પુનર્નિયમ ૨૩:૧-૨૫

  • ઈશ્વરના મંડળ માટે લાયક ન હોય એવી વ્યક્તિ (૧-૮)

  • છાવણીને શુદ્ધ રાખવી (૯-૧૪)

  • નાસી ગયેલો દાસ (૧૫, ૧૬)

  • વેશ્યા જેવાં કામ કરવાં નહિ (૧૭, ૧૮)

  • વ્યાજ અને માનતા (૧૯-૨૩)

  • મુસાફરો શું ખાઈ શકે (૨૪, ૨૫)

૨૩  “જે પુરુષનાં જાતીય અંગોને* નુકસાન પહોંચ્યું હોય કે કચડાઈ ગયાં હોય કે જેણે પોતાનું લિંગ કપાવી નાખ્યું હોય, તે યહોવાના મંડળનો ભાગ ન બને.+ ૨  “વ્યભિચારથી જન્મેલો કોઈ પણ છોકરો* યહોવાના મંડળનો ભાગ ન બને.+ તેની દસમી પેઢી સુધી તેનો કોઈ પણ વંશજ યહોવાના મંડળનો ભાગ ન બને. ૩  “કોઈ આમ્મોની કે મોઆબી યહોવાના મંડળનો ભાગ ન બને.+ તેઓની દસમી પેઢી સુધી તેઓનો કોઈ પણ વંશજ યહોવાના મંડળનો ભાગ ન બને, ૪  કેમ કે તમે ઇજિપ્તમાંથી નીકળ્યા ત્યારે, રસ્તામાં તેઓ ખોરાક-પાણી લઈને તમારી મદદે આવ્યા ન હતા.+ તેઓએ તમને શ્રાપ આપવા બયોરના દીકરા બલામને પૈસા આપીને રોક્યો હતો, જેને મેસોપોટેમિયાના પથોરથી બોલાવવામાં આવ્યો હતો.+ ૫  પણ તમારા ઈશ્વર યહોવાએ બલામનું સાંભળ્યું નહિ.+ એને બદલે, તમારા ઈશ્વર યહોવાએ એ શ્રાપને તમારા માટે આશીર્વાદમાં ફેરવી દીધો,+ કેમ કે તમારા ઈશ્વર યહોવા તમને પ્રેમ કરતા હતા.+ ૬  તમે જીવો ત્યાં સુધી તેઓની શાંતિ કે આબાદી માટે કંઈ કરશો નહિ.+ ૭  “તમે કોઈ અદોમીને નફરત ન કરો, કેમ કે તે તમારો ભાઈ છે.+ “તમે કોઈ ઇજિપ્તવાસીને નફરત ન કરો, કેમ કે તમે તેના દેશમાં પરદેશી હતા.+ ૮  તેઓની ત્રીજી પેઢીનાં બાળકો યહોવાના મંડળનો ભાગ બની શકે. ૯  “જ્યારે તમે દુશ્મનો સામે છાવણી નાખો, ત્યારે કોઈ પણ વસ્તુથી પોતાને અશુદ્ધ* ન કરો.+ ૧૦  જો કોઈ માણસ રાતે વીર્યના સ્રાવને લીધે અશુદ્ધ થાય,+ તો તે છાવણીની બહાર જાય અને છાવણીમાં પાછો ન આવે. ૧૧  સાંજ પડે ત્યારે તે સ્નાન કરે અને સૂર્ય આથમે પછી તે છાવણીમાં પાછો આવી શકે.+ ૧૨  તમે છાવણી બહાર એક જગ્યા* રાખો અને સંડાસ માટે ત્યાં જાઓ. ૧૩  તમારાં ઓજારોમાં પાવડો પણ રાખો. જ્યારે તમે સંડાસ માટે બહાર જાઓ, ત્યારે પાવડાથી ખાડો ખોદો અને એમાં મળ દાટી દો. ૧૪  તમને બચાવવા અને દુશ્મનોને તમારા હાથમાં સોંપવા યહોવા તમારા ઈશ્વર તમારી છાવણીમાં ચાલી રહ્યા છે.