પ્રેરિતોનાં કાર્યો ૨૫:૧-૨૭

  • ફેસ્તુસ આગળ પાઉલનો મુકદ્દમો (૧-૧૨)

    • “હું સમ્રાટ પાસે ન્યાય માંગું છું!” (૧૧)

  • અગ્રીપા રાજા સાથે ફેસ્તુસ વાત કરે છે (૧૩-૨૨)

  • પાઉલને અગ્રીપા આગળ લાવવામાં આવ્યો (૨૩-૨૭)

૨૫  પછી ફેસ્તુસે+ પ્રાંતમાં આવીને રાજ્યપાલની સત્તા સંભાળી. ત્રણ દિવસ બાદ તે કાઈસારીઆથી યરૂશાલેમ ગયો. ૨  મુખ્ય યાજકો અને યહૂદીઓના મુખ્ય માણસોએ તેને પાઉલ વિરુદ્ધ માહિતી આપી.+ તેઓ ફેસ્તુસ આગળ અરજ કરવા લાગ્યા કે, ૩  અમારો પક્ષ લઈને પાઉલને યરૂશાલેમ મોકલો. તેઓનું કાવતરું હતું કે રસ્તામાં સંતાઈ રહીને પાઉલ પર હુમલો કરે અને તેને મારી નાખે.+ ૪  પણ ફેસ્તુસે જવાબ આપ્યો કે પાઉલને કાઈસારીઆમાં જ રાખવામાં આવશે અને પોતે પણ જલદી જ ત્યાં પાછો જશે. ૫  તેણે કહ્યું, “એ માટે તમારા આગેવાનો મારી સાથે આવે અને જો એ માણસે કંઈ ખોટું કર્યું હોય, તો તેના પર આરોપ મૂકે.”+ ૬  ત્યાં આઠથી દસ દિવસ રહ્યા પછી તે કાઈસારીઆ ગયો. બીજા દિવસે, તે ન્યાયાસન પર બેઠો અને પાઉલને ત્યાં લાવવાનો હુકમ કર્યો. ૭  પાઉલ આવ્યો ત્યારે, યરૂશાલેમથી આવેલા યહૂદીઓ તેને ઘેરી વળ્યા. તેઓ તેના પર ઘણા ગંભીર આરોપો મૂકવા લાગ્યા, પણ તેઓ એ સાબિત કરી શકે એમ ન હતા.+ ૮  પાઉલે બચાવમાં કહ્યું: “મેં યહૂદીઓના નિયમશાસ્ત્ર વિરુદ્ધ કે મંદિર વિરુદ્ધ કે સમ્રાટ* વિરુદ્ધ કોઈ પાપ કર્યું નથી.”+ ૯  યહૂદીઓને ખુશ કરવા+ ફેસ્તુસે પાઉલને જવાબ આપ્યો: “શું તું યરૂશાલેમ જઈને ત્યાં મારી હાજરીમાં આનો ન્યાય મેળવવા ચાહે છે?” ૧૦  પાઉલે કહ્યું: “હું સમ્રાટના ન્યાયાસન આગળ ઊભો છું, જ્યાં મારો ન્યાય થવો જોઈએ. તમે પણ સારી રીતે જાણો છો કે મેં યહૂદીઓનું કંઈ બગાડ્યું નથી. ૧૧  જો હું ખરેખર ગુનેગાર હોઉં અને મેં મોતને લાયક કોઈ કામ કર્યું હોય,+ તો હું મોતની સજાથી બચવાની માંગણી કરતો નથી. પણ જો આ લોકોએ મારા પર લગાવેલા આરોપો ખોટા હોય, તો કોઈને હક નથી કે આ લોકોને ખુશ કરવા મને તેઓના હાથમાં સોંપે. હું સમ્રાટ પાસે ન્યાય માંગું છું!”+ ૧૨  પછી ફેસ્તુસે સલાહકારો સાથે વાતચીત કરીને તેને જવાબ આપ્યો: “તેં સમ્રાટ* પાસે ન્યાય માંગ્યો છે, એટલે તું સમ્રાટ પાસે જઈશ.” ૧૩  કેટલાક દિવસો પસાર થયા પછી, અગ્રીપા રાજા* અને બરનિકા* ફેસ્તુસની મુલાકાતે* કાઈસારીઆ આવ્યાં. ૧૪  તેઓ ત્યાં કેટલાક દિવસો રહેવાના હોવાથી ફેસ્તુસે પાઉલના મુકદ્દમા વિશે રાજાને વાત કરી: “ફેલિક્સ એક માણસને કેદી તરીકે છોડી ગયો છે. ૧૫  હું યરૂશાલેમમાં હતો ત્યારે, મુખ્ય યાજકો અને યહૂદીઓના વડીલોએ તેના વિશે મને માહિતી આપી+ અને તેને સજા ફટકારવાની માંગણી કરી. ૧૬  પણ મેં તેઓને જવાબ આપ્યો, રોમનોની રીત નથી કે કોઈ આરોપીને ફરિયાદીઓની સામે લાવ્યા વગર અને તેને પોતાના બચાવમાં બોલવાની તક આપ્યા વગર કોઈ સજા આપવામાં આવે, એ પણ એટલા માટે કે સામો પક્ષ ખુશ થાય.