યર્મિયા ૨૬:૧-૨૪

  • યર્મિયાને મોતની ધમકી મળી (૧-૧૫)

  • યર્મિયાનો બચાવ થયો (૧૬-૧૯)

    • મીખાહની ભવિષ્યવાણીમાંથી ટાંકવામાં આવ્યું (૧૮)

  • પ્રબોધક ઉરિયાહ (૨૦-૨૪)

૨૬  યોશિયાના દીકરા, યહૂદાના રાજા યહોયાકીમના શાસનની શરૂઆતમાં યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો:+ ૨  “યહોવા કહે છે, ‘તું યહોવાના મંદિરના આંગણામાં ઊભો રહે અને યહૂદાનાં શહેરોના જે લોકો યહોવાના મંદિરમાં ભક્તિ કરવા આવે છે, તેઓને* એ સંદેશો જણાવ. મેં તને જે જે કહ્યું છે, એ બધું તેઓને કહી સંભળાવ. એકેય શબ્દ કહેવાનો બાકી રાખતો નહિ. ૩  કદાચ તેઓ સાંભળે અને પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફરે. એમ થશે તો હું મારું મન બદલીશ* અને તેઓનાં દુષ્ટ કામોને લીધે તેઓ પર જે આફત લાવવાનો હતો એ નહિ લાવું.+ ૪  તું તેઓને કહેજે: “યહોવા કહે છે, ‘જો તમે મારું નહિ સાંભળો, મેં આપેલા નિયમો* નહિ પાળો ૫  અને મારા સેવકો, એટલે કે મારા પ્રબોધકોનો સંદેશો નહિ સાંભળો, જેઓને હું વારંવાર* તમારી પાસે મોકલું છું અને તમે સાંભળતા નથી,+ ૬  તો હું આ મંદિરને* શીલોહ+ જેવું બનાવી દઈશ. હું આ શહેરના એવા હાલ કરીશ કે બધી પ્રજાઓ એનું નામ લઈને શ્રાપ આપશે.’”’”+ ૭  યાજકોએ, પ્રબોધકોએ અને બધા લોકોએ યહોવાના મંદિરમાં યર્મિયાને સંદેશો આપતા સાંભળ્યો.+ ૮  યહોવાની આજ્ઞા પ્રમાણે યર્મિયાએ લોકોને બધું જણાવ્યું. એ પછી યાજકોએ, પ્રબોધકોએ અને બધા લોકોએ તેને પકડી લીધો. તેઓએ કહ્યું: “તું નક્કી માર્યો જઈશ! ૯  તું કેમ યહોવાના નામે ભવિષ્યવાણી કરે છે કે, ‘આ મંદિર શીલોહ જેવું બની જશે, આ શહેર ઉજ્જડ અને વસ્તી વગરનું થઈ જશે’?” પછી યહોવાના મંદિરમાં બધા લોકો યર્મિયાને ઘેરી વળ્યા. ૧૦  યહૂદાના અધિકારીઓએ એ વિશે સાંભળ્યું ત્યારે, તેઓ રાજાના મહેલમાંથી યહોવાના મંદિરમાં આવ્યા. તેઓ યહોવાના મંદિરના નવા દરવાજા આગળ બેઠા.+ ૧૧  યાજકોએ અને પ્રબોધકોએ અધિકારીઓને અને બધા લોકોને કહ્યું: “આ માણસને મોતની સજા થવી જોઈએ,+ કેમ કે તેણે આ શહેર વિરુદ્ધ ભવિષ્યવાણી કરી છે. તમે તમારા કાને એ સાંભળી છે.”+ ૧૨  પછી યર્મિયાએ બધા અધિકારીઓને અને બધા લોકોને કહ્યું: “આ મંદિર અને આ શહેર વિરુદ્ધ તમે મારા મોંએ જે ભવિષ્યવાણી સાંભળી, એ કહેવા યહોવાએ મને મોકલ્યો છે.+ ૧૩  તમારાં વર્તનમાં અને કામોમાં સુધારો કરો, તમારા ઈશ્વર યહોવાનું કહ્યું માનો. જો તમે એમ કરશો, તો યહોવા પોતાનું મન બદલશે* અને જે આફત તમારા પર લાવવાના છે એ નહિ લાવે.