યર્મિયા ૧૩:૧-૨૭

  • ચીંથરેહાલ થયેલો શણનો કમરપટ્ટો (૧-૧૧)

  • દ્રાક્ષદારૂના કુંજાના ચૂરેચૂરા થશે (૧૨-૧૪)

  • ક્યારેય ન સુધરનાર યહૂદા ગુલામીમાં જશે (૧૫-૨૭)

    • “શું કૂશી માણસ પોતાની ચામડીનો રંગ બદલી શકે?” (૨૩)

૧૩  યહોવાએ મને કહ્યું: “જા, જઈને તારા માટે શણનો કમરપટ્ટો ખરીદ. એને તારી કમરે બાંધ, પણ એને પાણીમાં બોળીશ નહિ.” ૨  યહોવાના કહ્યા પ્રમાણે મેં એક પટ્ટો ખરીદ્યો અને એને કમરે બાંધ્યો. ૩  યહોવાનો સંદેશો ફરી એક વાર મારી પાસે આવ્યો: ૪  “ઊભો થા! તેં જે પટ્ટો ખરીદીને કમરે બાંધ્યો છે, એ લઈને યુફ્રેટિસ નદીએ જા. ત્યાં તું એને ખડકની ફાટમાં સંતાડી દે.” ૫  યહોવાની આજ્ઞા માનીને હું યુફ્રેટિસ ગયો અને ત્યાં મેં પટ્ટો સંતાડી દીધો. ૬  ઘણા દિવસો પછી યહોવાએ મને કહ્યું: “ઊભો થા અને યુફ્રેટિસ જા. મેં તને જે પટ્ટો સંતાડવાની આજ્ઞા આપી હતી એ કાઢી લાવ.” ૭  હું યુફ્રેટિસ ગયો અને મેં જ્યાં પટ્ટો સંતાડ્યો હતો ત્યાંથી એને ખોદી કાઢ્યો. મેં જોયું કે એ ચીંથરેહાલ થઈ ગયો હતો, એ સાવ નકામો થઈ ગયો હતો. ૮  યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૯  “યહોવા કહે છે, ‘એવી જ રીતે હું યહૂદાનું ઘમંડ અને યરૂશાલેમનો અહંકાર તોડી પાડીશ.+ ૧૦  એ દુષ્ટ લોકો મારું કહ્યું માનતા નથી,+ અડિયલ બનીને તેઓ પોતાનાં હૃદય પ્રમાણે કરે છે,+ બીજા દેવોની પાછળ જાય છે, તેઓની પૂજા કરે છે અને તેઓ આગળ નમે છે. એ લોકોના હાલ પણ એ પટ્ટા જેવા જ થશે, તેઓ સાવ નકામા બની જશે. ૧૧  જેમ એક માણસ કમરે પટ્ટો બાંધે, તેમ મેં ઇઝરાયેલના અને યહૂદાના લોકોને મારી કમરે બાંધી રાખ્યા, જેથી તેઓ મારા લોકો,+ મારી નામના,+ મારું માન અને મારો મહિમા બને. પણ તેઓએ મારું કહ્યું માન્યું નહિ,’+ એવું યહોવા કહે છે. ૧૨  “તું આ સંદેશો તેઓને જણાવ, ‘ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે: “દરેક મોટો કુંજો દ્રાક્ષદારૂથી ભરેલો હોવો જોઈએ.”’ તેઓ તને કહેશે, ‘અમને ખબર છે, દરેક કુંજો દ્રાક્ષદારૂથી ભરેલો હોવો જોઈએ.’ ૧૩  તું તેઓને કહેજે, ‘યહોવા કહે છે: “જુઓ, હું દેશના બધા રહેવાસીઓને, દાઉદની રાજગાદી પર બેસતા રાજાઓને, યાજકોને, પ્રબોધકોને અને યરૂશાલેમના બધા રહેવાસીઓને ખૂબ દ્રાક્ષદારૂ પિવડાવું છું, જેથી તેઓ નશામાં ચકચૂર થઈ જાય.+ ૧૪  હું તેઓને એકબીજા સાથે અથડાવીશ. પિતા હોય કે દીકરો, હું બધા સાથે એક જ રીતે વર્તીશ.