યર્મિયા ૧૧:૧-૨૩

  • ઈશ્વર સાથે કરેલો કરાર યહૂદા તોડે છે (૧-૧૭)

    • જેટલાં શહેરો એટલા દેવો (૧૩)

  • કતલ માટે લઈ જવાતા ઘેટા સાથે યર્મિયાની સરખામણી (૧૮-૨૦)

  • યર્મિયાના વતનના માણસો તરફથી વિરોધ (૨૧-૨૩)

૧૧  યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો: ૨  “હે લોકો, તમે કરારના* શબ્દો સાંભળો! “આ* શબ્દો યહૂદાના માણસોને અને યરૂશાલેમના રહેવાસીઓને જણાવ. ૩  તું તેઓને કહે, ‘ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે: “જે માણસ આ કરારના શબ્દો ન પાળે, તેના પર શ્રાપ ઊતરી આવે.+ ૪  જે દિવસે હું તમારા બાપદાદાઓને લોઢું પિગાળતી ભઠ્ઠીમાંથી,+ હા, ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો હતો,+ એ દિવસે મેં તેઓને આ કરાર પાળવાની આજ્ઞા આપી હતી. મેં તેઓને કહ્યું હતું: ‘તમે મારું સાંભળો. જો તમે મારી આજ્ઞા પાળશો, તો તમે મારા લોકો બનશો અને હું તમારો ઈશ્વર બનીશ.+ ૫  મેં તમારા બાપદાદાઓ આગળ સમ ખાધા હતા કે હું તેઓને દૂધ-મધની રેલમછેલવાળો દેશ આપીશ.+ હું મારું એ વચન પૂરું કરીશ, જે આજે પણ એટલું જ સાચું છે.’”’” મેં કહ્યું: “હે યહોવા, આમેન.”* ૬  યહોવાએ મને કહ્યું: “યહૂદાનાં શહેરોમાં અને યરૂશાલેમની ગલીઓમાં જાહેર કર: ‘હે લોકો, આ કરારના શબ્દો સાંભળો અને પાળો. ૭  હું તમારા બાપદાદાઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો એ દિવસથી લઈને આજ સુધી મેં તેઓને વારંવાર* ચેતવણી આપી છે, “તમે મારું સાંભળો.”+ ૮  પણ તેઓએ મારું સાંભળ્યું નહિ, મારી વાત કાને ધરી નહિ. અડિયલ બનીને તેઓએ પોતાનાં દુષ્ટ હૃદય પ્રમાણે કર્યું.+ તેઓએ મારો કરાર પાળ્યો નહિ, જે પાળવાની મેં તેઓને આજ્ઞા આપી હતી. એટલે એ કરારમાં જણાવ્યા પ્રમાણે મેં તેઓને સજા કરી.’” ૯  યહોવાએ મને કહ્યું: “યહૂદાના માણસો અને યરૂશાલેમના રહેવાસીઓએ મારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું છે. ૧૦  તેઓએ પણ એ જ ભૂલો કરી છે, જે તેઓના બાપદાદાઓ શરૂઆતથી કરતા આવ્યા છે. તેઓના બાપદાદાઓએ મારું સાંભળવાની ના પાડી હતી.+ આ લોકોએ પણ બીજા દેવોની પાછળ ચાલીને તેઓની પૂજા કરી છે.+ ઇઝરાયેલના લોકો અને યહૂદાના લોકોએ મારો કરાર તોડ્યો છે, જે મેં તેઓના બાપદાદાઓ સાથે કર્યો હતો.+ ૧૧  એટલે યહોવા કહે છે, ‘હું તેઓ પર એવી આફત લાવું છું,+ જેમાંથી તેઓ બચી શકશે નહિ. તેઓ મદદ માટે મને પોકાર કરશે, પણ હું તેઓનું સાંભળીશ નહિ.