પુનર્નિયમ ૧૨:૧-૩૨

  • ઈશ્વર પસંદ કરે એ જગ્યાએ ભક્તિ કરો (૧-૧૪)

  • માંસ ખાઈ શકાય, પણ લોહી નહિ (૧૫-૨૮)

  • બીજા દેવોની જાળમાં ફસાવું નહિ (૨૯-૩૨)

૧૨  “તમારા બાપદાદાઓના ઈશ્વર યહોવા જે દેશ તમારા હાથમાં સોંપશે, એમાં તમે જીવનભર આ બધા નિયમો અને કાયદા-કાનૂન ધ્યાનથી પાળો. ૨  તમે હાંકી કાઢેલી પ્રજાઓ જે જગ્યાઓએ પોતાના દેવોની પૂજા કરતી હતી, એ બધાનો પૂરેપૂરો નાશ કરો.+ ભલે એ જગ્યા ઊંચા પહાડો પર કે ટેકરીઓ પર હોય અથવા મોટાં ઝાડ નીચે હોય, એનો નાશ કરો. ૩  તમે તેઓની વેદીઓ તોડી નાખો, ભક્તિ-સ્તંભો ભાંગી નાખો,+ ભક્તિ-થાંભલાઓ અગ્‍નિમાં બાળી નાખો અને તેઓના દેવોની કોતરેલી મૂર્તિઓ કાપી નાખો.+ આમ તેઓના દેવોનું નામનિશાન એ જગ્યાએથી ભૂંસી નાખો.+ ૪  “તેઓ જે રીતે પોતાના દેવોને ભજે છે, એ રીતે તમે તમારા ઈશ્વર યહોવાને ભજશો નહિ.+ ૫  તમારા ઈશ્વર યહોવા પોતાના નામનો મહિમા કરવા અને પોતાનું રહેઠાણ બનાવવા તમારાં બધાં કુળોના વિસ્તારમાંથી એક જગ્યા પસંદ કરશે. તમે ત્યાં જઈને તેમની ભક્તિ કરો.+ ૬  ત્યાં તમે તમારાં અગ્‍નિ-અર્પણો,*+ બલિદાનો, તમારી માલ-મિલકતનો દસમો ભાગ,*+ તમારાં દાનો,+ માનતા-અર્પણો,* સ્વેચ્છા-અર્પણો*+ તેમજ ઘેટાં-બકરાં અને ઢોરઢાંકના પ્રથમ જન્મેલા* ચઢાવો.+ ૭  ત્યાં યહોવા તમારા ઈશ્વર આગળ તમે અને તમારું કુટુંબ એ અર્પણોમાંથી ખાઓ+ અને તમારી મહેનતના ફળનો આનંદ માણો,+ કેમ કે યહોવા તમારા ઈશ્વરે તમને આશીર્વાદ આપ્યો છે. ૮  “અહીં તમે જેવું કરો છો, એવું ત્યાં કરતા નહિ. અહીં તો દરેક જણ પોતાને જે ઠીક લાગે એ કરે છે, ૯  કેમ કે યહોવા તમારા ઈશ્વર તમને રહેવા માટે જે જગ્યા+ અને વારસો આપવાના છે, એમાં તમે હજુ પ્રવેશ્યા નથી. ૧૦  તમે જ્યારે યર્દન પાર કરીને+ એ દેશને કબજે કરો, જે યહોવા તમારા ઈશ્વર તમને આપવાના છે, ત્યારે તે તમારા બધા દુશ્મનોથી ચોક્કસ તમારું રક્ષણ કરશે. ત્યાં તમે સહીસલામત રહેશો.+ ૧૧  તમારા ઈશ્વર યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે,+ ત્યાં આ બધું લાવવાની હું તમને આજ્ઞા કરું છું: તમારાં અગ્‍નિ-અર્પણો, તમારાં બલિદાનો, તમારી માલ-મિલકતનો દસમો ભાગ,+ તમારાં દાનો અને તમારાં માનતા-અર્પણો, જે વિશે તમે યહોવા આગળ માનતા લો છો. ૧૨  યહોવા તમારા ઈશ્વર આગળ તમે તમારાં દીકરા-દીકરીઓ અને દાસ-દાસીઓ સાથે આનંદ કરો.+ તમારાં શહેરોમાં રહેતા લેવીઓ સાથે પણ આનંદ કરો, કેમ કે તેઓને તમારી વચ્ચે કોઈ હિસ્સો કે વારસો આપવામાં આવ્યો નથી.+ ૧૩  સાવધ રહેજો, તમારાં અગ્‍નિ-અર્પણો ગમે એ જગ્યાએ ચઢાવતા નહિ.+ ૧૪  તમારાં કુળોના વિસ્તારોમાં યહોવા પસંદ કરે એ જગ્યાએ જ તમે તમારાં અગ્‍નિ-અર્પણો ચઢાવો અને મારી આજ્ઞા પ્રમાણે જ બધું કરો.+ ૧૫  “પણ જ્યારે તમને માંસ ખાવાનું મન થાય, ત્યારે તમારાં શહેરોમાં પ્રાણીઓ કાપીને ખાઈ શકો.+ યહોવા તમારા ઈશ્વરના આશીર્વાદથી તમારી પાસે જે પ્રાણીઓ છે, એમાંથી તમે ચાહો એટલું ખાઈ શકો. શુદ્ધ અને અશુદ્ધ માણસ એ ખાઈ શકે, જેમ સાબર કે હરણનું માંસ ખાઈ શકાય છે. ૧૬  પણ તમે લોહી ન ખાઓ,+ એને પાણીની જેમ જમીન પર રેડી દો.