+ હું તેઓ પર કરુણા કે દયા નહિ બતાવું. મને તેઓના લીધે જરાય દુઃખ નહિ થાય. હું તેઓનો નાશ કરીશ, મને કોઈ રોકી નહિ શકે,” એવું યહોવા કહે છે.’+ ૧૫  સાંભળો અને ધ્યાન આપો. ઘમંડી બનશો નહિ, કેમ કે એવું યહોવા કહે છે. ૧૬  તે અંધકાર લાવે એ પહેલાં,પર્વતો પર મોડી સાંજે તમારો પગ ઠોકર ખાય એ પહેલાં,તમારા ઈશ્વર યહોવાને મહિમા આપો. તમે પ્રકાશની આશા રાખશો,પણ તે તમને અંધકારથી ઢાંકી દેશે,તમારા પર ગાઢ અંધારું છવાઈ જશે.+ ૧૭  જો તમે નહિ સાંભળો,તો તમારા ઘમંડને લીધે હું એકાંતમાં રડીશ. હું બહુ રડીશ, મારી આંખોમાંથી આંસુની નદીઓ વહેશે,+કેમ કે યહોવાના ટોળાને+ ગુલામીમાં લઈ જવામાં આવ્યું છે. ૧૮  રાજા અને રાજમાતાને કહે,+ ‘તમે નીચી જગ્યાએ બેસો,કેમ કે તમારા માથા પરથી સુંદર મુગટ પડી જશે.’ ૧૯  દક્ષિણનાં શહેરોના દરવાજા બંધ* છે, એને ખોલનાર કોઈ નથી. યહૂદાના બધા રહેવાસીઓને ગુલામીમાં લઈ જવામાં આવ્યા છે,કોઈ છટકી શક્યું નથી.+ ૨૦  તારી* નજર ઊંચી કર. જો! ઉત્તરથી તારો દુશ્મન આવી રહ્યો છે.+ તને આપેલું ટોળું ક્યાં છે? તારાં સુંદર ઘેટાં ક્યાં છે?+ ૨૧  તું હંમેશાં જેઓને પોતાના નજીકના મિત્રો ગણતી હતી,+તેઓ તને સજા કરશે ત્યારે તું શું કહેશે? બાળકને જન્મ આપનાર સ્ત્રીની જેમ શું તને પીડા નહિ થાય?+ ૨૨  જ્યારે તું પોતાના દિલમાં કહેશે, ‘આ બધું મારા પર કેમ આવી પડ્યું?’+ ત્યારે તને સમજાશે કે તારા ઘોર અપરાધને લીધે તારો ઘાઘરો ઉતારી લેવામાં આવ્યો છે+અને તારી એડીઓમાં સખત પીડા ઊપડી છે. ૨૩  શું કૂશી* માણસ પોતાની ચામડીનો રંગ બદલી શકે?+ શું દીપડો પોતાનાં ટપકાં બદલી શકે? તો તું કઈ રીતે સારું કરી શકે? કેમ કે તું ખરાબ કામ કરવા ટેવાયેલી છે. ૨૪  રણના પવનથી ઊડતાં સૂકાં ઘાસની જેમ હું તારા લોકોને વિખેરી નાખીશ.+ ૨૫  એ તારો હિસ્સો છે, જે મેં તને માપી આપ્યો છે,કેમ કે તું મને ભૂલી ગઈ છે+ અને તું અસત્ય પર ભરોસો રાખે છે,”+ એવું યહોવા કહે છે. ૨૬  “એટલે હું તારો ઘાઘરો તારા મોં સુધી ઊંચો કરીશઅને તારી નગ્‍નતા દેખાડીશ.+ ૨૭  તારો વ્યભિચાર,+ તારી બેકાબૂ વાસનાઅને તારાં અશ્લીલ કામો હું ઉઘાડાં પાડીશ. મેં જોયું છે, ટેકરીઓ પર અને મેદાનોમાંતું કેવાં શરમજનક કામો કરે છે.+ હે યરૂશાલેમ, અફસોસ છે તને! તું ક્યાં સુધી અશુદ્ધ રહીશ?”+

ફૂટનોટ

અથવા, “ઘેરાયેલા.”
કદાચ એ યરૂશાલેમ નગરીને બતાવે છે.
અથવા, “ઇથિયોપિયાનો.”