ઉત્પત્તિ ૪૭:૧-૩૧

  • યાકૂબ ઇજિપ્તના રાજાને મળે છે (૧-૧૨)

  • યૂસફ સમજદારીથી પોતાની જવાબદારી નિભાવે છે (૧૩-૨૬)

  • ઇઝરાયેલ ગોશેનમાં વસે છે (૨૭-૩૧)

૪૭  યૂસફે જઈને રાજાને ખબર આપી:+ “કનાનથી મારા પિતા અને ભાઈઓ આવ્યા છે. તેઓ પોતાનાં ઘેટાં-બકરાં, ઢોરઢાંક અને બધી માલ-મિલકત લઈને આવ્યા છે. તેઓ ગોશેન પ્રદેશમાં છે.”+ ૨  પછી યૂસફ પોતાના પાંચ ભાઈઓને રાજા આગળ લાવ્યો.+ ૩  રાજાએ તેના ભાઈઓને પૂછ્યું: “તમે શું કામ કરો છો?” તેઓએ કહ્યું: “અમારા બાપદાદાઓની જેમ અમે પણ ઘેટાંપાળકો છીએ.”+ ૪  તેઓએ રાજાને કહ્યું: “અમે અહીં પરદેશીઓ તરીકે રહેવા આવ્યા છીએ,+ કેમ કે કનાનમાં આકરો દુકાળ છે+ અને અમારા ઢોરઢાંક માટે ચારો નથી. તેથી, કૃપા કરી અમને ગોશેનમાં રહેવા દો.”+ ૫  રાજાએ યૂસફને કહ્યું: “સારું થયું કે તારા પિતા અને ભાઈઓ તારી પાસે આવ્યા. ૬  જો, આખો ઇજિપ્ત દેશ તારી આગળ છે. તારા પિતા અને ભાઈઓને દેશનો સૌથી ઉત્તમ ભાગ આપજે.+ તેઓને ગોશેનમાં રાખજે. જો તેઓમાંથી કોઈ કાબેલ માણસો તારા ધ્યાનમાં હોય, તો તેઓને મારા ઢોરઢાંક સંભાળવા આપજે.” ૭  પછી યૂસફ પોતાના પિતા યાકૂબને રાજા આગળ લાવ્યો અને યાકૂબે રાજાને આશીર્વાદ આપ્યો. ૮  રાજાએ યાકૂબને પૂછ્યું: “તમારી ઉંમર કેટલી છે?” ૯  યાકૂબે રાજાને કહ્યું: “હું ૧૩૦ વર્ષનો છું. પણ મારા બાપદાદાઓના આયુષ્યની સરખામણીમાં એ તો કંઈ જ નથી.+ મેં એ વર્ષો ઘણાં દુઃખમાં વિતાવ્યાં છે.+ મારા બાપદાદાઓ પરદેશી તરીકે જીવ્યા હતા અને હું પણ આખી જિંદગી પરદેશી તરીકે જીવ્યો છું.” ૧૦  પછી રાજાને આશીર્વાદ આપીને યાકૂબ ત્યાંથી નીકળી ગયો. ૧૧  રાજાની આજ્ઞા પ્રમાણે યૂસફે પોતાના પિતા અને ભાઈઓને ઇજિપ્તનો સારામાં સારો વિસ્તાર રહેવા આપ્યો. તેણે તેઓને રામસેસમાં* વસાવ્યા.+ ૧૨  યૂસફ પોતાના પિતા, ભાઈઓ અને પિતાના ઘરનાને ખોરાક પૂરો પાડતો રહ્યો. તે દરેક કુટુંબને બાળકોની સંખ્યા પ્રમાણે ખોરાક આપતો રહ્યો. ૧૩  સમય જતાં દુકાળે ભયાનક રૂપ લીધું. આખા ઇજિપ્ત અને કનાનમાં અનાજ ખૂટી ગયું. એ બંને દેશના લોકો દુકાળને લીધે હેરાન-પરેશાન થઈ ગયા.+ ૧૪  તેઓ યૂસફ પાસે અનાજ ખરીદવા આવતા.+ યૂસફ એમાંથી મળતા પૈસા ભેગા કરતો અને રાજાના ખજાનામાં જમા કરાવતો. ૧૫  થોડા સમયમાં ઇજિપ્ત અને કનાનના લોકો પાસે પૈસા ખતમ થઈ ગયા. એટલે ઇજિપ્તના બધા લોકો યૂસફ પાસે આવીને કહેવા લાગ્યા: “અમને ખોરાક આપો. અમારા પૈસા ખલાસ થઈ ગયા છે એ કારણે શું તમે અમને અનાજ નહિ આપો? શું અમને ભૂખે મરવા દેશો?” ૧૬  યૂસફે કહ્યું: “જો પૈસા ન હોય, તો તમારાં જાનવરો લઈ આવો. એના બદલામાં હું તમને ખોરાક આપીશ.” ૧૭  એટલે લોકો પોતાનાં જાનવરો યૂસફ પાસે લાવતા. ઘોડા, ઢોરઢાંક, ઘેટાં-બકરાં અને ગધેડાંના બદલામાં યૂસફ તેઓને ખોરાક આપતો. આખું