યર્મિયા ૨૭:૧-૨૨

  • બાબેલોનની ઝૂંસરી (૧-૧૧)

  • સિદકિયાને બાબેલોનને આધીન થવા કહેવામાં આવ્યું (૧૨-૨૨)

૨૭  યોશિયાના દીકરા, યહૂદાના રાજા યહોયાકીમના શાસનની શરૂઆતમાં યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો: ૨  “યહોવાએ મને કહ્યું, ‘તું તારા માટે બંધનો* અને ઝૂંસરીઓ બનાવ. એને તારી ગરદન પર મૂક. ૩  પછી યરૂશાલેમમાં યહૂદાના રાજા સિદકિયા પાસે આવેલા સંદેશવાહકોને તું એ ઝૂંસરીઓ આપ. તેઓના હાથે એ ઝૂંસરીઓ અદોમના+ રાજાને, મોઆબના+ રાજાને, આમ્મોનીઓના+ રાજાને, તૂરના+ રાજાને અને સિદોનના+ રાજાને મોકલ. ૪  એ સંદેશવાહકો દ્વારા તેઓના માલિકોને હુકમ આપ. તેઓને કહે: “‘“જાઓ, તમારા માલિકોને કહો, ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ૫  ‘મેં પોતે મારી પ્રચંડ શક્તિથી અને મારા બળવાન હાથથી આ પૃથ્વી, માણસો અને બધાં જાનવરો બનાવ્યાં છે. હું ચાહું* તેના હાથમાં એ સોંપું છું.+ ૬  હવે મેં મારા સેવક, બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના+ હાથમાં આ દેશો સોંપ્યા છે. પૃથ્વી પરનાં બધાં જાનવરો પણ મેં તેની સેવામાં આપ્યાં છે. ૭  તેના રાજનો અંત આવે ત્યાં સુધી બધી પ્રજાઓ તેની, તેના દીકરાની અને તેના પૌત્રની સેવા કરશે.+ પછી ઘણી પ્રજાઓ અને મોટા મોટા રાજાઓ તેને પોતાનો ગુલામ બનાવશે.’+ ૮  “‘“યહોવા કહે છે, ‘જો કોઈ દેશ કે રાજ્ય બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારની સેવા કરવાની કે પોતાની ગરદન પર તેની ઝૂંસરી મૂકવાની ના પાડશે, તો હું એ દેશને સજા કરીશ. રાજાના હાથે એ દેશનો નાશ થાય ત્યાં સુધી હું એને તલવાર, દુકાળ અને ભયંકર રોગચાળાથી* સજા કરીશ.’+ ૯  “‘“‘તમારા પ્રબોધકો, શુકન જોનારાઓ, સપનાંનો ખુલાસો કરનારાઓ, જાદુગરો અને ભૂવાઓની વાત ન સાંભળો. તેઓ તમને કહે છે: “તમારે બાબેલોનના રાજાની સેવા કરવી નહિ પડે.” ૧૦  તેઓ તમને જૂઠી ભવિષ્યવાણી કહે છે. જો તમે તેઓનું સાંભળશો, તો તમને પોતાના દેશથી દૂર લઈ જવામાં આવશે. હું તમને વિખેરી નાખીશ અને તમારો નાશ થઈ જશે. ૧૧  “‘“‘પણ જે દેશના લોકો પોતાની ગરદન પર બાબેલોનના રાજાની ઝૂંસરી મૂકશે અને તેની સેવા કરશે, તેઓને હું પોતાના દેશમાં રહેવા* દઈશ. તેઓ એને ખેડશે અને એમાં વસશે,’ એવું યહોવા કહે છે.”’” ૧૨  યહૂદાના રાજા સિદકિયાને+ પણ મેં કહ્યું હતું: “જો તમે લોકો પોતાની ગરદનો પર બાબેલોનના રાજાની ઝૂંસરી મૂકશો, તેની અને તેના લોકોની સેવા કરશો, તો તમે જીવતા રહેશો.