ન્યાયાધીશો ૧:૧-૩૬

  • યહૂદા અને શિમયોને મેળવેલી જીત (૧-૨૦)

  • યબૂસીઓ યરૂશાલેમમાં જ રહે છે (૨૧)

  • યૂસફ બેથેલ જીતી લે છે (૨૨-૨૬)

  • કનાનીઓને પૂરી રીતે હાંકી કાઢ્યા નહિ (૨૭-૩૬)

 યહોશુઆના મરણ પછી+ ઇઝરાયેલીઓએ* યહોવાને* પૂછ્યું:+ “કનાનીઓ સામે લડવા અમારામાંથી કોણ પહેલો જાય?” ૨  યહોવાએ જવાબ આપ્યો: “યહૂદા જાય.+ જુઓ, મેં એ દેશ તેના હાથમાં સોંપી દીધો છે.” ૩  યહૂદા કુળે પોતાના ભાઈઓને, એટલે કે શિમયોન કુળને કહ્યું: “અમને મળેલા વિસ્તારમાં*+ કનાનીઓ સામે લડવા અમારી સાથે આવો. પછી તમને મળેલા વિસ્તારમાં અમે પણ તમારી સાથે આવીશું.” એટલે શિમયોન કુળ એની સાથે ગયું. ૪  યહૂદા કુળના માણસો લડવા ગયા ત્યારે, યહોવાએ કનાનીઓને અને પરિઝ્ઝીઓને તેઓના હાથમાં સોંપી દીધા.+ તેઓએ બેઝેકમાં ૧૦,૦૦૦ માણસોને હરાવ્યા. ૫  કનાનીઓ+ અને પરિઝ્ઝીઓને+ હરાવતી વખતે, તેઓને બેઝેકમાં અદોની-બેઝેક સામે મળ્યો. તેઓ ત્યાં તેની સામે લડ્યા. ૬  અદોની-બેઝેક ત્યાંથી નાસી છૂટ્યો. તેઓએ પીછો કરીને તેને પકડી પાડ્યો અને તેના હાથ-પગના અંગૂઠા કાપી નાખ્યા. ૭  અદોની-બેઝેકે કહ્યું: “મેં ૭૦ રાજાઓના હાથ-પગના અંગૂઠા કાપી નાખ્યા હતા અને તેઓ મારી મેજ નીચે પડેલા ટુકડા વીણી વીણીને ખાતા હતા. મેં તેઓના જેવા હાલ કર્યા હતા, એવા જ હાલ ભગવાને મારા કર્યા છે.” તેઓ તેને યરૂશાલેમ+ લઈ આવ્યા અને ત્યાં તે મરી ગયો. ૮  યહૂદાના માણસોએ યરૂશાલેમ પર ચઢાઈ કરી+ અને એને જીતી લીધું. તેઓએ એના લોકોને તલવારથી મારી નાખ્યા અને શહેરને આગ લગાડી દીધી. ૯  પછી યહૂદાના માણસો પહાડી વિસ્તારમાં, નેગેબમાં અને શેફેલાહમાં+ રહેતા કનાનીઓ સામે લડવા ગયા. ૧૦  યહૂદાના માણસોએ હેબ્રોનમાં રહેતા કનાનીઓ પર હુમલો કર્યો. (હેબ્રોનનું નામ અગાઉ કિર્યાથ-આર્બા હતું.) તેઓએ શેશાય, અહીમાન અને તાલ્માયનો નાશ કર્યો.+ ૧૧  ત્યાંથી તેઓ દબીરના લોકો સામે લડવા ગયા.+ (દબીરનું નામ અગાઉ કિર્યાથ-સેફેર હતું.)+ ૧૨  એટલે કાલેબે+ કહ્યું: “જે માણસ કિર્યાથ-સેફેર પર હુમલો કરીને એને જીતી લેશે, તેની સાથે હું મારી દીકરી આખ્સાહને પરણાવીશ.”