+ ૧૭  તમને તમારાં શહેરોમાં આ વસ્તુઓ ખાવાની છૂટ નથી: તમારા અનાજનો, નવા દ્રાક્ષદારૂનો અને તેલનો દસમો ભાગ, તમારાં ઘેટાં-બકરાં અને ઢોરઢાંકના પ્રથમ જન્મેલા,+ તમારાં માનતા-અર્પણો, સ્વેચ્છા-અર્પણો અથવા તમારાં દાનો. ૧૮  એ બધું તમે તમારા ઈશ્વર યહોવા આગળ ખાઓ. યહોવા તમારા ઈશ્વર પસંદ કરે એ જગ્યાએ+ તમે, તમારાં દીકરા-દીકરીઓ, તમારાં દાસ-દાસીઓ અને તમારાં શહેરોમાં રહેતા લેવીઓ એ બધું ખાઓ. તમારા ઈશ્વર યહોવા આગળ તમારી મહેનતના ફળનો આનંદ માણો. ૧૯  પણ ધ્યાન રાખજો, તમે તમારા દેશમાં રહો ત્યાં સુધી લેવીઓને ભૂલતા નહિ.+ ૨૦  “તમારા ઈશ્વર યહોવા તમને આપેલા વચન પ્રમાણે+ તમારી સરહદો વધારે+ અને તમને માંસ ખાવાનું મન થાય અને તમે કહો, ‘મારે માંસ ખાવું છે,’ તો તમે માંસ ખાઈ શકો છો.+ ૨૧  તમારા ઈશ્વર યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે,+ એ જગ્યા જો તમારાથી ઘણી દૂર હોય, તો મેં તમને આજ્ઞા આપી છે એ પ્રમાણે તમે ઘેટાં-બકરાં કે ઢોરઢાંકમાંથી અમુક પ્રાણીઓ કાપીને ખાઈ શકો, જે યહોવાએ તમને આપ્યાં છે. તમને જ્યારે પણ મન થાય ત્યારે તમારાં શહેરોમાં એ ખાઈ શકો. ૨૨  તમે સાબર કે હરણના માંસની જેમ એ ખાઈ શકો.+ શુદ્ધ અને અશુદ્ધ માણસ એ ખાઈ શકે. ૨૩  પણ તમે મનમાં ગાંઠ વાળજો કે તમે લોહી નહિ ખાઓ,+ કેમ કે લોહી જીવન છે.+ તમે માંસ સાથે લોહી* ન ખાઓ. ૨૪  તમે એ ન ખાઓ. તમે પાણીની જેમ એને જમીન પર રેડી દો.+ ૨૫  તમે લોહી ન ખાઓ. એમ કરવાથી તમારું અને તમારાં બાળકોનું ભલું થશે, કેમ કે તમે યહોવાની નજરમાં જે સારું છે એ કરી રહ્યા છો. ૨૬  યહોવા પસંદ કરે એ જગ્યાએ તમે જાઓ ત્યારે, ફક્ત તમારી પવિત્ર વસ્તુઓ અને તમારાં માનતા-અર્પણો લઈ જાઓ. ૨૭  ત્યાં તમે તમારા ઈશ્વર યહોવાની વેદી પર તમારાં અગ્‍નિ-અર્પણોનું માંસ અને લોહી ચઢાવો.+ તમારાં બીજાં અર્પણોનું લોહી તમારા ઈશ્વર યહોવાની વેદી પાસે રેડી દો,+ પણ એનું માંસ તમે ખાઈ શકો. ૨૮  “જે આજ્ઞાઓ હું તમને આપું છું, એ બધી તમે ધ્યાનથી પાળજો. એમ કરવાથી તમારું અને તમારા દીકરાઓનું હંમેશાં ભલું થશે, કેમ કે તમે યહોવા તમારા ઈશ્વરની નજરમાં જે સારું અને યોગ્ય છે એ કરી રહ્યા છો. ૨૯  “તમે જે પ્રજાઓને હાંકી કાઢશો, તેઓનો તમારા ઈશ્વર યહોવા નાશ કરી દેશે+ અને તમે તેઓના દેશમાં રહેશો. ૩૦  પણ એમ થાય ત્યારે ધ્યાન રાખજો, તમે એ પ્રજાઓને માર્ગે ચાલતા નહિ. તેઓના દેવો વિશે પૂછતા નહિ કે, ‘આ પ્રજાઓ કઈ રીતે પોતાના દેવોની પૂજા કરતી હતી? હું પણ એવું જ કરીશ.’+ ૩૧  તમે એ રીતે યહોવા તમારા ઈશ્વરની ભક્તિ ન કરો, કેમ કે એ પ્રજાઓ પોતાના દેવો માટે એવાં કામો કરે છે, જેને યહોવા ધિક્કારે છે. અરે, તેઓ તો પોતાનાં દીકરા-દીકરીઓને તેઓના દેવો આગળ આગમાં હોમી દે છે.+ ૩૨  હું જે બધી આજ્ઞાઓ તમને આપું છું, એ તમે કાળજી રાખીને પાળો.+ એમાં તમે કંઈ વધારો કે ઘટાડો ન કરો.+

ફૂટનોટ

શબ્દસૂચિમાં “માનતા-અર્પણ” જુઓ.
મૂળ, “જીવન.”