ઝખાર્યા ૧:૧-૨૧

  • યહોવા પાસે પાછા ફરવાનો પોકાર (૧-૬)

    • “મારી પાસે પાછા આવો અને હું તમારી પાસે પાછો આવીશ” ()

  • દર્શન ૧: મેંદીનાં વૃક્ષો વચ્ચે ઘોડેસવારો (૭-૧૭)

    • “યહોવા ફરીથી સિયોનને દિલાસો આપશે” (૧૭)

  • દર્શન ૨: ચાર શિંગડાં અને ચાર કારીગરો (૧૮-૨૧)

 રાજા દાર્યાવેશના શાસનના બીજા વર્ષના આઠમા મહિનામાં+ યહોવાનો* સંદેશો પ્રબોધક* ઝખાર્યા*+ પાસે આવ્યો. ઝખાર્યા ઈદ્દોના દીકરા બેરેખ્યાનો દીકરો હતો. ઝખાર્યાને આ સંદેશો મળ્યો: ૨  “યહોવા તમારા બાપદાદાઓ પર ખૂબ ગુસ્સે ભરાયા હતા.+ ૩  “લોકોને કહે, ‘સૈન્યોના ઈશ્વર યહોવા* જાહેર કરે છે: “હું સૈન્યોનો ઈશ્વર યહોવા છું. તમે મારી પાસે પાછા આવો અને હું તમારી પાસે પાછો આવીશ,”+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.’ ૪  “‘તમારા બાપદાદાઓ જેવા ન બનો, જેઓ આગળ અગાઉના પ્રબોધકોએ જાહેર કર્યું હતું: “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘મહેરબાની કરીને તમારા ખરાબ માર્ગો અને ખરાબ કામો છોડી દો+ અને મારી પાસે પાછા આવો.’”’ “‘પણ તેઓએ મારું સાંભળ્યું નહિ અને જરાય ધ્યાન આપ્યું નહિ,’+ એવું યહોવા કહે છે. ૫  “‘તમારા બાપદાદાઓ ક્યાં છે? શું એ પ્રબોધકો હજી જીવે છે? ૬  મેં તમારા બાપદાદાઓને મારા સંદેશા અને મારા નિયમો જણાવ્યા હતા. મારા સેવકો, એટલે કે પ્રબોધકોને મોકલીને મેં તેઓને ચેતવ્યા હતા+ કે જો તેઓ એ નિયમો પ્રમાણે નહિ જીવે, તો તેઓએ એનું પરિણામ ભોગવવું પડશે. અને તેઓ સાથે એવું જ બન્યું, ખરું ને?’ એટલે તેઓ મારી પાસે પાછા ફર્યા અને કહ્યું: ‘અમે જે કામો કર્યાં અને જે માર્ગો પર ચાલ્યા, એનું અમે પરિણામ ભોગવી રહ્યા છીએ. સૈન્યોના ઈશ્વર યહોવા અમારી સાથે એ જ રીતે વર્ત્યા, જેવું તેમણે નક્કી કર્યું હતું.’”+ ૭  રાજા દાર્યાવેશના શાસનના બીજા વર્ષના+ ૧૧મા મહિનાના, એટલે કે શબાટ* મહિનાના ૨૪મા દિવસે યહોવાનો સંદેશો પ્રબોધક ઝખાર્યા પાસે આવ્યો. ઈદ્દોના દીકરા બેરેખ્યાના દીકરા ઝખાર્યાને આ સંદેશો મળ્યો: ૮  “રાતે મને એક દર્શન થયું. મેં જોયું કે એક માણસ લાલ ઘોડા પર સવાર હતો. તે આવીને ખીણમાં મેંદીનાં વૃક્ષોની વચ્ચે ઊભો રહ્યો. તેની પાછળ લાલ, ભૂખરા અને સફેદ રંગના ઘોડાઓ હતા.” ૯  મેં પૂછ્યું: “મારા માલિક, એ બધા કોણ છે?” મારી સાથે વાત કરનાર દૂતે* મને કહ્યું: “હું