+ ૧૭  એટલે તેઓ અહીં આવ્યા ત્યારે, મોડું કર્યા વગર બીજા દિવસે હું ન્યાયાસન પર બેઠો અને એ માણસને બોલાવવાનો હુકમ કર્યો. ૧૮  મને હતું કે ફરિયાદીઓ તેના પર દુષ્ટ કામોનો આરોપ લગાવશે, પણ તેઓએ ઊભા થઈને એવું કંઈ કર્યું નહિ.+ ૧૯  એ તો ફક્ત તેઓના ધર્મ* વિશે અને ઈસુ નામના માણસ વિશે અમુક મતભેદો હતા.+ એ માણસ મરી ગયો છે, પણ પાઉલ દાવો કરે છે કે તે જીવતો છે.+ ૨૦  મને સૂઝ ન પડી કે આ ઝઘડો કેવી રીતે ઉકેલવો. એટલે મેં તેને પૂછ્યું કે, શું તે યરૂશાલેમ જઈને આ વાતો વિશે ન્યાય મેળવવા ચાહે છે.+ ૨૧  પણ પાઉલે અરજ કરી કે જ્યાં સુધી સમ્રાટ* ફેંસલો ન કરે+ ત્યાં સુધી તેને કેદમાં રાખવામાં આવે. એટલે તેને સમ્રાટ પાસે મોકલું ત્યાં સુધી કેદમાં રાખવાનો મેં હુકમ કર્યો.” ૨૨  પછી અગ્રીપાએ ફેસ્તુસને કહ્યું: “મને પણ એ માણસની વાત સાંભળવી ગમશે.”+ ફેસ્તુસે જવાબ આપ્યો, “કાલે તમે તેને સાંભળી શકશો.” ૨૩  એટલે અગ્રીપા અને બરનિકા બીજા દિવસે ભારે ઠાઠમાઠથી, લશ્કરી સેનાપતિઓ અને શહેરના જાણીતા માણસો સાથે દરબારમાં આવ્યાં. ફેસ્તુસે હુકમ કર્યો ત્યારે, પાઉલને અંદર લાવવામાં આવ્યો. ૨૪  ફેસ્તુસે કહ્યું: “હે અગ્રીપા રાજા અને અમારી સાથે હાજર બધા લોકો, તમે જે માણસને જુઓ છો તેની વિરુદ્ધ યરૂશાલેમના અને અહીંના બધા યહૂદીઓએ બૂમો પાડી પાડીને મને વિનંતી કરી છે કે તે એક ઘડી પણ જીવવાને લાયક નથી.+ ૨૫  પણ મને ખબર પડી કે તેણે મોતને લાયક કંઈ જ કર્યું નથી.+ તેણે સમ્રાટ પાસે ન્યાય મેળવવાની અરજ કરી ત્યારે, મેં તેને ત્યાં મોકલવાનું નક્કી કર્યું. ૨૬  પણ સમ્રાટને* લખવા મારી પાસે કોઈ ચોક્કસ માહિતી નથી. તેથી હું તમારા બધાની આગળ તેને લાવ્યો છું, ખાસ કરીને હે રાજા અગ્રીપા, તમારી આગળ લાવ્યો છું. એ માટે કે તેની કાનૂની તપાસ પૂરી થાય પછી, મારી પાસે લખવાને કંઈક હોય. ૨૭  કેમ કે મને એ વાજબી લાગતું નથી કે હું ફક્ત કેદીને મોકલું, પણ તેના પર લાગેલા આરોપો ન જણાવું.”

ફૂટનોટ

મૂળ, “કાઈસાર.” શબ્દસૂચિમાં “કાઈસાર” જુઓ.
મૂળ, “કાઈસાર.”
અથવા, “શુભેચ્છા પાઠવવા.”
હેરોદ અગ્રીપા બીજાની બહેન.
એટલે કે, હેરોદ અગ્રીપા બીજો.
અથવા, “દેવની ભક્તિ.”
અથવા, “ઑગસ્તસ.” સમ્રાટ નીરોને અપાયેલો ખિતાબ. આ ખિતાબ સૌથી પહેલા ઑક્ટેવિયનને મળ્યો હતો. એ પછીનો ચોથો સમ્રાટ નીરો હતો.
મૂળ, “માલિકને.”