યર્મિયા ૩૫:૧-૧૯
-
રેખાબીઓએ આજ્ઞા પાળવામાં સારો દાખલો બેસાડ્યો (૧-૧૯)
૩૫ યોશિયાના દીકરા, યહૂદાના રાજા યહોયાકીમના દિવસોમાં+ યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો:
૨ “રેખાબીઓના+ કુટુંબ પાસે જા અને તેઓ સાથે વાત કર. તેઓને યહોવાના મંદિરમાં બોલાવ અને એક ભોજનખંડમાં* ભેગા કર. તેઓને દ્રાક્ષદારૂ પીવા આપ.”
૩ એટલે હું હબાસીન્યાના દીકરા યર્મિયાના દીકરા યાઅઝાન્યાને, તેના ભાઈઓને, તેના દીકરાઓને અને રેખાબીઓના કુટુંબને લઈને
૪ યહોવાના મંદિરમાં ગયો. હું તેઓને યિગદાલ્યાના દીકરા હાનાનના દીકરાઓના ભોજનખંડમાં લઈ ગયો. (હાનાન સાચા ઈશ્વરનો ભક્ત હતો.) એ ભોજનખંડ અધિકારીઓના ભોજનખંડની બાજુમાં હતો. અધિકારીઓનો ભોજનખંડ શાલ્લૂમના દીકરા માઅસેયાના ભોજનખંડની ઉપર હતો. શાલ્લૂમ એક દરવાન હતો.
૫ પછી મેં રેખાબીઓના કુટુંબના માણસો આગળ દ્રાક્ષદારૂ ભરેલા પ્યાલા અને વાટકા મૂક્યા. મેં તેઓને કહ્યું: “લો, આ દ્રાક્ષદારૂ પીઓ.”
૬ તેઓએ કહ્યું: “ના, અમે દ્રાક્ષદારૂ નહિ પીએ, કેમ કે રેખાબના દીકરા યહોનાદાબે,*+ એટલે કે અમારા પૂર્વજે અમને આજ્ઞા આપી હતી, ‘તમે કે તમારા દીકરાઓ ક્યારેય દ્રાક્ષદારૂ પીશો નહિ.
૭ તમે ઘર બાંધશો નહિ, બી વાવશો નહિ, દ્રાક્ષાવાડી રોપશો કે ખરીદશો નહિ. પણ તમે તંબુઓમાં રહો, જેથી જે દેશમાં તમે પરદેશીઓ તરીકે રહો છો, ત્યાં તમે લાંબો સમય રહી શકો.’
૮ અમે અમારા પૂર્વજ રેખાબના દીકરા યહોનાદાબની આજ્ઞા હંમેશાં પાળીએ છીએ. અમે, અમારી પત્નીઓ અને અમારાં દીકરા-દીકરીઓ કદી દ્રાક્ષદારૂ પીતાં નથી.
૯ અમે રહેવા માટે ઘરો બાંધતા નથી. અમારી પાસે દ્રાક્ષાવાડીઓ કે ખેતરો કે અનાજનાં બી નથી.
૧૦ અમે તંબુઓમાં રહીએ છીએ અને અમારા પૂર્વજ યહોનાદાબની* બધી આજ્ઞાઓ પાળીએ છીએ.
૧૧ પણ જ્યારે બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર* દેશ પર ચઢી આવ્યો,+ ત્યારે અમે કહ્યું: ‘ચાલો, યરૂશાલેમ નાસી જઈએ, જેથી ખાલદીઓની અને સિરિયાની* સેનાથી બચી શકીએ.’ એટલે હમણાં અમે યરૂશાલેમમાં રહીએ છીએ.”
૧૨ યહોવાએ યર્મિયાને આ સંદેશો આપ્યો:
૧૩ “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘તું જઈને યહૂદાના માણસોને અને યરૂશાલેમના રહેવાસીઓને કહે: “શું મેં તમને વારંવાર અરજ કરી ન હતી કે તમે મારી આજ્ઞાઓ પાળો?”+ એવું યહોવા કહે છે.
૧૪ “રેખાબના દીકરા યહોનાદાબે પોતાના વંશજોને દ્રાક્ષદારૂ ન પીવાની આજ્ઞા આપી હતી. તેઓ આજ દિન સુધી દ્રાક્ષદારૂ ન પીને તેની આજ્ઞા પાળે છે. તેઓ પોતાના પૂર્વજનું કહ્યું માને છે.+ જ્યારે કે મેં તમને વારંવાર* આજ્ઞા આપી, પણ તમે મારું માન્યું નહિ.+
૧૫ મેં મારા સેવકો, એટલે કે મારા પ્રબોધકોને વારંવાર* તમારી પાસે મોકલ્યા.+ તેઓ તમને કહેતા, ‘મહેરબાની કરીને તમારા ખોટા માર્ગોથી પાછા ફરો+ અને જે ખરું છે એ કરો. બીજા દેવો પાછળ જશો નહિ કે તેઓની સેવા કરશો નહિ. જો એમ કરશો તો તમે એ દેશમાં લાંબું જીવશો, જે મેં તમારા બાપદાદાઓને આપ્યો હતો.’+ પણ તમે મારું સાંભળ્યું નહિ કે મારી વાત કાને ધરી નહિ.
૧૬ રેખાબના દીકરા યહોનાદાબના વંશજોએ પોતાના પૂર્વજની આજ્ઞા પાળી છે,+ પણ આ લોકોએ મારું સાંભળ્યું નથી.”’”
૧૭ “એટલે ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: ‘હું યહૂદા પર અને યરૂશાલેમના રહેવાસીઓ પર એ બધી આફતો લાવીશ, જે વિશે મેં તેઓને ચેતવણી આપી હતી.+ મેં તેઓને કહ્યું હતું, પણ તેઓએ મારું સાંભળ્યું નહિ. હું તેઓને બોલાવતો રહ્યો, પણ તેઓએ મને જવાબ આપ્યો નહિ.’”+
૧૮ યર્મિયાએ રેખાબીઓના કુટુંબને કહ્યું: “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘તમે તમારા પૂર્વજ યહોનાદાબનું સાંભળ્યું છે. તમે તેની એકેએક આજ્ઞા પાળી છે, તેણે જે કહ્યું એમ જ કર્યું છે,
૧૯ એટલે ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “રેખાબના દીકરા યહોનાદાબના* વંશજોમાંથી મારી આગળ ઊભા રહીને સેવા કરનાર માણસની કદી ખોટ પડશે નહિ.”’”
ફૂટનોટ
^ અથવા, “ઓરડામાં.”
^ મૂળ, “યોનાદાબે,” યહોનાદાબનું ટૂંકું રૂપ છે.
^ મૂળ, “યોનાદાબની,” યહોનાદાબનું ટૂંકું રૂપ છે.
^ મૂળ, “નબૂખાદરેસ્સાર,” અલગ જોડણી છે.
^ અથવા, “અરામીઓની.”
^ મૂળ, “વહેલા ઊઠીને.”
^ મૂળ, “વહેલા ઊઠીને.”
^ મૂળ, “યોનાદાબના,” યહોનાદાબનું ટૂંકું રૂપ છે.