યર્મિયા ૨૫:૧-૩૮

  • પ્રજાઓ પર યહોવાનો મુકદ્દમો (૧-૩૮)

    • પ્રજાઓ ૭૦ વર્ષ બાબેલોનની ગુલામી કરશે (૧૧)

    • ઈશ્વરના ક્રોધનો પ્યાલો (૧૫)

    • એક દેશથી બીજા દેશ સુધી આફત (૩૨)

    • યહોવાના હાથે માર્યા ગયેલા લોકો (૩૩)

૨૫  યોશિયાના દીકરા, યહૂદાના રાજા યહોયાકીમના શાસનના ચોથા વર્ષે+ યર્મિયાને યહૂદાના બધા લોકો માટે સંદેશો મળ્યો. એ વખતે બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના* શાસનનું પહેલું વર્ષ ચાલતું હતું. ૨  યહૂદાના બધા લોકો અને યરૂશાલેમના બધા રહેવાસીઓ વિશે* યર્મિયા પ્રબોધકે આ સંદેશો આપ્યો: ૩  “આમોનના દીકરા, યહૂદાના રાજા યોશિયાના શાસનના ૧૩મા વર્ષથી+ લઈને આજ સુધી, પાછલા ૨૩ વર્ષોથી યહોવાનો સંદેશો મને મળતો રહ્યો છે. મેં તમારી સાથે વારંવાર* વાત કરી, પણ તમે જરાય સાંભળ્યું નહિ.+ ૪  યહોવાએ પોતાના સેવકો, હા, પોતાના પ્રબોધકોને વારંવાર* તમારી પાસે મોકલ્યા. પણ તમે તેઓનું સાંભળ્યું નહિ, તેઓની વાત કાને ધરી નહિ.+ ૫  તેઓ કહેતા: ‘મહેરબાની કરીને તમારા ખોટા માર્ગોથી અને તમારાં ખોટાં કામોથી પાછા ફરો.+ એમ કરશો તો તમે એ દેશમાં લાંબું જીવશો, જે યહોવાએ તમને અને તમારા બાપદાદાઓને વર્ષો પહેલાં આપ્યો હતો. ૬  બીજા દેવો પાછળ જશો નહિ, તેઓની ભક્તિ કરશો નહિ અને તેઓને નમન કરશો નહિ. મૂર્તિઓ બનાવીને ઈશ્વરને ગુસ્સે કરશો નહિ, નહિતર તે તમારા પર આફત લાવશે.’ ૭  “યહોવા કહે છે, ‘પણ તમે મારું સાંભળ્યું નહિ. તમે મૂર્તિઓ બનાવીને મને ગુસ્સે કર્યો અને પોતાના પર આફત નોતરી.’+ ૮  “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘“તમે મારું સાંભળ્યું નહિ, ૯  એટલે હું ઉત્તરના બધા દેશોને* અને મારા સેવક, બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારને*+ બોલાવું છું.+ હું તેઓને આ દેશ વિરુદ્ધ,+ એના રહેવાસીઓ વિરુદ્ધ અને આસપાસની પ્રજાઓ વિરુદ્ધ લઈ આવીશ.+ હું તમને અને તમારી આસપાસની પ્રજાઓને વિનાશને લાયક ઠરાવીશ. હું તમારા એવા હાલ કરીશ કે એ જોઈને લોકો ધ્રૂજી ઊઠશે. તમારી મજાક ઉડાવવા તેઓ સીટી મારશે અને તમે કાયમ માટે ઉજ્જડ થઈ જશો,” એવું યહોવા કહે છે. ૧૦  “હું તેઓમાંથી આનંદ-ઉલ્લાસનો પોકાર બંધ કરી દઈશ.+ ત્યાંથી વરરાજા અને કન્યાનો અવાજ સંભળાશે નહિ.+ હું ઘંટીનો અવાજ બંધ કરી દઈશ અને દીવાનો પ્રકાશ હોલવી નાખીશ. ૧૧  આખો દેશ ઉજ્જડ થઈ જશે. એના હાલ જોઈને લોકો ધ્રૂજી ઊઠશે. એ પ્રજાઓએ ૭૦ વર્ષ સુધી બાબેલોનના રાજાની ગુલામી કરવી પડશે.”’