વર્ષ યૂસફ તેઓને જાનવરોના બદલામાં ખોરાક આપતો રહ્યો. ૧૮  એ પછીના વર્ષે તેઓ યૂસફ પાસે આવીને કહેવા લાગ્યા: “માલિક, અમે તમને અમારી હાલત જણાવવા માંગીએ છીએ. અમે અમારાં પૈસા અને જાનવરો તો તમને આપી ચૂક્યા છીએ. હવે અમારાં શરીર અને જમીન સિવાય કશું જ બાકી રહ્યું નથી. ૧૯  જો અમે મરી જઈએ અને અમારી જમીન ઉજ્જડ થઈ જાય, તો તમને શો ફાયદો? અમને અને અમારી જમીનને ખરીદી લો અને એના બદલામાં ખોરાક આપો. અમે રાજાના દાસ બનીશું અને અમારી જમીન તેમને આપી દઈશું. બસ અમને અનાજ આપો, જેથી અમે મરી ન જઈએ અને અમારી જમીન ઉજ્જડ ન થઈ જાય.” ૨૦  દુકાળ આકરો હતો, એટલે ઇજિપ્તના લોકોએ પોતાની જમીન યૂસફને વેચી દીધી. યૂસફે એ બધી જમીન રાજા માટે ખરીદી લીધી. આમ એ બધી જમીન રાજાની થઈ. ૨૧  યૂસફે નાનાં નાનાં ગામડાંમાં રહેતા ઇજિપ્તવાસીઓને શહેરોમાં જઈને વસવાનો હુકમ કર્યો.+ ૨૨  ફક્ત યાજકોની જમીન તેણે ખરીદી નહિ.+ યાજકોને રાજા પાસેથી ખોરાક મળતો હતો, એટલે તેઓએ પોતાની જમીન વેચવી પડી નહિ. ૨૩  પછી યૂસફે લોકોને કહ્યું: “મેં આજે તમને અને તમારી જમીનને રાજા માટે ખરીદી લીધાં છે. આ દાણા લઈ જાઓ અને જમીનમાં વાવો. ૨૪  કાપણીના સમયે તમારે ઊપજના પાંચ ભાગ કરવા. એક ભાગ રાજાને આપવો,+ પણ ચાર ભાગ તમારે પોતાના માટે રાખવા. એ ચાર ભાગ તમારા, તમારાં બાળકોના અને તમારાં ઘરના લોકોના ખોરાક માટે અને વાવણી માટે છે.” ૨૫  તેઓએ કહ્યું: “માલિક, તમે અમારું જીવન બચાવ્યું છે.+ તમારી કૃપા અમારા પર રાખો અને અમને રાજાના દાસ બનવા દો.”+ ૨૬  પછી યૂસફે કાયદો બનાવ્યો કે, ઊપજનો પાંચમો ભાગ રાજાનો થાય. એ કાયદો આજ સુધી ઇજિપ્ત દેશમાં ચાલે છે. ફક્ત યાજકોની જમીન રાજાની ન થઈ.+ ૨૭  ઇઝરાયેલના ઘરના લોકો ઇજિપ્તના ગોશેન પ્રદેશમાં રહેવા લાગ્યા.+ તેઓ ત્યાં જ વસી ગયા. તેઓ વૃદ્ધિ પામ્યા અને તેઓની વસ્તી ખૂબ વધી.+ ૨૮  યાકૂબ ઇજિપ્તમાં ૧૭ વર્ષ જીવ્યો. તેનું મરણ થયું ત્યારે તેની ઉંમર ૧૪૭ વર્ષ હતી.+ ૨૯  યાકૂબને જ્યારે ખ્યાલ આવ્યો કે તે હવે બહુ જીવવાનો નથી,+ ત્યારે તેણે પોતાના દીકરા યૂસફને બોલાવીને કહ્યું: “મારા દીકરા, મારી જાંઘ નીચે તારો હાથ મૂકીને સમ ખા કે, તું મારી સાથે અતૂટ પ્રેમ અને વફાદારીથી વર્તીશ. મારા પર આટલી મહેરબાની કરજે કે, મને ઇજિપ્તમાં દફનાવતો નહિ.+ ૩૦  હું મરી જાઉં* ત્યારે, મને ઇજિપ્તમાંથી લઈ જજે અને મારા બાપદાદાઓની કબરમાં દફનાવજે.”+ યૂસફે કહ્યું: “હા પિતાજી, હું તમારા કહ્યા પ્રમાણે જ કરીશ.” ૩૧  તેણે યૂસફને કહ્યું: “મારી આગળ સમ ખા.” યૂસફે સમ ખાધા.+ પછી ઇઝરાયેલે પથારીમાં માથું ટેકવવાની જગ્યાએ નમીને પ્રાર્થના કરી.+

ફૂટનોટ

કદાચ રામસેસ ગોશેનનો એક જિલ્લો હતો અથવા ગોશેનનું બીજું નામ હતું.
મૂળ, “મારા પિતાઓ સાથે ઊંઘી જાઉં.”