ઉત્પત્તિ ૮:૧-૨૨

  • પૂરનું પાણી ઓસરવા લાગ્યું (૧-૧૪)

    • કબૂતરને બહાર મોકલ્યું (૮-૧૨)

  • વહાણમાંથી બહાર આવ્યાં (૧૫-૧૯)

  • પૃથ્વી વિશે ઈશ્વરનું વચન (૨૦-૨૨)

 ઈશ્વરે નૂહ પર ધ્યાન આપ્યું.* તેની સાથે વહાણમાં+ હતાં એ સર્વ જંગલી પ્રાણીઓ અને પાલતુ પ્રાણીઓ પર પણ ધ્યાન આપ્યું.* તેમણે પૃથ્વી પર પવન ચલાવ્યો અને પાણી ઓસરવા લાગ્યું. ૨  આકાશના પાણીના ઝરા અને આકાશના દરવાજા બંધ થયા, એટલે વરસાદ અટકી ગયો.*+ ૩  પછી પૃથ્વી પરથી ધીરે ધીરે પાણી ઓસરવા લાગ્યું. ૧૫૦ દિવસ પછી પાણી ઓસરી ગયું. ૪  સાતમા મહિનાના ૧૭મા દિવસે વહાણ અરારાટના પહાડો પર રોકાયું. ૫  દસમા મહિના સુધી પાણી સતત ઓસરતું રહ્યું. દસમા મહિનાના પહેલા દિવસે પહાડોની ટોચ દેખાવા લાગી.+ ૬  ૪૦ દિવસ પછી નૂહે વહાણની બારી+ ખોલી ૭  અને એક કાગડાને બહાર મોકલ્યો. પાણી સુકાયું નહિ ત્યાં સુધી એ કાગડો વહાણમાં આવજા કરતો રહ્યો. ૮  પછી પાણી ઓસર્યું છે કે નહિ એ જોવા, નૂહે એક કબૂતર મોકલ્યું. ૯  પણ પૃથ્વી પર બધે પાણી જ પાણી હતું.+ કબૂતરને બેસવાની કોઈ જગ્યા મળી નહિ, એટલે એ નૂહ પાસે પાછું આવ્યું. તેણે હાથ લાંબો કરીને કબૂતરને વહાણની અંદર લઈ લીધું. ૧૦  તેણે બીજા સાત દિવસ રાહ જોઈ અને કબૂતરને ફરી વહાણની બહાર મોકલ્યું. ૧૧  આશરે સાંજના સમયે એ નૂહ પાસે પાછું આવ્યું. એની ચાંચમાં જૈતૂનના ઝાડનું તાજું પાંદડું હતું. એ જોઈને નૂહને ખબર પડી કે પૃથ્વી પરથી પાણી ઓસરી ગયું છે.+ ૧૨  તેણે બીજા સાત દિવસ રાહ જોઈ. પછી તેણે ફરી કબૂતરને બહાર મોકલ્યું, પણ આ વખતે એ તેની પાસે પાછું આવ્યું નહિ. ૧૩  નૂહના જીવનના ૬૦૧મા વર્ષે,+ પહેલા મહિનાના પહેલા દિવસે પૃથ્વી પરથી પાણી ઓસરી ગયું. નૂહે વહાણની છતનો થોડો ભાગ ખોલીને જોયું તો જમીન કોરી થવાની શરૂ થઈ હતી. ૧૪  બીજા મહિનાના ૨૭મા દિવસે જમીન કોરી થઈ ગઈ. ૧૫  ઈશ્વરે નૂહને કહ્યું: ૧૬  “તું, તારી પત્ની, તારા દીકરાઓ અને તારા દીકરાઓની પત્નીઓ+ વહાણમાંથી બહાર આવો. ૧૭  દરેક પ્રકારના જીવો,+ એટલે કે પક્ષીઓ,* પ્રાણીઓ અને પેટે ચાલનારાં પ્રાણીઓને તું બહાર લાવ, જેથી તેઓને ઘણાં બચ્ચાં થાય, તેઓ પુષ્કળ વધે અને તેઓની સંખ્યા પૃથ્વી પર વધતી જાય.”+ ૧૮  નૂહ, તેની પત્ની, તેના દીકરાઓ+ અને તેઓની પત્નીઓ બહાર આવ્યાં. ૧૯  બધાં પ્રાણીઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ, પક્ષીઓ અને જમીન પર હરતાં-ફરતાં પ્રાણીઓ પણ વહાણમાંથી બહાર આવ્યાં.*+ ૨૦  પછી નૂહે યહોવા માટે વેદી* બાંધી.+ તેણે શુદ્ધ પ્રાણીઓમાંથી અને શુદ્ધ પક્ષીઓમાંથી+ અમુક લીધાં અને વેદી પર તેઓનું અગ્‍નિ-અર્પણ* ચઢાવ્યું.+ ૨૧  એની સુવાસ યહોવા સુધી પહોંચી અને તે એનાથી ખુશ* થયા. યહોવાએ મનમાં કહ્યું: “માણસના હૃદયના વિચારો અને ઇચ્છાઓ બાળપણથી ખરાબ હોય છે.+ એટલે હું માણસને લીધે ફરી ક્યારેય ધરતીને શ્રાપ નહિ આપું.+ જેમ મેં હમણાં કર્યું, તેમ ફરી ક્યારેય બધા જીવોનો નાશ નહિ કરું.+ ૨૨  હવેથી પૃથ્વી પર વાવણી અને કાપણી, ઠંડી અને ગરમી, ઉનાળો અને શિયાળો તેમજ દિવસ અને રાત થયા વગર રહેશે નહિ.”+

ફૂટનોટ

મૂળ, “નૂહને યાદ કર્યો.”
મૂળ, “પ્રાણીઓને પણ યાદ કર્યાં.”
અથવા, “અટકાવવામાં આવ્યો.”
હિબ્રૂમાં વપરાયેલો શબ્દ પાંખવાળાં બીજાં જીવજંતુઓને પણ રજૂ કરી શકે.
મૂળ, “પોતપોતાની જાત પ્રમાણે બહાર આવ્યાં.”
મૂળ, “શાંત.”