+ ૧૨  “યહોવા કહે છે, ‘૭૦ વર્ષ પૂરાં થયાં+ પછી હું બાબેલોનના રાજાને અને તેના દેશને તેઓની ભૂલ માટે સજા કરીશ.*+ હું ખાલદીઓના દેશને હંમેશ માટે ઉજ્જડ કરી નાખીશ.+ ૧૩  એ દેશ વિશે મેં જે કંઈ કહ્યું છે, જે બધું આ પુસ્તકમાં લખેલું છે, એટલે કે જે વિશે યર્મિયાએ ભવિષ્યવાણી કરી છે, એ પ્રમાણે હું ચોક્કસ કરીશ. ૧૪  ઘણી પ્રજાઓ અને મોટા મોટા રાજાઓ+ તેઓને ગુલામ બનાવશે.+ હું તેઓ પાસેથી તેઓનાં કામોનો હિસાબ લઈશ.’”+ ૧૫  કેમ કે ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ મને કહ્યું: “તું મારા હાથમાંથી મારા ક્રોધના દ્રાક્ષદારૂનો પ્યાલો લે અને હું જે પ્રજાઓમાં તને મોકલું તેઓને પિવડાવ. ૧૬  તેઓ પીશે અને લથડિયાં ખાશે. હું તેઓ પર જે તલવાર મોકલું છું એના લીધે તેઓ ગાંડાની જેમ વર્તશે.”+ ૧૭  મેં યહોવાના હાથમાંથી પ્યાલો લીધો અને યહોવાએ મને જે પ્રજાઓ પાસે મોકલ્યો હતો તેઓને એ પિવડાવ્યો.+ ૧૮  સૌથી પહેલા મેં યરૂશાલેમને, યહૂદાનાં શહેરોને,+ તેના રાજાઓને અને અધિકારીઓને એ પ્યાલો પિવડાવ્યો, જેથી તેઓ ઉજ્જડ થાય, તેઓના હાલ જોઈને પ્રજાઓ ધ્રૂજી ઊઠે, સીટી મારીને તેઓની મજાક ઉડાવે અને તેઓને શ્રાપ આપે.+ આજે તેઓના એવા જ હાલ થવાના છે. ૧૯  પછી ઇજિપ્તના રાજા ફારુનને,* તેના સેવકોને, તેના અધિકારીઓને, તેના લોકોને+ ૨૦  અને તેઓ વચ્ચે રહેતા પરદેશીઓને; ઉસ દેશના બધા રાજાઓને; પલિસ્તના બધા રાજાઓને,+ એટલે કે આશ્કલોનના+ રાજાને, ગાઝાના રાજાને, એક્રોનના રાજાને અને આશ્દોદના બાકી રહેલા લોકોના રાજાને; ૨૧  અદોમીઓને,+ મોઆબીઓને+ અને આમ્મોનીઓને;+ ૨૨  તૂરના બધા રાજાઓને, સિદોનના બધા રાજાઓને+ અને સમુદ્રના ટાપુના રાજાઓને; ૨૩  દદાન,+ તેમા, બૂઝ અને જેઓની દાઢી બાજુએથી* મૂંડેલી છે એ બધાને;+ ૨૪  અરબીઓના બધા રાજાઓને+ અને વેરાન પ્રદેશમાં રહેતા અલગ અલગ લોકોના રાજાઓને; ૨૫  ઝિમ્રીના બધા રાજાઓને, એલામના બધા રાજાઓને+ અને માદાયના બધા રાજાઓને;+ ૨૬  ઉત્તરના બધા રાજાઓને, દૂરના અને નજીકના રાજાઓને તેમજ પૃથ્વીનાં બીજાં રાજ્યોને વારાફરતી એ પ્યાલો પિવડાવ્યો. તેઓ પછી શેશાખનો* રાજા+ એ પ્યાલો પીશે. ૨૭  “તું તેઓને કહેજે, ‘ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “તમે પીઓ, નશામાં ચકચૂર થાઓ, ઊલટી કરો અને પડી જાઓ. હું તમારા પર તલવાર મોકલું છું, જેના ઘાને લીધે તમે ઊભા થઈ શકશો નહિ.”’+ ૨૮  જો તેઓ તારા હાથમાંથી પ્યાલો લઈને પીવાની ના પાડે, તો તું તેઓને કહેજે, ‘સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “તમારે એ પીવો જ પડશે! ૨૯  કેમ કે જો હું મારા જ નામે ઓળખાતા શહેર પર આફત લાવવાનો હોઉં,+ તો તમે કઈ રીતે છટકી શકશો?”’