+ એટલે તમે તમારી છાવણી શુદ્ધ રાખો,+ જેથી કોઈ અશુદ્ધ વસ્તુ તેમની નજરે ન પડે અને તે તમારાથી દૂર ચાલ્યા ન જાય. ૧૫  “જો કોઈ દાસ પોતાના માલિક પાસેથી નાસીને તમારી પાસે આવે, તો એ દાસને તેના માલિક પાસે પાછો મોકલશો નહિ. ૧૬  તમારાં શહેરોમાં જે શહેર તેને પસંદ પડે, ત્યાં તે રહી શકે. તમે તેની સાથે ખરાબ વ્યવહાર કરશો નહિ.+ ૧૭  “ઇઝરાયેલની કોઈ પણ દીકરી મંદિરની વેશ્યા* બને નહિ.+ ઇઝરાયેલનો કોઈ પણ દીકરો મંદિરમાં પુરુષો સાથે જાતીય સંબંધ બાંધનાર* બને નહિ.+ ૧૮  તમારી માનતા પૂરી કરવા એવી કોઈ પણ સ્ત્રી કે પુરુષની* નીચ કમાણી તમારા ઈશ્વર યહોવાના મંદિરમાં ન લાવો, કેમ કે એને તમારા ઈશ્વર યહોવા ધિક્કારે છે. ૧૯  “તમે તમારા ભાઈને પૈસા, ખોરાક કે બીજી કોઈ વસ્તુ ઉધાર આપો ત્યારે, તેની પાસે વ્યાજ ન માંગો.+ ૨૦  તમે પરદેશી પાસે વ્યાજ માંગી શકો,+ પણ તમારા ભાઈ પાસે ન માંગો,+ જેથી જે દેશને કબજે કરવા તમે જઈ રહ્યા છો, ત્યાં તમારાં સર્વ કામમાં યહોવા તમારા ઈશ્વર તમને આશીર્વાદ આપે.+ ૨૧  “જો તમે તમારા ઈશ્વર યહોવા આગળ કોઈ માનતા લો,+ તો એને પૂરી કરવામાં ઢીલ ન કરો.+ તમારા ઈશ્વર યહોવા ચાહે છે કે તમે એ માનતા પૂરી કરો. જો નહિ કરો, તો એ પાપ ગણાશે.+ ૨૨  પણ જો તમે કોઈ માનતા જ ન લો, તો તમને પાપનો દોષ લાગશે નહિ.+ ૨૩  તમારા મોંમાંથી જે કંઈ વચન નીકળે, એ પૂરું કરો.+ યહોવા તમારા ઈશ્વર આગળ તમે સ્વેચ્છા-અર્પણ* માટે જે માનતા લો છો, એ પૂરી કરો.+ ૨૪  “જો તમે તમારા પડોશીની દ્રાક્ષાવાડીમાં જાઓ, તો ભરપેટ દ્રાક્ષ ખાઈ શકો, પણ એને ટોપલીમાં ભરી ન લાવો.+ ૨૫  “જો તમે તમારા પડોશીના ખેતરમાં જાઓ, તો પાકેલાં કણસલાં હાથથી તોડી શકો, પણ એ ઊભા પાક પર દાતરડું ન ચલાવો.+

ફૂટનોટ

મૂળ, “વૃષણોને.”
એટલે કે, એવો છોકરો જેનાં માતા-પિતાનાં લગ્‍ન થયાં ન હોય.
અથવા, “ભ્રષ્ટ.”
એટલે કે, શૌચાલય.
કદાચ એવી સ્ત્રીને રજૂ કરે છે, જે કનાની દેવી-દેવતાની ઉપાસનાના ભાગરૂપે વેશ્યા તરીકે સેવા આપતી હતી.
મંદિરમાં વ્યભિચાર માટે રાખેલા પુરુષો.
મૂળ, “કૂતરાની.”
શબ્દસૂચિમાં “માનતા-અર્પણ” જુઓ.