+ ૧૨  પછી યહૂદાનાં શહેરો અને યરૂશાલેમના રહેવાસીઓ મદદ માટે એ દેવો પાસે જશે, જેને તેઓ બલિદાનો ચઢાવે છે. તેઓ પોકાર કરશે,+ પણ આફતના સમયે એ દેવો કોઈ કાળે તેઓને બચાવી શકશે નહિ. ૧૩  હે યહૂદા, જેટલાં તારાં શહેરો છે, એટલા તારા દેવો છે. યરૂશાલેમમાં જેટલી ગલીઓ છે, એટલી તારી વેદીઓ* છે. તેં એ વેદીઓ નિર્લજ્જ દેવ* બઆલ માટે બાંધી છે, જેથી તેને બલિદાનો ચઢાવી શકે.’+ ૧૪  “હે યર્મિયા, તું આ લોકો વતી મને પ્રાર્થના ન કર. તું તેઓ માટે વિલાપ કે વિનંતી ન કર.+ આફતના સમયે તેઓ મને પોકાર કરશે, પણ હું તેઓનું સાંભળીશ નહિ. ૧૫  હે મારી વહાલી પ્રજા, તારામાંથી ઘણા લોકોએ કાવતરાં ઘડ્યાં છે,તો મારા ઘરમાં રહેવાનો તને શો હક? બલિદાનો* ચઢાવીને શું એ લોકો આવનાર આફત ટાળી શકશે? શું એ સમયે તેઓ આનંદ કરી શકશે? ૧૬  એક સમયે યહોવાએ તને જૈતૂનનું લીલુંછમ ઝાડ કહ્યું હતું,સુંદર અને ફળોથી લચી પડેલું ઝાડ કહ્યું હતું. પણ એક મોટી ગર્જના થઈ અને તેમણે તને આગ લગાડી. દુશ્મનોએ તારી ડાળીઓ તોડી નાખી. ૧૭  “તને રોપનાર,+ સૈન્યોના ઈશ્વર યહોવાએ જાહેર કર્યું છે કે તારા પર એક મોટી આફત આવશે. કેમ કે યરૂશાલેમના લોકો અને યહૂદાના લોકોએ પાપ કર્યું છે. બઆલને બલિદાનો ચઢાવીને તેઓએ મને દુઃખ પહોંચાડ્યું છે.”+ ૧૮  હે યહોવા, તમે મને જણાવ્યું, જેથી મને ખબર પડે. એ સમયે તમે મને બતાવ્યું કે તેઓ શું કરી રહ્યા હતા. ૧૯  હું એવા લાચાર ઘેટા* જેવો હતો, જેને કતલ કરવા લઈ જવામાં આવે છે. હું જાણતો ન હતો કે તેઓ મારી વિરુદ્ધ કાવતરું ઘડે છે.+ તેઓ કહે છે: “ચાલો, ઝાડ અને તેનાં ફળનો નાશ કરીએ. ચાલો, તેને કાપી નાખીએ,જેથી તેનું નામ કાયમ માટે ભૂંસાઈ જાય.” ૨૦  પણ સૈન્યોના ઈશ્વર યહોવા સચ્ચાઈથી ઇન્સાફ કરે છે,તે અંતરના વિચારો* અને દિલને પારખે છે.+ તમે તેઓ પાસેથી જે બદલો લેશો, એ મને જોવા દો,કેમ કે મેં તમારી આગળ મારો મુકદ્દમો રજૂ કર્યો છે. ૨૧  અનાથોથના+ જે માણસો મને મારી નાખવા માંગતા હતા* અને ધમકી આપતા હતા કે, “તારે યહોવાના નામે ભવિષ્યવાણી કરવી નહિ,+ નહિતર તું અમારા હાથે માર્યો જશે,” તેઓ વિશે યહોવા કહે છે, ૨૨  હા, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “હું તેઓ પાસેથી હિસાબ માંગીશ. તેઓના યુવાનો તલવારથી માર્યા જશે.+ તેઓનાં દીકરા-દીકરીઓ દુકાળમાં માર્યા જશે.+ ૨૩  તેઓમાંથી કોઈ બચશે નહિ. જે વર્ષે હું અનાથોથના+ માણસો પાસેથી હિસાબ માંગીશ, એ જ વર્ષે હું તેઓ પર આફત લાવીશ.”

ફૂટનોટ

દેખીતું છે, આ વાત યર્મિયાને કહેવામાં આવી છે.
અથવા, “એમ થાઓ.” શબ્દસૂચિ જુઓ.
મૂળ, “વહેલા ઊઠીને.”
અથવા, “વસ્તુ.”
અથવા, “પવિત્ર માંસ.”
અથવા, “ઘેટાના બચ્ચા.”
અથવા, “ઊંડી લાગણીઓ.” મૂળ, “મૂત્રપિંડો.”
મૂળ, “તારો જીવ લેવા માંગતા હતા.”