પ્રેરિતોનાં કાર્યો ૧૨:૧-૨૫

  • યાકૂબને મારી નાખવામાં આવ્યો; પિતરને કેદમાં નાખવામાં આવ્યો (૧-૫)

  • ચમત્કારથી પિતરને છોડાવવામાં આવ્યો (૬-૧૯)

  • દૂત હેરોદને માંદગીમાં પટકે છે (૨૦-૨૫)

૧૨  એ દિવસોમાં હેરોદ રાજા મંડળના અમુક લોકો પર અત્યાચાર કરવા લાગ્યો.+ ૨  તેણે યોહાનના ભાઈ યાકૂબને+ તલવારથી મારી નંખાવ્યો.+ ૩  જ્યારે તેણે જોયું કે યહૂદીઓને એ વાત ગમી છે, ત્યારે તેણે પિતરની પણ ધરપકડ કરવાનો નિર્ણય લીધો. (બેખમીર રોટલીના તહેવારના* દિવસોમાં આ બન્યું.)+ ૪  તેણે પિતરને પકડ્યો અને કેદમાં નાખ્યો.+ તેણે ચાર સૈનિકોની બનેલી ચાર ટુકડીઓને વારાફરતી તેના પર ચોકી કરવાનું કામ સોંપ્યું. હેરોદનો ઇરાદો પાસ્ખાના* તહેવાર પછી પિતરને લોકોની આગળ બહાર લાવવાનો હતો.* ૫  આમ, પિતરને કેદમાં રાખવામાં આવ્યો, પણ મંડળ તેના માટે પૂરા દિલથી ઈશ્વરને સતત પ્રાર્થના કરતું હતું.+ ૬  હેરોદ તેને બહાર લાવવાનો હતો એની આગલી રાતે પિતર કેદમાં ઊંઘતો હતો. તેને બે સૈનિકો વચ્ચે સાંકળોથી બાંધવામાં આવ્યો હતો. બીજા બે સૈનિકો કેદના દરવાજા આગળ ચોકી કરતા હતા. ૭  પણ જુઓ! ત્યાં યહોવાનો* દૂત આવીને ઊભો રહ્યો+ અને કેદની કોટડીમાં પ્રકાશ ફેલાઈ ગયો. દૂતે પિતરની પીઠ થપથપાવીને* તેને ઉઠાડ્યો અને કહ્યું: “જલદી ઊઠ!” તરત જ તેના હાથની સાંકળો ખૂલીને નીચે પડી.+ ૮  દૂતે તેને કહ્યું: “તૈયાર થા અને તારાં ચંપલ પહેર.” પિતરે એવું કર્યું. પછી દૂતે કહ્યું: “તારો ઝભ્ભો પહેર અને મારી પાછળ આવ.” ૯  તે બહાર નીકળીને દૂતની પાછળ પાછળ ગયો. તે જાણતો ન હતો કે દૂત જે કરી રહ્યો છે એ હકીકતમાં બની રહ્યું છે. તેને તો લાગ્યું કે તે દર્શન જોઈ રહ્યો છે. ૧૦  પહેલી અને બીજી ચોકી પસાર કર્યા પછી, તેઓ લોખંડના દરવાજા પાસે આવ્યા, જે શહેર તરફ જતો હતો. એ દરવાજો તેઓ માટે આપોઆપ ખૂલી ગયો. તેઓ બહાર નીકળ્યા અને એક શેરીમાં ચાલવા લાગ્યા અને તરત જ દૂત તેની પાસેથી જતો રહ્યો. ૧૧  જે થયું હતું એનો ખ્યાલ આવ્યો ત્યારે પિતરે કહ્યું: “હવે હું ચોક્કસ જાણું છું કે યહોવાએ* પોતાનો દૂત મોકલીને મને હેરોદના હાથમાંથી બચાવ્યો છે. યહૂદીઓ આશા રાખતા હતા કે મારી સાથે કંઈક ખરાબ થાય, પણ ઈશ્વરે મને એ બધામાંથી પણ બચાવ્યો છે.”+ ૧૨  પછી પિતર ત્યાંથી યોહાનની મા મરિયમના ઘરે ગયો. યોહાનનું બીજું નામ માર્ક હતું.