યર્મિયા ૪:૧-૩૧

  • પસ્તાવો કરવાથી આશીર્વાદ મળે છે (૧-૪)

  • ઉત્તરથી મોટી આફત (૫-૧૮)

  • આવનાર આફતને લીધે યર્મિયા દુઃખી થાય છે (૧૯-૩૧)

 યહોવા કહે છે, “હે ઇઝરાયેલ, જો તું પાછી ફરે,જો તું મારી પાસે પાછી ફરેઅને હું ધિક્કારું છું એવી મૂર્તિઓને મારી આગળથી દૂર કરે,તો તારે આમતેમ ભટકવું નહિ પડે.+  ૨  જો તું સચ્ચાઈ, ન્યાય અને નેકીથી સમ ખાય કે,‘યહોવાના સમ!’* તો પ્રજાઓ તેમની પાસેથી આશીર્વાદ મેળવશેઅને તેમના લીધે ગર્વ અનુભવશે.”+ ૩  યહૂદાના માણસોને અને યરૂશાલેમને યહોવા કહે છે: “તમારા માટે પડતર જમીન ખેડોઅને કાંટાઓ વચ્ચે વાવવાનું બંધ કરો.+  ૪  હે યહૂદાના માણસો અને યરૂશાલેમના રહેવાસીઓ,યહોવા માટે તમારી સુન્‍નત* કરો,તમારાં હૃદયોની સુન્‍નત કરો,+નહિતર તમારાં દુષ્ટ કામોને લીધેમારો ગુસ્સો આગની જેમ તમારા પર ભડકી ઊઠશેઅને એને હોલવનાર કોઈ નહિ હોય.”+  ૫  યહૂદામાં ઢંઢેરો પિટાવો અને યરૂશાલેમમાં જાહેરાત કરો. આખા દેશમાં પોકાર કરો અને રણશિંગડું વગાડો.+ મોટેથી બૂમ પાડીને કહો: “ભેગા થાઓઅને કોટવાળાં શહેરોમાં નાસી જાઓ.+  ૬  સિયોનનો રસ્તો બતાવતી નિશાની* ઊભી કરો,મોડું ન કરો, પણ આશરો શોધો,”કેમ કે તે* ઉત્તરથી આફત લાવે છે,+ મોટી આફત લાવે છે.  ૭  પ્રજાઓનો નાશ કરનાર નીકળી આવ્યો છે,+તે સિંહની જેમ પોતાની ઝાડીમાંથી બહાર આવ્યો છે.+ તે પોતાની જગ્યાએથી ચઢી આવ્યો છે, તે તમારા દેશના એવા હાલ કરશે કે એ જોઈને લોકો ધ્રૂજી ઊઠશે. તમારાં શહેરોનો વિનાશ થશે અને એ વસ્તી વગરનાં થઈ જશે.+  ૮  એટલે તમે કંતાન પહેરો,+વિલાપ કરો,* શોક પાળો,કેમ કે યહોવાનો ગુસ્સો આપણા પરથી ઊતર્યો નથી.  ૯  યહોવા કહે છે, “એ દિવસે રાજા હિંમત હારી જશે,*+અધિકારીઓ પણ નાહિંમત થઈ જશે,*યાજકો થરથર કાંપશે અને પ્રબોધકો દંગ રહી જશે.”+ ૧૦  મેં કહ્યું: “હે વિશ્વના માલિક યહોવા, તમે સાચે જ આ લોકોને અને યરૂશાલેમને છેતર્યાં છે.+ તમે કહ્યું હતું: ‘તમે શાંતિમાં જીવશો,’+ પણ અમારા માથે તો તલવાર લટકે છે.”* ૧૧  એ સમયે આ લોકોને અને યરૂશાલેમને કહેવામાં આવશે: “રણપ્રદેશની ઉજ્જડ ટેકરીઓ પરથી ગરમ પવન ફૂંકાશે,એ અનાજ સાફ કરવા કે એનાં ફોતરાં ઉડાવવા નહિ,પણ મારા લોકોની દીકરીને* દઝાડવા ફૂંકાશે. ૧૨  મારા આદેશ પર એ જગ્યાઓથી ભારે આંધી ફૂંકાશે. હવે હું તેઓ વિરુદ્ધ ન્યાયચુકાદો જાહેર કરીશ. ૧૩  વરસાદનાં વાદળની જેમ દુશ્મન આવશે,તેના રથો વંટોળિયા જેવા છે.+ તેના ઘોડા ગરુડ કરતાં પણ ઝડપી છે.+ અમને અફસોસ! અમે બરબાદ થઈ ગયા છીએ! ૧૪  હે યરૂશાલેમ, તારે બચવું હોય તો તારા દિલમાંથી દુષ્ટતા કાઢી નાખ.+ તું ક્યાં સુધી તારા મનમાં ખરાબ વિચારો ભરી રાખીશ? ૧૫  દાનથી એક અવાજ ખબર આપે છે,+એફ્રાઈમના પહાડોથી એ વિપત્તિનો સંદેશો સંભળાવે છે. ૧૬  પ્રજાઓને ખબર આપો,યરૂશાલેમ વિરુદ્ધ એ જાહેર કરો.” “દૂર દેશથી ચોકીદારો* આવે છે,તેઓ યહૂદાનાં શહેરો વિરુદ્ધ મોટેથી યુદ્ધનો પોકાર કરશે. ૧૭  ખેતરના રખેવાળોની જેમ તેઓ યરૂશાલેમને ચારે બાજુથી ઘેરી લેશે,+કેમ કે તેણે મારી સામે બળવો કર્યો છે,”+ એવું યહોવા કહે છે. ૧૮  “તારાં ખરાબ વર્તન અને કામોની તારે ભારે કિંમત ચૂકવવી પડશે.