પ્રેરિતોનાં કાર્યો ૧૯:૧-૪૧

  • પાઉલ એફેસસમાં; અમુક લોકો ફરીથી બાપ્તિસ્મા લે છે (૧-૭)

  • પાઉલ લોકોને શીખવે છે (૮-૧૦)

  • દુષ્ટ દૂતોના પ્રભાવ છતાં સફળતા મળે છે (૧૧-૨૦)

  • એફેસસમાં તોફાન ફાટી નીકળ્યું (૨૧-૪૧)

૧૯  એ બનાવો પછી અપોલોસ+ કોરીંથમાં હતો ત્યારે, પાઉલ આસિયાના અંદરના વિસ્તારોમાં ફરતો ફરતો એફેસસ આવ્યો.+ ત્યાં તેને અમુક શિષ્યો મળ્યા. ૨  તેણે તેઓને પૂછ્યું: “તમે શ્રદ્ધા મૂકી ત્યારે શું તમને પવિત્ર શક્તિ મળી હતી?”+ તેઓએ જવાબ આપ્યો: “ના, અમે પવિત્ર શક્તિ વિશે કદી સાંભળ્યું નથી.” ૩  તેણે કહ્યું: “તો પછી તમે કયું બાપ્તિસ્મા લીધું છે?” તેઓએ જણાવ્યું: “યોહાનનું બાપ્તિસ્મા.”+ ૪  પાઉલે કહ્યું: “યોહાને પસ્તાવાની નિશાની તરીકે લોકોને બાપ્તિસ્મા આપ્યું હતું.+ તે લોકોને જણાવતો હતો કે તેના પછી આવનાર ઈસુમાં શ્રદ્ધા મૂકે.”+ ૫  એ સાંભળીને તેઓએ માલિક ઈસુના નામમાં બાપ્તિસ્મા લીધું. ૬  પાઉલે તેઓ પર હાથ મૂક્યો* ત્યારે, તેઓ પર પવિત્ર શક્તિ આવી+ અને તેઓ બીજી ભાષાઓ બોલવા લાગ્યા અને ભવિષ્યવાણી કરવા લાગ્યા.+ ૭  તેઓ બધા મળીને આશરે ૧૨ માણસો હતા. ૮  ત્રણ મહિના સુધી પાઉલ સભાસ્થાનમાં જઈને+ હિંમતથી બોલ્યો. તેણે ઈશ્વરના રાજ્ય વિશે પ્રવચનો આપ્યાં અને લોકોને સમજાવવા ચર્ચા કરી.+ ૯  પણ અમુક લોકોએ હઠીલા બનીને એ વાતોનો સ્વીકાર કર્યો નહિ અને ટોળા આગળ સત્યના માર્ગની* નિંદા કરી.+ એટલે તેણે તેઓને પડતા મૂક્યા+ અને શિષ્યોને તેઓથી અલગ કર્યા. તે રોજ તુરાનસની શાળાના સભાખંડમાં પ્રવચનો આપવા લાગ્યો. ૧૦  બે વર્ષ સુધી એમ ચાલ્યું. એના લીધે આસિયા પ્રાંતમાં રહેતા બધા યહૂદીઓ અને ગ્રીકોએ ઈશ્વરનો સંદેશો સાંભળ્યો. ૧૧  પાઉલના હાથે ઈશ્વર અસાધારણ પરાક્રમી કામો કરતા હતા.+ ૧૨  એટલે સુધી કે તેણે વાપરેલાં કપડાં અને રૂમાલ પણ બીમાર લોકો પાસે લઈ જવામાં આવતા.+ એનાથી તેઓની બીમારીઓ દૂર થતી અને તેઓ દુષ્ટ દૂતોના કાબૂમાંથી આઝાદ થતા.+ ૧૩  અમુક યહૂદીઓ બધી બાજુ જઈને લોકોને દુષ્ટ દૂતોના વશમાંથી છોડાવતા. તેઓ પણ માલિક ઈસુના નામે દુષ્ટ દૂતોને કહેતા: “જે ઈસુ વિશે પાઉલ પ્રચાર કરે છે, તેમના નામે હું તમને બધાને હુકમ કરું છું.”