યર્મિયા ૨૩:૧-૪૦

  • સારા અને ખરાબ ઘેટાંપાળકો (૧-૪)

  • ‘નેક અંકુરના’ રાજમાં સુખ-શાંતિ (૫-૮)

  • જૂઠા પ્રબોધકોને સજા થઈ (૯-૩૨)

  • યહોવાનો “બોજ” (૩૩-૪૦)

૨૩  યહોવા કહે છે, “અફસોસ છે એ ઘેટાંપાળકોને જેઓ મારા વાડાનાં ઘેટાંનો નાશ કરે છે અને તેઓને વિખેરી નાખે છે.”+ ૨  ઇઝરાયેલના ઈશ્વર યહોવા તેમના લોકોને દોરનાર ઘેટાંપાળકોને કહે છે: “તમે મારાં ઘેટાંને વિખેરી નાખ્યાં છે અને તેઓને હાંકી કાઢ્યાં છે. તમે તેઓની સંભાળ રાખી નથી.”+ “એટલે તમારાં દુષ્ટ કામોને લીધે હું તમને સજા કરીશ,” એવું યહોવા કહે છે. ૩  “હું મારાં બાકી રહેલાં ઘેટાંને એ જગ્યાએથી ભેગાં કરીશ, જ્યાં મેં તેઓને વિખેરી નાખ્યાં હતાં.+ હું તેઓને વાડામાં પાછાં લાવીશ.+ તેઓને ઘણાં બચ્ચાં થશે, તેઓ પુષ્કળ વધશે.+ ૪  હું તેઓ માટે એવા ઘેટાંપાળકો ઊભા કરીશ, જેઓ સારી રીતે તેઓની કાળજી લેશે.+ તેઓ ફરી કદી ગભરાશે નહિ કે ડરશે નહિ. તેઓમાંથી એકેય ઘેટું ભૂલું પડશે નહિ,” એવું યહોવા કહે છે. ૫  યહોવા કહે છે, “જુઓ! એવા દિવસો આવી રહ્યા છે, જ્યારે હું દાઉદના વંશમાંથી એક નેક અંકુર* ઊભો કરીશ.+ તે રાજા તરીકે રાજ કરશે+ અને સમજણથી વર્તશે. તે અદ્દલ ઇન્સાફ કરશે અને સચ્ચાઈથી રાજ કરશે.+ ૬  તેના દિવસોમાં યહૂદાને બચાવવામાં આવશે+ અને ઇઝરાયેલ સુખ-શાંતિમાં રહેશે.+ તે આ નામથી ઓળખાશે: અમારી ભલાઈ યહોવા તરફથી છે!”*+ ૭  યહોવા કહે છે, “જુઓ! એવા દિવસો આવે છે, જ્યારે તેઓ એવું નહિ કહે: ‘ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવનાર યહોવાના સમ!’*+ ૮  પણ તેઓ કહેશે, ‘ઇઝરાયેલના વંશજોને ઉત્તરના દેશમાંથી અને તેમણે વિખેરી નાખ્યા હતા એ દેશોમાંથી બહાર કાઢીને પાછા લાવનાર યહોવાના સમ!’* પછી તેઓ પોતાના દેશમાં વસશે.”+ ૯  પ્રબોધકો માટે સંદેશો: મારું દિલ તૂટી ગયું છે. મારાં હાડકાં ધ્રૂજી રહ્યાં છે. યહોવા અને તેમના પવિત્ર સંદેશાને લીધેહું એવા માણસ જેવો થઈ ગયો છું જેણે ખૂબ દારૂ પીધો છેઅને જે દ્રાક્ષદારૂના નશામાં ચકચૂર છે. ૧૦  આખો દેશ વ્યભિચારીઓથી ભરાઈ ગયો છે,+એ વિલાપ કરે છે, કેમ કે એના પર શ્રાપ ઊતરી આવ્યો છે.+ વેરાન પ્રદેશનાં ગૌચરો* સુકાઈ ગયાં છે.+ દેશના લોકોનાં વાણી-વર્તન દુષ્ટ છે, તેઓ પોતાની સત્તાનો ખોટો ઉપયોગ કરે છે. ૧૧  “પ્રબોધકો અને યાજકો બંને ભ્રષ્ટ* છે,+મારા મંદિરમાં મેં તેઓને દુષ્ટ કામો કરતા જોયા છે,”+ એવું યહોવા કહે છે. ૧૨  “તેઓનો રસ્તો લપસણો થશે અને અંધકારથી ભરાઈ જશે,+તેઓ ઠોકર ખાશે અને પડી જશે. કેમ કે હું તેઓ પાસે હિસાબ લેવા આવીશ એ વર્ષેહું તેઓ પર આફત લાવીશ,” એવું યહોવા કહે છે. ૧૩  “મેં સમરૂનના પ્રબોધકોમાં+ દુષ્ટતા જોઈ છે. તેઓ બઆલને નામે ભવિષ્યવાણી કરે છે,તેઓ મારા ઇઝરાયેલી લોકોને ખોટા રસ્તે દોરી જાય છે. ૧૪  મેં યરૂશાલેમના પ્રબોધકોને ભયંકર કામો કરતા જોયા છે. તેઓ વ્યભિચાર કરે છે+ અને જૂઠું બોલે છે.+ તેઓ દુષ્ટોના હાથ મજબૂત કરે છે.* તેઓ પોતાની દુષ્ટતાથી પાછા ફરતા નથી. મારા માટે તેઓ સદોમ જેવા છે,+આ શહેરના રહેવાસીઓ ગમોરાહ જેવા છે.”+ ૧૫  એટલે સૈન્યોના ઈશ્વર યહોવા પ્રબોધકો વિરુદ્ધ આ સંદેશો આપે છે: “હું તેઓને કડવો છોડ* ખવડાવું છું,તેઓને ઝેરી પાણી પિવડાવું છું.+ કેમ કે યરૂશાલેમના પ્રબોધકોને લીધે આખા દેશમાં ઈશ્વર વિરુદ્ધ બળવો* થઈ રહ્યો છે.” ૧૬  સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “તમને ભવિષ્યવાણી કહેનાર પ્રબોધકોનો સંદેશો ન સાંભળો.+ તેઓ તમને ખોટાં સપનાં દેખાડે છે,*જાતે ઘડી કાઢેલું દર્શન જણાવે છે,+જેના વિશે યહોવાએ કંઈ કહ્યું નથી.+ ૧૭  મારું અપમાન કરનાર લોકોને તેઓ વારંવાર કહે છે,‘યહોવાએ કહ્યું છે: “તમે શાંતિમાં જીવશો.”’