+ તારો વિનાશ કેટલો ભયંકર છે! એ તારા દિલને વીંધી નાખે છે!” ૧૯  મારી આંતરડી કકળી ઊઠી છે, એ ઊકળી ઊઠી છે,મારા દિલમાં ભારે વેદના થાય છે,મારા ધબકારા વધી ગયા છે. હું ચૂપ રહી શકતો નથી,કેમ કે મેં રણશિંગડાનો અવાજ સાંભળ્યો છે,યુદ્ધના ભણકારા* કાને પડ્યા છે.+ ૨૦  એક પછી એક આફતની ખબર આવે છે,આખા દેશનો વિનાશ થયો છે. અચાનક મારા તંબુઓ પડી ભાંગ્યા છે. પળભરમાં મારા તંબુઓ ચીંથરેહાલ થઈ ગયા છે.+ ૨૧  હું ક્યાં સુધી રસ્તો બતાવતી નિશાની* જોયા કરીશ? ક્યાં સુધી રણશિંગડાનો અવાજ સાંભળ્યા કરીશ?+ ૨૨  ઈશ્વરે કહ્યું: “મારા લોકો બુદ્ધિ વગરના છે,+તેઓને મારી જરાય પડી નથી. તેઓ મૂર્ખ દીકરાઓ છે, તેઓમાં અક્કલનો છાંટોય નથી. ખોટું કરવામાં તેઓની બુદ્ધિ બહુ ચાલે છે,પણ સારું કરતા તેઓને આવડતું નથી.” ૨૩  મેં દેશ તરફ નજર કરી તો એ ખાલી અને ઉજ્જડ હતો.+ મેં આકાશો તરફ નજર કરી તો ત્યાં જરાય પ્રકાશ ન હતો.+ ૨૪  મેં પર્વતો તરફ નજર કરી તો એ ધ્રૂજી રહ્યા હતાઅને ડુંગરો થથરી રહ્યા હતા.+ ૨૫  મેં નજર કરી તો ત્યાં એકેય માણસ ન હતોઅને આકાશનાં પક્ષીઓ ઊડી ગયાં હતાં.+ ૨૬  મેં નજર કરી તો ફળદ્રુપ પ્રદેશ* ઉજ્જડ થઈ ગયો હતો,એનાં શહેરો ખંડેર થઈ ગયાં હતાં.+ એ બધું યહોવાને લીધે,હા, તેમના સળગતા ક્રોધને લીધે થયું હતું. ૨૭  યહોવા કહે છે, “આખો દેશ ઉજ્જડ થઈ જશે,+પણ હું એનો પૂરેપૂરો નાશ નહિ કરું. ૨૮  એટલે દેશ વિલાપ કરશે,+આકાશમાં અંધારું છવાઈ જશે.+ કેમ કે હું એ બોલ્યો છું અને મેં એ નક્કી કર્યું છે,હું મારું મન બદલીશ નહિ,* હું પાછો ફરીશ નહિ.+ ૨૯  ઘોડેસવારો અને તીરંદાજોનો હાહાકાર સાંભળીનેઆખું શહેર નાસી છૂટે છે.+ તેઓ ઝાડીઓમાં ભરાઈ જાય છેઅને ખડકો પર ચઢી જાય છે.+ એકેએક શહેર સૂમસામ થઈ ગયું છે,ત્યાં કોઈ રહેતું નથી.” ૩૦  તું બરબાદ થઈ ગઈ છે, હવે શું કરીશ? તું લાલ રંગનાં કપડાં પહેરતી હતી,તું સોનાનાં ઘરેણાંથી પોતાને શણગારતી હતી,તું આંખોની સુંદરતા વધારવા કાજળ આંજતી હતીપણ તારો સાજ-શણગાર નકામો છે.+ જે આશિકો વાસના સંતોષવા તારી પાસે આવતા, તેઓએ તને છોડી દીધી છે. તેઓ તારા લોહીના તરસ્યા બની ગયા છે.+ ૩૧  મને એક અવાજ સંભળાય છે,એ કોઈ સ્ત્રીના કણસવાના અવાજ જેવો છે,પહેલા બાળકને જન્મ આપતી સ્ત્રીની ચીસો જેવો છે. એ અવાજ તો સિયોનની દીકરીનો છે, તે શ્વાસ લેવા તરફડિયાં મારે છે. તે પોતાનો હાથ લંબાવીને કહે છે:+ “અફસોસ છે મને! મારા ખૂનીઓને લીધે હું ત્રાસી ગઈ છું!”

ફૂટનોટ

મૂળ, “યહોવાના જીવના સમ.”
અથવા, “નિશાનીનો થાંભલો.”
એટલે કે, ઈશ્વર.
અથવા, “છાતી કૂટો.”
અથવા, “દિલ બેસી જશે.”
અથવા, “દિલ બેસી જશે.”
અથવા, “તલવાર અમારા જીવ સુધી આવી પહોંચી છે.”
આ કાવ્યાત્મક વર્ણન છે, જે કદાચ લાચારી અથવા સહાનુભૂતિ બતાવે છે.
એવા ચોકીદારો, જેઓ શહેર પર નજર રાખીને નક્કી કરતા કે ક્યારે એના પર હુમલો કરવો.
અથવા કદાચ, “યુદ્ધનો પોકાર.”
અથવા, “નિશાનીનો થાંભલો.”
અથવા, “વાડીવાળો પ્રદેશ.”
અથવા, “પસ્તાવો કરીશ નહિ.”