+ ૧૪  પણ મારી વાત છે ત્યાં સુધી, લો, હું તમારા હાથમાં છું. તમને જે સારું અને યોગ્ય લાગે, એ પ્રમાણે કરો. ૧૫  પણ એક વાત જાણી લો, જો તમે મને મારી નાખશો, તો તમે પોતાના પર, આ શહેર પર અને એના રહેવાસીઓ પર નિર્દોષ માણસના લોહીનો દોષ લાવશો. કેમ કે સાચે જ એ બધું કહેવા યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે.” ૧૬  પછી અધિકારીઓએ અને બધા લોકોએ યાજકોને અને પ્રબોધકોને કહ્યું: “આ માણસે એવું કંઈ કર્યું નથી કે તેને મોતની સજા થાય. તેણે તો આપણા ઈશ્વર યહોવાના નામે સંદેશો જણાવ્યો છે.” ૧૭  દેશના અમુક વડીલો ઊભા થયા અને હાજર લોકોને* કહ્યું: ૧૮  “યહૂદાના રાજા હિઝકિયાના+ દિવસોમાં મોરેશેથનો વતની મીખાહ+ ભવિષ્યવાણી કરતો હતો. તેણે યહૂદાના બધા લોકોને કહ્યું હતું, ‘સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “તમારા લીધે સિયોનને ખેતરની જેમ ખેડવામાં આવશે,યરૂશાલેમ પથ્થરનો ઢગલો થઈ જશે,+અને ઈશ્વરના મંદિરનો પર્વત* જંગલની ટેકરીઓ જેવો થઈ જશે.”’+ ૧૯  “શું યહૂદાના રાજા હિઝકિયાએ અને યહૂદાના લોકોએ તેને મારી નાખ્યો હતો? શું રાજાએ યહોવાનો ડર રાખ્યો ન હતો? શું તેણે યહોવા પાસે દયાની ભીખ માંગી ન હતી, જેથી યહોવા પોતાનું મન બદલે* અને જે આફત લાવવાના હતા એ ન લાવે?+ જો આપણે આ માણસને મારી નાખીશું, તો પોતાના પર આફત નોતરીશું. ૨૦  “બીજો એક માણસ પણ યહોવાના નામે ભવિષ્યવાણી કરતો હતો. તેનું નામ ઉરિયાહ હતું. તે શમાયાનો દીકરો હતો અને કિર્યાથ-યઆરીમનો+ વતની હતો. તેણે પણ યર્મિયાની જેમ આ શહેર અને આ દેશ વિરુદ્ધ ભવિષ્યવાણી કરી હતી. ૨૧  જ્યારે તેનો સંદેશો રાજા યહોયાકીમ,+ તેના યોદ્ધાઓ અને તેના બધા અધિકારીઓના કાને પડ્યો, ત્યારે રાજાએ તેને મારી નાખવાની કોશિશ કરી.+ ઉરિયાહને એની ખબર પડી ત્યારે તે ગભરાઈ ગયો અને ઇજિપ્ત નાસી ગયો. ૨૨  તેને પકડવા રાજા યહોયાકીમે આખ્બોરના દીકરા એલ્નાથાનને+ અને બીજા માણસોને ઇજિપ્ત મોકલ્યા. ૨૩  તેઓ ઉરિયાહને ઇજિપ્તથી પકડી લાવ્યા અને રાજા યહોયાકીમને સોંપી દીધો. રાજાએ ઉરિયાહને તલવારે મારી નાખ્યો+ અને તેની લાશ સામાન્ય લોકોના કબ્રસ્તાનમાં નાખી દીધી.” ૨૪  પણ શાફાનના+ દીકરા અહીકામે+ યર્મિયાને સાથ આપ્યો, એટલે તેને લોકોના હાથમાં સોંપવામાં ન આવ્યો અને તે માર્યો ન ગયો.+

ફૂટનોટ

અથવા, “તેઓ વિશે.”
અથવા, “પસ્તાવો કરીશ.”
અથવા, “સૂચનો.”
મૂળ, “વહેલા ઊઠીને.”
અથવા, “ઘરને.”
અથવા, “પસ્તાવો કરશે.”
મૂળ, “મંડળને.” શબ્દસૂચિમાં “મંડળ” જુઓ.
અથવા, “અને ઘરનો પર્વત.”
અથવા, “પસ્તાવો કરે.”