નહેમ્યા ૫:૧-૧૯

  • નહેમ્યા અન્યાય રોકે છે (૧-૧૩)

  • નહેમ્યા નિઃસ્વાર્થ રીતે વર્તે છે (૧૪-૧૯)

 કેટલાક માણસો અને તેઓની પત્નીઓ પોતાના યહૂદી ભાઈઓ વિરુદ્ધ મોટેથી ફરિયાદ કરવા લાગ્યાં.+ ૨  અમુક કહેવા લાગ્યા: “અમારું કુટુંબ બહુ મોટું છે, અમારે ઘણાં દીકરા-દીકરીઓ છે. અમને અનાજ જોઈએ, જેથી એ ખાઈને અમે જીવતા રહીએ.” ૩  બીજા અમુક કહેવા લાગ્યા: “અમારે પોતાનાં ખેતરો, દ્રાક્ષાવાડીઓ અને ઘરો ગીરવે મૂકવાં પડ્યાં છે, જેથી ખોરાકની અછત વખતે અમે અનાજ મેળવી શકીએ.” ૪  બીજા કેટલાક કહેવા લાગ્યા: “રાજાને કર* ચૂકવવા અમે અમારાં ખેતરો અને દ્રાક્ષાવાડીઓ પર પૈસા ઉછીના લીધા છે.+ ૫  અમે પારકા નથી, અમે તેઓના જ ભાઈઓ છીએ,* અમારાં બાળકો તેઓનાં બાળકો જેવાં જ છે. છતાં અમારાં દીકરા-દીકરીઓને અમારે ગુલામીમાં મોકલવાં પડે છે. અમારી અમુક દીકરીઓ તો ગુલામ થઈ ચૂકી છે.+ આ બધું અટકાવવા અમે કંઈ કરી શકતા નથી, કેમ કે અમારાં ખેતરો અને દ્રાક્ષાવાડીઓ બીજાના હાથમાં જતાં રહ્યાં છે.” ૬  તેઓની વાતો અને ફરિયાદો સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો. ૭  મેં તેઓની ફરિયાદ પર ઊંડો વિચાર કર્યો. મેં અધિકારીઓ અને ઉપઅધિકારીઓને ધમકાવતા કહ્યું: “તમે પોતાના જ ભાઈઓ પાસેથી કઈ રીતે વ્યાજ માંગી શકો?”+ તેઓના લીધે મેં એક મોટી સભા બોલાવી. ૮  મેં તેઓને કહ્યું: “આપણા યહૂદી ભાઈઓ બીજી પ્રજાઓને વેચાઈ ગયા હતા. તેઓને છોડાવવા અમે બનતું બધું કર્યું છે. હવે શું તમે તમારા જ ભાઈઓને વેચી દેશો?+ શું અમારે તેઓને પણ છોડાવવા પડશે?” એ સાંભળીને તેઓના હોઠ સિવાઈ ગયા અને તેઓ એક પણ શબ્દ બોલી ન શક્યા. ૯  મેં તેઓને કહ્યું: “આ તમે બરાબર નથી કરી રહ્યા. શું તમારે ઈશ્વરનો ડર રાખીને ચાલવું ન જોઈએ,+ જેથી આ દુશ્મન પ્રજાઓ આપણી મજાક ન ઉડાવે? ૧૦  હું અને મારા ભાઈઓ અને મારા સેવકો તો તેઓને વગર વ્યાજે પૈસા અને અનાજ ઉધાર આપીએ છીએ. ચાલો, આપણે વ્યાજ લેવાનું છોડી દઈએ.+ ૧૧  મહેરબાની કરીને આજે જ તેઓનાં ખેતરો, દ્રાક્ષાવાડીઓ, જૈતૂનની વાડીઓ અને ઘરો પાછાં આપી દો.