+ ૧૩  કાલેબના નાના ભાઈ કનાઝના+ દીકરા ઓથ્નીએલે+ એ જીતી લીધું. કાલેબે પોતાની દીકરી આખ્સાહ તેની સાથે પરણાવી. ૧૪  તે પોતાના પતિના ઘરે જતી હતી ત્યારે, તેણે ઓથ્નીએલને કાલેબ પાસેથી ખેતર માંગવા કહ્યું. તે પોતાના ગધેડા પરથી ઊતરી પડી.* કાલેબે તેને પૂછ્યું: “તારે શું જોઈએ છે?” ૧૫  તેણે કાલેબને કહ્યું: “કૃપા કરીને મને આશીર્વાદ આપો. તમે મને દક્ષિણમાં* જમીન આપી છે; મને ગુલ્લોથ-માઈમ* પણ આપો.” કાલેબે તેને ઉપરનું ગુલ્લોથ અને નીચેનું ગુલ્લોથ આપ્યું. ૧૬  કેનીઓ,+ એટલે કે મૂસાના સસરાના+ વંશજો ખજૂરીઓના શહેરથી*+ યહૂદાના લોકો સાથે આવ્યા. તેઓ અરાદની+ દક્ષિણે યહૂદાના વેરાન પ્રદેશમાં આવ્યા અને ત્યાંના લોકોમાં વસી ગયા.+ ૧૭  પણ યહૂદા કુળે પોતાના ભાઈ શિમયોન કુળ સાથે ભેગા મળીને સફાથમાં રહેતા કનાનીઓ પર હુમલો કર્યો અને તેઓનો નાશ કર્યો.+ તેઓએ એ શહેરનું નામ હોર્માહ*+ પાડ્યું. ૧૮  પછી યહૂદા કુળે ગાઝા,+ આશ્કલોન,+ એક્રોન+ અને એ શહેરોના વિસ્તારો જીતી લીધા. ૧૯  યહૂદા કુળને યહોવાનો સાથ હતો. તેઓએ પહાડી વિસ્તાર કબજે કરી લીધો. પણ તેઓ મેદાનમાં* રહેતા લોકોને હાંકી કાઢી શક્યા નહિ, કારણ કે એ લોકો પાસે યુદ્ધના એવા રથો* હતા, જેનાં પૈડાંમાં તલવારો લાગેલી હતી.+ ૨૦  મૂસાએ આપેલા વચન પ્રમાણે યહૂદા કુળે કાલેબને હેબ્રોન આપ્યું.+ કાલેબે એમાંથી અનાકના ત્રણ દીકરાઓને હાંકી કાઢ્યા.+ ૨૧  બિન્યામીનના લોકોએ યરૂશાલેમમાં રહેતા યબૂસીઓને હાંકી કાઢ્યા નહિ. એટલે યબૂસીઓ આજ સુધી યરૂશાલેમમાં બિન્યામીનના લોકો સાથે રહે છે.+ ૨૨  એ દરમિયાન યૂસફના વંશજોએ+ બેથેલ ઉપર ચઢાઈ કરી. તેઓને યહોવાનો સાથ હતો.+ ૨૩  તેઓએ બેથેલની જાસૂસી કરવા માણસો મોકલ્યા. (બેથેલનું નામ અગાઉ લૂઝ હતું.)+ ૨૪  જાસૂસોએ એક માણસને શહેરની બહાર જતાં જોયો. તેઓએ તેને કહ્યું: “અમને શહેરની અંદર જવાનો રસ્તો બતાવ અને અમે તારા પર દયા* બતાવીશું.” ૨૫  એ માણસે તેઓને શહેરમાં જવાનો રસ્તો બતાવ્યો. તેઓએ એ શહેરના લોકોને તલવારથી માર્યા. પણ તેઓએ પેલા માણસને અને તેના આખા કુટુંબને જીવતા છોડી દીધા.