+ અડિયલ બનીને પોતાનાં હૃદય પ્રમાણે ચાલતા લોકોને તેઓ કહે છે,‘તમારા પર કોઈ આફત નહિ આવે.’+ ૧૮  યહોવાના મિત્રોના ટોળામાં કોણ ઊભું છે,જેથી તેમનો સંદેશો જોઈ અને સાંભળી શકે? કોણ તેમના સંદેશાને ધ્યાન આપીને સાંભળે છે? ૧૯  જુઓ! યહોવાના ક્રોધનું વાવાઝોડું જોરથી ફૂંકાશે. વંટોળિયાની જેમ એ દુષ્ટોના માથા પર ઝઝૂમશે.+ ૨૦  જ્યાં સુધી યહોવા પોતાના દિલની ઇચ્છા અમલમાં નહિ લાવે અને એને પૂરી નહિ કરે,ત્યાં સુધી તેમનો ગુસ્સો શાંત નહિ પડે. છેલ્લા દિવસોમાં તમે એ વાત સારી રીતે સમજશો. ૨૧  મેં પ્રબોધકોને મોકલ્યા ન હતા, છતાં તેઓ દોડીને ગયા. મેં તેઓ સાથે વાત કરી ન હતી, છતાં તેઓએ ભવિષ્યવાણી કરી.+ ૨૨  જો તેઓ મારા મિત્રોના ટોળામાં ઊભા રહ્યા હોત,તો તેઓએ મારા લોકોને મારો સંદેશો જણાવ્યો હોતઅને તેઓને ખોટા રસ્તેથી અને દુષ્ટ કામોથી પાછા વાળ્યા હોત.”+ ૨૩  યહોવા કહે છે, “શું હું નજીક હોઉં ત્યારે જ ઈશ્વર છું? શું હું દૂર હોઉં ત્યારે પણ ઈશ્વર નથી?” ૨૪  યહોવા કહે છે, “શું કોઈ માણસ એવી જગ્યાએ સંતાઈ શકે, જ્યાં હું તેને જોઈ ન શકું?”+ યહોવા કહે છે, “શું આકાશમાં અને પૃથ્વી પર એવું કંઈક છે, જે મારી નજર બહાર હોય?”+ ૨૫  “જે પ્રબોધકો મારા નામે જૂઠી ભવિષ્યવાણી કરે છે, તેઓને મેં આમ કહેતા સાંભળ્યા છે, ‘મને સપનું આવ્યું! મને સપનું આવ્યું!’+ ૨૬  ક્યાં સુધી એ પ્રબોધકોનાં દિલમાંથી જૂઠું બોલવાનો વિચાર નહિ જાય? એ પ્રબોધકો પોતે ઉપજાવી કાઢેલી* વાતો કહે છે.+ ૨૭  તેઓ એકબીજાને પોતાનાં સપનાં જણાવે છે, જેથી મારા લોકો મારું નામ ભૂલી જાય. તેઓના બાપદાદાઓ પણ બઆલની ભક્તિ કરીને મારું નામ ભૂલી ગયા હતા.+ ૨૮  પ્રબોધક ભલે તેનું સપનું જણાવે. પણ જેની પાસે મારો સંદેશો છે, તે સચ્ચાઈથી મારો સંદેશો જણાવે.” યહોવા કહે છે, “ઘઉંની આગળ ઘાસની શી વિસાત?” ૨૯  યહોવા કહે છે, “શું મારો સંદેશો આગ જેવો નથી?+ શું ખડકોને તોડનાર હથોડા જેવો નથી?”+ ૩૦  યહોવા કહે છે, “હું એ પ્રબોધકોને સજા કરીશ, જેઓ બીજા પ્રબોધકો પાસેથી મારો સંદેશો ચોરી લે છે.”+ ૩૧  યહોવા કહે છે, “હું એ પ્રબોધકોને સજા કરીશ, જેઓ કહે છે, ‘ઈશ્વર જાહેર કરે છે!’”+ ૩૨  યહોવા કહે છે, “હું એ પ્રબોધકોને સજા કરીશ, જેઓ મારા લોકોને પોતાનાં જૂઠાં સપનાં સંભળાવે છે, જૂઠું બોલીને અને અભિમાન કરીને મારા લોકોને ખોટા રસ્તે દોરે છે.”+ યહોવા કહે છે, “મેં તેઓને મોકલ્યા ન હતા કે કોઈ આજ્ઞા આપી ન હતી. એટલે તેઓથી આ લોકોને કંઈ લાભ થશે નહિ.”+ ૩૩  “જ્યારે પ્રબોધક કે યાજક કે આ લોકોમાંથી કોઈ તને પૂછે, ‘યહોવાનો બોજ* શું છે?’ ત્યારે તું કહેજે, ‘યહોવા કહે છે, “તમે લોકો બોજ છો! હું તમને ફેંકી દઈશ.”’+ ૩૪  જો પ્રબોધક કે યાજક કે લોકોમાંથી કોઈ માણસ કહે, ‘આ યહોવાનો બોજ* છે,’ તો હું તે માણસને અને તેના ઘરના લોકોને સજા કરીશ. ૩૫  તમે પોતાના સાથીને અને પોતાના ભાઈને કહો છો: ‘યહોવાએ શો જવાબ આપ્યો છે? યહોવાએ શું કહ્યું છે?’ ૩૬  પણ હવે તમારે યહોવાના બોજ* વિશે વાત કરવી નહિ. કેમ કે તમારો જ સંદેશો બોજ* છે. તમે સૈન્યોના ઈશ્વર યહોવાનો, આપણા જીવતા ઈશ્વરનો સંદેશો બદલી નાખ્યો છે. ૩૭  “તું પ્રબોધકને કહેજે, ‘યહોવાએ તને શો જવાબ આપ્યો છે? યહોવાએ શું કહ્યું છે? ૩૮  જો તમે કહેતા રહો, “આ યહોવાનો બોજ* છે!” તો યહોવા કહે છે, “મેં તમને કહ્યું હતું, ‘તમારે આવું કહેવું નહિ: “આ યહોવાનો બોજ* છે!”’ તોપણ તમે કહો છો, ‘આ સંદેશો યહોવાનો બોજ* છે.’ ૩૯  એટલે જુઓ! હું તમને ઊંચકીને મારી નજર આગળથી ફેંકી દઈશ. જે શહેર મેં તમને અને તમારા બાપદાદાઓને આપ્યું હતું એને પણ ફેંકી દઈશ. ૪૦  હું તમને કાયમ માટે શરમમાં મૂકીશ. તમારું એવું અપમાન કરીશ, જે કદી ભુલાશે નહિ.”’”+