+ તમે તેઓને જે પૈસા, અનાજ, નવો દ્રાક્ષદારૂ અને તેલ ઉછીનાં આપ્યાં છે, એનું વ્યાજ* પણ પાછું આપી દો.” ૧૨  તેઓએ કહ્યું: “અમે તેઓને એ બધું પાછું આપી દઈશું અને તેઓ પાસે કશું જ નહિ માંગીએ. જેમ તમે કહ્યું છે, એમ જ અમે કરીશું.” પછી મેં યાજકોને બોલાવ્યા અને તેઓની આગળ એ માણસો પાસે સમ ખવડાવ્યા કે તેઓ પોતાનું વચન પાળે. ૧૩  મેં મારું વસ્ત્ર ખંખેરી નાખ્યું* અને કહ્યું: “જે માણસ પોતાનું વચન ન પાળે, તેને સાચા ઈશ્વર તેના ઘરમાંથી અને તેની સંપત્તિમાંથી આ રીતે ખંખેરી નાખે. તેને આ રીતે ખંખેરીને ખાલી કરી નાખે.” ત્યારે આખા મંડળે* કહ્યું: “આમેન!”* તેઓએ યહોવાની સ્તુતિ કરી અને પોતે આપેલા વચન પ્રમાણે કર્યું. ૧૪  રાજા આર્તાહશાસ્તાએ+ પોતાના શાસનના ૨૦મા વર્ષે+ મને યહૂદાનો રાજ્યપાલ+ બનાવ્યો. હું તેના શાસનના ૩૨મા વર્ષ+ સુધી રાજ્યપાલ રહ્યો. એ ૧૨ વર્ષો દરમિયાન મેં કે મારા ભાઈઓએ ક્યારેય લોકો પાસેથી ભોજન-ભથ્થું લીધું નહિ, જે રાજ્યપાલનો હક હતો.+ ૧૫  પણ મારી પહેલાંના રાજ્યપાલોએ લોકો પર ભારે બોજ નાખ્યો હતો. તેઓ ખોરાક અને દ્રાક્ષદારૂ માટે લોકો પાસેથી દરરોજ ૪૦ શેકેલ* ચાંદી લેતા હતા. તેઓના ચાકરો પણ લોકો પર જુલમ ગુજારતા હતા. પણ મેં એવું કંઈ કર્યું નહિ,+ કેમ કે હું ઈશ્વરનો ડર રાખતો હતો.+ ૧૬  એટલું જ નહિ, મેં કોટના બાંધકામમાં પણ મદદ કરી. મારા બધા ચાકરોએ પણ મદદ કરી. અમે પોતાના માટે કોઈ ખેતરો ખરીદ્યાં નહિ.+ ૧૭  દરરોજ ૧૫૦ યહૂદીઓ અને ઉપઅધિકારીઓ મારી મેજ પર મારી સાથે જમતા હતા. એ સિવાય આસપાસની પ્રજાઓમાંથી અમારી પાસે આવતા લોકો પણ જમતા હતા. ૧૮  દરરોજ મારા હુકમ પ્રમાણે* એક બળદ,* છ તાજાં-માજાં ઘેટાં અને પક્ષીઓ રાંધવામાં આવતાં. દસ દિવસને અંતરે બધા પ્રકારનો દ્રાક્ષદારૂ ભરપૂર પ્રમાણમાં પીરસવામાં આવતો. એ બધું કર્યા છતાં મેં ક્યારેય ભોજન-ભથ્થું માંગ્યું નહિ, જે રાજ્યપાલનો હક હતો, કેમ કે લોકો પર પહેલેથી જ રાજાની સેવાનો ભારે બોજો હતો. ૧૯  મેં પ્રાર્થના કરી: “હે મારા ઈશ્વર, આ લોકો માટે મેં જે કંઈ કર્યું છે એને યાદ રાખો+ અને મારા પર કૃપા કરો.”*

ફૂટનોટ

અથવા, “ખંડણી.” શબ્દસૂચિ જુઓ.
મૂળ, “અમારું શરીર અમારા ભાઈઓના શરીર જેવું છે.”
મૂળ, “સોમો ભાગ.” માસિક એક ટકા વ્યાજને બતાવે છે.
અથવા, “એમ થાઓ!” શબ્દસૂચિ જુઓ.
મૂળ, “મેં મારો ખોળો ખંખેરી નાખ્યો.” એટલે કે, પ્રાચીન સમયનાં વસ્ત્રનો એ ભાગ જે ખિસ્સા તરીકે વપરાતો હતો.
એક શેકેલ એટલે ૧૧.૪ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “મારા ખર્ચે.”
મૂળ, “આખલો.”
અથવા, “મારું ભલું કરો.”