+ ૧૪  હવે સ્કેવા નામના એક યહૂદી મુખ્ય યાજકના સાત દીકરાઓએ એવું કર્યું. ૧૫  જવાબમાં દુષ્ટ દૂતે તેઓને કહ્યું: “હું ઈસુને જાણું છું+ અને પાઉલને ઓળખું છું.+ પણ તમે લોકો કોણ છો?” ૧૬  એવામાં દુષ્ટ દૂતના કાબૂમાં હતો એ માણસે તેઓ પર હુમલો કર્યો અને એક એક કરીને તેઓને હરાવી દીધા. તેથી તેઓ નગ્‍ન* અને ઘાયલ હાલતમાં ઘરની બહાર નાસી ગયા. ૧૭  એફેસસમાં રહેતા યહૂદીઓ અને ગ્રીકોને આ વાતની જાણ થઈ. તેઓ બધા પર ભય છવાઈ ગયો અને માલિક ઈસુનું નામ મોટું મનાતું ગયું. ૧૮  શ્રદ્ધા મૂકનારા ઘણા લોકોએ આવીને જાહેરમાં પોતાની ભૂલો કબૂલ કરી અને પોતાનાં કામો વિશે જણાવ્યું. ૧૯  જાદુવિદ્યા કરનારા ઘણા લોકોએ પોતાનાં પુસ્તકો લાવીને ભેગાં કર્યાં અને બધાની સામે બાળી નાખ્યાં.+ તેઓએ એની કિંમત ગણી તો એ ૫૦,૦૦૦ ચાંદીના સિક્કા થઈ. ૨૦  આમ, યહોવાનો* સંદેશો જોરદાર રીતે ફેલાતો ગયો અને એનો પ્રભાવ વધતો ને વધતો ગયો.+ ૨૧  આ બધું બન્યા પછી, પાઉલે મનમાં ગાંઠ વાળી કે મકદોનિયા+ અને અખાયા ગયા પછી તે યરૂશાલેમ જવા મુસાફરી કરશે.+ તેણે કહ્યું: “ત્યાં પહોંચ્યા બાદ, મારે રોમ પણ જવું જોઈએ.”+ ૨૨  તેણે પોતાના બે સેવકો તિમોથી+ અને એરાસ્તસને+ મકદોનિયા મોકલ્યા. પણ તે પોતે થોડા સમય માટે આસિયા પ્રાંતમાં રહ્યો. ૨૩  એ દિવસોમાં સત્યના માર્ગને લીધે+ ઘણું તોફાન ફાટી નીકળ્યું.+ ૨૪  ત્યાં દેમેત્રિયસ નામનો એક સોની હતો. તે આર્તિમિસ દેવીનાં ચાંદીનાં નાનાં મંદિર બનાવતો અને કારીગરોને ઘણી કમાણી કરાવતો.+ ૨૫  તેણે તેઓને અને બીજા કારીગરોને ભેગા કરીને કહ્યું: “દોસ્તો, તમે સારી રીતે જાણો છો કે આ ધંધાથી આપણને ઘણો નફો થાય છે. ૨૬  તમે જુઓ છો અને સાંભળો છો કે આ પાઉલે ફક્ત એફેસસમાં+ જ નહિ, પણ લગભગ આખા આસિયા પ્રાંતમાં ઘણા લોકોને ફોસલાવી દીધા છે. તેણે આમ કહીને તેઓનાં મન ફેરવી નાખ્યાં છે કે હાથે બનાવેલા દેવો હકીકતમાં દેવો નથી.+ ૨૭  મને તો ડર છે કે આપણા ધંધાની ખૂબ બદનામી થશે. આપણી મહાન દેવી આર્તિમિસના મંદિરની કંઈ કિંમત નહિ રહે. આખા આસિયા પ્રાંત અને આખી પૃથ્વી પર જેની પૂજા થાય છે, એ આર્તિમિસનો મહિમા ધૂળમાં મળી જશે.” ૨૮  એ સાંભળીને માણસો ગુસ્સાથી ભભૂકી ઊઠ્યા અને તેઓ પોકારવા લાગ્યા: “એફેસીઓની મહાન દેવી આર્તિમિસની જય હો!” ૨૯  આખા શહેરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. તેઓ બધા ભેગા થઈને નાટ્યગૃહમાં* ઘૂસી ગયા. તેઓ મકદોનિયાના ગાયસ અને અરિસ્તાર્ખસને+ પણ સાથે ઘસડી ગયા, જેઓ પાઉલ સાથે મુસાફરી કરતા હતા. ૩૦  પાઉલ લોકો પાસે અંદર જવા માંગતો હતો, પણ શિષ્યોએ તેને જવા દીધો નહિ. ૩૧  તહેવારો અને રમતોના અમુક અધિકારીઓ તેના મિત્રો હતા. તેઓએ પણ તેને સંદેશો મોકલાવીને વિનંતી કરી કે નાટ્યગૃહમાં જવાનું જોખમ ન લે. ૩૨  એ વખતે, અમુક લોકો કંઈક બૂમો પાડતા હતા, તો બીજાઓ બીજી કંઈક બૂમો પાડતા હતા, કેમ કે ટોળું ગૂંચવણમાં હતું અને મોટા ભાગના લોકોને ખબર ન હતી કે તેઓ શા માટે ભેગા થયા છે. ૩૩  તેથી ટોળામાંથી અમુક લોકોએ એલેકઝાંડરને આગળ કર્યો અને યહૂદીઓએ તેને લોકો આગળ ધકેલી દીધો. તેણે લોકોને શાંત કરવા હાથથી ઇશારો કર્યો. તે લોકો આગળ કંઈક ખુલાસો કરવા માંગતો હતો. ૩૪  પણ જ્યારે તેઓને ખ્યાલ આવ્યો કે તે યહૂદી છે, ત્યારે તેઓએ બે કલાક સુધી એક અવાજે બૂમો પાડી: “એફેસીઓની મહાન દેવી આર્તિમિસની જય હો!” ૩૫  આખરે, શહેરના પ્રમુખે ટોળાને શાંત કર્યું અને કહ્યું: “ઓ એફેસસના લોકો, એવું કોણ છે જે જાણતું નથી કે એફેસસના લોકો મહાન આર્તિમિસના મંદિર અને આકાશમાંથી પડેલી તેની મૂર્તિના રખેવાળ છે? ૩૬  આ વાતો ખોટી સાબિત થાય એમ નથી, એટલે તમારે શાંતિ રાખવી અને વગર વિચાર્યે કંઈ કરવું નહિ. ૩૭  તમે આ માણસોને અહીં લઈ આવ્યા છો, પણ તેઓ કંઈ મંદિરના લુટારા નથી અને આપણી દેવીનું અપમાન કરતા નથી. ૩૮  જો દેમેત્રિયસ+ અને તેની સાથેના કારીગરોને કોઈની સામે ફરિયાદ હોય, તો અદાલત ખુલ્લી છે અને રાજ્યપાલો* પણ છે, ભલે તેઓ ત્યાં એકબીજા પર આરોપ મૂકે. ૩૯  જો એના સિવાય બીજી કોઈ વાત હોય, તો એનો નિર્ણય લોકોની સભામાં લેવામાં આવશે. ૪૦  આજના કિસ્સાની વાત કરીએ તો આપણે જ જોખમમાં છીએ. આપણા પર સત્તા સામે બળવો કરવાનો આરોપ લાગી શકે છે, કેમ કે આવું તોફાની ટોળું ભેગું કરવાનું આપણી પાસે કોઈ કારણ નથી.” ૪૧  આમ કહીને તેણે ટોળાને વિખેરી નાખ્યું.

ફૂટનોટ

અહીં વપરાયેલા ગ્રીક શબ્દનો અર્થ ફક્ત નગ્‍ન હોવું થતો નથી. એનો અર્થ અંદરનાં કપડાં પહેરેલાં હોવાં પણ થઈ શકે છે.
એ અર્ધગોળાકાર હતું અને પથ્થરનું બનેલું હતું. એમાં આશરે ૨૫,૦૦૦ લોકો બેસી શકતા.
શબ્દસૂચિમાં “પ્રદેશનો રોમન રાજ્યપાલ” જુઓ.