+ ત્યાં અમુક શિષ્યો ભેગા મળ્યા હતા અને પ્રાર્થના કરતા હતા. ૧૩  તેણે બહારનો દરવાજો ખખડાવ્યો ત્યારે, રોદા નામની જુવાન દાસી દરવાજો ખોલવા આવી. ૧૪  પિતરનો અવાજ ઓળખીને તે એટલી બધી ખુશ થઈ ગઈ કે દરવાજો ખોલ્યા વગર પાછી અંદર દોડી ગઈ. તેણે જણાવ્યું કે પિતર બહારના દરવાજે ઊભો છે. ૧૫  તેઓએ તેને કહ્યું: “તું ગાંડી થઈ ગઈ છે!” પણ તે કહેતી રહી કે તે બહાર ઊભો છે. તેઓ કહેવા લાગ્યા: “એ તો કોઈ* દૂત હશે.” ૧૬  પિતર દરવાજો ખખડાવતો રહ્યો. તેઓએ દરવાજો ખોલ્યો ત્યારે પિતરને જોઈને તેઓને ખૂબ નવાઈ લાગી. ૧૭  પણ તેણે હાથથી ઇશારો કરીને તેઓને શાંત રહેવા કહ્યું. તેણે વિગતવાર જણાવ્યું કે કઈ રીતે યહોવાએ* તેને કેદમાંથી બહાર કાઢ્યો. તેણે કહ્યું: “આ વાત યાકૂબ+ અને બીજા ભાઈઓને જણાવો.” એ પછી તે બહાર ગયો અને કોઈ બીજી જગ્યાએ ચાલ્યો ગયો. ૧૮  સવાર થઈ ત્યારે સૈનિકોમાં ખળભળાટ મચી ગયો કે પિતર ક્યાં ગયો હશે. ૧૯  હેરોદે ચારે બાજુ તેની શોધ કરી પણ તે મળ્યો નહિ. એટલે તેણે ચોકીદારોને બોલાવીને પૂછપરછ કરી અને તેઓને સજા આપવાનો હુકમ કર્યો.+ પછી હેરોદ યહૂદિયાથી કાઈસારીઆ ચાલ્યો ગયો અને થોડો સમય ત્યાં રહ્યો. ૨૦  હવે તૂર અને સિદોનના લોકો પર હેરોદ ક્રોધે ભરાયો* હતો. રાજાના દેશમાંથી એ લોકોના દેશમાં અનાજ પૂરું પાડવામાં આવતું હતું. તેથી લોકો એક થઈને તેને મળવા આવ્યા. તેઓએ રાજાના અંગત સેવક* બ્લાસ્તસને મનાવી લીધો. પછી તેઓએ રાજા સાથે સુલેહ કરવાની કોશિશ કરી. ૨૧  નક્કી કરેલા દિવસે, હેરોદે રાજવી પોશાક પહેર્યો અને ન્યાયાસન પર બેઠો અને લોકોને ભાષણ આપવા લાગ્યો. ૨૨  એ સાંભળીને ત્યાં ભેગા થયેલા લોકો પોકારવા લાગ્યા: “આ તો માણસનો નહિ, ઈશ્વરનો અવાજ છે!” ૨૩  તેણે ઈશ્વરને મહિમા આપ્યો નહિ એટલે યહોવાના* દૂતે તેને માંદગીમાં પટક્યો. કીડાઓએ તેને કોરી ખાધો અને તે મરી ગયો. ૨૪  પણ યહોવાનો* સંદેશો ફેલાતો ગયો અને ઘણા લોકો શ્રદ્ધા મૂકવા લાગ્યા.+ ૨૫  યરૂશાલેમમાં રાહતકામ પૂરું થયા પછી+ બાર્નાબાસ+ અને શાઉલ પાછા અંત્યોખ ગયા. તેઓ યોહાનને પોતાની સાથે લેતા ગયા,+ જેનું બીજું નામ માર્ક હતું.

ફૂટનોટ

અથવા, “મુકદ્દમા માટે બહાર લાવવાનો હતો.”
અથવા, “પડખેથી ઢંઢોળીને.”
મૂળ, “તેનો.”
અથવા, “લડવા માંગતો.”
અથવા, “રાજાના ઘરની સંભાળ રાખનાર કારભારી.”