યર્મિયા ૨૪:૧-૧૦
-
સારાં અને ખરાબ અંજીર (૧-૧૦)
૨૪ બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર* યહોયાકીમના દીકરા,+ યહૂદાના રાજા યખોન્યાને* ગુલામ બનાવીને યરૂશાલેમથી બાબેલોન લઈ ગયો. તેની સાથે યહૂદાના અધિકારીઓને, કારીગરોને અને લુહારોને* પણ લઈ ગયો.+ પછી યહોવાએ મને અંજીર ભરેલી બે ટોપલીઓ બતાવી. એ ટોપલીઓ યહોવાના મંદિર આગળ હતી.
૨ એક ટોપલીમાં સારાં અંજીર હતાં, પહેલી ફસલનાં અંજીર હતાં. બીજી ટોપલીમાં ખરાબ અંજીર હતાં, એટલાં ખરાબ કે ખવાય પણ નહિ.
૩ યહોવાએ મને પૂછ્યું: “યર્મિયા, તને શું દેખાય છે?” મેં કહ્યું: “અંજીર. જે અંજીર સારાં છે, એ ખૂબ સારાં છે. પણ જે ખરાબ છે, એ ખૂબ ખરાબ છે. એટલાં ખરાબ કે ખવાય પણ નહિ.”+
૪ પછી યહોવાએ મને આ સંદેશો આપ્યો:
૫ “ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે, ‘યહૂદાના જે લોકોને મેં આ જગ્યાએથી ખાલદીઓના દેશમાં ગુલામ બનાવીને મોકલ્યા છે, તેઓ સારાં અંજીર જેવા છે. હું તેઓનું ભલું કરીશ.
૬ તેઓનું સારું કરવા હું મારી નજર તેઓ પર રાખીશ. હું તેઓને આ દેશમાં પાછા લાવીશ.+ હું તેઓને બાંધીશ, પણ તોડીશ નહિ. હું તેઓને રોપીશ, પણ ઉખેડીશ નહિ.+
૭ હું તેઓને એવું હૃદય આપીશ, જે મને ઓળખે. તેઓ જાણશે કે હું યહોવા છું.+ તેઓ મારા લોકો થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ,+ કેમ કે તેઓ પૂરા દિલથી મારી પાસે પાછા આવશે.+
૮ “‘પણ ખવાય નહિ એવા ખરાબ અંજીર વિશે+ યહોવા કહે છે: “યહૂદાનો રાજા સિદકિયા,+ તેના અધિકારીઓ તેમજ યરૂશાલેમના બાકી રહેલા લોકો, એટલે કે જેઓ આ દેશમાં રહે છે અને જેઓ ઇજિપ્તમાં રહે છે, તેઓ ખરાબ અંજીર જેવા છે.+
૯ હું તેઓ પર આફત લાવીશ અને તેઓના એવા હાલ કરીશ કે એ જોઈને પૃથ્વીનાં બધાં રાજ્યો ધ્રૂજી ઊઠશે.+ જે જગ્યાઓમાં હું તેઓને વિખેરી નાખીશ,+ ત્યાંના લોકો તેઓની નિંદા કરશે, તેઓ વિશે કહેવતો કહેશે, તેઓની મજાક ઉડાવશે અને તેઓને શ્રાપ આપશે.+
૧૦ જે દેશ મેં તેઓને અને તેઓના બાપદાદાઓને આપ્યો છે, એમાં તેઓનો નાશ થાય ત્યાં સુધી હું તેઓ પર તલવાર,+ દુકાળ અને ભયંકર રોગચાળો* લાવીશ.”’”+
ફૂટનોટ
^ મૂળ, “નબૂખાદરેસ્સાર,” અલગ જોડણી છે.
^ યહોયાખીન અને કોન્યા પણ કહેવાતો.
^ અથવા કદાચ, “કોટ બાંધનારાઓને.”
^ અથવા, “બીમારી.”