+ “‘તમે સજાથી નહિ છટકી શકો, કેમ કે હું આખી પૃથ્વીના રહેવાસીઓ પર તલવાર લાવું છું,’ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે. ૩૦  “તું તેઓને આ ભવિષ્યવાણી કહેજે,‘યહોવા ઊંચી જગ્યાથી ગર્જના કરશે,તે પોતાના પવિત્ર રહેઠાણમાંથી મોટેથી પોકાર કરશે. તે પોતાના નિવાસસ્થાનમાંથી જોરથી ગર્જના કરશે. તે દ્રાક્ષાકુંડ ખૂંદનારની જેમ બૂમ પાડશે,આખી પૃથ્વીના રહેવાસીઓ પર જીત મેળવીને તે વિજયગીત ગાશે.’ ૩૧  યહોવા કહે છે, ‘પૃથ્વીના છેડા સુધી ઘોંઘાટ સંભળાશે,કેમ કે યહોવાએ પ્રજાઓ પર મુકદ્દમો કર્યો છે. તે પોતે બધા માણસોનો ન્યાય કરશે+અને તલવારથી દુષ્ટોનો નાશ કરશે.’ ૩૨  સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: ‘જુઓ! એક દેશથી બીજા દેશ સુધી આફત ફેલાઈ રહી છે.+ પૃથ્વીના છેડેથી ભારે વાવાઝોડું ફૂંકાશે.+ ૩૩  “‘એ દિવસે યહોવાથી માર્યા ગયેલા લોકોની લાશો પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી પડી હશે. તેઓ માટે વિલાપ કરવામાં નહિ આવે. તેઓને ભેગા કરવામાં નહિ આવે કે દાટવામાં નહિ આવે. તેઓ જમીન પર ખાતર બની જશે.’ ૩૪  હે ઘેટાંપાળકો, તમે વિલાપ કરો અને મોટેથી પોકાર કરો! હે ટોળાનાં મુખ્ય ઘેટાં, તમે રાખમાં આળોટો,કેમ કે તમારી કતલ કરવાનો અને તમને વિખેરી નાખવાનો સમય આવી ગયો છે,માટીના કીમતી વાસણની જેમ તમે પડશો અને તમારા ટુકડે-ટુકડા થઈ જશે. ૩૫  ઘેટાંપાળકોને નાસી જવાની જગ્યા નહિ મળે,ટોળાનાં મુખ્ય ઘેટાંને બચવાનો રસ્તો નહિ મળે. ૩૬  ઘેટાંપાળકોનો પોકાર સાંભળો,ટોળાનાં મુખ્ય ઘેટાંનો વિલાપ સાંભળો,કેમ કે યહોવા તેઓનાં ગૌચરો* ઉજ્જડ કરે છે. ૩૭  યહોવાના સળગતા ક્રોધને લીધે,તેઓનાં શાંત રહેઠાણો સૂમસામ થઈ ગયાં છે. ૩૮  જેમ ગુસ્સે ભરાયેલો સિંહ પોતાની ગુફામાંથી બહાર નીકળે છે,+તેમ તે પોતાના રહેઠાણમાંથી બહાર નીકળ્યા છે. નિર્દય તલવાર અને તેમના સળગતા ક્રોધને લીધેદેશના એવા હાલ થયા છે કે લોકો જોઈને ધ્રૂજી ઊઠે છે.”

ફૂટનોટ

મૂળ, “નબૂખાદરેસ્સારના,” અલગ જોડણી છે.
અથવા, “રહેવાસીઓને.”
મૂળ, “વહેલા ઊઠીને.”
મૂળ, “વહેલા ઊઠીને.”
મૂળ, “કુટુંબોને.”
મૂળ, “નબૂખાદરેસ્સારને,” અલગ જોડણી છે.
અથવા, “હિસાબ માંગીશ.”
ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.
અથવા, “દાઢીની કલમ; થોભિયા.”
એવું લાગે છે કે એ બાબિલનું (બાબેલોનનું) ગુપ્ત નામ છે.
અથવા, “ચરાવવાની જગ્યા.”