ફૂટનોટ

અથવા, “વારસદાર.”
અથવા, “યહોવા અમારી નેકી છે.”
મૂળ, “યહોવાના જીવના સમ!”
મૂળ, “યહોવાના જીવના સમ!”
અથવા, “ચરાવવાની જગ્યા.”
અથવા, “ઈશ્વર-વિરોધી.”
અથવા, “તેઓ દુષ્ટોને ખોટું કામ કરવા ઉત્તેજન આપે છે.”
શબ્દસૂચિમાં “ઈશ્વર-વિરોધી” જુઓ.
અથવા, “ખોટી આશા આપે છે.”
મૂળ, “પોતાનાં હૃદયની કપટી વાતો.”
અથવા, “બોજરૂપ સંદેશો.” હિબ્રૂ શબ્દના બે અર્થ થાય છે: “ઈશ્વર તરફથી ભારે સંદેશો” અથવા “કંઈક બોજરૂપ વસ્તુ.”
અથવા, “બોજરૂપ સંદેશો.”
અથવા, “બોજરૂપ સંદેશો.”
અથવા, “બોજરૂપ સંદેશો.”
અથવા, “બોજરૂપ સંદેશો.”
અથવા, “બોજરૂપ સંદેશો.”
અથવા, “બોજરૂપ સંદેશો.”