+ ૨૬  એ માણસ હિત્તીઓના દેશમાં ગયો અને ત્યાં શહેર બાંધ્યું. તેણે એ શહેરનું નામ લૂઝ પાડ્યું, જે આજ સુધી એ નામથી ઓળખાય છે. ૨૭  બેથ-શેઆન, તાઅનાખ,+ દોર, યિબ્લઆમ, મગિદ્દો અને એ શહેરોની આસપાસનાં* નગરોનો મનાશ્શાએ કબજો લીધો નહિ.+ કનાનીઓ હઠીલા બનીને એ વિસ્તારોમાં જ રહ્યા. ૨૮  ઇઝરાયેલીઓ બળવાન થયા ત્યારે, તેઓએ કનાનીઓને પોતાના ગુલામ બનાવ્યા.+ પણ કનાનીઓને ત્યાંથી પૂરી રીતે હાંકી કાઢ્યા નહિ.+ ૨૯  એફ્રાઈમ કુળે પણ ગેઝેરમાં રહેતા કનાનીઓને હાંકી કાઢ્યા નહિ. કનાનીઓ તેઓની સાથે ગેઝેરમાં રહ્યા.+ ૩૦  ઝબુલોન કુળે કિટ્રોનના લોકો અને નાહલોલના લોકોને+ હાંકી કાઢ્યા નહિ. કનાનીઓ તેઓની સાથે રહ્યા. તેઓએ કનાનીઓને પોતાના ગુલામ બનાવ્યા.+ ૩૧  આશેરીઓએ આક્કો, સિદોન,+ અહલાબ, આખ્ઝીબ,+ હેલ્બાહ, અફીક+ અને રહોબમાં+ રહેતા લોકોને હાંકી કાઢ્યા નહિ. ૩૨  આશેરીઓ ત્યાં કનાનીઓ સાથે જ રહેવા લાગ્યા, કેમ કે તેઓએ કનાનીઓને ત્યાંથી હાંકી કાઢ્યા ન હતા. ૩૩  નફતાલી કુળે બેથ-શેમેશના લોકો અને બેથ-અનાથના+ લોકોને હાંકી કાઢ્યા નહિ. નફતાલીઓ એ વિસ્તારમાં રહેતા કનાનીઓ સાથે રહ્યા.+ બેથ-શેમેશ અને બેથ-અનાથના લોકો નફતાલીઓના ગુલામ બન્યા. ૩૪  અમોરીઓએ દાન કુળના લોકોને મેદાનમાં આવવા દીધા નહિ. એટલે દાનના લોકોએ પહાડી વિસ્તારમાં જ રહેવું પડ્યું.+ ૩૫  અમોરીઓએ હઠીલા બનીને હેરેસ પર્વત, આયાલોન+ અને શાઆલ્બીમ+ શહેરોમાં રહેવાનું ચાલુ રાખ્યું. પણ યૂસફના વંશજો બળવાન થયા* ત્યારે, તેઓએ અમોરીઓને ગુલામ બનાવ્યા. ૩૬  અમોરીઓનો વિસ્તાર આક્રાબ્બીમના ચઢાણથી+ શરૂ થતો હતો અને એ સેલાથી પણ શરૂ થઈને ઉપર જતો હતો.

ફૂટનોટ

મૂળ, “ઇઝરાયેલના દીકરાઓએ.”
મૂળ, “મારા હિસ્સામાં.”
અથવા કદાચ, “ગધેડા પર બેઠાં બેઠાં તેણે ધ્યાન ખેંચવા તાળી પાડી.”
અથવા, “નેગેબમાં.”
અર્થ, “પાણીના ઝરા.”
એટલે કે, યરીખો.
અર્થ, “વિનાશને લાયક.”
અથવા, “નીચાણ પ્રદેશમાં.”
મૂળ, “લોઢાના રથો.”
અથવા, “અતૂટ પ્રેમ.”
અથવા, “એ શહેરો પર આધાર રાખતાં.”
મૂળ, “યૂસફના ઘરનાઓનો હાથ બળવાન થયો.”