તને જણાવીશ કે તેઓ કોણ છે.” ૧૦  પછી મેંદીનાં વૃક્ષોની વચ્ચે ઊભેલા માણસે કહ્યું: “યહોવાએ એ બધાને આખી પૃથ્વીનું નિરીક્ષણ કરવા મોકલ્યા છે.” ૧૧  તેઓએ મેંદીનાં વૃક્ષોની વચ્ચે ઊભેલા યહોવાના દૂતને કહ્યું: “અમે આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યું છે. જુઓ! આખી પૃથ્વી શાંત છે અને એમાં કોઈ ઊથલ-પાથલ નથી.”+ ૧૨  યહોવાના દૂતે કહ્યું: “હે સૈન્યોના ઈશ્વર યહોવા, તમે ૭૦ વર્ષોથી યરૂશાલેમ અને યહૂદાનાં શહેરો પર ક્રોધે ભરાયા છો.+ ક્યાં સુધી તમે તેઓને દયા નહિ બતાવો?”+ ૧૩  જે દૂત મારી સાથે વાત કરતો હતો તેની જોડે યહોવાએ ખૂબ પ્રેમથી વાત કરી અને તેને દિલાસો આપ્યો. ૧૪  પછી મારી સાથે વાત કરનાર દૂતે મને કહ્યું: “જાહેર કર, ‘સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “મને યરૂશાલેમ અને સિયોન પર ખૂબ પ્રેમ છે અને મને તેઓની બહુ ચિંતા છે.+ ૧૫  હું એ પ્રજાઓ પર ખૂબ ગુસ્સે ભરાયો છું, જેઓ સુખચેનમાં રહે છે.+ કેમ કે હું તો મારા લોકોને થોડી જ સજા કરવા માંગતો હતો,+ પણ એ પ્રજાઓએ તો મારા લોકોને પૂરી રીતે બરબાદ કરી દીધા છે.”’+ ૧૬  “એટલે યહોવા કહે છે, ‘“હું યરૂશાલેમ પર ફરી દયા બતાવીશ.+ ત્યાં મારું મંદિર* ફરી બંધાશે+ અને દોરીથી યરૂશાલેમને માપવામાં આવશે,”+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.’ ૧૭  “ફરી એક વાર પોકાર કર, ‘સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “મારાં શહેરો ફરી સમૃદ્ધ થશે. યહોવા ફરીથી સિયોનને દિલાસો આપશે+ અને ફરી યરૂશાલેમને પસંદ કરશે.”’”+ ૧૮  પછી મેં નજર ઊંચી કરી તો મને ચાર શિંગડાં દેખાયાં.+ ૧૯  મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછ્યું: “એ શિંગડાંનો શો અર્થ છે?” તેણે મને કહ્યું: “આ એ શિંગડાં છે, જેઓએ યહૂદા,+ ઇઝરાયેલ+ અને યરૂશાલેમને+ વેરવિખેર કરી નાખ્યાં હતાં.” ૨૦  પછી યહોવાએ મને ચાર કારીગરો દેખાડ્યા. ૨૧  મેં પૂછ્યું: “તેઓ કેમ આવી રહ્યા છે?” મને કહેવામાં આવ્યું: “આ કારીગરો પ્રજાઓનાં શિંગડાંને ડરાવવા અને તોડી પાડવા આવી રહ્યા છે. એ પ્રજાઓએ યહૂદાને વેરવિખેર કરવા પોતાનાં શિંગડાં ઊંચાં કર્યાં હતાં. તેઓએ યહૂદાને એટલી હદે વેરવિખેર કર્યું હતું કે કોઈ પણ પોતાનું માથું ઊંચું કરી શકતું ન હતું.”

ફૂટનોટ

અર્થ, “યહોવાએ યાદ કર્યું છે.”
અથવા, “ઘર.”