યર્મિયા ૨૨:૧-૩૦

  • દુષ્ટ રાજાઓ વિરુદ્ધ ન્યાયચુકાદા (૧-૩૦)

    • શાલ્લૂમ વિરુદ્ધ ન્યાયચુકાદો (૧૦-૧૨)

    • યહોયાકીમ વિરુદ્ધ ન્યાયચુકાદો (૧૩-૨૩)

    • કોન્યા વિરુદ્ધ ન્યાયચુકાદો (૨૪-૩૦)

૨૨  યહોવા કહે છે: “તું યહૂદાના રાજાના મહેલમાં જા અને તેને આ સંદેશો જણાવ. ૨  તું તેને કહેજે, ‘હે દાઉદની રાજગાદી પર બેસનાર યહૂદાના રાજા, તું અને આ દરવાજેથી અંદર આવનાર તારા સેવકો અને તારા લોકો, તમે યહોવાનો સંદેશો સાંભળો. ૩  યહોવા કહે છે: “તમે અદ્દલ ઇન્સાફ કરો અને સચ્ચાઈથી વર્તો. જુલમીના હાથે લૂંટાઈ રહેલા માણસને છોડાવો. કોઈ પરદેશી સાથે ખરાબ રીતે વર્તશો નહિ. કોઈ અનાથને* કે વિધવાને સતાવશો નહિ.+ આ શહેરમાં કોઈ નિર્દોષ માણસનું લોહી વહેવડાવશો નહિ.+ ૪  જો તમે એ બધું ધ્યાનથી પાળશો, તો દાઉદની રાજગાદી પર બેસનાર રાજાઓ+ આ મહેલના દરવાજેથી અંદર આવશે. તેઓ રથો અને ઘોડાઓ પર સવાર થઈને આવશે. તેઓના સેવકો અને તેઓના લોકો પણ અંદર આવશે.”’+ ૫  “યહોવા કહે છે, ‘જો તમે મારું કહ્યું નહિ માનો, તો હું મારા પોતાના સમ ખાઈને કહું છું કે આ મહેલ ખંડેર થઈ જશે.’+ ૬  “યહૂદાના રાજાના મહેલ વિશે યહોવા કહે છે,‘તું મારા માટે ગિલયાદ જેવો છે,લબાનોનના શિખર જેવો છે,પણ હું તને ઉજ્જડ કરી દઈશ. તારાં શહેરો વસ્તી વગરનાં થઈ જશે.+  ૭  હું તારી સામે વિનાશ કરનારાઓ ઊભા કરીશ,*તેઓ હથિયાર લઈને તારી સામે આવશે.+ તેઓ તારાં ઉત્તમ દેવદાર વૃક્ષોને કાપી નાખશેઅને એને આગમાં હોમી દેશે.+ ૮  “‘આ શહેર આગળથી પસાર થનાર પ્રજાઓ એકબીજાને કહેશે: “યહોવાએ આ મહાન શહેરના આવા હાલ કેમ કર્યા?”+ ૯  તેઓ કહેશે: “કેમ કે આ શહેરના લોકોએ પોતાના ઈશ્વર યહોવાનો કરાર તોડ્યો છે. તેઓ બીજા દેવોને પગે પડ્યા છે અને તેઓની ભક્તિ કરી છે.”’+ ૧૦  તમે મરેલા માણસ માટે ન રડો,તેના માટે શોક ન પાળો. એના બદલે, ગુલામીમાં જઈ રહેલા માણસ માટે રડો,કેમ કે તે પોતાની જન્મભૂમિ ફરી કદી જોશે નહિ. ૧૧  “પોતાના પિતા યોશિયાની+ જગ્યાએ યહૂદા પર રાજ કરનાર શાલ્લૂમ,*+ જે ગુલામીમાં ગયો છે, તેના વિશે યહોવા કહે છે: ‘તે ક્યારેય પાછો આવશે નહિ. ૧૨  તેઓ તેને ગુલામ બનાવીને જ્યાં લઈ ગયા છે, ત્યાં તે મરી જશે. તે આ દેશ ફરી ક્યારેય જોશે નહિ.’+ ૧૩  અફસોસ છે એ માણસને,* જે બેઈમાનીથી પોતાનું ઘર બાંધે છે,જે અન્યાયથી ઉપરના ઓરડા બાંધે છે,જે પોતાના સાથી પાસે મફત કામ કરાવે છેઅને તેને મજૂરી આપતો નથી.+ ૧૪  તે કહે છે, ‘હું મારા માટે આલીશાન ઘર બાંધીશ,ઉપરના માળે મોટા મોટા ઓરડા બનાવીશ. એને બારીઓ બેસાડીશ,એમાં દેવદારનાં પાટિયાં લગાવીશ અને એને લાલ રંગથી રંગીશ.’ ૧૫  તને શું લાગે છે, બીજાઓ કરતાં વધારે દેવદાર વાપરવાથી શું તારું રાજ કાયમ ટકશે? તારા પિતાએ ખાવા-પીવાનો આનંદ માણ્યો,પણ તેણે અદ્દલ ઇન્સાફ કર્યો અને તે સચ્ચાઈથી વર્ત્યો,+એટલે તેનું ભલું થયું. ૧૬  તે લાચાર અને ગરીબને ન્યાય અપાવતો,એટલે તેના સમયમાં બધું સારું થયું. યહોવા કહે છે, ‘શું મને ઓળખવાનો એ જ અર્થ નથી? ૧૭  પણ તારી આંખો અને તારું દિલહંમેશાં બેઈમાની કરીને લાભ મેળવવા પર,નિર્દોષનું ખૂન કરવા* પર,કપટ અને અત્યાચાર કરવા પર રહે છે.’ ૧૮  “એટલે યોશિયાના દીકરા, યહૂદાના રાજા યહોયાકીમ+ વિશે યહોવા કહે છે,‘લોકો શોક પાળવા કહે છે: “હાય હાય, મારા ભાઈ! હાય હાય, મારી બહેન!” પણ તેઓ યહોયાકીમ માટે શોક પાળવા નહિ કહે: “હાય હાય, મારા માલિક! ક્યાં ગયું તમારું ગૌરવ?” ૧૯  તેના મડદાના હાલ ગધેડાના મડદા જેવા થશે.+ તેને ઘસડીને લઈ જવામાં આવશેઅને યરૂશાલેમના દરવાજાની બહાર ફેંકી દેવામાં આવશે.’+ ૨૦  તું* લબાનોન જઈને પોકાર કર,બાશાનમાં ચીસાચીસ કર,અબારીમથી બૂમાબૂમ કર,+કેમ કે તારા પ્રેમીઓને કચડી નાખવામાં આવ્યા છે.+ ૨૧  તું સુખચેનમાં હતી ત્યારે મેં તને સલાહ આપી હતી,પણ તેં કહ્યું: ‘હું તમારું નહિ માનું.’+ તું યુવાનીથી જ આમ કરતી આવી છે,તેં મારું સાંભળ્યું નથી.+ ૨૨  તોફાન તારા ઘેટાંપાળકોને ઉડાવીને લઈ જશે,*+તારા બધા પ્રેમીઓ ગુલામીમાં જશે. તારા પર આવેલી આફતને લીધે તું શરમમાં મુકાશે અને તારું અપમાન થશે. ૨૩  હે લબાનોનમાં રહેનારી,+હે દેવદારનાં વૃક્ષો વચ્ચે વસનારી,+જન્મ આપનાર સ્ત્રીની જેમ તને પીડા ઊપડશે ત્યારે,તું કેવાં તરફડિયાં મારીશ! તું કેવી ચીસાચીસ કરીશ!”+ ૨૪  “યહોવા કહે છે, ‘હું સમ* ખાઈને કહું છું, જો યહોયાકીમનો+ દીકરો, યહૂદાનો રાજા કોન્યા*+ મારા જમણા હાથની વીંટી* હોત, તોપણ મેં તેને કાઢીને ફેંકી દીધો હોત. ૨૫  જેઓ તારો જીવ લેવા માંગે છે અને જેઓથી તું ડરે છે તેઓના હાથમાં હું તને સોંપી દઈશ. હું તને બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના* હાથમાં અને ખાલદીઓના હાથમાં સોંપી દઈશ.+ ૨૬  હું તને અને તારી માતાને પારકા દેશમાં ધકેલી દઈશ. ત્યાં તમારો જન્મ થયો ન હતો, પણ ત્યાં તમે મરી જશો. ૨૭  તમે આ દેશમાં પાછા આવવા તડપશો, પણ કદી આવી શકશો નહિ.+ ૨૮  શું કોન્યા નકામા અને તૂટેલા કુંજા જેવો નથી? શું એવા વાસણ જેવો નથી જેને કોઈ રાખવા માંગતું નથી? તેને અને તેના વંશજોને કેમ ફેંકી દેવામાં આવ્યા છે? કેમ પારકા દેશમાં ધકેલી દેવામાં આવ્યા છે?’+ ૨૯  હે પૃથ્વી,* હે પૃથ્વી, હે પૃથ્વી, યહોવાનો સંદેશો સાંભળ. ૩૦  યહોવા કહે છે: ‘આ માણસ વિશે લખ કે તે બાળક વગરનો છે,તે પોતાના જીવનકાળ* દરમિયાન સફળ થશે નહિ. કેમ કે તેનો એકેય વંશજ દાઉદની રાજગાદી પર બેસવામાંઅને યહૂદામાં ફરી રાજ કરવામાં સફળ થશે નહિ.’”+

ફૂટનોટ

અથવા, “પિતા વગરના બાળકને.”
મૂળ, “પવિત્ર ઠરાવીશ.”
યહોઆહાઝ પણ કહેવાતો.
યર્મિ ૨૨:૧૩-૧૭ યહૂદાના રાજા યહોયાકીમ વિશે છે.
મૂળ, “લોહી વહેવડાવવા.”
દેખીતું છે, આ આદેશ યરૂશાલેમ નગરી માટે છે.
મૂળ, “તોફાન તારા ઘેટાંપાળકોને દોરશે.”
શબ્દસૂચિમાં “મહોર વીંટી” જુઓ.
યહોયાખીન અને યખોન્યા પણ કહેવાતો.
મૂળ, “મારા જીવના સમ.”
મૂળ, “નબૂખાદરેસ્સારના,” અલગ જોડણી છે.
અથવા, “દેશ.”
મૂળ, “દિવસો.”