યર્મિયા ૧૫:૧-૨૧

  • યહોવા પોતાનો ચુકાદો બદલશે નહિ (૧-૯)

  • યર્મિયાની ફરિયાદ (૧૦)

  • યહોવાનો જવાબ (૧૧-૧૪)

  • યર્મિયાની પ્રાર્થના (૧૫-૧૮)

    • ઈશ્વરનો સંદેશો ખાવાથી ખુશી મળી (૧૬)

  • યહોવા યર્મિયાને હિંમત આપે છે (૧૯-૨૧)

૧૫  યહોવાએ મને કહ્યું: “જો મૂસા અને શમુએલ મારી આગળ ઊભા રહે,+ તોપણ હું આ લોકોને દયા નહિ બતાવું. આ લોકોને મારી આગળથી દૂર કર. તેઓને જવા દે. ૨  જો તેઓ તને પૂછે, ‘અમે ક્યાં જઈએ?’ તો તું તેઓને કહેજે, ‘યહોવા કહે છે: “જેઓ રોગચાળાને લાયક છે, તેઓ રોગચાળા પાસે જાય! જેઓ તલવારને લાયક છે, તેઓ તલવાર પાસે જાય!+ જેઓ દુકાળને લાયક છે, તેઓ દુકાળ પાસે જાય! જેઓ ગુલામીને લાયક છે, તેઓ ગુલામીમાં જાય!”’+ ૩  “યહોવા કહે છે: ‘હું તેઓ પર ચાર આફતો* લાવીશ.+ તલવાર તેઓને મારી નાખશે. કૂતરાં તેઓની લાશો ખેંચી જશે. આકાશનાં પક્ષીઓ અને પૃથ્વીનાં જાનવરો બાકીનું ખાઈ જશે અને એનો નાશ કરશે.+ ૪  હિઝકિયાના દીકરા, યહૂદાના રાજા મનાશ્શાએ યરૂશાલેમમાં દુષ્ટ કામો કર્યાં છે,+ એટલે હું તેઓને સજા કરીશ. હું તેઓના એવા હાલ કરીશ કે એ જોઈને પૃથ્વીનાં બધાં રાજ્યો ધ્રૂજી ઊઠશે.+  ૫  હે યરૂશાલેમ, કોણ તને કરુણા બતાવશે? કોણ તારી સાથે વિલાપ કરશે? કોણ રોકાઈને તારા ખબરઅંતર પૂછશે?’  ૬  યહોવા કહે છે: ‘તારા લોકોએ મને છોડી દીધો છે.+ તેઓએ મારાથી પીઠ ફેરવી લીધી છે.*+ એટલે હું મારો હાથ ઉગામીને તેઓનો નાશ કરીશ.+ તેઓ પર દયા* કરી કરીને હું થાકી ગયો છું.  ૭  હું દેશના દરવાજાઓ પાસે તેઓને અનાજની જેમ ઉછાળીશ અને ફોતરાંની જેમ તેઓને વિખેરી નાખીશ.* હું તેઓનાં બાળકો છીનવી લઈશ.+ હું મારા લોકોનો નાશ કરી દઈશ,કેમ કે તેઓ પોતાના માર્ગોથી પાછા ફરવાની ના પાડે છે.+  ૮  મારી આગળ તેઓની વિધવાઓ સમુદ્રની રેતી કરતાં પણ વધારે થશે. હું ધોળે દહાડે નાશ કરનાર મોકલીશ, તે માતાઓ પર અને તેઓના દીકરાઓ પર હુમલો કરશે. હું તેઓમાં અચાનક ખળભળાટ મચાવી દઈશ અને આતંક ફેલાવી દઈશ.  ૯  સાત સાત બાળકોને જન્મ આપનારી સ્ત્રી કમજોર થઈ ગઈ છે. તે શ્વાસ લેવા તરફડિયાં મારે છે. દિવસ હોવા છતાં તેનો સૂર્ય આથમી ગયો છે. તે શરમમાં મુકાઈ છે, તેનું અપમાન થયું છે.’* ‘તેઓમાંથી જે થોડા લોકો બાકી રહ્યા છે,તેઓને હું દુશ્મનોની તલવારને હવાલે કરીશ,’ એવું યહોવા કહે છે.”+ ૧૦  હે મારી મા, મને અફસોસ! તેં મને કેમ જન્મ આપ્યો?