ્ખા પાણીનું ઝરણું મળી આવ્યું. ૨૦  એટલે ગેરારના ભરવાડો આમ કહીને ઇસહાકના ભરવાડો સાથે ઝઘડવા લાગ્યા: “એ પાણી અમારું છે!” તેથી ઇસહાકે એ કૂવાનું નામ એસેક* પાડ્યું, કેમ કે તેઓ તેની સાથે ત્યાં ઝઘડ્યા હતા. ૨૧  ઇસહાકના ચાકરોએ બીજો એક કૂવો ખોદ્યો. એના માટે પણ ઝઘડો થયો. તેથી ઇસહાકે એનું નામ સિટનાહ* પાડ્યું. ૨૨  પછી ઇસહાક ત્યાંથી નીકળી ગયો અને તેણે બીજો એક કૂવો ખોદ્યો. પણ આ વખતે ઝઘડો થયો નહિ. તેથી તેણે એનું નામ રહોબોથ* પાડ્યું અને કહ્યું: “હવે યહોવાએ આપણને પુષ્કળ જગ્યા આપી છે અને આપણને આબાદ કર્યા છે.”+ ૨૩  પછી તે ત્યાંથી બેર-શેબા ગયો.+ ૨૪  એ રાતે યહોવા તેની આગળ પ્રગટ થયા અને તેને કહ્યું: “હું તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર છું.+ તું ગભરાઈશ નહિ,+ હું તારી સાથે છું. મારા સેવક ઇબ્રાહિમને લીધે હું તને આશીર્વાદ આપીશ અને તારા વંશજની સંખ્યા પુષ્કળ વધારીશ.”+ ૨૫  તેથી ઇસહાકે ત્યાં એક વેદી બાંધી અને યહોવાના નામની સ્તુતિ કરી.*+ તેણે ત્યાં પોતાનો તંબુ નાખ્યો+ અને તેના સેવકોએ ત્યાં એક કૂવો ખોદ્યો. ૨૬  પછી અબીમેલેખ ગેરારથી ઇસહાક પાસે આવ્યો. તે પોતાના સલાહકાર અહુઝાથ અને સેનાપતિ ફીકોલને પણ સાથે લેતો આવ્યો.+ ૨૭  ઇસહાકે તેઓને કહ્યું: “તમે મને ધિક્કારતા હતા અને મને દૂર મોકલી દીધો હતો, તો હવે મારી પાસે કેમ આવ્યા છો?” ૨૮  તેઓએ કહ્યું: “અમે સાફ સાફ જોયું છે કે યહોવા તારી સાથે છે.+ અમે તારી સાથે સમ ખાઈને કરાર કરવા માંગીએ છીએ,+ ૨૯  જેમ અમે તને નુકસાન પહોંચાડ્યું નથી, તેમ તું પણ અમને કંઈ નુકસાન ન પહોંચાડતો. તું જાણે છે કે અમે તારું ભલું જ કર્યું છે અને તને શાંતિએ વિદાય કર્યો છે. અમે જાણીએ છીએ કે, તારા પર યહોવાનો આશીર્વાદ છે.” ૩૦  પછી ઇસહાકે તેઓ માટે મિજબાની રાખી અને તેઓએ ખાધું-પીધું. ૩૧  સવારે વહેલા ઊઠીને તેઓ બંનેએ સમ ખાધા.+ ઇસહાકે તેઓને વિદાય આપી અને તેઓ શાંતિથી ગયા. ૩૨  એ દિવસે ઇસહાકના ચાકરો આવ્યા અને તેઓએ જે કૂવો ખોદ્યો હતો+ એ વિશે ઇસહાકને કહ્યું: “અમને પાણી મળ્યું છે!” ૩૩  તેથી ઇસહાકે એનું નામ શિબાહ પાડ્યું. એટલે એ શહેર આજ સુધી બેર-શેબા+ તરીકે ઓળખાય છે. ૩૪  એસાવ ૪૦ વર્ષનો હતો ત્યારે, તેણે હિત્તી સ્ત્રીઓ યહૂદીથ અને બાસમાથ સાથે લગ્‍ન કર્યાં.+ યહૂદીથનો પિતા બએરી અને બાસમાથનો પિતા એલોન હતો. ૩૫  એ સ્ત્રીઓએ ઇસહાક અને રિબકાનું જીવન દુઃખોથી* ભરી દીધું હતું.+

ફૂટનોટ

એનો કદાચ એવો અર્થ થાય કે તેઓએ આશીર્વાદ મેળવવા કંઈક કરવાની જરૂર હતી.
અથવા, “આલિંગન.”
અર્થ, “ઝઘડો.”
અર્થ, “આરોપ.”
અર્થ, “વિશાળ જગ્યા.”
મૂળ, “યહોવાને નામે પોકાર કર્યો.”
મૂળ, “કડવાશથી.”