+ ૧૩  તું અને તારા લોકો કેમ તલવારથી,+ દુકાળથી+ અને ભયંકર રોગચાળાથી+ મરવા માંગો છો? યહોવાએ કહ્યું છે, જે દેશ બાબેલોનના રાજાની સેવા નહિ કરે તેના એવા જ હાલ થશે. ૧૪  જે પ્રબોધકો કહે છે, ‘તમારે બાબેલોનના રાજાની સેવા નહિ કરવી પડે,’+ તેઓનું સાંભળશો નહિ. તેઓ હળહળતું જૂઠું બોલે છે.+ ૧૫  “યહોવા કહે છે, ‘મેં તેઓને મોકલ્યા નથી, છતાં તેઓ મારા નામે જૂઠી ભવિષ્યવાણી કરે છે. જો તમે તેઓનું સાંભળશો, તો હું તમને વિખેરી નાખીશ અને તમારો નાશ થઈ જશે. તમને ભવિષ્યવાણી કહેનાર પ્રબોધકોનો પણ નાશ થઈ જશે.’”+ ૧૬  યાજકોને અને બધા લોકોને મેં કહ્યું: “યહોવા કહે છે, ‘તમને ભવિષ્યવાણી કહેનાર પ્રબોધકોનું સાંભળશો નહિ. તેઓ તમને કહે છે: “જુઓ! યહોવાના મંદિરનાં વાસણો બહુ જલદી બાબેલોનથી પાછાં લાવવામાં આવશે.”+ તેઓની એ ભવિષ્યવાણી જૂઠી છે.+ ૧૭  તેઓનું સાંભળશો નહિ. બાબેલોનના રાજાની સેવા કરો અને જીવતા રહો,+ નહિતર આ શહેર ઉજ્જડ થઈ જશે. ૧૮  પણ જો તેઓ પ્રબોધકો હોય અને તેઓને યહોવાનો સંદેશો મળ્યો હોય, તો તેઓને સૈન્યોના ઈશ્વર યહોવાને વિનંતી કરવા દો કે યહોવાના મંદિરમાં, યહૂદાના રાજાના મહેલમાં અને યરૂશાલેમમાં બચી ગયેલાં વાસણો બાબેલોન લઈ જવામાં ન આવે.’ ૧૯  “સૈન્યોના ઈશ્વર યહોવાએ સ્તંભો,+ હોજ,*+ લારીઓ*+ અને શહેરમાં બચી ગયેલાં વાસણો વિશે સંદેશો આપ્યો છે. ૨૦  બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર જ્યારે યહોયાકીમના દીકરા, એટલે કે યહૂદાના રાજા યખોન્યાને તેમજ યહૂદા અને યરૂશાલેમના આગેવાનોને ગુલામ બનાવીને યરૂશાલેમથી બાબેલોન લઈ ગયો, ત્યારે એ વાસણો લઈ ગયો ન હતો.+ ૨૧  યહોવાના મંદિરમાં, યહૂદાના રાજાના મહેલમાં અને યરૂશાલેમમાં બચી ગયેલાં વાસણો વિશે ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: ૨૨  ‘“એ વાસણો બાબેલોન લઈ જવામાં આવશે.+ હું એના* પર ફરી ધ્યાન આપીશ ત્યાં સુધી એ ત્યાં જ રહેશે. પછી હું એને પાછાં લાવીશ અને એની જગ્યાએ પાછાં મૂકીશ,”+ એવું યહોવા કહે છે.’”

ફૂટનોટ

અથવા, “જોતરો.”
મૂળ, “મારી નજરે યોગ્ય હોય.”
અથવા, “બીમારીથી.”
મૂળ, “આરામ કરવા.”
મૂળ, “સમુદ્ર.” એટલે કે, મંદિરનો તાંબાનો હોજ.
અથવા, “જળગાડીઓ.”
અથવા કદાચ, “ઇઝરાયેલીઓ.”