+ દેશના બધા લોકો મારી સાથે લડાઈ-ઝઘડો કરે છે. મેં કંઈ ઉછીનું લીધું નથી કે ઉછીનું આપ્યું પણ નથી,છતાં બધા લોકો મને શ્રાપ આપે છે. ૧૧  યહોવા કહે છે: “હું જરૂર તારું ભલું કરીશ. મુશ્કેલીના સમયે, સંકટના સમયેહું તારા વતી દુશ્મનો સાથે વાત કરીશ. ૧૨  શું કોઈ માણસ લોઢાના ટુકડા કરી શકે? ઉત્તરથી આવેલા લોઢાને ભાંગી શકે? તાંબાના ચૂરેચૂરા કરી શકે? ૧૩  તેં તારા વિસ્તારોમાં ઘણાં પાપ કર્યાં છે,એટલે હું તારી સંપત્તિ અને તારો ખજાનો દુશ્મનોને સોંપી દઈશ.+ હું કોઈ કિંમત લેવા નહિ, પણ તારાં પાપોને લીધે એમ કરીશ. ૧૪  હું એ બધું તારા દુશ્મનોને આપી દઈશ. તેઓ એને અજાણ્યા દેશમાં લઈ જશે.+ મારા ગુસ્સાની આગ ભભૂકી ઊઠી છે,એ તમારી વિરુદ્ધ સળગી રહી છે.”+ ૧૫  હે યહોવા, તમે મારું દુઃખ જાણો છો! મને યાદ રાખો, મારા પર ધ્યાન આપો. મને સતાવનારાઓ પાસેથી બદલો લો.+ તમે ક્રોધ કરવામાં ધીમા છો, પણ ધ્યાન રાખજો કે મારો નાશ ન થઈ જાય. જુઓ, હું તમારા માટે આ અપમાન સહી રહ્યો છું.+ ૧૬  મને તમારો સંદેશો મળ્યો, મેં એ ખાધો.+ એ સંદેશાથી મારું મન ખુશ થયું અને મારું દિલ ઝૂમી ઊઠ્યું. કેમ કે હે સૈન્યોના ઈશ્વર યહોવા, હું તમારા નામથી ઓળખાઉં છું. ૧૭  હું મોજમજા કરનારાઓ સાથે બેસીને આનંદ કરતો નથી.+ તમારો હાથ મારા પર છે, એટલે હું એકલો બેસું છું,તમે મને તમારા ક્રોધથી* ભરી દીધો છે.+ ૧૮  મારું દર્દ કેમ મટતું નથી? મારો ઘા કેમ ભરાતો નથી? એ ઘા રુઝાતો જ નથી. શું તમે એવું ઝરણું બનશો, જે ખરા સમયે જ પાણી ન આપે? ૧૯  યહોવા કહે છે: “જો તું* પાછો આવીશ, તો હું તારા પર ફરી કૃપા કરીશ. તું મારી આગળ ઊભો રહીશ. જો તું કીમતી વસ્તુઓને નકામી વસ્તુઓથી અલગ કરીશ,તો તું મારા વતી બોલનાર* બનીશ. તેઓ તારી પાસે આવશે,પણ તારે તેઓ પાસે જવું નહિ પડે.” ૨૦  યહોવા કહે છે, “આ લોકો સામે હું તને તાંબાની મજબૂત દીવાલ જેવો બનાવું છું.+ તેઓ તારી સામે લડશે,પણ તને હરાવી નહિ શકે,+ કેમ કે હું તારી સાથે છું, હું તને બચાવીશ અને છોડાવીશ. ૨૧  હું તને દુષ્ટના હાથમાંથી બચાવીશ અને જુલમીના પંજામાંથી છોડાવીશ.”

ફૂટનોટ

અથવા કદાચ, “ચાર પ્રકારના ન્યાયચુકાદા.” મૂળ, “ચાર કુટુંબો.”
અથવા કદાચ, “તેઓ ઊંધી દિશામાં ચાલે છે.”
અથવા, “પસ્તાવો.”
મૂળ, “પંજેટીથી ઊપણીશ.”
અથવા કદાચ, “એ શરમમાં મુકાયો છે, તેનું અપમાન થયું છે.”
અથવા, “કોપના સંદેશાથી.”
એટલે કે, યર્મિયા.
મૂળ, “તું મારું મુખ.”