યર્મિયા ૩૯:૧-૧૮

  • યરૂશાલેમનો નાશ (૧-૧૦)

    • સિદકિયા નાસી જાય છે અને તેને પકડી લેવામાં આવે છે (૪-૭)

  • યર્મિયાની સંભાળ રાખવામાં આવે છે (૧૧-૧૪)

  • એબેદ-મેલેખનું જીવન બચાવવામાં આવશે (૧૫-૧૮)

૩૯  યહૂદાના રાજા સિદકિયાના શાસનનું નવમું વર્ષ ચાલતું હતું. એના દસમા મહિનામાં બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર* પોતાના આખા સૈન્ય સાથે યરૂશાલેમ પર ચઢી આવ્યો અને એને ઘેરી લીધું.+ ૨  સિદકિયાના શાસનના ૧૧મા વર્ષના ચોથા મહિનાના નવમા દિવસે તેઓએ શહેરના કોટમાં બાકોરું પાડ્યું.+ ૩  બાબેલોનના રાજાના અધિકારીઓ અંદર આવ્યા અને વચલા દરવાજે બેઠા.+ એ અધિકારીઓ આ હતા: નેર્ગાલ-શારએસેર જે સામ્ગાર* હતો, નબૂ-સાર્સખીમ જે રાબસારીસ હતો,* નેર્ગાલ-શારએસેર જે રાબ-માગ* હતો અને બાબેલોનના રાજાના બાકીના બધા અધિકારીઓ. ૪  યહૂદાના રાજા સિદકિયાએ અને બધા સૈનિકોએ તેઓને જોયા ત્યારે તેઓ શહેરમાંથી ભાગી ગયા.+ તેઓ રાજાના બગીચાને રસ્તે, બે દીવાલો વચ્ચેના દરવાજેથી રાતોરાત નાસી છૂટ્યા. તેઓ અરાબાહને રસ્તે ભાગી નીકળ્યા.+ ૫  પણ ખાલદીઓનું સૈન્ય તેઓની પાછળ પડ્યું. તેઓએ યરીખોના ઉજ્જડ પ્રદેશમાં+ સિદકિયાને પકડી પાડ્યો. તેઓ તેને પકડીને હમાથ દેશના+ રિબ્લાહમાં+ બાબેલોનના રાજા નબૂખાદનેસ્સાર* પાસે લઈ ગયા. ત્યાં તેણે સિદકિયાને સજા ફટકારી. ૬  બાબેલોનના રાજાએ રિબ્લાહમાં સિદકિયાની નજર સામે તેના દીકરાઓને મારી નાખ્યા. તેણે યહૂદાના બધા આગેવાનોને પણ મારી નાખ્યા.+ ૭  તેણે સિદકિયાની આંખો ફોડી નાખી અને તેને તાંબાની બેડીઓ પહેરાવીને બાબેલોન લઈ ગયો.+ ૮  ખાલદીઓએ રાજાનો મહેલ અને લોકોનાં ઘરો બાળી નાખ્યાં.+ તેઓએ યરૂશાલેમનો કોટ તોડી પાડ્યો.+ ૯  શહેરમાં બચેલા લોકો, તેના* પક્ષમાં ભળી ગયેલા લોકો અને એ સિવાયના લોકોને રક્ષકોનો ઉપરી નબૂઝારઅદાન+ ગુલામ બનાવીને બાબેલોન લઈ ગયો. ૧૦  પણ રક્ષકોનો ઉપરી નબૂઝારઅદાન એકદમ ગરીબ લોકોમાંથી અમુકને, જેઓ પાસે કંઈ જ ન હતું, તેઓને યહૂદા દેશમાં મૂકી ગયો. એ દિવસે તેણે તેઓને દ્રાક્ષાવાડીઓ અને ખેતરો આપ્યાં, જેથી તેઓ એમાં કામ કરે.*+ ૧૧  બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે* રક્ષકોના ઉપરી નબૂઝારઅદાનને યર્મિયા વિશે આ હુકમ આપ્યો: ૧૨  “તેને લઈ જા અને તેની સંભાળ રાખ. તેને કંઈ નુકસાન કરીશ નહિ. તે જે કંઈ માંગે એ તેને આપ.”+ ૧૩  રક્ષકોના ઉપરી નબૂઝારઅદાને, નબૂશાઝબાને જે રાબસારીસ* હતો, નેર્ગાલ-શારએસેરે જે રાબ-માગ* હતો અને બાબેલોનના રાજાના મુખ્ય અધિકારીઓએ માણસોને મોકલ્યા. ૧૪  તેઓ યર્મિયાને ચોકીદારના આંગણામાંથી+ બહાર કાઢી લાવ્યા. તેઓએ તેને શાફાનના+ દીકરા અહીકામના દીકરા+ ગદાલ્યાને+ સોંપ્યો. તે યર્મિયાને પોતાના ઘરે લઈ આવ્યો. આમ યર્મિયા લોકો સાથે રહ્યો. ૧૫  યર્મિયા ચોકીદારના આંગણામાં કેદ* હતો+ ત્યારે તેને યહોવાનો આ સંદેશો મળ્યો: ૧૬  “જઈને ઇથિયોપિયાના એબેદ-મેલેખને+ કહે, ‘ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “મેં કહ્યું હતું કે હું આ શહેર પર આફત લાવીશ, હું એનું ભલું નહિ કરું. હવે હું એ વચન પૂરું કરવાનો છું. જે દિવસે હું એવું કરીશ, એ દિવસે તું એ જોઈશ.”’ ૧૭  “‘પણ એ દિવસે હું તને બચાવીશ. હું તને એ માણસોના હાથમાં નહિ સોંપું, જેઓનો તને ડર લાગે છે,’ એવું યહોવા કહે છે. ૧૮  “‘હું તને ચોક્કસ બચાવીશ. તું તલવારે માર્યો નહિ જાય. તું પોતાનો જીવ બચાવીશ,*+ કેમ કે તેં મારા પર ભરોસો રાખ્યો છે,’+ એવું યહોવા કહે છે.”

ફૂટનોટ

મૂળ, “નબૂખાદરેસ્સાર,” અલગ જોડણી છે.
દેખીતું છે, એ ખિતાબ છે.
અથવા, હિબ્રૂ લખાણોમાં આ શબ્દોને આવી રીતે પણ અલગ કરવામાં આવ્યા છે: “નેર્ગાલ-શારએસેર, સામ્ગાર-નબૂ, સાર્સખીમ, રાબસારીસ.”
અથવા, “મુખ્ય જાદુગર (જ્યોતિષ).”
મૂળ, “નબૂખાદરેસ્સાર,” અલગ જોડણી છે.
એટલે કે, નબૂઝારઅદાન.
અથવા કદાચ, “કાળી મજૂરી કરે.”
મૂળ, “નબૂખાદરેસ્સારે,” અલગ જોડણી છે.
અથવા, “દરબારીઓનો ઉપરી.”
અથવા, “મુખ્ય જાદુગર (જ્યોતિષ).”
અથવા, “નજરકેદ.”
મૂળ, “તને લૂંટ તરીકે પોતાનું જીવન મળશે.”